Opinion Magazine
Number of visits: 9448702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિટનેસ પ્રોટેક્શન સ્કીમ’ : સાક્ષીઓને સુરક્ષા મળશે?

કિરણ કાપુરે|Opinion - Opinion|22 December 2018

કાયદો સર્વોપરી છે, કાયદાથી જ ચુસ્તદુરસ્ત વ્યવસ્થા સાચવી શકાય છે, નાગરિકોની સુરક્ષા થાય છે અને રોજ-બ-રોજનો વ્યવહાર કોઈ અંતરાય વિના ચાલે છે. હજુ ય બૃહદ્દ અને યોગ્ય રીતે કાયદાને વર્ણવી શકાય. કાયદાને ગમે તેટલો વ્યાખ્યાયિત કરીએ પણ તેના અમલ વિશે વિચારવાનું થાય ત્યારે જે કાયદાનું પાલન કરવા ઇચ્છતો હોય અથવા તો કાયદાથી થનારી સજાથી જેને ભય હોય ત્યાં સુધી જ કાયદો સીમિત થઈ જાય છે. પણ જેઓને કાયદાનો કોઈ જ ડર નથી અને કાયદાની આમાન્ય કરીને ગુનો આચરે છે, તેઓ સામે કાયદાથી પણ કામ ચલાવવું અઘરુ પડે છે. ગુનો કર્યાં બાદ કાયદાથી બેખૌફ રહેતા આવા અપરાધી જ્યાં સુધી કાયદાના ઘેરામાં હોય છે, ત્યાં સુધી બતાવવા અર્થે કાયદાને અનુસરે ય છે, પણ તેની સજાથી બચવા માટે તેઓ કોઈ પણ હદે જાય છે. ઇવન, એક ગુનાથી બચવા માટે સિલસિલાબંધ ગુના પણ આચરે છે!!

આસારામના કેસમાં આ જ થયું છે. આ સિવાય પણ અનેક હાઈપ્રોફાઈલ કેસના દાખલાઓ આપી શકાય, જેમાં અપરાધી સજાથી બચવા અર્થે બીજા ગુના આચરે. ‘બીજા ગુના’નો સીધોસાદો અર્થ એ કે જે પુરાવા નાશ કરવા, સાક્ષીને ધમકી આપવી અને જો તે કહ્યા પ્રમાણે ન કરે તો તેની જાન સુદ્ધા લેવી. હાલમાં જ આવેલા સોહરાબુદ્દીન કેસમાં પણ ન્યાયાધીશે અપૂરતા પુરાવા સાથે ચુકાદો આપ્યો છે અને દિલગીરી સાથે એવું સ્વીકાર્યું પણ છે કે કેસમાં પુરાવાના અભાવે સૌ નિર્દોષ છૂટ્યા છે. આસારામના કેસમાં પણ અત્યાર સુધી દસ સાક્ષીઓ પર હૂમલા થયા છે અને તેમાંથી ત્રણની તો મોત સુદ્ધાં થઈ છે!!

સાક્ષીઓની સુરક્ષા હંમેશાં ડિબેટેબલ મુદ્દો રહ્યો છે અને હાઈપ્રોફાઈલ કેસમાં સાક્ષીઓની શંકાસ્પદ મોત તો છેલ્લાં ઘણાં સમયથી સામાન્ય ઘટનાની જેમ ન્યૂઝ બને છે. મધ્યપ્રદેશમાં થયેલા વ્યાપમ કૌભાંડનો કેસ એવો છે, જેમાં અનેક લોકોની રહસ્યમય રીતે મોત થઈ છે! વ્યાપમ કૌભાંડથી તપાસ થતી હતી, તેમાં વળી આ સિલસિલાવાર મોતની પણ તપાસ ભળી. આમ જ્યારે ગુનેગાર તપાસથી અને સજાથી બચવા માંગે છે, ત્યારે તે ગુનાને એ રીતે ગુંચવણો ઊભી કરી દે છે કે તપાસ તેનાથી દૂર જ રહે. અપરાધી આ રીતે પોતાના ગુનાથી બચવાનો પ્રયાસ કરે ત્યારે સૌથી વધુ જોખમ સાક્ષીઓ પર ઊભું થાય છે. આ જોખમને કાયદાની સુરક્ષા બક્ષવા માટે હાલમાં જ સુપ્રિમ કોર્ટે ‘વિટનેસ પ્રોટેક્શન સ્કીમ’ને મંજૂરી આપી છે. હવે કોર્ટના આદેશ મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારે સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવી પડશે અને આ યોજનાને વહેલાસર કાયદાનું રૂપ પણ આપવામાં આવશે.

‘વિટનેસ પ્રોટેક્શન સ્કીમ’ની આવશ્યકતા તો ક્યારની ય જણાતી હતી, પણ કોઈને કોઈ કારણસર સાક્ષીની સુરક્ષાને કાયદાનું રૂપ આપી શકાતું નહોતું. પરંતુ જ્યારે આસારામના કેસના સાક્ષીઓએ સુપ્રિમ સામે ધા નાંખી ત્યારે સુપ્રિમને આ કિસ્સામાં તરત સાક્ષીની વાતો ધ્યાનમાં લઈ, આ યોજના લાગુ કરી દીધી. આસારામના કેસના સાક્ષીઓની અરજી કરનારાઓનો તર્ક હતો કે, સાક્ષી હોવાના નાતે સુરક્ષિત મહસૂસ કરે તે જરૂરી છે અને તે ઉપરાંત તેઓ કોર્ટની કાર્યવાહી ન ચાલતી હોય ત્યારે પણ પોતાના જીવનનો સામાન્ય વ્યવહાર ચલાવી શકે તેવો અધિકાર તેમને બંધારણે બક્ષ્યો છે. આમ કોઈ પણ ડર વિના દેશના નાગરિકો પોતાને સુરક્ષિત અનુભવવા જોઈએ. જો કે અરજીકર્તાની આ તો એકદમ પાયાની દલીલ છે, પણ જ્યારે કોઈ હાઈપ્રોફાઈલ કેસમાં સાક્ષી બને છે ત્યારે તેનું જીવન સામાન્ય રહેતું નથી, તે પણ હકીકત છે અને આવું મહદંશે બધા જ સાક્ષીઓએ અનુભવ્યું છે.

હવે જ્યારે સાક્ષીઓની આ સ્થિતિ હોય ત્યારે બેશક તેની અસર કોર્ટના ચુકાદા પર પણ પડવાની જ. કોર્ટ સાક્ષીઓનું મહત્ત્વ જાણે છે અને એટલે જ આ કેસમાં સુપ્રિમે વિટનેસ પ્રોટેક્શન સ્કીમ અંગે જે ચુકાદો આપ્યો છે તેમાં બીજા જ મુદ્દામાં ટાંક્યું છે કે : “ન્યાયિક વ્યવસ્થામાં સાક્ષી ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, જે ન્યાયાધીશને યથાયોગ્ય માહિતી આપવામાં તે ખૂબ મદદગાર સાબિત થાય છે.” ક્રિમિનલ કેસમાં તો વિટનેસની ભૂમિકા ઓર મહત્ત્વની બને છે. આ ચુકાદામાં જ એક પુસ્તકના અંશ ટાંકવામાં આવ્યા છે તે મુજબ સાક્ષી કેટલી અગત્યની ભૂમિકામાં હોય છે તે દર્શાવે છે, તે આ મુજબ છે : “સત્યની શોધમાં તેની ભૂમિકા સૂર્ય જેવી પવિત્ર હોય છે, જે ન્યાયના ચહેરા પરની અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે…”. સાક્ષીઓને ધમકી મળવી અને જાનનું જોખમ તો હોય જ છે, પણ સાથે સાથે જ્યારે તેઓ કોઈ કેસ સાથે સલંગ્ન થાય છે, ત્યારે તેમણે કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે તે પણ આ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. ‘સ્વરણસિંઘ વિ. પંજાબ સરકાર’ના કેસમાં જે. વાઠવાનો હવાલો ચુકાદામાં નોંધાયો છે, તેમાં સાક્ષીના કેવાં હાલબેહાલ થાય છે તેની વિગત છે : “સાક્ષીઓ ખૂબ હેરાન થાય છે. તેઓ કેસ માટે ખૂબ દૂરથી કોર્ટ સુધી આવે છે અને તે જ દિવસે કેસને મુલતવી રાખવામાં આવે છે. તેઓ પોતાના ખર્ચે જ કોર્ટમાં હાજરી આપે છે. અને તે પોતે થાકી ન જાય ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીને મોકૂફ રાખતી રહે છે. આ પ્રક્રિયામાં વકીલોની ભૂમિકામાં પણ અગત્યની બને છે. કેટલીકવાર તેમને ધમકાવામાં આવે છે અને પૈસા આપવાના પણ પ્રયાસ થાય છે….”.

આ બધું જ થાય છે તેમાં આખરે તો ન્યાય મોડો મળે છે કાં તો મળતો જ નથી અને ગુનો કરનારા સજામાંથી બચીને નીકળી જાય છે. માટે જ ‘વિટનેસ પ્રોટેક્શન સ્કીમ’ની ભારતીય ન્યાયાલયોમાં સાક્ષીઓની દયનીય સ્થિતિને સુધારવામાં મદદરૂપ બનશે. આ કાયદાથી મૂળે તો ગુનેગારોને કાયદાની રાહે ગુનેગાર સાબિત કરવામાં મોટી મદદ મળશે. જો કે આનું સૌથી અગત્યનું ફેક્ટર તેના અમલનું છે, જો કેન્દ્ર-રાજ્ય તે કાયદાની બજવણીમાં ઢીલાશ વર્તે તો તેનું પરિણામ શું આવશે તે આપણે જાણીએ જ છીએ. બીજું કે એવું ય નથી કે કાયદા ઘડનારાંઓ અગાઉ સાક્ષીઓના સુરક્ષાને લઈને ગાફેલ રહ્યા હતા, તેઓ સજાગ જ હતા, અને જે – તે કાળે ભારતીય દંડ સહિતાની કલમ 195-એ મુજબ સાક્ષીઓને સુરક્ષાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. પરંતુ 2003માં અપરાધિક ન્યાય પ્રણાલી પર રચવામાં આવેલી વી. માલિમથ સમિતિએ એક અલગ સાક્ષી કાયદાની ભલામણ કરી હતી. 2006માં પણ ‘લો કમિશન ઓફ ઇન્ડિયા’એ પણ 198માં અહેવાલમાં સાક્ષીઓના સુરક્ષા સંબંધિત કાયદાનું સૂચન કર્યું હતું. આમ ધીરે ધીરે આ કાયદો બને તે માટેનો એક માહોલ બનતો ગયો. ‘લો કમિશન ઓફ ઇન્ડિયા’એ જે સૂચન કર્યું હતું તેમાં તો સાક્ષીઓને ત્રણ વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં અને તે વર્ગ મુજબ સુરક્ષા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ સુરક્ષા અનિશ્ચિતકાલિન ન હોય અને એક નિશ્ચિત સમય માટે જ હશે. તેની નિયમિત સમીક્ષા પણ થતી રહશે. તેમાં એક સૂચન કેસનો શક્ય એટલાં જલદી નિકાલ આવે તે પણ હતો, જે માટે તો હજુ ય આપણી ન્યાયપ્રણાલીમાં જંગી સુધારા કરવાને અવકાશ છે.

જંગી સુધારાની પહેલ તો નાના ડગથી જ થાય છે અને તે રીતે સુપ્રિમની આ પહેલ આવકાર્ય જ છે. પણ છેલ્લા કેટલાક મહિનાઓની જ વાત કરીએ તો દેશમાં ચર્ચિત કેસના સાક્ષીઓ શંકાસ્પદ રીતે મોત થયા છે. જેમાં અત્યારે લઈ શકાય તેવું નામ પાદરી કુરીઆકોસ કત્તુથારાનું છે, જેઓ જલંધરના કેથલિક ચર્ચના બિશપ ફ્રેન્કો મુલક્કલ સામેના રેપ કેસના સાક્ષી હતા. ફ્રેન્કો મુલક્કલ સામે કેરલની નને રેપનો આરોપ લગાવ્યો હતો અને ત્યાર બાદ અન્ય મહિલાઓએ પણ બિશપ ફ્રેન્કો સામે જાતિય સતામણીની ફરિયાદ કરી હતી. કત્તુથારાએ બિશપ વિરુદ્ધ નિવેદન આપ્યા હતા. ચર્ચિત ઉન્નાઓ રેપ કેસના પણ એક મુખ્ય સાક્ષીની આ જ રીતે રહસ્યમય મૃત્યુ થયું છે. વ્યાપમ કૌભાંડ સંબંધિત આવાં રહસ્યમય મૃત્યુનો આંક તો ડબલ ડિજિટમાં પહોંચ્યો છે. આપણે ત્યાં આમ સાક્ષીઓને સુરક્ષા કરવાનો રેકોર્ડ ખરાબ છે, પણ તે સંભવત્ હવે સુધરશે તેવી આશા રાખીએ. અમેરિકામાં તો સાક્ષીઓને અલગ ઓળખ આપવા સુધીની સુરક્ષા બક્ષવામાં આવે છે. સાક્ષીઓની સુરક્ષા પૂરી પાડતી ત્યાંની ‘યુ.એસ. માર્શલ સર્વિસ એજન્સી’ તો દાવો કરે છે કે 1971થી લઈને અત્યાર સુધી ત્યાં અંદાજે 8,500 સાક્ષીઓને નવી ઓળખ આપવામાં આવી છે!!

સાક્ષીનો સુરક્ષાનો ખર્ચ?

ભારત જેવાં દેશમાં જ્યાં ઓલરેડી ન્યાય મોંઘો અને મોડો છે, ત્યાં સાક્ષીઓને જો સુરક્ષા આપવામાં આવે તો તે ખર્ચ કેટલો આવી શકે તે પણ મુદ્દો આવે છે. સ્વાભાવિક છે કે તેની સંપૂર્ણ પ્રક્રિયાના સંદર્ભમાં ખર્ચ માંડવો પડે. આ કિસ્સામાં જ્યારે સુરક્ષાની વાત આવે છે ત્યારે રાજ્ય સરકારની દલીલ એ હોય છે કે એક સાક્ષી પાછળ જો એક સુરક્ષાકર્મી પણ રાખીએ તો તેનો ખર્ચ વર્ષે પાંચ લાખ સુધીનો આવે છે. હવે જ્યારે પોલીસ તેની પ્રાથમિક ફરજ બજાવવામાં જ અપૂરતા સ્ટાફ સાથે કાર્ય કરતી હોય, ત્યારે સાક્ષીઓને સુરક્ષા આપવાનું ક્યાંથી થાય. આ સિવાય જે ખર્ચ છે તે પણ પોલીસ વિભાગને પોસાય તેમ નથી. આ ઉપરાંત, દિલ્હીના સર્વિંગ જજે કહેલો કિસ્સો તો આ સંબંધમાં અનન્ય છે. આ કિસ્સો ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ અખબારમાં ‘વિલ ઇન્ડિયા બી એબલ ટુ પ્રોટેક્ટ ઇટ્સ વિટનેસ?’ લેખમાં પ્રકાશિત થયો છે. જજ મુજબ આ કિસ્સો : “મેં એક વખત પોલીસને સાક્ષીને સુરક્ષા પાડવા માટે હુકમ કર્યો. પણ અમને પછી જાણ થઈ કે જે સુરક્ષાકર્મીને સાક્ષીની સુરક્ષા કરવા માટે રાખવામાં આવ્યો હતો. તેના પર જ એક હત્યાનો કેસ ચાલી રહ્યો હતો અને પોલીસ તે ફાઈલ દબાવીને બેસી હતી”.

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર” 09 ડિસેમ્બર 2018

Loading

22 December 2018 admin
← આપણા દેશની ખેતીની દુર્દશા નિવારવા માટે કામ અને લેખન કરનાર આદ્ય કર્મશીલ જોતીરાવ ફુલે
વડા પ્રધાને મૂલ્યવાન સમય વેડફી નાખ્યો કે વેડફાઈ ગયો? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved