હું ઈશ્વર છું
તમે કરોડો છો ને હું એક છું
મારે પડી રહેવું હોય
પણ તમારે
મંગળા આરતી કરવી હોય
એટલે મને વાઘાં પહેરાવીને
બાબલાની જેમ તૈયાર કરી દો છો
ભોગ મને ધરાવો છો
ને આરોગો છો પોતે
જે દિવસે એક જલેબી ચાખીશ
એ દિવસથી પ્રસાદ ધરાવવાનું
બંધ થઈ જશે તે જાણું છું
લગ્ન નથી થતાં
તે મંગળફેરા માંગે છે
સંતાન નથી
તે ઘોડિયું માંગે છે
કોઈને નોકરી જોઈએ છે
તો કોઈને છોકરી
માબાપ ખાસ જોઈતાં નથી
પણ મિલકત બધાંને જોઈએ છે
કોઈ કમાવા માંગે છે
તો કોઈ ચોરી કરવા માંગે છે
કોઈને બજાર ઊંચું લઈ જવું છે
તો કોઈને મફતનું જોઈએ છે
કોઈ રોટલો માંગે છે
તો કોઈ ઓટલો
મહામારી હું લાવ્યો નથી
પણ તે કાઢવાનું મને કહેવાય છે
જે આવે છે તે
ઘંટ ખખડાવીને
મારા કાન કોતરે છે
હું કોઈનું કામ નથી કરતો
તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે
કોઈનું કામ થઈ જાય છે તો
મને મહાભોગ ચડે છે
વરસાદ નથી આવતો
તો યજ્ઞ થાય છે
આકાશ ખાબકે છે
તો ખમ્મા કરવાનું મને કહેવાય છે
પણ સાચું કહું
હું કોઈનું કૈં કરતો નથી
નથી હું પરણાવતો
કે નથી કોઈનું છૂટું કરતો
જંગલ હું નથી કાપતો
હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં
અમીર હું નથી કરતો
ગરીબી મેં નથી આપી
તમને લીલીછમ પૃથ્વી આપી
તે રહેવા માટે
એની તમે રાખ કરો
તો એમાં મારો શો વાંક?
મેં અણુ આપ્યો
ને તમે બૉમ્બ બનાવ્યો
પછી કહો કે શાંતિ વાર્તા કરો
તો કેવી રીતે કરું?
સાચું કહો
તમે મને ઈશ્વર માનો છો કે
નોકર?
પ્રાર્થનાની આડમાં તમે
આજ્ઞાઓ જ કરો છો કે બીજું કૈં?
ને તમે ઈચ્છો છો કે હું સેવા કરું
પણ હું કોઈનું સાંભળતો નથી
હું મેરેજ બ્યુરો ચલાવતો નથી
કે નથી ચલાવતો કોઈ
એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ
મેં કોઈનું કૈં બગાડ્યું નથી
કે નથી મારે કોઈ પાસેથી કૈં જોઇતું કરતું
શ્રીફળ વધેરીને
મને વધેરવાનું રહેવા દો
આપવાનું હતું તે આપ્યું જ છે
હવે મારી પાસે કૈં નથી
કૃપા કરીને હવે કૈં માંગીને
મને શરમાવશો નહીં
તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી
પણ
એક પ્રાર્થના હું કરું છું
જાણું છું એ પછી કોઈ આવવાનું નથી
તો ય કહું છું કે
કોઈ માંગણી ન હોય
તો જ …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


‘નર્મગદ્ય’-ખંડ-2નાં, ‘આપણી દેશજનતા’ નામના નિબંધમાં, નર્મદે 38માં પાનાં પર નોંધ્યું છે :
આ ફકરો અહીં ઉતારવાનું એક કારણ એ છે કે આવતી કાલે નર્મદને 188 વર્ષ પૂરાં થાય છે. નર્મદ જેવો સુધારક અને સર્જક ગુજરાતીમાં બીજો થયો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું નહીં, પ્રવચનો પદ્યમાં થતાં. એવા સમયમાં દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા પુનર્લગ્ન, ધર્મ, શબ્દકોશનો વિચાર કરવો પણ શક્ય ન હતો, તેની વિધિવત શરૂઆત નર્મદે કરી. એ સુરતનો હતો. સુરતી હતો. એણે અહીં મૂકેલા ફકરામાં જે કહ્યું છે તે ફરી એક વખત ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આ દેશને હિન્દ તરીકે ઓળખવાનું અને પ્રજાને હિન્દુ તરીકે ઓળખાવવાનું મુસલમાનોએ કર્યું છે. હિન્દુ હોવાનું આપણને ગર્વ હોવું જ જોઈએ, પણ નર્મદના મતે એ ગૌરવ આપણને મુસ્લિમોએ આપ્યું છે તે ભૂલવા જેવું નથી. એ સાથે જ મુસલમાનોએ આપણા પર જુલમો ગુજાર્યા છે એની નોંધ લેવાનું પણ એ ચૂક્યો નથી. મુસ્લિમોને તથા પરદેશીઓને કાઢવાના બહુ પ્રયત્નો થયા, પણ તેમાં સફળતા મળી નહીં. નર્મદના કહેવા મુજબ આપણે સમદુખી, મૂર્તિપૂજક અને સંસ્કૃત વિદ્યાના ઉપાસક હોવાને કારણે એક હતા અને એટલે જ આટલાં આક્રમણો પછી પણ ટકી ગયાં છીએ. આપણે ટક્યાં તે રામ, કૃષ્ણને કારણે.