Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

12TH ફેલ : નિષ્ફળતાઓ વચ્ચેથી ઊગતી સફળતાની સુંદર ફિલ્મ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 November 2023

રવીન્દ્ર પારેખ

સાધારણ રીતે ફિલ્મનું ટાઇટલ આકર્ષક અને ઉત્સાહવર્ધક પસંદ થતું હોય છે, પણ વિધુ વિનોદ ચોપરાની ફિલ્મોનાં ટાઇટલ્સ સૂચક હોય છે. એમની ‘પરિન્દા’, ‘1942 લવસ્ટોરી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘3 ઈડિયટ્સ’ જેવાં ટાઈટલ્સ એ વાતની સાક્ષી પૂરે એમ છે. ‘12TH ફેલ’ ફિલ્મનાં પોસ્ટરમાં લેટરિંગ પણ સૂચક છે. એમાં FAIL(ફેલ) શબ્દ, ઉપરથી નીચે પછડાયેલો બતાવ્યો છે – જે નિષ્ફળતાનો સૂચક છે. વિધુ વિનોદ ચોપરા બહુ શ્રમ અને કાળજી લઈને ફિલ્મો બનાવે છે. ‘12TH ફેલ’માં જે ઓછું જાણીતું છે એને જ જાણીતું કરવાની કોશિશો થઈ છે. કલાકારો બહુ જાણીતા નથી. વાત જાણીતી છે, પણ ફિલ્મી પડદે બહુ આવી નથી ને એની ફિલ્મ આવી છે. ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. એના પરથી તો એ જ નામની અનુરાગ પાઠકે પહેલાં નોવેલ લખી છે ને એ પરથી ફિલ્મ થઈ છે.

ચંબલનાં ગામડાનો 12મી નાપાસ મનોજ શર્મા (વિક્રાંત મેસ્સી) કેવી રીતે જીવલેણ સંઘર્ષ કરીને ગરીબીમાંથી આઇ.પી.એસ. બને છે એની વાત છે. મનોજ શર્મા 12માંની પરીક્ષા આપે છે. પરીક્ષામાં સાહેબે જ પરીક્ષાર્થીઓને એક પછી એક જવાબો લખાવવાનું શરૂ કર્યું છે. એવામાં દુષ્યંત સિંગ (પ્રિયાંશુ ચેટરજી) નામનો ડી.એસ.પી. આવીને ચોરી અટકાવે છે. આચાર્ય ડી.એસ.પી.નું ધ્યાન દોરે છે કે આ વિધાયકની સ્કૂલ છે ને વર્ષોથી આખી સ્કૂલ આમ જ પાસ થાય છે, પણ દુષ્યંત ‘ચીટિંગ’ અટકાવે છે ને આખી સ્કૂલ નાપાસ થાય છે. પોલીસ અધિકારી તરીકે દુષ્યંત એક દિવસ મોડા આવ્યા હોત તો મનોજ પાસ થઈ ગયો હોત ને તેનાં પિતાની મદદથી ક્યાંક પટાવાળા તરીકે ગોઠવાઈ ગયો હોત, પણ એવું થતું નથી. એ સાથે જ દુષ્યંતનો રૂઆબ જોઈને મનોજ એના જેવો અધિકારી બનવાની ઈચ્છા કરે છે, તો દુષ્યંત કહે છે કે એને માટે ‘ચીટિંગ’ છોડવું પડશે. આ વાત મનોજના મનમાં ઘર કરી જાય છે ને આખી સ્કૂલ 12માંની પરીક્ષા ચોરી કરીને ફર્સ્ટ ક્લાસમાં પાસ કરે  છે, પણ મનોજ ચોરી નથી કરતો ને થર્ડ ક્લાસ મેળવે છે. આઇ.પી.એસ. થવા તે ગ્વાલિયર-દિલ્હી પહોંચે છે. અહીં તેને એક મિત્ર પ્રીતમ પાંડે (અનંત જોશી) મળે છે જેનો બાપ કરપ્ટ છે ને પોતાને તે એટલે આઇ.પી.એસ. બનાવવા માંગે છે કે તે પણ વધુને વધુ પૈસા બનાવી શકે, પણ તે નાપાસ થઈ થઈને બાપના પૈસા વેડફ્યા કરે છે.

મનોજને એક નિષ્ફળ કોચ ગૌરી ભૈયા (અંશુમન પુષ્કર) મળે છે. તેનો મંત્ર છે – RESTART ! નિષ્ફળ જવાય તો ફરીથી શરૂ કરો. તે કેન્ટીન શરૂ કરે છે ને મનોજને ચા-કોફીના ગ્લાસ ગ્રાહકોને પહોંચાડવાનું કામ સોંપે છે. એ કહે છે કે બે લાખ હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓમાંથી 25-30 જ આઇ.પી.એસ. કે આઇ.સી.એસ. બને છે. આ ભીડ જોઈને કોઈ ટકોર પણ કરે છે કે બધાં આઇ.પી.એસ. બનવા ઘેટાંબકરાની જેમ બસોમાં, ટ્રેનોમાં ભરાઈ ભરાઈને અમસ્તા જ ઊતરી પડે છે. એ સંદર્ભે ગૌરી ભૈયા મનોજને કહે પણ છે કે આ એની એકલાની લડાઈ નથી. કોઈ એક પણ એ જીતશે તો એ પેલા કરોડો ઘેટાંબકરાઓની પણ જીત હશે. મનોજ જેમ જેમ પરીક્ષાઓ ક્લીયર કરતો જાય છે, તેમ તેમ ગૌરી ભૈયા તેને બધાં કામ છોડાવીને ફાઇનલ એક્ઝામ ને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરે છે.

દિલ્હીમાં મનોજને શ્રદ્ધા(મેધા શંકર)નો ભેટો વિકાસ દીવ્યકીર્તિના કોચિંગ ક્લાસમાં થાય છે ને તે તેના પ્રેમમાં પડે છે. શ્રદ્ધા તેને સાથ આપે છે, પણ આઇ.પી.એસ.નો ગોલ ન ચુકાય એટલે પ્રેમનો એકરાર નથી કરતી. એકવાર તો મનોજ ઉત્સાહમાં શ્રદ્ધાને ઘરે મસૂરી પહોંચી જાય છે ને ‘આઈ લવ યુ‘ કહીને કહે છે કે તે પણ જો પ્રેમનો એકરાર કરશે તો તે દુનિયા પલટી નાંખશે, પણ શ્રદ્ધા તેને નકારે છે ને દિલ્હી પાછા જવાનું કહે છે. મનોજ હતાશ થાય છે ને એટલી મહેનત કરે છે કે આઇ.પી.એસ.ની તૈયારી અને અનાજની ઘંટી સમાંતરે ચલાવીને નિર્વાહ કરે છે. એ પહેલાં તેણે ટોઇલેટ સાફ કર્યાં છે, લાઇબ્રેરીમાં પુસ્તકો ગોઠવવાની નોકરી કરી છે. અનેક નિષ્ફળતાઓ પછી તે ફાઇનલ એક્ઝામ ક્લીયર કરે છે ને ઇન્ટરવ્યૂ આપવા યુ.પી.એસ.સી.ની ઓફિસે પહોંચે છે. ઇન્ટરવ્યૂમાં તે 12મું નાપાસ છે એ વાત, બારમું પાસ કર્યાં પછી ને આઇ.પી.એસ.ની ઘણી પરીક્ષાઓ પસાર કર્યાં પછી પણ, તેનો પીછો નથી છોડતી. તે નાપાસ થવાનાં કારણમાં બીજું કોઈ બહાનું બતાવી શક્યો હોત, પણ ચોરી ન થઈ શકી એટલે નાપાસ થયો એવી સ્પષ્ટતા કરે છે. તેને ઇન્ટરવ્યૂમાં બૂટ-ટાઇ પહેરીને ઇમ્પ્રેશન પાડવાનું પણ નથી ફાવતું. તેણે ટાઇ પહેરી જ નથી. તે દેખાડો નથી કરી શકતો. આ બધું ઇન્ટરવ્યૂમાં તેની વિરુદ્ધ જાય એવું તેને લાગે છે. તેને પુછાય પણ છે કે આ છેલ્લો એટેમ્પટ છે ને આઇ.પી.એસ. ન થયા તો શું કરશો? મનોજ કહે છે કે ના થયો તો ગામમાં શિક્ષક થઈશ ને સ્કૂલોમાં ચાલતું ચીટિંગ બંધ કરાવીશ. એ જ વાત કોચ દિવ્યકીર્તિ પણ કહે છે કે આઇ.એ.એસ. બનવામાં કોઈ મોટી વાત નથી. ખુરશી પર તમે બેસો એનાથી તમારી આબરુ વધતી નથી, પણ તમારા બેસવાથી ખુરશીની આબરુ વધે એ મોટી વાત છે. બીજી તરફ ઇન્ટરવ્યૂ લેનાર સાહેબોમાં પણ મતભેદો છે. કોઈને મનોજ યોગ્ય નથી લાગતો, તો કોઈ માને છે કે આવું સાચું બોલનારને નહીં લઇએ તો કોને લઈશું?

મનોજને લાગે છે કે તેની પસંદગી નહીં જ થાય, એટલે તે રિઝલ્ટ જોવા તૈયાર નથી, પણ શ્રદ્ધા ભીની આંખે વધામણી ખાય છે કે તે આઇ.પી.એસ. થઈ ગયો છે ને મનોજ ઘૂંટણીયે પડીને વિખેરાય છે, ત્યારે દર્શકોની આંખો ભીની થઈ જાય છે. એ પછી એ એના પ્રેરણાસ્રોત ડી.એસ.પી.ને મળવા પહોંચે છે. મનોજને આઇ.પી.એસ. થયેલો જાણીને તેને સલામ ઠોકે છે ને ગળે વળગાડી લે છે.

ફિલ્મ પૂરી થાય છે ત્યારે છેલ્લે એક લાઇન મુકાઇ છે કે આ ફિલ્મ એ થોડા અધિકારીઓ માટે છે જે ભ્રષ્ટ થયા વગર ટકી રહ્યા છે.

કલાત્મકતાના કોઈ ધખારા વગરની આ કલાત્મક અને વાસ્તવદર્શી ફિલ્મ છે. એ સીધી હૃદયને સ્પર્શે છે. ફિલ્મનાં કેટલાં ય દૃશ્યો આંખો ભીની કરનારા છે. મનોજના પિતા ખોટું કરવામાં, કાળાબજારીમાં માનતા નથી, એને લીધે એમનો ઓફિસમાં સંઘર્ષ થતો જ રહે છે. એ પિતા થાકીને ભ્રષ્ટ થાય છે. પિતા જુએ છે કે દીકરો લોટ ઊડેલા ચહેરાવાળો, જેલ જેવી કોટડીમાં, એક બલ્બ નીચે, આઇ.પી.એસ.ની તૈયારીમાં ખપી રહ્યો છે, તેનું હૃદય દ્રવી જાય છે ને દીકરાને બધું છોડીને ઘરે આવવાનું કહે છે, ત્યારે દીકરો, પિતાને આશ્વસ્ત કરતાં, અટલબિહારી વાજપેયીની પંક્તિ કહે છે – હાર નહીં માનેંગે. એ પિતા જ્યારે જાણે છે કે દીકરો IPS થયો છે તો પોતાની ઓફિસે દોડે છે એના બોસને એ કહેવા કે એણે IPSના પિતા સાથે બાથ ભીડી છે.

ફિલ્મમાં દાદીનું પાત્ર જાણીતી નાટ્ય અભિનેત્રી સરિતા જોશીએ ભજવ્યું છે. આમ તો મનોજની મા જોડે સાસુપણું બજાવતી દાદી, મનોજ આઇ.પી.એસ. થવા જઇ રહ્યો છે એમ જાણે છે તો, તેનાં પલંગ નીચેની ટ્રંક ખોલાવીને પેન્શનની બધી બચત સોંપતા કહે છે કે હવે આઈ.પી.એસ.ની વર્દીમાં જ પાછો આવજે. દાદી તો એ જોવા પામતી નથી. વચમાં મનોજ ગામ આવે છે તો દાદી ક્યાં છે એવું બહેનને પૂછે છે. દાદીએ જ આગ્રહ રાખેલો કે એને જાણ ન કરવી ને એ આવ્યો છે તો દાદી દેખાતી નથી. એનો ખાલી પલંગ કેમેરા એવી રીતે બતાવે છે કે એમાં ન રહેલી દાદી પણ ક્યાંક દેખાઈ જાય.

દાદી વગરનાં ઘરમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે એ બતાવવા દીકરાના માથામાં તેલ લગાવતી મા વ્હાલથી કહે છે કે હવે તો મોટી થયેલી દીકરી ઘરનું કામ જ કરવા નથી દેતી, ભાઈ બીજે ગામ દહાડી કરે છે એટલે પૈસાનો જુગાડ પણ થઈ ગયો છે, ત્યારે માથું ફેરવીને મનોજ સોંસરું પૂછે છે, ‘ઔર કિતના જૂઠ બોલોગી?’

એક દૃશ્ય છે જેમાં મનોજ અબ્દુલ કલામની આત્મકથાનું પુસ્તક સ્ટોલમાં જુએ છે, ઉપાડે છે ને ફરી હતું ત્યાં મૂકી દે છે. શ્રદ્ધા આ જુએ છે ને મનોજને પાણી લાવવાને બહાને દૂર મોકલે છે. એ પાછો ફરે છે તો શ્રદ્ધા દેખાતી નથી. પછી દેખાય છે તો એના હાથમાં કલામની આત્મકથાનું પુસ્તક ‘વિંગ્સ ઓફ ફાયર’ છે. મનોજ એ લેવાની ના પાડે છે, પણ શ્રદ્ધા તેને ભેટ આપીને જ રહે છે તો કહે છે કે આ પુસ્તક વાંચવાનું તેને ખૂબ મન હતું. કલામ લેમ્પ પોસ્ટની નીચે બેસીને વાંચતાં હતા એ વાતનો ફિલ્મમાં એમ ઉપયોગ થયો છે કે જ્યારે સૂરજ નથી હોતો ત્યારે દીવો જ સૂરજની ગરજ સારે છે.

ફિલ્મના સંવાદો તેનો પ્રાણ છે. મનોજ ફેલ થાય છે તો દાદી કહે છે, ‘ નાપાસ થયો તો ભલે, આવતે વર્ષે પાસ થશે. પરીક્ષા કૈં કુંભનો મેળો નથી કે બાર વર્ષે ભરાય.’ આવાં તો ઘણા સંવાદો છે જે ફિલ્મને ગતિ આપે છે. દિલ્હીમાં પ્રવેશતાં મનોજને ભીડનો, અવાજનો, રોશનીનો પહેલો અનુભવ થાય છે. ભીડ પર ભીડ ઓવર લેપ કરતાં જઈને રૂંધામણનો અનુભવ કેમેરા દ્વારા અપાયો છે. મલિકાગંજની ઘંટીનું લોકેશન, ચમ્બલ નદીનો રાતનો સમય, ગૌરી ભૈયાનો અંધારિયો ક્લાસ વગેરેને રંગરાજન રામભદ્રનની ફોટોગ્રાફીનો લાભ મળ્યો છે, તો શાંતનુ મોઇત્રાનું સંગીત છે. શાંતનુનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખાસું પ્રભાવક છે, તો સ્વાનંદ કિરકિરેનાં ગીતો છે. ‘યે પતંગે અંબર સે કહેતી હૈ કયા સુન લો..’ શ્રેયા અને શાનના અવાજમાં ગીત સરસ બન્યું છે.

ફિલ્મમાં શૈક્ષણિક સ્તરે ચાલતો રાજકીય ભ્રષ્ટાચાર છે, તો કરપ્શન વધારનારી માનસિકતા પણ છે ને એની વચ્ચે મનોજ સ્વસ્થ આઇ.પી.એસ. તરીકે આટલી ભ્રષ્ટ દુનિયામાં સત્યનો મહિમા કરવા ઊભો થયો છે. એ પણ ખરું કે આટલી ભ્રષ્ટ દુનિયામાં લાંચિયું પોલીસ તંત્ર છે, તો ઓછામાંથી બધું આપીને સત્યને ટકાવનાર મિત્રો છે, પિતા છે, પી.એસ.આઇ. છે. ફિલ્મનું ઘટક તત્ત્વ પ્રેમ છે. પ્રેમ પાડે છે તો બેઠો પણ કરે છે. ગમતો પ્રેમ જતો ન કરાય, પણ તે ઇરાદાઓને મજબૂત કરતો પણ હોવો જોઈએ ને એ શ્રદ્ધાના પાત્ર દ્વારા સુપેરે બતાવાયું છે.

27 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થઈ, પણ થિયેટર ખાલી છે. આમ તો બધાં માટે આ ફિલ્મ છે, પણ જે યુવાનો માટે આ ફિલ્મ બની છે એમને આ ફિલ્મ વિષે કૈં ખબર નથી અથવા તો એમને રસ નથી એ આઘાતજનક છે. કોઈ પણ ઉચ્ચતમ એવોર્ડ આ ફિલ્મને, એના કલાકાર વિક્રાંત મેસ્સીને અચૂક મળે એમ છે. આ ડિરેક્ટરની ફિલ્મ છે, ઉત્તમ સ્ક્રીનપ્લેની, અદ્ભુત અભિનયની ફિલ્મ છે. નેશનલ એવોર્ડ તમામ કેટેગરીમાં આપી શકાય એવી આ ફિલ્મ છે, પણ એને પ્રેક્ષકો જ ન મળે તો વિધુ વિનોદ ચોપરાનો આખો વ્યાયામ જ નિરર્થક ઠરે.

કમ સે કમ આ ફિલ્મને તમામ રાજ્યોમાં કરમુક્ત જાહેર કરવી જોઈએ…

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 નવેમ્બર 2023

Loading

3 November 2023 Vipool Kalyani
← RSS: Calling for status quo in the guise of ‘Emotional Unity’
कितनी खोखली आवाजें  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved