Opinion Magazine
Number of visits: 9445951
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યે વક્ત કા એલાન વહાં ભી હૈ યહાં ભી …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 August 2021

બીજા વિશ્વયુદ્ધમાં જે રીતે અનેક દેશોમાં સામાજિક તબાહી આવી, તેનો વિષય લઈને અનેક યુરોપિયન અને હોલીવૂડ ફિલ્મો બની હતી. આપણે ત્યાં વિભાજનની ભીષણતા પણ યુદ્ધથી ઓછી ન હતી, પણ આપણી ફિલ્મોએ તેનું જોઈએ તેટલું વિશ્લેષણ કર્યું ન હતું. ગણવા બેસો તો દસેક ફિલ્મો એવી નીકળે, જેણે ગંભીરતાથી વિભાજનની પીડાને પડદા પર બતાવી હોય. દર વર્ષે સ્વતંત્રતા દિવસ પ્રસંગે તમે આ બધી ફિલ્મોને એક યા બીજી રીતે યાદ કરતા રહેતા હશો. આપણે આજે એક એવી જ ફિલ્મની વાત કરીએ.

ભારત-પાકિસ્તાનના વિભાજનને બે રીતે જોઈ શકાય; વિભાજનનું રાજકારણ અને વિભાજનની હિંસા. ભારતના ટુકડા થયા તેની પાછળ સાંસ્કૃતિક કારણો હતાં અને તેનું પોલિટીકલ સેટલમેન્ટ હિંસામાં પરિણમ્યું હતું, કારણ કે એ કારણોમાંથી પીડાનો જન્મ થયો હતો. વિભાજનની એ શારીરિક અને માનસિક હિંસાને આપણી ફિલ્મોમાં ગહેરાઈથી તપાસવામાં આવ્યો નથી.

હિંસાના નામે લૂંટફાટ, તોફાનો અને બળાત્કારની વાતો ફિલ્મોમાં થઇ છે, પરંતુ વિભાજનના કારણે પરિવારોની લાગણીઓ અને સંવેદનાઓ પર જે હિંસા થઇ હતી તેને મુખ્ય ધારાના ફિલ્મ સર્જકો બહુ સ્પર્શ નથી કર્યો. એ સંદર્ભમાં, એમ.એસ. સથ્યૂએ ૧૯૭૩માં 'ગરમ હવા' ફિલ્મમાં પહેલીવાર એ અલગાવ, મૂળિયાં સોતા ઉખડી જવાની પીડા અને આઇડેન્ટિટીનાં સંકટનું ચિત્રણ કર્યું હતું.

ફિલ્મની શરૂઆત જ કૈફી આઝમીના આ શેર સાથે થતી હતી, જેમાં જમીન પર ખેંચાયેલી રેખાથી દિલોમાં પડેલી તિરાડની પીડા હતી :

તકસીમ હુઆ મુલ્ક તો દિલ હો ગયે ટુકડે
હર સીને મેં તુફાન યહાં ભી થા વહાં ભી

(તકસીમ : વિભાજીત)

મૈસુર શ્રીનિવાસન સથ્યૂ એટલે કે એમ.એસ. સથ્યૂ મૈસુર અને બેંગ્લોરમાં સાયન્સ ભણ્યા હતા, પણ શોખથી ફિલ્મોમાં આવી ગયા હતા. ફિલ્મ નિર્માતા-નિર્દેશક ચેતન આનંદના એ સહાયક બન્યા હતા, અને તેમની ભારત-ચીન યુદ્ધ આધારિત 'હકીકત'માં બેસ્ટ આર્ટ ડીરેક્શનનો ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.

સથ્યૂના કહેવા પ્રમાણે 'ગરમ હવા' અકસ્માતે બની હતી, પણ આજે તે એવી જ ક્લાસિક ગણાય છે જેવી કમાલ અમરોહીની 'પાકીઝા' ગણાય છે. સથ્યૂ દિલ્હીમાં નાટકો સાથે સંકળયેલા હતા. તેમની સ્ક્રીનપ્લે લેખક પત્ની શમા ઝૈદીના એક નાટકમાં મશહૂર ઉર્દૂ લેખક રાજીન્દર બેદી કામ કરતા હતા. તેમણે વાતવાતમાં ઝૈદીને કહ્યું કે તમે લોકોએ વિભાજન પછી ભારતમાં રહી ગયેલા મુસ્લિમો પર ફિલ્મ બનાવવી જોઈએ. બેદીએ ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુઘતાઈના નામનું સૂચન પણ કર્યું હતું.

ઈસ્મત પાસે વાર્તા ન હતી, પણ તેમના દૂરના પરિવારમાં અમુક સભ્યો પાકિસ્તાન જતા રહ્યા હતા અને અમુક સભ્યો ભારતમાં રહી ગયા હતા તેવી એક ઘટના હતી. કદાચ એમાં ઈસ્મતની માતાની જ વાત હતી, જેણે છેલ્લા શ્વાસ સુધી હિંદુઓ વચ્ચે રહેવાની જીદ કરી હતી. ઝૈદી અને સથ્યૂ વાર્તાની તલાશમાં હતા અને આવી સાવ બે લાઈનની વાર્તા પરથી તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે કૈફી આઝમીનો સંપર્ક કર્યો અને આઝમી સાબે ઝૈદી સાથે મળીને વાર્તાને આકાર આપ્યો.

ફિલ્મ બનાવવા માટે સથ્યૂએ ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશનની મદદ લીધી હતી, અને ત્યાંથી તેમને ત્રણ લાખ રૂપિયા ફાળવ્યા હતા. સાવ નાખી દેવાય તેવા બજેટ અને સાવ નાનકડી વાર્તા પરથી સથ્યૂએ 'ગરમ હવા' એવી ગર્મજોશીથી બનાવી કે આજે ૫૦ વર્ષ પછી પણ એવું કહેવાય છે કે પૃથ્વી પર જ્યાં સુધી પાકિસ્તાન રહેશે, ત્યાં સુધી વિભાજનના ઇતિહાસમાં તેને યાદ કરવામાં આવશે.

ફિલ્મ આગ્રામાં જૂતાંના કારખાનાના માલિક સલીમ મિર્ઝા(બલરાજ સહાની)ના પરિવારની આસપાસ ઘૂમે છે.

સમય ભારતની સ્વતંત્રતા પછીનો છે. દેશમાં વિભાજનની આગમાં સળગી રહ્યો છે. બંને દેશોમાંથી સ્થળાંતર ચાલુ છે. હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારત આવી રહ્યા છે, અને મુસ્લિમો ભારત છોડીને પાકિસ્તાન જઈ રહ્યા છે. બંને કોમ 'અપના દેશ'ની તલાશમાં છે. એ બધા વચ્ચે એવા મુસલમાનો પણ છે, જે ભારતને જ પોતાનો દેશ માને છે.

સલીમ મિર્ઝા એવો જ એક મુસલમાન છે, જેને મહાત્મા ગાંધીના સર્વ ધર્મ સમભાવમાં વિશ્વાસ છે. તેને આશા છે કે હિંદુ-મુસ્લિમ એકતા માટે થઈને ખુવાર થઇ જનારા મહાત્માની શહીદી એળે નહીં જાય અને દેશમાં શાંતિનો દીવો પેટાવશે. એક દ્રશ્યમાં એક ઘોડાગાડીવાળો સલીમ પાસે આઠ આનાને બદલે બે રૂપિયાનું ભાડું માગે છે, ત્યારે સલીમ તેની સાથે રકઝક કરે છે. ગાડીવાળો ઉદ્ધતાઈથી સલીમને કહે છે, "આઠ આને મેં ચલના હૈ તો પાકિસ્તાન જાઓ." એ સાંભળીને દુઃખી થયેલો સલીમ કહે છે, "નઈ-નઈ આઝાદી મિલી હૈ તો સબ અપને-અપને મતલબ નિકાલ રહે હૈ."

સલીમને બે દીકરા બાકર (અબુ સિવાની) અને સિકંદર (ફારુખ શેખ) તથા એક દીકરી અમીના (ગીતા સિદ્ધાર્થ) છે. અમીના તેના કાકા હલીમ(દીનાનાથ ઝુત્સી)ના દીકરા કાસિમ(જમાલ હાસમી)ને પ્રેમ કરે છે, પણ બંનેનો પ્રેમ અધૂરો રહી જાય છે. હલીમ તેના દીકરાને લઈને પાકિસ્તાન જતો રહે છે. લગ્ન કરવાના ઈરાદે કાસિમ પાછો આગ્રા આવે છે તો ઉચિત કાગળો ન હોવાથી પોલીસ તેને પકડીને પાછો પાકિસ્તાન મોકલી દે છે. અમીના નાસીપાસ થઇ જાય છે અને તેનાં લગ્ન તેની ફોઈના દીકરા શમશાદ (જલાલ આગા) સાથે કરી દેવામાં આવે છે. એ લગ્નમાં પણ તેને દગો થાય છે અને તે અમીના આત્મહત્યા કરે છે.

સલીમ પર ભારત છોડવાનું દબાણ છે, પણ તે આગ્રામાં જ રહેવાનું પસંદ કરે છે. તેની પર દીકરીની આત્મહત્યા અને પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ મુકવામાં આવે છે છતાં તેના નિર્ણયમાં કોઈ બદલાવ નથી આવતો. તેને વિશ્વાસ છે કે ગાંધીનું બલિદાન એળે નહીં જાય. તે કહે છે, “ગાંધીજી કી કુરબાની રાયગા નહીં જાયેગી, ચાર દિનો કે અંદર-અંદર સબ ઠીક હો જાયેગા.” ધીરે-ધીરે પરિવારના બધા જ પાકિસ્તાન જતા રહે છે. સલીમને કારખાનું ચલાવવા માટે બજારમાંથી પૈસા પણ નથી મળતા કારણ કે મુસ્લિમ હોવાથી તેની પર કોઈને વિશ્વાસ નથી. તેની હવેલી જપ્ત કરી દેવામાં આવે છે.

ત્યાં સુધી કે સલીમને કારખાના પર લઈ જનારો ઘોડાગાડીવાળો પણ સમયની ભયાનકતા સમજે છે. સલીમ હિંદુ-મુસ્લિમ કડવાશ, તોફાન અને રાજનીતિની પરેશાન થઇને એકવાર કહે છે, “કૈસે હરે ભરે દરખ્ત કટ રહે હૈ ઇસ હવા મેં” (આ હવામાં કેવાં હર્યાંભર્યાં વૃક્ષ કપાઈ રહ્યાં છે) ત્યારે ગાડીવાળો કહે છે, “બડી ગરમ હવા હૈ મિયાં બડી ગરમ, જો ઉખડા નહીં વો સૂખ જાયેગા મિયાં.” પણ સલીમ ભારતની જમીન પર સુકાઈ જવાય તો પણ ઉખડવા તૈયાર નથી.

સલીમ ભાડાનું ઘર શોધવા નીકળે છે, પણ મુસ્લિમ હોવાથી કોઈ ઘર નથી આપતું. બધેથી હડધૂત થયાનો અનુભવ એવો છે કે એક ઘરમાં ઘૂસતાં પહેલાં સલીમ સામેથી કહે છે, “પહેલે સુન લીજીએ, મકાન મુજે ચાહીએ, મેરા નામ સલીમ મિર્ઝા હૈ ઔર મેં એક મુસલમાન હું, ક્યા અબ ભી મેં મકાન દેખ સકતા હું?” મકાન માલિક કહે છે, “શૌક સે શૌક સે દેખિયે મિર્ઝા સાહબ, મુજે કિરાયે સે મતલબ હૈ આપકે મજહબ સે નહીં.” એ સાંભળીને સલીમ કહે છે, “જબ સે મકાન ઢૂંઢ રહા હું યે જવાબ સુનને કે લિયે કાન તરસ ગયે થે.”

આ બધા વચ્ચે જાસૂસીની તપાસ તો તેને પરેશાન કરતી જ હોય છે અને અંતે થાકી-હારીને સલીમ ભારત નહીં છોડવાના તેના વચનને ફોગ કરીને પાકિસ્તાન જતા રહેવાનું નક્કી કરે છે. તેનો દીકરો સિકંદર તેનો વિરોધ કરે છે કે આપણે અહીં રહીને જ દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ, પણ સલીમ હવે થાકી ગયો હોય છે. તે અને તેનો પરિવાર રેલવે સ્ટેશન તરફ જતો હોય છે ત્યારે રસ્તામાં બેરોજગારીનો વિરોધ કરતું મોટું ટોળું આવે છે. ટોળામાં સિકંદરના દોસ્તો છે. તેઓ સિકંદરને સરકારના વિરોધમાં જોડાવા અપીલ કરે છે. સલીમ સિકંદરને તેમાં જોડાવા ઉત્તેજન આપે છે.

એ પછી સલીમ ઘોડાગાડીવાળાને સૂચના આપે છે કે તે તેની પત્નીને પાછો ઘરે લઇ જાય અને પોતે પણ એ વિરોધમાં જોડાઈ જાય છે. બરાબર એ જ વખતે કૈફી આઝમીની શાયરી હવામાં સંભળાય છે. એ શાયરીમાં જાણે સલીમના મનની વાત હતી :

જો દૂર સે તૂફાન કા કરતે હૈ નઝારા
ઉનકે લિયે તૂફાન વહાં ભી હૈ યહાં ભી
ધારે મેં જો મિલ જાઓગે, બન જાઓગે ધારા
યે વક્ત કા એલાન વહાં ભી હૈ યહાં ભી

ફિલ્મ ભારતના વફાદાર મુસ્લિમોની પીડાની કહાની તો હતી જ, સાથે ભારતની અસલી સમસ્યા બેરોજગારી અને ગરીબીની પણ કહાની હતી. તેનો સંદેશો સાફ હતો કે ભારતની અસલી લડાઈ હિંદુ-મુસ્લિમ વચ્ચે નથી, પણ ભારતીયો અને ગરીબી વચ્ચેની છે.

બલરાજ સહાનીની આ સૌથી ઉત્તમ ફિલ્મ છે. તેને અનેક એવોર્ડ મળ્યા હતા અને દેશ-વિદેશમાં તેનાં વખાણ થયાં હતાં. સેન્સર બોર્ડ તેને પાસ કરવામાં આનાકાની કરતુ હતું તો ઇન્દિરા ગાંધીએ દરમિયાનગીરી કરીંને તેને વિના વિઘ્ને રિલીઝ કરાવી હતી. મુંબઈમાં બાળ ઠાકરેએ રિલીઝ પહેલાં ફિલ્મ જોઈ હતી અને તેના સંદેશાથી ખુશ થયા હતા.

ફિલ્મના અંતે બલરાજ સહાનીનો એક ડાયલોગ હતો : “ઇન્સાન કબ તક અકેલા જી સકતા હૈ?” તેમણે આ ડાયલોગ રેકોર્ડ કરાવ્યો તેના બીજા જ દિવસે, ૧૩ એપ્રિલ ૧૯૭૩ના રોજ, ૫૯ વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલામાં તેમનું અવસાન થઇ ગયું.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલ, “ગુજરાતી મિડ-ડે”, 14 ઑગસ્ટ 2021

Loading

21 August 2021 admin
← સરકારનો ઇરાદો ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવવાનો છે તે પ્રજાએ વહેલી તકે સમજી લેવાનું રહે …
કોઈ પ્રજા સંગઠિત થઈ અને રહી શકે ખરી ? →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved