Opinion Magazine
Number of visits: 9449018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકીવાર્તાની કલા વિશેનાં મારાં મન્તવ્યો (1)

સુમન શાહ|Opinion - Literature|15 August 2021

સમસામયિક ગુજરાતી સાહિત્યલેખનની એક સર્વસામાન્ય ક્ષતિ કે ખામી એ છે કે કેટલાં ય લેખન ભાષાશુદ્ધ નથી. શબ્દપસંદગી, જોડણી, વાક્યરચના અને વિરામચિહ્નો – એ ચાર બાબતે દોષયુક્ત લખાણોનાં અનેક દૃષ્ટાન્તો મળે છે. સુખદ અપવાદો નથી એમ નથી, પણ એ અપવાદોની સંખ્યા પણ હવે નાની થવા માંડી છે.

ક્ષતિ કે ખામીનો આ મુદ્દો નીવડેલા કે નવોદિત સર્જક વિવેચક અધ્યાપક વિદ્યાર્થી – સૌને લાગુ પડે છે. એમાંથી ટૂંકીવાર્તાના લખનારાઓને બાદ કરી શકાય એમ નથી.

આ મુદ્દો વ્યાકરણસંગત પરિશુદ્ધ લેખનની શિસ્ત સાથે સંકળાયેલો છે, એટલે હાલ જતો કરું છું.

++

મારે રજૂ કરવાં છે, ટૂંકીવાર્તાને વિશેનાં મારાં પોતાનાં મન્તવ્યો. એ મન્તવ્યો, પહેલી વાત એ કે ટૂંકીવાર્તાઓ મેં સરજી, તેનાં ફળ છે. બીજી વાત એ કે છેલ્લાં લગભગ ૨૫ વર્ષથી અન્યોની વાર્તાઓ જોતો-તપાસતો રહ્યો છું તેનાં પરિણામે છે. ત્રીજી વાત એ કે ટૂંકીવાર્તાના કલાસ્વરૂપ વિશે વર્ગમાં વ્યાખ્યાનો આપ્યાં કે અન્યત્ર હજી આપું છું, લેખો લખ્યા, હજી લખું છું, તે વિદ્યાવ્યાસંગનો એમાં ફાળો છે. ચૉથી વાત એ કે આ મન્તવ્યો કોઈ સિદ્ધાન્તગ્રન્થમાંથી તો નથી જ નથી, અને કોઇ કોઇ મન્તવ્યોના સગડ કોઇ કોઇ સિદ્ધાન્તગ્રન્થમાં જડી આવે, તો એ પાંચમી વાત ખુશ થવા જેવી વાત છે.

આ મન્તવ્યો મુખ્યત્વે ટૂંકીવાર્તાના સર્જન અંગે છે. વાર્તાપઠન વાર્તાશ્રવણ વાર્તાવાચન અને વાર્તાવિવેચન અંગેની મારી માન્યતાઓ ને ટીકાટિપ્પણીઓ એમાં જરૂરત પ્રમાણે ઉમેરાતી રહેશે. તમામ મન્તવ્યો ફેરવિચાર અને સુધારને પાત્ર ગણીને ચાલીશ, છતાં, સંલગ્ન દરેક વિચારને પૂરતો ન્યાય આપીશ, કાચોપાકો છોડી નહીં દઉં.

મને સૂઝશે તેમ લખતો જઈશ એટલે લેખોનો ક્રમ ટૂંકીવાર્તાની ઍનેટોમીને – દેહના સંરચનાશાસ્ત્રને – અનુસરતો નહીં લાગે. જેમ કે, ઘડીમાં ટૂંકીવાર્તાના શિરની વાત કરતો હોઈશ, ઘડીમાં ધડની, તો ઘડીમાં એના હાથપગની. પણ એ ન નભે એવું નથી. હવે પછીના આવા દરેક લેખમાં પાંચ મન્તવ્યો રજૂ કરીશ. આવા અનેક લેખોની શ્રેણી કલ્પી છે.

++

૧ :

ટૂંકીવાર્તામાં એકાદ ઘટનાનું નિરૂપણ હોય છે એ જાણીતી વાતમાં હું એક ઉમેરણ કરવા માગું છું.

જીવનમાં ઘટના ઘટે પછી એક સંવેદન બચી જતું હોય છે. દાખલા તરીકે, કોરોનાને કારણે સંભવેલી મૃત્યુની ઘટના આજકાલ એક દુખદ સંવેદન છોડી જતી હોય છે.

એ કે એવું કોઇપણ સંવેદન વાર્તાકારનું પોતાનું હોય, એના કોઇ સ્વજનનું હોય, પરાયા જનનું પણ હોય. ટૂંકમાં, અંગત હોય તેમ બિનંગત પણ હોય.

મારું મન્તવ્ય છે કે વાર્તાકારે જીવનમાંથી મળેલી ઘટના લઈને સીધા જ મંડી પડવાને બદલે સૌ પહેલાં ઘટનામાંથી જન્મેલા સંવેદનનું સંવનન કરવું જોઈશે – જેમ કામભોગ પૂર્વે સંવનન જરૂરી મનાય છે તેમ.

તો સમજાશે કે અમથાલાલને કોરોના કેમ વળગ્યો – માસ્ક ન્હૉતા પ્હૅરતા – ડિસ્ટન્સ ન્હૉતા જાળવતા, વગેરે. એમના એ બેહૂદા વર્તનનાં અનેક કારણો હતાં. એમની વિકૃત માનસિકતા, માનિસકતામાં જવાબદાર એમનો ઉછેર, ઉછેરમાં કારણભૂત સામાજિક સાંસ્કૃતિક વગેરે પરિબળો. એ બધાં જ તત્ત્વોએ ભાગ ભજવેલો. લેખક સંવેદનનું સંવનન કરશે એથી એ પરિબળોનાં એને બહુરૂપ દર્શન થશે. સમજાઈ જશે કે ઘટનાનાં મૂળિયાં ક્યાં ક્યાં ફેલાયેલાં છે, ઘટના કેવી કેવી રીતેભાતે ઘડાઈ છે. જીવનમાંથી મળેલી એ ઘટનાનું એને સરળ વિશ્લેષણ મળી જશે, એનો એને સહજ સાક્ષાત્કાર થઈ જશે.

એ સાક્ષાત્કારની ભૂમિકાએથી લેખક પોતે લખવા ધારેલી વાર્તાનો પ્રારમ્ભ કરી શકશે. એને થશે કે મળી આવેલી એ ઘટનામાં પોતે કશુંક ઉમેરી શકે એમ છે. ઘટનાનું પોતાની દૃષ્ટિમતિ અનુસારનું અર્થઘટન કરશે. જીવનની ઘટનાનું પોતાની વાર્તાને માટેનું એને એક કામચલાઉ રૂપ દેખાઈ જશે. એ રૂપનું એ એવું લેખન શરૂ કરી શકશે જે એની સર્જકતાને પ્રતાપે એક લીલા રૂપે આગળ વધશે. વાતનો સાર એ કે જીવન અને સર્જન વચ્ચે એક ચૉક્કસ અનુબન્ધ ઊભો થશે. પરિણામે, વાર્તા ઠોસ લાગશે, તકલાદી કે વાતૂલ નહીં લાગે.

૨ :

ટૂંકીવાર્તામાં પાત્ર પાત્ર વચ્ચેના સમ્બન્ધો લેખકે સ્પષ્ટ કરી દેવા અથવા સૂચવી દેવા એ ખૂબ જ જરૂરી મુદ્દો છે. દાખલા તરીકે, આ ભાઇ તો નાયિકાના ભાઈ નથી પણ વર છે, એવી જાણ વાચકને કે શ્રોતાને બહુ જ મૉડેથી થાય તે ન ચાલે. આ સસરા છે, બાપ નથી; આ દીકરી નથી, પુત્રવધૂ છે; બગીચામાં બેઠેલું યુવક-યુવતીનું જોડું પ્રેમલા-પ્રેમલી લાગે, પણ એમ ન યે હોય, બન્ને ભાઇ-બેન હોય ને મા-ની બીમારીની ચિન્તા કરતાં હોય ! યથાસમયે સમ્બન્ધની સ્પષ્ટતાઓ કરી દેવી અનિવાર્ય છે. યાદ રહે કે જીવન પણ સમ્બન્ધોને લીધે એક વાર્તા જેવું ભાસે છે ! એ જ રાહે, સાહિત્યમાં પણ વાર્તા, પાત્ર પાત્ર વચ્ચેનાં વિચાર વાણી વર્તનથી રચાતી હોય છે. ત્યારે એ સમગ્ર માનવીય વ્યવહારને સમજવા માટે કોણ કોનું શું થાય છે તે ઝટ જણાવી દેવું જરૂરી બની જતું હોય છે.

૩ :

લેખકે સમજીવિચારીને નક્કી કરી લેવું જોઈએ કે વાર્તા કહેશે કોણ.

પાત્ર પોતે કહી શકે – જેને આપણે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’ કહેતા આવ્યા છીએ. (પણ એને સુધારી લેવાની જરૂર છે. ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહેવું જોઈએ. મૂળે એ, ફર્સ્ટ ‘પર્સન’ નૅરેટિવ કે નૅરેશન છે. સમાજમાં બધે તેમ અહીં પણ ‘પુરુષ’ ઘુસાડી દીધું છે, એ અનાચાર છે.) આ કેન્દ્રથી રચાતી વાર્તા વધારે પ્રામાણિક લાગશે કેમ કે પાત્ર પોતે જ પોતાનાં વીતક કહેતું હોય છે.

બીજું, લેખક પણ વાર્તા કહી શકે. એમ મનાય છે કે બધાં પાત્રોનો તેમ જ સ્થળકાળ અને બધી પરિસ્થતિઓનો એ જાણકાર છે. એને આપણે ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ કહીએ છીએ.

ત્રીજું, બન્ને કથનકેન્દ્રના જરૂરી સંમિશ્રણથી પણ વાર્તા કહી શકાય.

તેમ છતાં, વાર્તાકારોએ એ સમજી રાખવાનું છે કે કોઈ પણ ક્ષણે સર્વજ્ઞની જરૂર પડવાની છે. વાર્તા ફર્સ્ટ પર્સનમાં ચાલતી હોય ત્યારે સર્વજ્ઞનો પ્રવેશ કોઇક વખતે અનિવાર્ય બની જાય છે. એવા પ્રસંગે સર્વજ્ઞ મને ડાયરેક્ટર તેમ જ સિનેમેટોગ્રાફર રૂપે ઉપકારક લાગ્યો છે. ત્યારે ઘટનાના સઘળા પરિવેશનું કામ સર્વજ્ઞ કરી દે. સ્થળો વગેરેની ગોઠવણી કહી બતાવે, દૃશ્યોનાં સૅટિન્ગ્સ સૂચવી દે. કેમ કે પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી સરજાયેલું પાત્ર તો બાપડું જીવે કે આપણને સ્થળો બતાવે?

૪ :

પોતે વાર્તા લખનારો છે એટલે વાર્તાકારે શું વાર્તા જ કહ્યા કરવાની છે? ના. એણે એવી રચના કરવાની છે જે ટૂંકી હોવા છતાં પોતાની ચોપાસ અર્થભાવનાં વલય સરજી રહી હોય અને એમ કશી વ્યંજનાની રીતે વિકસી હોય. નહિતર, વાર્તાકાર જો વાર્તા જ કહ્યા કરશે તો એ કૃતિ ઇતિહાસનું, નવલકથાનું કે પાત્રની જીવનકથાનું કે આત્મકથાનું પ્રકરણ બનીને ઊભી રહેશે !

વાર્તા તો નાનકડા જોકમાં, લઘુકથામાં, લઘુનવલમાં, નવલકથામાં કે મહાનવલમાં પણ હોય છે. પરન્તુ એનો અર્થ એ નહીં કે દોર આપ્યા જ કરીએ ને વાર્તારૂપી પતંગને ચગતો જાય એ દિશામાં ચગવા જ દઈએ. વાચક જ કાપી નાખશે ! એવી સહેલગાહ ટૂંકીવાર્તાના સર્જકને નથી છાજતી.

ઘણા એમ માને છે કે ટૂંકીવાર્તા લખું છું એટલે ટૂંકી પણ કહું તો વાર્તા જ ! પણ ટૂંકી એટલે કેટલી? માપ કોણ નક્કી કરે? સામયિકના તન્ત્રીએ તો શરત મૂકી છે કે તમારી વાર્તા ૨૦૦૦ શબ્દની મર્યાદામાં હોવી જોઈશે. વાર્તા ટૂંકી થશે, લાઘવના ગુણ થકી. થોડામાં ઘણું સૂચવાઈ જાય, ઇશારામાં કે લસરકામાં કહેવાઈ જાય. બાકી કહ્યા જ કરીએ તો એનો તો અન્ત જ નથી. જીવનની કઇ વાતને છેડો છે?

૫ :

સમગ્ર લેખન ટૂંકીવાર્તાની શરતે થવું જોઈએ. સંગીત તો બધે હોય છે, પણ રાગે રાગે આગવી રીતે પ્રગટે છે. યમનકલ્યાણનું ગાયન કરવા માગતા હોવ તો યમનકલ્યાણના બંધારણનું પૂરી અદબ જાળવીને પાલન કરવું પડે. એમાં બાગેશ્રી કે ભૈરવીના સૂર ન ભેળવાય. સમજાય એવું છે.

બધી જ રમતો આનન્દ આપે છે, પણ આનન્દ આપવાની દરેકની રીત જુદી હોય છે. એટલે, તમે ક્રિકેટ રમો ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે એ થપ્પો કે પકડદાવ નથી. હુતુતુ, લંગડી નથી કે લંગડી, કોથળાદોડ નથી. ટૂંકીવાર્તા ટૂંકીવાર્તા જ રહેવી જોઈએ. યાદ રહે કે એ વહીવંચો નથી, રીપોર્તાજ નથી, નિબન્ધ નથી, પત્રલેખન નથી.

હા, કાવ્યથી માંડીને કોઈ પણ સાહિત્યપ્રકારનું કિંચિત્ ક્યારેક એ જરૂર લઈ શકે છે – પણ ત્યારે એ એની સર્જકતાની મોટી કસોટી હશે.

બીજા પાંચ મુદ્દા હવે પછી, અવકાશે …

નૉંધ : આ પાંચ મુદ્દા બહારની કોઈ પણ ચર્ચાને અહીં સ્થાન નથી. અભદ્ર ભાષામાં પુછાયેલા વિવેકહીન પ્રશ્નોને અહીં જરા પણ સ્થાન નથી. કોઈપણ ભોગે વિષયસંલગ્ન રહેવું એ વિદ્યાપ્રેમીઓ માટે કશી મુશ્કેલ ચીજ નથી. લિટરરી ઍટિટ્યુડ અને ઍટિકેટ દાખવવાનું પણ સાહિત્યપ્રેમીઓ માટે કદી કઠિન નથી હોતું.

= = =

(August 15, 2021: USA)

સૌજન્ય : લેખક, સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલ પરેથી સાભાર

Loading

15 August 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—108
મુશ્કેલ સમયમાં (60) →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved