Opinion Magazine
Number of visits: 9724819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેધક વાર્તાઓમાં કાશ્મીર, કુદરત, યુક્રેન, ગાંધી અને નારીસંવેદન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 May 2023

પુસ્તક પરિચય                         

‘આકાશને અડતી બાલ્કની’ : લેખક – હિમાંશી શેલત : પ્રકાશક – ગૂર્જર : નવેમ્બર 2022 : પાનાં 120 : રૂ. 150/- 

‘આકાશને અડતી બાલ્કની’ એ અનેક રીતે વિશિષ્ટ સાહિત્યકાર હિમાંશી શેલતનો અગિયારમો વાર્તાસંગ્રહ છે. તેનું પેટાશીર્ષક ‘થોડી મનપસંદ વાર્તાઓ’ છે.

હિમાંશીબહેનની વાર્તાઓમાં દેશ અને દુનિયામાં બનતી માણસાઈને હણનારી ઘટનાઓથી હચમચી ઉઠેલી સર્જક સંવેદનાની વેધક, સંયત અભિવ્યક્તિ હોય છે. આ લાક્ષણિકતા નવા વાર્તાસંગ્રહમાં પણ જળવાઈ છે.

નવેમ્બર 2022માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકની ઓગણીસમાંથી પાંચ વાર્તાઓ કોવિડકાળની જિંદગીની છે. છેલ્લી વાર્તા ‘યુક્રેનની આશા’માં સંહારભૂમિના નામનો નિર્દેશ છે.

માનવઅધિકાર હનનની કાશ્મીરની ઘટનાઓનું કથાબીજ ધરાવતી બે વાર્તાઓમાં સ્થળકાળના આછા નિર્દેશ માત્ર છે, જે સભાન વાચક માટે પૂરતા છે, અને તે ન પામી શકનાર પર પણ વાર્તાનો પ્રભાવ અકબંધ રહે છે.

સાંપ્રદાયિક હિંસાચારને લગતી એક અને રાજકીય હત્યાના બે અત્યંત સૂક્ષ્મ સૂચન સાથેની બે વાર્તા છે. ગાંધીયુગના આદર્શવાદનો પરાજય તેમ જ પર્યાવરણના નાશની વાત પણ અહીં છે. હિમાંશીબહેન હોય અને નારીસંવેદનની કથાઓ ન હોય તો જ નવાઈ.

કોવિડમાં જિંદગીના અંતિમ તબક્કા, અંત અને સ્વજનોથી વિચ્છેદ જેવી બાબતોનું નિરૂપણ ‘માનો છેલ્લો દિવસ’, ‘અસ્થિ’ અને ‘તમે ઓળખો છો આ માણસને’ વાર્તાઓમાં છે. મહામારી દરમિયાન સાવ નાના ગામની જિંદગી અને તેના બાળકોના શિક્ષણનું ચિત્રણ છે. ‘આકાશને અડતી બાલકની’ વાર્તામાં કોવિડ-સર્જી એકલતા પ્રભાકરને કુદરતની નજીક લઈ જાય છે.

ઉપરોક્ત વાર્તાઓમાં વસ્તુ જેટલું જ ચોટદાર છે મહામારીનું આબેહૂબ ચિત્રણ. તેમાં હિમાંશીબહેન ભાગ્યે જ કશું ચૂક્યા વિના, બધું જ આવરી લે છે :    

લૉકડાઉનનો માહોલ, માહિતી-માન્યતા, પૂર્વગ્રહો-પ્રતિભાવો, મૂર્ચ્છા અને મજબૂરી, વહેમ અને વિજ્ઞાન, પ્રયોગો અને પ્રતિકાર, એન.જી.ઓ., માધ્યમો, કૌભાંડો, મોબાઈલ, શબ્દોના બદલાયેલા અર્થ, હૉસ્પિટલોનો ‘પ્રેતલોક’, માણસોનો અંત અને અંતિમક્રિયા – આ યાદી  લાંબી થઈ શકે.

તેમાં હળવાશ, કટાક્ષ, બ્લૅક હ્યૂમરનો આછો પાસ પણ ખરો. કોવિડ સંબધિત આખું ય શબ્દભંડોળ બહુ બંધબેસતી રીતે વણાયું છે.

કોરોનાનું સજીવારોપણ ધ્રૂજી જવાય તે રીતે થયું છે : ‘…એક વણદેખ્યો દુ:શ્મન ફરી રહ્યો હતો હવામાં. ગાફેલ રહ્યા તો સીધો ચોંટી પડે. એને કાઢવાની તરકીબો કારગત નીવડે તો પાડ, નહીં તો હાર પહેરીને સીધાં ભીંતે લટકવાનું’;

‘હવામાં તરતો દુ:શ્મન તો નાકમાં લાગ જોઈને પેસી જવાનો. માસ્કબાસ્કને વળોટીને’;  ‘મહામારી તો આવી એવી બેસી ગઈ પલાંઠી વાળીને, અને નિરાંત જીવે’; ‘કોની સાંભળે છે પ્રાર્થના તે તારી સાંભળવાનો ? ત્યાં તો ચિઠ્ઠીઓ ઉપાડે છે નવરો બેઠો, જે હાથમાં આવી એ તણાયા ઉપર ! પેલો પ્રાર્થના તો સાંભળે. ‘પેલો’ એટલે કોણ એ સવાલ તારસ્વરે થયો જેને એણે બળપૂર્વક દબાવી દીધો.’

કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની ચરવાહા બાળકી પર બળાત્કાર અને હત્યાનો જઘન્ય બનાવ 2018ના જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બન્યો. ‘મુઠ્ઠીભર હવા’ વાર્તા બાળકીના પિતાની ન્યાયાધીશ સામેની જુબાની રૂપે કહેવાઈ છે.

વાણીમાં વ્યંજના સાથેની આ વિદારક એકોક્તિ આપણી આખી ય નાગરિક સુરક્ષા વ્યવસ્થા અને ન્યયતંત્રનું નિર્મમ વિચ્છેદન કરે છે. નાજુક ક્ષણો વેદનાને વધુ ઘેરી બનાવે છે. 

ઇતિહાસ અને રાજકારણની વચ્ચે પિસાતા કાશ્મીરની એક વિષાદમય ઝલક ‘જન્નત’માં મળે છે. તેના કેન્દ્રમાં, કાશ્મીરમાંથી લાપતા થયેલાં હજારો સંતાનોમાંથી એકના પિતાની ભ્રમિત દશા છે. ત્રણ પેઢી તારાજ છે. ડોસો અર્ધપાગલ, યુવાન દીકરો લાપતા અને નવરા ડોસાની સામે ગલીમાં ‘શૂટ ધેમ, શૂટ ધેમ’ રમતાં બાળકો.

બૉમ્બમારાથી કબ્રસ્તાન બની ગયેલાં યુક્રેનના એક શહેરમાં સાશા કાટમાળની વચ્ચે તેના માલિકને શોધી રહી છે. ચઢાઈ કરનાર સૈનિકની નજરે ચડતા ત્રાડ પડે છે ‘શૂટ ધ બીચ…’. પણ તેને ‘સાશાની આંખો, એમાં ભરોસાની ઝાંય, દોસ્તીનું નિમંત્રણ’ જુએ છે. સાશાને બુલેટને બદલે બિસ્કીટ આપે છે !

આ વાર્તામાં લશ્કરે કરેલા શહેરના વિનાશની વાત છે, તો ‘સંભ્રમ’માં પર્યટન-ભૂખ્યા લોકોએ સર્જેલા કુદરતના નિકંદનનું આઘાતજનક નિરુપણ છે. ‘સત્યનો આકાર’ વાર્તાનું વસ્તુ લોકો માટે લડનાર યુવક શ્રીનિવાસનની પત્નીનું સતત ભયગ્રસ્ત જીવન અને આખરે આવેલું અકાળ વૈધવ્ય છે.

‘અમૃતપુત્ર’માં ગાંધીવિચારથી પ્રેરિત વૃદ્ધ પ્રભુદાસ પહેલવહેલી વાર જાહેર વિરોધ પ્રદર્શનમાં ભાગ લે છે. તેમને ઇજા થાય છે એટલું જ નહીં પણ યુવા કાર્યકરો દ્વારા તેમનું અસ્તિત્વ ય ઉવેખાઈ જાય છે.

રગેરગ ગાંધીના વૈષ્ણવજન વૃદ્ધ રતિભાઈ ‘ગાંધીજીના દોઢસો વર્ષ નિમિત્તે’ યોજાયેલી ‘નવ્યાવરણ’ નામની ઉજવણીમાં નિરપેક્ષ આનંદથી ગયા. ભીડની વચ્ચે ધકેલાતા મંચ પર ફૂલોથી ઢંકાયેલા ફોટા સુધી પહોંચ્યા. તસવીરની નીચે ઘેરા લાલ અક્ષરો : વીર નથ્થુરામ ગોડસે’.

સ્માર્ટ સિટીની મેગા-ઇવેન્ટ તરીકે મહોરા અને મુગટ પહેરેલા, વેશ કાઢેલા લોકોનો કાર્નિવલ રોશનાઈ અને ઢોલ-ત્રાંસા-પીપૂડાના તાલે ‘કાર્નિવલ’ આગળ વધે છે. તે જોવા આવેલા ગામડાંના ગરીબ-ગુરબાને કાર્નિવલ ગયા પછી રસ્તે લાશોના ખડકલા મળે છે.

‘કાર્નિવલ’ વાર્તામાં યાત્રા કે જુલૂસ કે એવા કોઈ સ્વરૂપે ઉત્સવ તરીકે કરવામાં આવતાં ધાર્મિક હિંસાચારનું આવું અસ્વસ્થકારી ચિત્રણ ભાગ્યે જ વાંચવા મળે.

સ્વગતોકિત તરીકે આવતી વાર્તા ‘જોગણી’ અને નાયિકાના નામની ‘ચૈતાલી’ સંવેદનનહીન પૌરુષત્વની સામે સ્ત્રીની પરિપક્વતાનું નિરુપણ કરે છે. ગૃહિણીઓના જીવનની કેટલીક ઘેરી છટાઓ પણ વાર્તાકાર અહીં સમાવે છે.

‘માનો છેલ્લો દિવસ’ અને ‘શિવસંકલ્પ’માં એવી માતા કેન્દ્રમાં છે કે ઘરેડથી અલગ રીતે વિચારતી-જીવતી હોય, અને છતાં ય તેની મમતામાં ઓટ ન આવતી હોય.

હિંમાશીબહેનની વાર્તા લેખનની અનેક કવાલિટીઝ છે. નાના, ઘરઘથ્થુ, દેશી પોતના, અચૂક અસર સાધનારા શબ્દોવાળી ભાષા કેવળ તેમની પોતીકી છે, અજોડ છે. તે સૂચન અને સંકેત, લસરકા અને લાઘવના સ્વામિની છે. બોલચાલની અને સાહિત્યની ભાષાની કેટલી ય લઢણો તેમને અવગત છે. 

પશુ-પંખી, વૃક્ષ-વનસ્પતિના રમણીય કલ્પનો વિના જાણે તેમને ચાલતું જ નથી. સર્જક તરીકે માનવજાતની પીડા અને માણસાઈની પડતીની સામે કલાપૂર્ણ રીતે અચૂક અભિવ્યક્ત થનારા જૂજ ગુજરાતી સાહિત્યકારોમાં હિમાંશીબહેન છે.

‘શબદ’ વાર્તાનો લેખક શુભંકર ‘ટકોરાબંધ શબ્દ, વિશુદ્ધ, સેક્રેડ એન્ડ પ્યુઅર’ શબ્દની શોધમાં છે. એને હિમાંશીબહેન પાસેથી એવા શબ્દો મળી શકે.

‘મુઠ્ઠીભર હવા’ વાર્તામાં ન્યાયાધીશ સામે બયાન આપનાર કહે છે :

‘જે-જે ખૂન-ખરાબા, દંગાફસાદ આ જમીન પર થયા એમ લોકો કહે છે તે ખરેખર થયા જ નહીં હોય. જો થયા હોય તો એના કરનારા કોઈક તો હોય જ ને ? જો કરનારા નથી, અને જે પકડાયા તે નિર્દોષ છે, તો કોઈ બેમોત મર્યું જ નથી, એમ અપને આપ સાબિત થાય છે.’

આવું આપણે અમદાવાદમાં સાંભળ્યું તેને એટલા દિવસો નથી વીત્યા કે ભૂલી જવાય.

પ્રાપ્તિસ્થાન : 

‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. મો. 09227055777

ગૂર્જર સાહિત્ય પ્રકાશન, 102,લૅન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હૉલની સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ. મો. 9825268759         

[14 મે 2023]
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો મારો લેખ થોડાંક ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 May 2023 Vipool Kalyani
← મધુ લિમયેની જન્મશતાબ્દી અને સમાજવાદી આંદોલન
કર્ણાટક: નફરતના બજારમાં મહોબ્બતની જીત →

Search by

Opinion

  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ
  • ગઝલ
  • રાજાધિરાજ : સંગીત-નૃત્ય-નાટક
  • મિનાબ, મેવન અને યુદ્ધનું બદલાતું ગણિતઃ ઝડપના મોહમાં AI પર જવાબદારી ઢોળવી કેટલી યોગ્ય?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved