ભોળાભાઇને પણ યાદ કરવાનો આ દિવસ છે.
બાવીસ વરસ પહેલાં એક યોગ એવો થયો કે એમની વરસગાંઠ (7 ઑગસ્ટ) અને રવીન્દ્રનાથની પુણ્યતિથિ (શ્રાવણી પૂર્ણિમા) પણ એક દિવસે, અને એ મારી પણ જન્મતિથિ (શ્રાવણી પૂર્ણિમા) હતી. આ યોગની ખુશાલીના મારા બે અક્ષરોના ઉત્તરમાં જે ઉપહાર પામ્યો હતો એ વહેંચીને એમનો આ જન્મદિવસ ઊજવું.

એમણે લખ્યું : “મારો જન્મદિવસ, મેં 65મામાં પ્રવેશ કર્યો, શ્રાવણી પૂર્ણિમાનો એ દિવસ, એ તમે 60 પૂરાં કર્યાનો હતો. …. અને રવીન્દ્રનાથની પુણ્યતિથિ. ….. આપણે કેવાં કેવાં અદૃષ્ટ છતાં જાણે સ્પર્શ્ય સૂત્રોથી જોડાતા હોઇએ છીએ! …. આપણે જ્યારે હવે ઉત્તરવયમાં છીએ ત્યારે જન્મદિને પાછા વળીને જોઇએ છીએ. એવે વખતે રવીન્દ્રનાથની આ પંક્તિઓ સ્મરણમાં ગુંજે છે કે જીવતે જગતે આપણને એટલું બધું આપ્યું છે કે શું નથી મળ્યું એનો હિસાબ કરવા મન રાજી થતું નથી.” પછી એ બંગાળી કાવ્ય મારે માટે લિપ્યંતર કરીને ઉતારે છે :
કી પાઇ નિ તારિ હિસાબ મિલાતે મન મોર નહે રાજિ.
આજ હૃદયેર છાયાતે આલોતે બાંશરિ ઉઠિછે બાજિ.
[આખું કાવ્ય અહીં નથી ઉતારતો.]
પછી લખે છે : “ચાલુ કલમે ગુજરાતી કરું છું :
શું શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજ હૃદયનાં
છાયા-પ્રકાશમાં વાંસળી બજી ઊઠી છે. આ ધરતીને મેં ચાહી છે – એ જ સ્મૃતિ બસ મનમાં ફરીફરીને જાગે છે. …..”
આગળ લખે છે : “ટાગોરનું આ ગીત મને ગમે છે. ગાતાં આવડતું નથી, પણ પહેલી લીટીનું ગુંજન અનેકવાર થાય. પામ્યા છીએ એ એટલું બધું છે કે ન પામ્યાની ફરિયાદ શી? ઊંડે જઈ આ શબ્દો પરમ સાંત્વના આપે છે. …. ટાગોરનું આ ગીત તમને હૃદયની શુભેચ્છાઓ આપતાં પાઠવું છું.”
*
એક નિબંધમાં એમણે સોનેરુનો મહિમા કર્યો હશે. મારું આંગણું પણ ગ્રીષ્મમાં એના વૈભવથી ઓપે. (અસમિયા ભાષામાં ગરમાળાનું નામ સોનેરુ, કાકાસાહેબ લાવેલા.) મેં એ વિશે લખ્યું તો એનો જવાબ આ શબ્દોની સુગંધ લઈને આવ્યો : “તમારા ઘરના પ્રવેશદ્વારના સોનેરુની હળવી સુવાસ આટલે દૂર મારે નાકે પહોંચી અને પેલા જળપાત્રમાંની તેમની પાંખડીઓનો રંગ આંખે લાગ્યો. સોનેરુની એ અસર એ પછી ત્રણેક દિવસે વાયા ગાંધીનગર મારે ગામ જતાં સડકનો એક આખો પટ્ટો અત્યારે સોનેરુથી શોભિત થઈ ઊઠેલો જોતાં સઘન બનતી ગઈ છે. મેં મોટરગાડીના કાચ નીચે ઉતાર્યા એક સોનેરુને જોવા, તો ગાડી ચલાવતા મારા પુત્રે ગાડી બંધ કરી નીચે ઊતરી સોનેરુની એક ડાળખી જાણે મારી ઘેલછા પોષવા લઈ આવ્યો! તે વખતે તમે અને તમારું સોનેરુ યાદ આવ્યા. … તમારો સોનેરુ હજુ પીળાં ફૂલ ખેરવે છે?”
પોસ્ટકાર્ડના સાંકડા હાંસિયામાં આમ લખ્યું છે : “આજે રવીન્દ્રનાથનો જન્મદિવસ છે. એકાદવાર તમારે ત્યાં રવીન્દ્રસંગીત સાંભળતાં સાંભળતાં રવીન્દ્રચર્યા કરવાની ઇચ્છા થઈ આવે છે.”
[જયંતભાઈ મેઘાણીની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર]
![]()



કરતા અને ગાતા, પણ આ ‘સ્વપ્ન થકી સરજેલી’ એમણે ક્યાં ય ગાયું હોવાનો ઉલ્લેખ નથી. હવે કોઇ અમર ભટ્ટ ગુજરાતી ગીતમાં પણ સ્વર સીંચશે એવી આશાભરી કલ્પના સ્ફુરે છે. દ્વિજેન્દ્રલાલ વિશે એક લેખ ઘણાં વરસ પહેલાં ઝવેરચંદ મેઘાણીએ લખેલો : ‘રાષ્ટ્રગાનનો ગાયક’. એ જિજ્ઞાસુઓ માટે ગ્રંથસ્થ છે. (‘પરિભ્રમણ’ : નવસંસ્કરણ, ખંડ 2, પા. 27-58.)
ઇટલી દેશના ઉગમણે કિનારે આદ્રિઆતિક સાગરની છોળો પણ શમીને ઉદાસ બની ગઈ હશે, ત્યારે આન્તોનેલ્લા નામે એક દીકરી પોતાના ઘરમાં પ્રભુપ્રાર્થના કરતી હતી : ‘પિતાની યાતનાનો હવે અંત આણજે, હે દેવ!’ તો એની મા રોઝાલ્બા દેવળમાં ઇસુ ભગવાનને અરદાસ કરતાં હતાં : ‘હે પ્રભુ, મારા પ્યારા પ્રદ્યુમ્નને હવે તારે ખોળે મેલું છું, તારા પુત્રને શીળો લેપ દેજે!’ એ જ ટાણે થોડે દૂર પેસ્કારા નગરની ઇસ્પિતાલમાં પ્રદ્યુમ્ન તન્નાના દેહે આખરી વિરામ લીધો, ને પ્રાણનું પંખી દિગંતની વાટે પાંખો ફફડાવી ગયું. દિવસોથી કાયાના પિંજરને ધમરોળતી વેદનાઓ વિરમી ગઈ. જીવનને જેણે ઉત્સવ બનાવીને ગાયા કરેલું કે ‘રોમ રોમ નર્યો આનંદ-અંઘોળ’ એ કવિ-ચિતારો-છબિકાર – જીવનનો કવિ – પોતાનો અસબાબ સંકેલીને પરમને પંથે પળ્યો. ઑગસ્ટની 30મીની એ સવાર હતી.
એ 2000ની સાલ હતી. ‘છોળ’ના છાપકામ નિમિત્તે ભાવનગર આવેલા અને ઘણા દિવસો સુધી એમની સોબતનો લાભ મળેલો. કાવ્યસંગ્રહનું ક્મ્પોઝકામ જ્યાં થતું હતું એ એક મિત્રના મથક પર કલાકો સુધી બેસીને પ્રૂફનું મઠારકામ કર્યા કરતા. ઝીણીમોટી ગોઠવણીઓ કરાવે, બદલાવે, ફરી બદલાવે : આટલી ચીવટથી કામ કરનાર જણ કમ્પ્યૂટરના એ કારીગરોએ પહેલીવાર દીઠો. સામાન્ય કારીગર હોય તો આવી ‘ચીકાશ’થી કંટાળી જાય. પણ પ્રદ્યુમ્નભાઈ તો મિત્રો બનાવવાની કળાના માહેર. થોડીવારમાં તો સામા માણસને પોતાનો બનાવી લે, તેના જાણે સ્વજન બની જાય. ‘છોળ’નું ક્મ્પોઝકામ કરનાર જુવાન હરેશની સાથે મૈત્રી સાધી લીધી. જાણ્યું કે હરેશના પિતા વણકર છે, ત્યારે કહે, ‘મને તમારે ગામ લઈ જશો? તમારું વણાટકામ જોવું છે’. ને એક દિવસ હરેશભાઇની સાથે ઊપડ્યા વાળુકડ. એમનો તળપદો કસબ બરાબર જોયો. કારકિર્દીનો આરંભ પ્રદ્યુમ્નભાઈએ મુંબઈના વણકર સેવા કેન્દ્રના ડિઝાઈનર તરીકે છેક 1959માં કરેલો. અને ચિત્ર-શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા પછી રોઝાલ્બાએ પણ વણાટકામને કલા-માધ્યમ બનાવેલું; ઘરમાં જ શાળ ગોઠવેલી. પ્રદ્યુમ્નનાં સાગર-ચિત્રો અને રોઝાલ્બાએ વણાટમાં નીપજાવેલી સમદર-લહરોની જુગલબંદી જેવું સહિયારું પ્રદર્શન પણ એમના કોમો નગરમાં યોજાયેલું. ભાવનગરની એ જ ખેપને આગલે દિવસે મુંબઈથી ફોન આવે છે : “’નવનીત-સમર્પણ’માં ભાવનગરનાં પક્ષીઓ વિશે લેખ છે; તેના લેખક નવનીત ભટ્ટને મળવું છે.” પછી તો નવનીતભાઈ એમને વિક્ટોરીઆ પાર્ક અને કુંભારવાડામાં યાયાવર પંખીઓ જોવા લઈ ગયા. મને ડગલે ને પગલે તાજ્જુબી થતી હતી : આ માણસની જ્ઞાન-સંવેદના કેવી અખૂટ છે!
અને અત્યારે સંભારું છું કે થોડાં વરસ પહેલાં એમણે લખેલું : “યુરોપ આવો તો આપણે સ્કૅન્ડીનેવીઆમાં રખડીએ : મારે બાકી છે.” અરે, હમણાના મહિનાઓમાં બીજા કાવ્યસંગ્રહ માટેની થોડી સામગ્રી પહોંચાડી હતી, પ્રવાસ-નિબંધોનો સંગ્રહ ‘ચંદરવો’ પણ આયોજનમાં હતો. મને આશા બંધાણી હતી કે એ નિમિત્તે એક ખેપ મારશે અને થોડા દિવસના સહવાસનો અવસર ઊભો થશે. પણ નિયતિ તેની ચાલમાં અફર રહી.