નાણાવટી ખૂન કેસમાં ઇન્ડિયન નેવીના વડાની અને વિશ્વવિખ્યાત ડોકટરની જુબાની
બેલાર્ડ પિયરના ટાઈગર ગેટ નજીક આવેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડની ઓફિસ ધમધમી રહી હતી. સમય સવારના સાડા દસ. ટાઈગર ગેટનો લોખંડી દરવાજો સહેજ પણ કિચૂડાત કર્યા વગર ખૂલ્યો. પહેલાં ઇન્ડિયન નેવીની ખુલ્લી સફેદ જીપ બહાર આવી. તેમાં નેવીના જવાનો ભરી બંદૂકે ઊભા હતા. લશ્કરનાં વાહનોની નંબર પ્લેટ મારા-તમારા વાહનની નંબર પ્લેટ કરતાં સાવ જૂદી હોય છે. તેમાં સૌથી પહેલાં બ્રોડ એરો, કે ઊભા તીરનું નિશાન હોય છે, જે જણાવે છે કે આ વાહન લશ્કરનું છે. પછીના બે આંકડા એ વાહન કયા વરસમાં ખરીદાયું એ બતાવે છે. તે પછી અંગ્રેજી વર્ણમાળાનો એક અક્ષર હોય છે જે આ વાહન લશ્કરના કયા વિભાગનું છે તે જણાવે છે. તે પછીના ચાર આંકડા જે-તે વાહનનો સિરિયલ નંબર બતાવે છે. છેલ્લે ફરી એક અક્ષર મૂકાય છે જે બતાવે છે કે વાહન કયા પ્રકારનું છે : મોટર, ટ્રક, મોટર સાઈકલ, વગેરે. આવી નંબર પ્લેટ માત્ર લશ્કરનાં વાહનો માટે જ વાપરી શકાય છે. ખાનગી વાહનો માટે તે વાપરવી એ ગંભીર ગુનો ગણાય છે. અને લશ્કરનાં બધાં જ વાહનોની નોંધણી સ્થાનિક RTO પાસે નહિ, પણ સંરક્ષણ મંત્રાલયના ખાસ વિભાગ પાસે થતી હોય છે.

ભારતીય લશ્કરના વાહનની નંબર પ્લેટ
તો આવી નંબર પ્લેટવાલી સફેદ જીપની પાછળ આવી રહી હતી એવી જ નંબર પ્લેટવાળી સફેદ એમ્બેસડર મોટર. તેના બોનેટ પર હતી ઇન્ડિયન નેવીના વડાની માનક પતાકા. હા, જી. એ વખતે આ દેશમાં બે જ મોટર બનતી હતી : એમ્બેસડર અને ફિયાટ. અને સરકારી વાહનો એટલે સફેદ એમ્બેસડર. તેની પાછળ ફરી નેવીની એક જીપ, ખુલ્લી, સશસ્ત્ર સૈનિકોવાળી. બંધ કાચવાળી સફેદ એમ્બેસડરમાં બેઠા હતા એડમિરલ રામદાસ કટારી, ઇન્ડિયન નેવીના પહેલવહેલા હિન્દુસ્તાની વડા. જન્મ ૧૯૧૧ના ઓક્ટોબરની આઠમીએ, અવસાન ૧૯૮૩ના જાન્યુઆરીની ૨૧મી તારીખે. દેશ આઝાદ થયો તે પછી પણ ઇન્ડિયન નેવીના પહેલા બે વડા અંગ્રેજ હતા. તેમાંના બીજા વાઈસ એડમિરલ સર સ્ટીફન હોપ કારલીલ પછી એ હોદ્દો સંભાળ્યો એડમિરલ રામદાસ કટારીએ. ૧૯૫૮ના એપ્રિલની ૨૨મીથી ૧૯૬૨ના જૂનની ચોથી સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. તેઓ આ હોદ્દા પર હતા તે દરમ્યાન પહેલવહેલું એરક્રાફ્ટ કેરિયર આઈ.એન.એસ. વિક્રાંત ઇન્ડિયન નેવીમાં દાખલ થયું. તેમની રાહબરી નીચે ગોવાના મુક્તિસંગ્રામમાં ઇન્ડિયન નેવીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. નિવૃત્ત થયા પછી એડમિરલ કટારીએ પોતાના અનુભવો વિશેનું પુસ્તક પ્રગટ કર્યું હતું : A Sailor Remembers.

ઇન્ડિયન નેવીના એડમિરલની પતાકા
ઇન્ડિયન નેવીનો આ કાફલો આવી પહોંચ્યો જજ મહેતાની અદાલત પાસે. કમ્પાઉન્ડની બહાર ફરી ઇન્ડિયન નેવીના સશસ્ત્ર સૈનિકો. આગલી જીપમાંના એક સૈનિકે તરત ઊતરીને એમ્બેસડરનું ડાબી બાજુનું પાછળનું બારણું ખોલ્યું. એડમિરલ રામદાસ કટારી ઊતર્યા. બોમ્બે હાઈ કોર્ટના પ્રોટોકોલ ઓફિસરે તેમને આવકાર આપ્યો અને અદાલતના મકાન તરફ લઈ ગયા. બરાબર અગિયારમાં બે મિનિટે બચાવ પક્ષના પહેલા સ્ટાર વિટનેસ એડમિરલ રામદાસ કટારી કોર્ટ રૂમમાં દાખલ થયા. અગિયાર વાગે જજ મહેતા આવ્યા પછી એડમિરલ રામદાસ કટારીની જુબાની શરૂ થઈ.

આવા ક્રિમિનલ કેસોમાં આરોપીનો સ્વભાવ, તેની ચાલચલગત, તેની આદતો, વગેરેનો વિચાર કરીને તેને ધ્યાનમાં રાખવાનું બહુ મહત્ત્વનું હોય છે. એટલે બચાવ પક્ષે કમાન્ડર નાણાવટીની બાબતમાં આ બધાની માહિતી મેળવવા માટે ઇન્ડિયન નેવીના સર્વોચ્ચ અફસર એડમિરલ રામદાસ કટારીને જુબાની આપવા વિનંતી કરી હતી અને તેમણે જુબાની આપવાનું સ્વીકાર્યું હતું. શરૂઆતમાં જજ મહેતાના સવાલના જવાબમાં એડમિરલ રામદાસ કટારીએ કહ્યું હતું કે કમાન્ડર નાણાવટીનો આજ સુધીનો સર્વિસ રેકર્ડ કશા ડાઘ વગરનો છે. તેમનો સ્વભાવ અને તેમનું ચારિત્ર્ય ચોખ્ખાં છે.
પછી બચાવ પક્ષના વકીલના સવાલના જવાબમાં એડમિરલ કટારીએ કહ્યું કે કમાન્ડર નાણાવટી અને પ્રોવોસ્ટ માર્શલ કમાન્ડર સેમ્યુઅલ, બંનેને હું અંગત રીતે ઓળખું છું.
કમાન્ડર નાણાવટીને રાજી રાખવા માટે સેમ્યુઅલે તેમની તરફેણમાં જુબાની આપી એ વાત સાચી છે?
બિલકુલ નહિ. કમાન્ડર સેમ્યુઅલ કમાન્ડર નાણાવટીના હાથ નીચે કામ કરતા નથી. કમાન્ડર સેમ્યુઅલની બઢતી, પગાર વધારો, વગેરે કોઈ બાબત પર કમાન્ડર નાણાવટીનો અખત્યાર નથી. એટલે કમાન્ડર સેમ્યુઅલે તેમને રાજી રાખવાનું કોઈ કારણ નથી. ઇન્ડિયન નેવીમાં પ્રોવોસ્ટની બ્રાંચ બીજી બ્રાન્ચો કરતાં અલગ અને સ્વતંત્ર હોય છે. તેનું મુખ્ય કામ નેવીમાં શિસ્ત જાળવવાનું હોય છે.
તમે કહ્યું કે તમે કમાન્ડર નાણાવટીને અંગત રીતે ઓળખો છો. કઈ રીતે?
કમાન્ડર નાણાવટીએ ત્રણ વખત સીધેસીધા મારા હાથ નીચે કામ કર્યું છે. પહેલી વાર ૧૯૪૬માં જ્યારે તેઓ આઈ.એન.એસ. કાવેરીના કમાન્ડિંગ ઓફિસર હતા ત્યારે. બીજી વાર ૧૯૫૧માં, જ્યારે તેઓ દિલ્હીમાં નેવલ હેડક્વોરટર્સમાં મુખ્ય ઓફિસર તરીકે કામ કરતા હતા ત્યારે. અને ત્રીજી વાર ૧૯૫૭-૧૯૫૮માં જ્યારે હું મારા ફ્લેગશીપ આઈ.એન.એસ. માઈસોર પર ફ્લેગ ઓફિસર હતો ત્યારે કમાન્ડર નાનાવાટી એ જહાજના એક્ઝીક્યુટીવ ઓફિસર હતા ત્યારે.
અચ્છા. કમાન્ડર નાણાવટીના સ્વભાવ વિષે, તેમના ગમા-અણગમા વિષે તમે શું કહેશો?
તેઓ એક પ્રામાણિક, ઠરેલ, કાર્યદક્ષ માણસ છે. તેમને આકળા-ઉતાવળા થતા મેં જોયા નથી. તેઓ સ્વભાવે શાંત છે અને બીજાની સાથે હળીમળીને કામ કરવામાં માને છે.
ફરજના ભાગ રૂપે તમે તેમને મળ્યા હો એટલાને આધારે આમ કહો છો?
ના. એ ઉપરાંત પણ સામાજિક કાર્યક્રમો કે મેળાવડાઓમાં પણ અમારે મળવાનું થયું છે. તેઓ કોઈ સાથે ઝગડ્યા હોય, કે આકળા થયા હોય તેવું મેં જોયું જાણ્યું નથી.
કમાન્ડર નાણાવટીને ઇન્ડિયન નેવીની નોકરીમાંથી સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા છે?
ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના અને નેવલ હેડ ક્વોર્ટર્સના એમ કરવા અંગેના હુકમને કારણે.
એવા હુકમ પાછળનું કારણ?
એક માણસનું ખૂન કરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે અને એ અંગે તેમના પર આ અદાલતમાં ખટલો ચાલે છે એટલે.
ખટલો ચાલે તે દરમ્યાન કમાન્ડર નાણાવટીને મુંબઈ પોલીસના તાબામાં નહિ, પણ નેવલ પોલીસના તાબામાં રાખવાની ભલામણ તમે કરી હતી?
એવી ભલામણ મેં પોતે કરી નહોતી કારણ એવી ભલામણ કરવાની મને સત્તા નથી. પણ આમ કરવા માટે મેં નેવલ હેડક્વોર્ટર્નેસ વિનંતી કરી હતી, જે તેમણે સ્વીકારી હતી.
અત્યારે કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીની નોકરીમાં છે કે નથી?
નોકરીમાં છે, પણ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. પણ આજે ય તેઓ ઇન્ડિયન નેવીના એક અફસર છે જ.
બરતરફ થયા હોવા છતાં કમાન્ડર નાણાવટી જયારે પણ અદાલતમાં હાજર થાય છે ત્યારે નેવીનો યુનિફોર્મ પહેરીને કેમ આવે છે?
એમ કરવા અંગેનો હુકમ મેં નથી કર્યો.
તો કોણે કર્યો છે?
ઇન્ડિયન નેવીના પ્રોવોસ્ટ માર્શલે. કારણ એ તેમના અધિકારક્ષેત્રની બાબત છે.
આ ખટલામાં સાક્ષી તરીકે હાજર રહેવા તમે સંમતિ શા માટે આપી?
કારણ કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીના એક મહત્ત્વના અફસર છે. હું તેમનો વડો છું એટલું જ નહિ, તેમને અંગત રીતે પણ હું ઓળખું છું. અને હું તેમને ઓળખું છું એક ચારિત્ર્યવાન, સીધાસાદા આદમી તરીકે. એટલે આ ખટલામાં જુબાની આપવાની હું મારી ફરજ સમજુ છું.
બચાવ પક્ષના વકીલ : થેન્ક યુ એડમિરલ કટારી. યોર ઓનર! આરોપી કમાન્ડર નાણાવટીના સ્વભાવ અને ચારિત્ર્ય વિષે દેશના નૌકાસૈન્યના વડાએ જે કાંઈ કહ્યું એની ઉચિત રીતે નોંધ લેવાની આપને અરજ ગુજારું છું.
એડમિરલ કટારી કોર્ટમાંથી જઈ રહ્યા હતા ત્યારે કમાન્ડર નાણાવટીએ તેમની સામે જઈને સેલ્યુટ કરી, અને પછી બંનેએ શેકહેન્ડ કરી હતી. એડમિરલ કટારી નીચે ઊતર્યા એટલે ફરી તેમને વળાવવા બોમ્બે હાઈ કોર્ટના પ્રોટોકોલ ઓફિસર આવ્યા. એડમિરલ કટારીનો રસાલો ફરી ટાઈગર ગેટ જવા રવાના થયો.
ડો. એ.વી. બાલીગા
બચાવ પક્ષના બીજા સ્ટાર વિટનેસ હતા પ્રખ્યાત સર્જન ડો. એ.વી. બાલીગા. જન્મ ૧૯૦૪માં, અવસાન ૧૯૬૪માં. ગ્રેટ બ્રિટનની રોયલ કોલેજ ઓફ સર્જન્સના ફેલો હતા. ગ્રેટ બ્રિટનમાં અભ્યાસ કરીને પાછા આવ્યા પછી તેઓ કે.ઈ.એમ. હોસ્પિટલમાં અસિસ્ટન્ટ ઓનરરી સર્જન નિમાયા હતા. વખત જતાં એક અત્યંત બાહોશ ડોક્ટર તરીકે તેમની ખ્યાતિ દેશમાં અને દેશની બહાર ફેલાઈ હતી. તેમણે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી હતી અને પાછલાં વરસોમાં ‘પેટ્રીઅટ’ નામનું વર્તમાનપત્ર અને ‘લિન્ક’ નામનું મેગેઝીન શરૂ કર્યાં હતાં. તેમના અવસાન વખતે પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું : “ડોકટર બાલીગા એક અસાધારણ કુશળ સર્જન હતા એટલું જ નહિ, એક ઉમદા માણસ પણ હતા. સમાજને ઉપયોગી થાય તેવાં સારાં કામ માટે તેમણે છુટ્ટે હાથે દાન આપ્યાં હતાં. તેઓ સાચા અર્થમાં દેશભક્ત હતા.”
આવા જગવિખ્યાત ડોકટર બાલીગાએ તેમની જુબાની દરમ્યાન પ્રેમ આહુજાનું મૃત્યુ કઈ રીતે થઈ શક્યું હોય, કેવા હથિયારને કારણે થયું હોય, એ માટે કોણ જવાબદાર હોઈ શકે, વગેરે ઘણા પ્રશ્નોની મેડિકલ દૃષ્ટિએ છણાવટ અને સ્પષ્ટતા કરી. જે મારા-તમારા જેવા માટે સમજવી જરા મુશ્કેલ.
એક-બે વખત ફરિયાદ પક્ષના વકીલ અને ડો બાલીગા વચ્ચે શાબ્દિક ચકમક પણ ઝરી. અગાઉ બેલાસ્ટિક (દારૂગોળાને લગતા) નિષ્ણાતે જે અભિપ્રાય આપ્યો હતો તેના કરતાં ડો. બાલીગાએ જુદી શક્યતા સૂચવી. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે તમે ડોક્ટર છો, બેલાસ્ટિક એક્સપર્ટ નહિ. છતાં વાત એવી રીતે કરો છો કે જાણે તમે તેમના કરતાં સવાયા જાણકાર હો.
ડોક્ટર બાલીગા : મેં એવું કહ્યું જ નથી. મેં એટલું જ કહ્યું છે કે આ બનાવ અંગે વિચાર કરતી વખતે બીજી શક્યતાઓ – જેમ કે અકસ્માતની શક્યતા – પણ તપાસવી જોઈએ. ફરિયાદ પક્ષના વકીલે એક-બે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો હતો પણ નામદાર જજ સાહેબે એ પ્રશ્નો પૂછવાની મંજૂરી આપી નહોતી. ડોક્ટર બાલીગાની જુબાની કુલ સાડા છ કલાક ચાલી હતી.
એડમિરલ રામદાસ કટારી અને ડો એ.એસ. બાલીગા જેવા મહત્ત્વના સાક્ષીઓ પછી બીજે દિવસે પણ એક ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ અદાલતમાં હાજર થવાની હતી. જો કે ફરિયાદ પક્ષના વકીલે પહેલેથી જ જણાવ્યું હતું કે આ સાક્ષી ઉપર અમને મુદ્દલ ભરોસો નથી. એટલે હું તેમની ઊલટતપાસ નહિ લઉં. પણ બચાવ પક્ષે એ સાક્ષીની જુબાની માટે આગ્રહ રાખ્યો હતો અને એટલે નામદાર જજ સાહેબે બીજે દિવસે એને હાજર રાખવાની સૂચના આપી હતી.
એ સાક્ષી તે કોણ, અને તેની જુબાની વિશેની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 ઓગસ્ટ 2025
![]()



આપણા દેશમાંના સંગ્રહની યાદી જોતાં ૧૯૦૭ સુધી કોઈ ગુજરાતી પુસ્તક આ કાયદા હેઠળ જપ્ત થયું હોય તેવું જાણવા મળતું નથી. ૧૯૦૭માં ‘સ્વદેશ કીર્તન’ નામના પુસ્તકનો પહેલો ભાગ જપ્ત થયો હતો. ૩૨ પાનાંનું આ પુસ્તક અમદાવાદના સસ્તું સાહિત્ય પ્રચારક મંડલ દ્વારા પ્રગટ થયું હતું. બ્રિટિશ શાસન દરમ્યાન જપ્ત થયેલું છેલ્લું પુસ્તક હતું લાભુબહેન મહેતાએ ‘વીર જવાહરલાલ’ નામે લખેલું પંડિત જવાહરલાલ નેહરુનું જીવન ચરિત્ર. ૧૯૪૧માં અમદાવાદના ભારતી સાહિત્ય સંઘ દ્વારા તે પ્રગટ થયું હતું. જેનું પુસ્તક બ્રિટિશ સરકારે જપ્ત કર્યું હોય તેવાં એકમાત્ર ગુજરાતી લેખિકા લાભુબહેન છે. એ વખતે એમની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી.
કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટકનાં તથા ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેનાં એક સો કરતાં વધુ પુસ્તકો લખનાર નારાયણ વસનજી ઠક્કુર (૧૮૮૪-૧૯૩૮) એમના જમાનાના એક અત્યંત લોકપ્રિય લેખક હતા. ૧૯૧૧માં તેમની એક સામાજિક નવલકથા પ્રગટ થઇ : ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા?’ ૩૫૨ પાનાંની આ નવલકથામાં ક્યાં ય એક શબ્દ પણ સરકારની વિરુદ્ધનો હોય તેવો જોવા મળતો નથી. તો પછી સરકારે આ પુસ્તક જપ્ત કેમ કર્યું હશે? સંભવિત કારણ એ છે કે તેમાં સામાજિક સુધારાનો આત્યંતિક વિરોધ કરવામાં આવ્યો છે. અને કહેવાતી ભારતીય પરંપરાને ઉજળી બતાવવા ખાતર લેખકે બ્રિટિશ પદ્ધતિનાં શિક્ષણ, ન્યાયવ્યવસ્થા, વહીવટી તંત્ર વગેરેને ઉતારી પાડ્યાં છે અને આ પરદેશીઓ માંસ, દારુ વગેરે છૂટથી ખાય-પીએ છે તેની આકરી ટીકા કરી છે. કથાનો આરંભ થાય છે મુંબઈની ‘તાતાની તાજ મહેલ’ હોટેલમાં. ગુજરાતમાં એક બાજુથી સમાજ સુધારાની ચળવળ જોરશોરથી ચાલી રહી હતી અને તેની તરફેણમાં લખનારાઓ ઘણા હતા, તો બીજી બાજુ તેનો ઉગ્રપણે વિરોધ કરનારી એક નાની પણ બોલકી ટોળકી પણ હતી. નારાયણ વસનજી ઠક્કુર આ ટોળકીના સભ્ય હતા. એટલે, ભલે આ પુસ્તકમાં સરકારની ટીકા ન હોય, પણ બ્રિટિશ જીવન-પદ્ધતિની ટીકા હતી, તેનો ઉપહાસ પણ હતો તેથી સરકારને આ પુસ્તક વાંધાજનક લાગ્યું હશે.
પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં ‘ગાંધીકૂચ’ (આલ્બમ) એવું નામ જોયું ત્યારે થોડી નવાઈ લાગેલી. ગાંધીજીના ફોટાના આલ્બમ પર પ્રતિબંધ મૂકવા પાછળ શું કારણ હશે? સારે નસીબે એ પુસ્તક જોવા મળ્યું અને જોતાંવેંત મનમાંની શંકા દૂર થઇ. બધા ફોટા ૧૯૩૦ની દાંડીકૂચના, સાથેના લખાણમાં બ્રિટિશ સરકારની ભારોભાર ટીકા, અને ગાંધીજીનાં ભાષણો અને લેખોમાંથી આપેલા સંખ્યાબંધ ઉતારા. ફોટા સાથેનું લખાણ લખેલું આપણા જાણીતા સાહિત્યકાર રસિકલાલ પરીખે (૧૮૯૭-૧૯૮૨). આ પુસ્તક પ્રસ્થાન કાર્યાલયે પ્રગટ કર્યું હતું, જેની સાથે રામનારાયણ વિ. પાઠક સંકળાયેલા હતા.
૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે : “અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.” પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી. પણ આપણી આઝાદી માટેની લડત દરમ્યાન તેમનાં ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં અને પ્રભાતફેરી, સભા-સરઘસ વગેરેમાં નિયમિત રીતે ગવાતાં. આ પુસ્તિકા સરકારે જપ્ત કરી હતી. કારણ તેના એકે એક પાના પર જે ગીત હતાં તેમાં સરકાર વિરુદ્ધનો દારુગોળો ઠાંસી ઠાંસીને ભર્યો હતો. એક ગીતના આરંભની પંક્તિઓ :
આપણાં ભાષા-સાહિત્ય ઉપર ગાંધીજીનો પ્રભાવ એટલો તો વ્યાપક હતો કે ૧૯૨૦ પછીનાં ત્રીસેક વર્ષના ગાળાને આપણે ‘ગાંધીયુગ’ તરીકે ઓળખીએ છીએ. પણ આ યુગના અગ્રણી સાહિત્યકારોમાંથી બહુ ઓછાનાં પુસ્તકો જપ્ત થયાં હોય તેમ જણાય છે. તેમાં બે અપવાદ છે : એક, ઝવેરચંદ મેઘાણી અને બીજા મનુભાઈ પંચોળી ‘દર્શક.’ માત્ર ૩૦ પાનાંનો મેઘાણીનો કાવ્યસંગ્રહ /સિંધૂડો/ ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. સવિનય કાનૂનભંગની ચળવળ તે જ દિવસે શરૂ થઇ. પુસ્તકની દસ હજાર નકલ છપાયેલી. બ્રિટિશ સરકાર જાગે અને જપ્તી જાહેર કરે તે પહેલાં તો તેમાંની ઘણીખરી નકલો વેચાઈ ગઈ હતી. છતાં લોકોની માગ તો ચાલુ જ હતી. એટલે રતુભાઈ અદાણીએ પોતાના સુંદર હસ્તાક્ષરમાં ‘સિંધુડા’ની નકલ કરી હતી અને
આઝાદીની લડત દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણો ‘વીરની હાકલ’ નામે બે ભાગમાં પ્રગટ થયાં. આ પુસ્તકના પહેલા ભાગની પહેલી આવૃત્તિની દસ હજાર નકલ છપાયેલી, જે જોતજોતામાં વેચાઈ ગયેલી. થોડા મહિના પછી પુસ્તકનો બીજો ભાગ પ્રગટ થયો. ત્યારે સરકારે બંને ભાગ જપ્ત કર્યા. મહાદેવભાઈ દેસાઈ એક પોલિસ સ્ટેશનમાં ક્યારે ધરપકડ કરવામાં આવે તેની રાહ જોતા બેઠા હતા ત્યારે તેમણે પુસ્તકના પહેલા ભાગની પ્રસ્તાવના લખી હતી. તેમાં તેમણે લખ્યું : “એવો કયો ગુજરાતી હશે કે જે સરદારની વાણી સાંભળીને તેમાંના કોક નહિ તો કોક ઉદ્ગારને યાદ કરતો ન હોય, સંઘરી રહ્યો ન હોય. એ હાકલના શબ્દેશબ્દમાં જે જોમ ભર્યું છે, જે આગ ઝરે છે તેનાથી કયું હૃદય સ્પર્શ થયા વિના રહ્યું હોય?” પહેલા ભાગમાં જે ભાષણો મૂક્યાં છે તે સરદારની દેખરેખ નીચે પ્રગટ થયેલી બારડોલી સત્યાગ્રહ પત્રિકાઓમાંથી લેવાયાં છે અને એટલે તે વધારે પ્રમાણભૂત છે. જ્યારે બીજા ભાગમાંનાં ભાષણો અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલોને આધારે તૈયાર કર્યાં છે. જો કે બને તેટલા પ્રમાણભૂત થવાના આશયથી દરેક ભાષણ માટે કોઈ એક અખબાર પર આધાર ન રાખતાં ત્રણ-ચાર અખબારોના અહેવાલોનો આધાર લઈને સંકલન કર્યું છે. બન્ને ભાગનું સંપાદન રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી (જોડણી પુસ્તક પર છાપ્યા પ્રમાણે) એ કર્યું છે અને પ્રકાશન પ્રસ્થાન કાર્યાલયે.
કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા સંપાદિત ‘સ્વરાજ્યનાં ગીતો’ પુસ્તકની પહેલી આવૃત્તિમાં કૂલ ૧૫૫ ગીતો હતાં અને તે ૧૯૩૧માં ગાંધીજીના જન્મ દિવસે પ્રગટ થઇ હતી. અમદાવાદના ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે તે પ્રગટ કરી હતી. તેમાં ગીતોને સાત ખંડોમાં વહેંચીને મૂક્યાં છે : પ્રભાત ફેરીનાં ગીતો, તિરંગાગાન, સભાનાં ગીતો, સરઘસનાં ગીતો, રાષ્ટ્રીય રાસ, વાનરસેનાનાં ગીતો અને મિજલસ ગીતો. આઝાદીની લડત શરૂ થઇ એ પહેલાં ગાંધીજીની રેંટિયાપુરસ્કાર અને મદ્યનિષેધની પ્રવૃત્તિથી ગુજરાતના આદિવાસીઓના જીવનમાં કેવું ચૈતન્ય આવ્યું હતું તેની પ્રતીતિ કરાવતાં ચોધરી, ગામિત, ઢોડીયા, વગેરે જાતિના કવિઓએ લખેલાં કેટલાંક ગીતો તેમની બોલીમાં જ અહીં મૂક્યાં છે તે આ સંગ્રહની એક આગવી વિશિષ્ટતા છે. ગામિત બોલીમાંના એક ગીતની આરંભની પંક્તિઓ છે :
‘ક્રાંતિને માર્ગે’ પુસ્તક લખાયું ૧૯૩૦માં, પણ પ્રગટ થયું ૧૯૩૨માં. તેના લેખક પ્રભાકર બિહારીલાલે તેની પ્રસ્તાવના લખવાની વિનંતી કાકાસાહેબ કાલેલકરને કરી અને પુસ્તકની હસ્તપ્રત તેમને વાંચવા મોકલી. મુસાફરી દરમ્યાન વાંચવાના આશયથી કાકાસાહેબે એ હસ્તપ્રત પોતાની બેગમાં મૂકી. પણ મુસાફરી દરમ્યાન તે બેગ ચોરાઈ ગઈ. કાલેલકરે ગુજરાતી તથા મરાઠી છાપામાં જાહેરખબર છપાવીને ચોરને વિનંતી કરી કે બીજું કાંઈ નહિ તો પણ તે હસ્તપ્રત તેમને પાછી મોકલી દે. પણ હસ્તપ્રત મળી નહિ. સારે નસીબે લેખક પાસે બીજી નકલ હતી. તેને આધારે કાલેલકરે પ્રસ્તાવના લખી. પણ આ બધામાં સારો એવો સમય ગયો એટલે પુસ્તક ૧૯૩૨માં પ્રગટ થઇ શક્યું. પણ પ્રગટ થતાં વેંત સરકારે તેની નકલો જપ્ત કરી. લેખકના કેટલાક વિચારો તો આજે પણ વધુ પડતા જલદ લાગે તેવા છે. જેમ કે: “આપણા દેશમાં, સત્યાગ્રહની ચળવળ દરમ્યાન જે ધનિકો આગેવાન તરીકે ગણાયા છે તે સાચા આગેવાન નથી, પણ સહાયક છે. જો તેમને સાચા આગેવાન થવું હોય તો તેમણે ધનિક મટી જ જવું જોઈએ. ગરીબનો આગેવાન ગરીબ જ હોય. જ્યાં સુધી નેતા અને અનુયાયીમાં, માનસિક શક્તિ સિવાય બીજી બધી રીતે સામ્ય ન હોય ત્યાં સુધી નેતા અને અનુયાયીનો સાચો સંબંધ હોઈ જ ન શકે.”
મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં બે નાટકો ઉપરાઉપરી પ્રગટ થયાં : ૧૯૩૪માં ‘જલિયાંવાલા’ અને ૧૯૩૫માં ‘૧૮૫૭.’ બંને નાટકો પર સરકારે તરત જ પ્રતિબંધ મૂકેલો. તે માટેનું કારણ દેખીતું છે. આ નાટકો પ્રગટ કરતાં પહેલાં લેખકને પાકો વહેમ તો હતો જ કે સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે. એટલે ‘૧૮૫૭’ની પ્રસ્તાવનામાં તેમણે ચોખવટ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે : “સરકાર સામે ધિક્કાર ફેલાવવાનો આશય હોવાની કલ્પના સાવ નિર્મૂળ છે. ‘જલિયાંવાલા’ કે ‘૧૮૫૭’ને ધ્યાનપૂર્વક વાંચનારાને પણ એ સ્વીકાર્યા વિના નહિ ચાલે.” પછીનાં વર્ષોમાં દર્શક આપણા એક મૂર્ધન્ય સારસ્વત, શિક્ષણશાસ્ત્રી, અને જાહેર જીવનના અગ્રણી તરીકે આગળ આવ્યા. પણ આ બે નાટક પ્રગટ થયાં ત્યારે હજી સાહિત્યના ક્ષેત્રે તેમનો પ્રવેશ તાજો જ થયેલો હતો. નાટક તરીકે આ બંને કૃતિઓ સારી એવી નબળી છે. રઘુવીર ચૌધરીએ તેમને દર્શકે લખવા ધારેલાં નાટકોના કાચા ખરડા તરીકે ઓળખાવ્યાં છે. દર્શક આ અંગે પણ સભાન હતા. લખે છે : “સાહિત્યમાં જલિયાંવાલા કે ૧૮૫૭ એ કયા ખાનામાં જાય તેની મને ખબર નથી. તેને નાટક કહેવાય કે કેમ એ હું કહી શકું એટલું મારું નાટ્યશાસ્ત્રનુ જ્ઞાન નથી. મને આ રીતે મૂકવું ફાવ્યું છે એટલું જ કહેવું બસ થશે.” ૧૮૫૭ની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને પછીથી દર્શકે બંધન અને મુક્તિ નામની નવલકથા લખી તે નાટક કરતાં વધુ સંતોષપ્રદ બની છે. પણ ૧૮૫૭ નાટકની પ્રસ્તાવના આજે વધુ ધ્યાન ખેંચે એવી છે. આપણા અગ્રણી પત્રકાર અમૃતલાલ શેઠે એ પ્રસ્તાવના લખી છે. અંગ્રેજો ૧૮૫૭ની ઘટનાને ‘સિપાઈઓનો બળવો’ તરીકે ઓળખાવતા હતા તે સાથે અમૃતલાલ શેઠ સહમત ન થાય તે તો દેખીતું છે. પણ સાવરકર અને તેમના સાથીઓ ૧૮૫૭ની ઘટનાને ‘પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ તરીકે ઓળખાવતા હતા એ વાત સાથે પણ શેઠ સહમત થતા નથી. શેઠ કહે છે કે એ વખતે કેટલાક રાજાઓને પોતાનું રાજપાટ પાછું મેળવવામાં જ રસ હતો અને તેથી તેમણે ચળવળને ટેકો આપ્યો હતો. અંગ્રેજોને બદલે લોકોનું રાજ્ય સ્થપાય એવો ઉદ્દેશ તેમાંના કોઈ રાજાના મનમાં પણ હતો નહિ. શેઠ એમ પણ કહે છે કે ૧૮૫૭ની ઘટનાને પરિણામે રાજાઓ વધુ મજબૂત બન્યા, કારણ ડેલહાઉસીની ‘ખાલસા નીતિ’ની લટકતી તલવાર તેમને માથેથી દૂર થઇ હતી. શેઠ ઉમેરે છે કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો દેશના ઘણાખરા ભાગ પર બ્રિટિશ સરકારની હકૂમત સ્થપાઈ ગઈ હોત અને તો દેશ વધુ સુગ્રથિત બન્યો હોત. પ્રસ્તાવનામાં શેઠે જે વિચારો વ્યક્ત કર્યા છે તે સાથે આપણે સહમત થઈએ કે નહિ તે જુદી વાત છે, પણ પોતાને જે લાગ્યું તે બેધડકપણે લખવા માટેની તેમની હિંમતને તો આપણે દાદ દેવી જોઈએ. દર્શકનાં આ બંને પુસ્તકો રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયે પ્રગટ કર્યાં હતાં.

