Opinion Magazine
Number of visits: 9448840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉના-આંદોલનના નેતૃત્વ નિમિત્તે – ખુલ્લી ચર્ચા માટે

હિરેન ગાંધી|Samantar Gujarat - Samantar|20 January 2018

ઉના-આંદોલન. ગુજરાતમાં લગભગ દોઢેક વર્ષ પહેલાં ચાલેલું ‘દલિત અત્યાચારવિરોધી’ આંદોલન. આજે તો એ ‘રાષ્ટ્રીય દલિત અધિકારમંચ’નું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અત્યારે આપણે એ આંદોલનની ગતિવિધિઓ અને પરિણામો વિશે ચર્ચા નથી કરવી. ચર્ચા કરવી છે એ આંદોલન નિમિત્તે ઊભરેલા નેતૃત્વ અને એના નિમિત્તે થયેલી માંગણીઓ વિશે. આપણે જાણીએ છીએ કે દલિત અત્યાચારવિરોધી આંદોલનો દેશમાં જ્યારે જ્યારે થાય છે, ત્યારે સામાન્ય રીતે પીડિતોને ન્યાયની માંગણી જ મુખ્ય અને આખરી બની રહે છે. ઉના-આંદોલન દરમિયાન શરૂઆતમાં જ ‘ન્યાય’ ઉપરાંત પણ એક નવી માંગ ઊઠી. એ માંગ હતી જમીન-સુધારણા સમયે દલિતોને ફાળવાયેલી અને ત્યાર બાદ પણ વધેલી જમીનો દલિતોને ફળવાય, એ સંદર્ભની માંગણી. આ માંગ માટે સલામ છે એ આંદોલનના નેતૃત્વને. એણે તત્કાલ ‘ન્યાય’ની સાથે સાથે દલિતો પ્રત્યેની અસ્પૃશ્યતા અને સામાજિક, આર્થિક ક્ષેત્રે છેવાડે રહી ગયેલ દલિત-સમુદાય સાથે થતાં અન્યાય અને અત્યાચારનાં કારણોના મૂળ આધારને નાબૂદ કરવાની માંગણી ઉઠાવી.

આમતૌર પર દલિતો ઉપર થતાં અત્યાચારો, અન્યાયો માટે માત્ર સમાજની સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થાને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના મૂળમાં (આધાર સમી) માત્ર સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થા નથી; પરંતુ અર્થવ્યવસ્થા અને તેના દ્વારા ઉપલા વર્ગોને મળતી સત્તા સ્વહસ્તક રાખવાની નેમ છે. જો કે, સામાન્ય રીતે દલિત અત્યાચારવિરોધી આંદોલનો આ સૌથી મૂળગત મુદ્દાને ઉજાગર કરવાનું ચૂકી જતાં હોય છે; પરંતુ ‘ઉના-આંદોલન’નું યુવાનેતૃત્વ એ ન ચૂક્યું. એણે આંદોલન શરૂ કરતાં જ આ મુદ્દાને જોરશોરથી સમાજ સામે મૂક્યો. અહીં આપણે અન્ય એક અપવાદરૂપ દલિત-આંદોલનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. એ આંદોલન હતું લગભગ સાઠના દાયકાની મધ્યમાં, દેશનાં કેટલાંક રાજ્યોમાં ઊભરેલું અને લગભગ એકાદ દાયકા લગી ચાલેલું – ‘દલિત પેન્થર્સ’નું આંદોલન; ગુજરાતમાં પણ એ આંદોલન ચાલેલું. એ આંદોલન દરમિયાન (સ્વ.) રમેશચન્દ્ર પરમાર,  વાલજીભાઈ પટેલ જેવા તે સમયના યુવા નેતાઓએ ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એ આંદોલને પણ દલિતોના ‘જમીન-અધિકાર’ના સવાલને આક્રોશપૂર્ણ રીતે બહાર આણેલો.  વાલજીભાઈ તથા રાજુ સોલંકી જેવા દલિત કર્મશીલો આજે પણ પોતાની રીતે આ મુદ્દા ઉપર ખાસ્સું કામ કરી રહ્યા છે.

ફરી આપણે ઉના-આંદોલનના યુવાનેતૃત્વ અને માંગણીઓ ઉપર આવીએ. અન્ય અત્યાચારવિરોધી આંદોલનોની જેમ એ આંદોલન પણ ક્રમશઃ શમવા માંડ્યું. એમાં દોષ એના નેતૃત્વનો હતો. આંદોલનમાંથી ઊઠેલી ‘જમીન-અધિકાર’ની માંગણીને વ્યવસ્થિત રીતે આગળ કરીને, આંદોલનને વિકસાવવાને બદલે, તે સમયે ગુજરાતમાં ચાલતાં અન્ય યુવા નેતાઓનાં બે આંદોલનો – ‘પાટીદાર અનામત-આંદોલન’ અને ઓ.બી.સી.(અન્ય પછાતવર્ગો)નું ‘અનામત બચાઓ આંદોલન’ – સાથે ગઠબંધનની તજવીજમાં એ નેતૃત્વ પડ્યું. કેમ કે – ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી. ત્રણેય આંદોલનોના યુવાનેતૃત્વની નજર પોતાનાં આંદોલનોની માંગણીઓ પરથી હટવા માંડી અને પોતાની વ્યક્તિગત રાજનૈતિક સત્તાની એષણા ભણી ઢળવા માંડી. ‘દલિતોના જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માંગ ઉઠાવનાર આક્રોશભર્યા દલિત- આંદોલનના યુવા નેતાએ, ઓ.બી.સી. આંદોલનમાં એના નેતાએ ઉઠાવેલી એક માંગ હતી ગુજરાતમાં ‘દારૂબંધીનો કડક અમલ’; એ માંગને સમર્થન જાહેર કર્યું અને એને પોતાના એજન્ડામાં સામેલ કરી.

આશ્ચર્યજનક અને આઘાતજનક હતી ઉના-આંદોલનના નેતાની આ વર્તણૂક. ક્યાં દલિતો માટે ‘જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માગણી અને ક્યાં ‘દારૂબંધીના કડક અમલ’ માટેની કાનૂની વ્યવસ્થા સુધારણાની માગણી. હા, દલિતો ઉપર થતાં અત્યાચારો સંબંધે બનેલ કાનૂનોના ચુસ્ત અમલ સંદર્ભે કાનૂની વ્યવસ્થા-સુધારણાની માંગ થઈ હોત તો બરાબર; પરંતુ આ તો દારૂ જેવા સામાજિક-સાંસ્કૃિતક દૂષણ અને ‘દારૂબંધી’ના કાયદાના અમલ સંદર્ભે ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. વળી, આવી દલિત-અત્યાચાર સાથે અસંબદ્ધ માંગણી મૂળ મુદ્દાથી ધ્યાન હટાવનારી પણ હતી. આવું એટલા માટે બન્યું કે અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ આ ત્રણેય વાજબી આંદોલનોના યુવાનેતૃત્વના દિલમાં આંદોલનના મૂળમાંના મુદ્દાઓ કરતાં વ્યક્તિગત રાજનૈતિક કારકિર્દી, વધારે મહત્ત્વની હતી. આ વાસ્તવિકતા કદાચ એકવીસમી સદી દરમિયાન આપણા ગુજરાત અને દેશમાં ઊભરેલાં મોટા ભાગનાં આંદોલનોના નેતૃત્વની કરુણતા છે.

વિધાનસભાની ચૂંટણીઓમાં આ ત્રણેય આંદોલનોના યુવા નેતાઓમાંથી બે ચૂંટણી લડ્યા. (ત્રીજા નેતા ઓછી ઉંમરને કારણે ઉમેદવારી કરી શકે તેમ નહોતા) બન્ને ચૂંટણી જીત્યા. એક વિરોધપક્ષના ઉમેદવાર બનીને અને બીજા વિરોધપક્ષના પ્રત્યક્ષ સમર્થનથી. ‘ઉના આંદોલન’ના નેતાની પ્રસિધ્ધિ માધ્યમોને કારણે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂકી હતી. ધારાસભ્ય તરીકેની જીત પછી દલિત યુવા નેતાએ પોતાના ગ્રામીણ મતવિસ્તારના જિલ્લામથકે કલેક્ટરને વિસ્તારના રોડ-રસ્તા સુધારવા નિવેદન આપ્યું અને પછી તરત જ અમદાવાદ જેવા શહેરના બે શ્રમજીવી, નિમ્ન અને મધ્યમવર્ગના વિસ્તારોમાં એમની સ્વાગત-સભાઓ દરમિયાન અણધારી રીતે એ વિસ્તારોમાં ચાલતાં દારૂના અડ્ડાઓ વિરૂદ્ધ નાનકડાં આંદોલનો છેડ્યાં; તેમ જ અમદાવાદ શહેરના ઉપરી પોલીસ-અધિકારીને દારૂના અડ્ડા બંધ કરવાની ઉગ્ર રજૂઆતો કરી.

આ જ અરસામાં મહારાષ્ટ્રના કોરેગાંવમાં બસ્સો વર્ષ પહેલાં સન ૧૮૧૮ની ૧ જાન્યુઆરીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય અને ત્યાંના રાજકર્તા બ્રાહ્મણ પેશ્વાની વચ્ચેના યુદ્ધમાં, કંપની સૈન્યના દલિત સૈનિકોનાં અપ્રતીમ પરાક્રમો અને બહાદુરીને કારણે કંપની (બ્રિટિશ) સૈન્યની જીત થઈ હતી. સમય જતાં, છેલ્લાં ઘણાં વર્ષોથી ત્યાંના દલિતો, બ્રાહ્મણો ઉપરની પોતાની એ જીતને ‘વિજય દિવસ’ તરીકે ઊજવે છે. ઉના-આંદોલનના યુવા દલિત નેતા આ ‘વિજય દિવસ’ના સંમેલનમાં મહેમાન તરીકે ગયા. અલબત્ત, ઊના-આંદોલનને એ ઉજવણી સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ એ આંદોલને સર્જેલા નેતૃત્વનાં વલણો સમજવા આ ઘટના મહત્ત્વની છે.

થોડા ધ્યાનથી જોઈએ તો – ભારતને સંસ્થાન (ગુલામ) બનાવવાની પ્રક્રિયાના ભાગ રૂપે બ્રિટિશર્સ(ઈસ્ટ ઇન્ડિયા કંપની)નું સૈન્ય, ભારતમાં અલગ-અલગ પ્રદેશોમાં શાસનકર્તાં રજવાડાંઓ સાથે યુદ્ધો કરી, તેમને હરાવી એ પ્રદેશોને પોતાની સત્તા નીચે લાવતા હતા; પેશ્વા સાથે પણ કંપનીસૈન્યે કોરેગાંવનું યુદ્ધ કરી પેશ્વાને હરાવ્યા અને એમના રાજ્યને પોતાનું ગુલામ બનાવેલું. હવે જો કંપની સૈન્યમાં મહાર (દલિત) સૈનિકો હતા તો એ તો પોતાની રોજગારી માટે સૈનિક તરીકે નોકરી કરતા હતા. વળી યુદ્ધ તો કંપનીના સ્વાર્થ અને ભારતને ગુલામ બનાવવાના ભાગરૂપે હતું. એ યુદ્ધ દરમિયાન કંપની જીતી અને પેશ્વા હાર્યા તો એને દલિતોનો બ્રાહ્મણો ઉપર વિજય કઈ રીતે માની શકાય? અને આમ છતાં, ત્યાંના દલિતો એ દિવસને ‘વિજય દિન’ તરીકે જોરશોરથી, ઢોલ-નગારાં સાથે રંગેચંગે ઊજવે છે. આ ઉજવણીને યોગ્ય ઠેરવવા ત્યાંના આયોજકો ડૉ. બાબાસાહેબ આંબેડકરે એક વખત દલિતોના આ વિજયને બિરદાવ્યાનો હવાલો આપે છે. બની શકે કે બાબાસાહેબનો સમય અલગ હતો. દેશભરના દલિતોના ઉત્થાન માટે એમણે આંદોલનો છેડ્યાં હતાં, લખાણો લખ્યાં હતાં, ચિંતન-મનનો કર્યાં હતાં. મહારાષ્ટ્રમાં દલિતોને એકત્રિત અને જાગૃત કરવાની રણનીતિના ભાગ રૂપે એમણે દલિત વિજય તરીકે એ યુદ્ધમાં વિજયને બિરદાવ્યો હોય. બાબાસાહેબના જીવનચરિત્રના આલેખક ધનંજય કીરે એક સ્થળે નોંધ્યું છે કે – “આંબેડકરે આ વર્ષ(૧૯૨૭)ના કાર્યની શરૂઆત કોરેગાંવ યુદ્ધસ્મારકની સામે યોજાયેલ સભાથી કરી.” એ સભામાંના ભાષણ દરમિયાન ડૉ. આંબેડકરે કહ્યું કે – “… મહાર સૈનિકો બ્રિટિશરો તરફથી લડે એ કાંઈ ખાસ ગૌરવ લેવા જેવી વાત નથી, એ સાચું, પણ એ લોકોએ અંગ્રેજોને મદદ શા માટે કરી? અસ્પૃશ્ય હિન્દુઓએ એમને નીચ ગણીને કૂતરાં – બિલાડાને આપે તેના કરતાં ખરાબ વર્તણૂક આપી, એટલા માટે! પેટ ભરવા માટે કોઈ સાધન ન હોવાને કારણે એ લોકો મજબૂરીથી અંગ્રેજોની ફોજમાં ભરતી થયા એ ધ્યાનમાં રાખવું પડશે …”

આપણે ફરી આપણી મૂળ વાત ઉપર આવીએ. ઉના-આંદોલનથી ઊભરેલા ગુજરાતના યુવા દલિત નેતાને મહેમાન તરીકે આમંત્રણ મળ્યું; અને એમણે ત્યાં વક્તવ્ય આપ્યું. આ સમગ્ર ઘટનામાં વિવાદાસ્પદ મુદ્દો એ છે કે એક સુશિક્ષિત યુવા નેતાએ આ પ્રકારની ઉજવણીમાં ભાગીદારી કરવી જોઈએ? આ ‘વિજય દિવસ’ પોતે જ એક વિવાદાસ્પદ ઘટના નથી? જો કે ઇતિહાસને એના પૂરા પરિપ્રેક્ષ્યમાં નાણ્યા-જાણ્યા વિના આવી ઉજવણીઓ કરવી દલિત અથવા કોઈ પણ શોષિત સમુદાય માટે એ ભાવનાત્મક બાબત છે; પરંતુ શિક્ષિત, જાગૃત, બુદ્ધિજીવીઓ માટે એ ચર્ચા-વિવાદોનો મુદ્દો છે જ. વળી, રાજનૈતિક નેતાઓ માટે તો એ શોષિત સમુદાયની ભ્રમિત ભાવનાઓના તુષ્ટિકરણનો મુદ્દો પણ બની રહે છે. ઉના-આંદોલનના નિમિત્તે એની માંગણીઓ અને યુવા નેતાનાં વલણો વિશે આ બે-ત્રણ મુદ્દા લાંબી અને વિષદ ચર્ચાઓ માટે જરૂરી લાગ્યા, તેથી આ લખાણ. અપેક્ષા છે કે આ સંદર્ભે જરૂરી ચર્ચાઓ થાય, મતમતાંતરો, અભિપ્રાયોની જાહેરમાં આપ-લે થાય.

E-mail : darshan.org@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 05-06 

Loading

20 January 2018 admin
← મહિલાઓ માટે જાહેર પેશાબઘરોનો અભાવ એટલે નારીગૌરવના આપણા દંભનો સાફ પુરાવો
મારું આકાશ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved