અગાઉ પ્રધાન મંત્રીએ પાર્લામેન્ટમાં ખેડૂતોને ખાતરી આપતાં કહ્યું હતું કે, “એમ.એસ.પી. થી, એમ.એસ.પી. હૈ ઔર એમ.એસ.પી. રહેગી”. વડા પ્રધાનની આ વાતનો પડઘો સરકારે તાજેતરમાં જાહેર કરેલી ખરીફપાકોની એમ.એસ.પી. (મિનીમમ સપોર્ટ-પ્રાઇઝ) અર્થાત્ ચોમાસું ખેતપેદાશોના ટેકાના ભાવમાં જોવા મળે છે. છ મહિના કરતાં વધુ સમયથી રાજધાની દિલ્હીના સીમાડે ડેરાતંબુ તાણીને ચાલતા કિસાન-આંદોલનને સરકારનું આ પગલું ‘જુમલાબાજી’ લાગ્યું છે. તેને કારણે ખેતપેદાશોના ન્યૂનતમ સમર્થનમૂલ્યનો સવાલ ફરી એક વાર ચર્ચાની એરણે છે.
આઝાદી મળી ત્યારે દેશમાં અનાજની કારમી તંગી હતી. અનાજની આ અછત દૂર કરવા હરિયાળી ક્રાંતિમાં અનાજનું વિપુલ ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તેમાં એમ.એસ.પી. કે ખેતઉપજના ટેકાના ભાવનાં મૂળ રહેલાં છે. લાલબહાદુર શાસ્ત્રીના પ્રધાનમંત્રીત્વકાળમાં અનાજની કિંમતો નક્કી કરવા ૧લી ઑગસ્ટ, ૧૯૬૪ના રોજ એલ.કે. ઝા સમિતિની રચના કરવામાં આવી હતી. અનાજનું, ખાસ કરીને ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધારવું, લોકોને સસ્તું અને જરૂરિયાત મુજબનું ખાદ્યાન્ન પૂરું પાડવું તથા ખેડૂતોને તેમની ઊપજના વાજબી ભાવ આપવા જેવા હેતુઓથી ટેકાના ભાવોની યોજના શરૂ કરવામાં આવી હતી. ખેડૂતો ખેતીને લગતી આધુનિક ટેક્નિક અને સારાં બીજ અપનાવી અનાજનું ઉત્પાદન વધારે તથા તેમની સામાજિક-આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂનતમ સમર્થનમૂલ્યથી સરકાર ખરીદી કરે છે. ખેતપેદાશોની સરકારી ખરીદીના ટેકાના ભાવ રવિ અને ખરીફ – મોસમના આરંભે જ જાહેર કરવામાં આવે છે. આ એમ.એસ.પી.ને કારણે ખેડૂતોને બજારમાં ભાવો ઘટે તો પણ કમ સે કમ સરકારે જાહેર કરેલા ભાવો તો મળે જ છે.
ભારતસરકારના કૃષિમંત્રાલય હેઠળ કાર્યરત, જાન્યુઆરી, ૧૯૬૫માં સ્થાપિત, ઍગ્રિકલ્ચરલ પ્રાઇસીઝ કમિશન, જે હવે કમિશન ફૉર ઍગ્રિકલ્ચરલ કૉસ્ટ ઍન્ડ પ્રાઇસીઝ (સી.એસી.પી.) તરીકે ઓળખાય છે, તે ખેત ઊપજની માંગ અને પુરવઠો, ખેડૂતનાં ઉત્પાદનખર્ચ, સ્થાનિક બજારમાં કિંમત, ગ્રાહકો પર અસર, બીજી ઊપજના ભાવ, સંગ્રહણની વ્યવસ્થા અને કર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ઉનાળું અને ચોમાસું પાકની વાવણીપૂર્વે ખેતઊપજોનું ન્યૂનતમ સમર્થનમૂલ્ય નક્કી કરે છે. ૧૯૬૬-૬૭માં સૌ પ્રથમ ઘઉંના ટેકાના ભાવો આપવામાં આવ્યા હતા. હાલમાં ૭ ધાન્ય, ૭ તેલીબિયાં, ૫ કઠોળ અને ૪ રોકડિયા પાકો મળી કુલ ૨૩ ખેતપેદાશોની એમ.એસ.પી. જાહેર કરવામાં આવે છે. ગયા વરસથી દેશમાં સૌપ્રથમ વખત કેરળ સરકારે ૧૬ શાકભાજીનું ન્યૂનતમ સમર્થનમૂલ્ય જાહેર કર્યું છે.
ખેડૂતોને બીજ, ખાતર, સિંચાઈ માટે થતો રોકડ ખર્ચ ઉપરાંત તેના કુટુંબની ખેતી માટેની મહેનતનું મૂલ્ય પણ એમ.એસ.પી.ની ગણતરીમાં લેવાય છે. ૨૦૦૪ના સ્વામિનાથન આયોગે ખેડૂતના સરેરાશ ઉત્પાદનખર્ચમાં બીજી ૫૦ ટકા રકમ ઉમેરી દોઢી એમ.એસ.પી. નક્કી કરવા ભલામણ કરી હતી. બી.જે.પી.એ ૨૦૧૪માં સ્વામિનાથન આયોગના અમલનું વચન આપ્યું હતું. પણ તેનો અંશતઃ અમલ ૨૦૧૮-૧૯માં કર્યો હતો. સરકારનો દાવો છે કે તે હાલમાં જે એમ.એસ.પી. જાહેર કરે છે, તે ખેડૂતના ખર્ચ કરતાં દોઢ ગણી હોય છે. જો કે સ્વામીનાથન આયોગે ખેડૂતની જમીનનું ભાડું અને ખેતી માટેની તેની મૂડી પરનું વ્યાજ પણ એમ.એસ.પી.ની ગણતરીમાં લેવા સૂચવ્યું હતું, પણ સરકારે હજુ તેનો અમલ કર્યો નથી..
આશરે ૨૦૦ દિવસોથી ચાલતા કિસાન-આંદોલનની માંગણી ત્રણ કૃષિકાયદા રદ્દ કરવાની અને એમ.એસ.પી.ને કાયદેસર બનાવવાની છે. ન્યૂનતન સમર્થનમૂલ્યથી ઓછી કીંમતે ખાનગી વેપારી પણ ખેડૂતો પાસેથી ખેતપેદાશ ખરીદી શકે નહીં, તેવો કાયદો ઘડવાની કિસાન આંદોલનની માંગ ન્યાયસંગત છે ? શું સરકાર એમ.એસ.પી. નાબૂદ કરી દેશે ? શું એમ.એસ.પી. કાળગ્રસ્ત થઈ છે ? એમ.એસ.પી.નો લાભ તમામ ખેડૂતોના બદલે થોડા મોટા ધનિકવર્ગના ખેડૂતોને જ મળે છે ? એમ.એસ.પી. સરકાર કે ખેડૂતો પૈકી કોના માટે ખોટનો ધંધો છે, જેવા સવાલો ચર્ચાય તો જ તેનું રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ સમજી શકાય.
શાંતાકુમાર સમિતિ અને નીતિ આયોગે ન્યૂનતમ સમર્થનમૂલ્યથી ખેતઊપજોની થતી સરકારી ખરીદી ઘટાડવાની ભલામણ કરી છે. નવા કૃષિકાયદાઓમાં હાલની ખેતઉત્પન બજારસમિતિઓ (એ.પી.એમ.સી.) ઉપરાંત ખાનગી વેપારની છૂટ આપી છે, તેથી સરકાર ક્રમશઃ એ.પી.એમ.સી. અને એમ.એસ.પી. બંધ કરશે, તેવો ખેડૂતોને વાજબી ડર છે. કૃષિઊપજ વધારવામાં અને ખેડૂતોને ઊપજના યોગ્ય ભાવ આપી તેમની આવક સુનિશ્ચિત કરવામાં ન્યૂનતમ સમર્થન મૂલ્યનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. સરકાર ૨૩ ખેતપેદાશોનું ન્યૂનતમ સમર્થનમૂલ્ય જાહેર કરે છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને સસ્તા ભાવે રાશન આપવા ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોય છે. જો કે પી.ડી.એસ.માં ગરીબોને મુખ્યત્વે ઘઉં અને ચોખા જ આપવામાં આવતા હોય છે. એટલે ખરીદી ત્રેવીસ ખેતઊપજોની નહીં, બે-પાંચની જ થાય છે. દેશમાં દોઢસો જેટલા પાક લેવાય, તેના છઠા ભાગના પાકના ટેકાના ભાવ જાહેર કરાય છે અને તેમાંથી માંડ પાંચમા ભાગની ખેતઊપજની સરકારી ખરીદી થતી હોય છે, તેથી એમ.એસ.પી.નો લાભ ખેડૂતોના સીમિતવર્ગને મળે છે.
એમ.એસ.પી.થી દેશના તમામ ખેડૂતોની, તમામ પ્રકારની અને સંપૂર્ણ ખેતઊપજની ખરીદી થતી નથી. બધા જ અભ્યાસો દેશના ૬થી ૨૦ ટકા ખેડૂતોને જ એમ.એસ.પી.નો લાભ મળતો હોવાનું જણાવે છે. દેશનાં તમામ રાજ્યોના ખેડૂતોને નહીં, પણ દસેક રાજ્યોના ખેડૂતોની, ઘઉં-ચોખાના પાક માટે જ એમ.એસ.પી.થી ખરીદી થાય છે. એમ.એસ.પી.ને કારણે દેશ અનાજની બાબતમાં આત્મનિર્ભર બની શક્યો છે અને અનાજના વિપુલ ભંડારો ભરેલા છે, તે હકીકત છે. પરંતુ ઉદારીકરણ અને ખાનગીકરણને કારણે લોકશાહી સરકાર તેના કલ્યાણરાજ્યના આદર્શને ફગાવી રહી છે. ભ્રષ્ટાચાર-નાબૂદીના નામે સબસિડી સીધી લાભાર્થીના બૅન્કએકાઉન્ટમાં જમા કરાવવાનું વલણ લઈ રહી છે. એટલે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જાહેર વિતરણવ્યવસ્થા હેઠળના અનાજની સરકારી ખરીદી પણ શંકાના દાયરામાં હોવી સ્વાભાવિક છે.
ભારતના અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોની વૃદ્ધિ કોરોના મહામારીને કારણે ધીમી છે, પરંતુ ખેતીક્ષેત્રની વૃદ્ધિ જોરમાં છે. છેલ્લાં પાંચ વરસોની તુલનાએ ૨૦૨૦-૨૧માં ખાદ્યાન્નનું ઉત્પાદન ૨.૭ કરોડ ટન વધારે છે. સિંચાઈ પર આધારિત ઘઉં-ચોખા જ નહીં, વરસાદી ખેતીથી પાકતા જુવાર-બાજરાનું ઉત્પાદન પણ વધ્યું છે. કૃષિનિકાસમાં ૧૮ ટકાની વૃદ્ધિ થઈ છે.આખી દુનિયાને એક વરસ ચાલે તેટલો, ૨૮૦ લાખ ટન, ચોખાનો બફરસ્ટૉક ૨૦૨૦ની ખરીફ મોસમપૂર્વે દેશમાં હતો. અનાજની બાબતમાં જો દેશ આટલો બધો આત્મનિર્ભર હોય, તો એમ.એસ.પી.નો મૂળ હેતુ પૂર્ણ થયેલ છે, તેથી તેના ટેકાના ભાવ આપવામાં અર્થકારણ ઓછું અને રાજકારણ વધુ છે તેવી દલીલ થાય છે.
ન્યૂનતમ સમર્થનમૂલ્યના રાજકારણનું શ્રેષ્ઠ ઉદાહરણ પંજાબના ખેડૂતો છે. પંજાબમાં હરિતક્રાંતિને કારણે ઘઉં-ચોખાનું વિપુલ ઉત્પાદન થયું. પણ હવે તેનાં વળતાં પાણી છે. ૧૯૬૦-૬૧માં પંજાબમાં ૧૪ લાખ હૅક્ટરમાં ઘઉં અને ૨.૨૭ લાખ હૅક્ટરમાં ચોખાની ખેતી થતી હતી. સાઠ વરસો બાદ, ૨૦૧૯-૨૦માં, તે વધીને અનુક્રમે ૩૫.૦૮ અને ૨૯.૨૦ લાખ હૅક્ટર થઈ છે. પરંતુ પાણીના બેફામ ઉપયોગ અને એકધારા પાકની ખેતીથી હવે પંજાબનો કૃષિદર ઘટીને ૫.૭ ટકાથી ૧.૬ ટકા જ થયો છે. એમ.એસ.પી.ને કારણે કૃષિપાકોની વિવિધતા ઘટી છે, તે પણ સૌથી મોટો ગેરલાભ છે.
છઠ્ઠી જૂન, ૨૦૨૧ સુધી એમ.એસ.પી.થી ૪૧૮.૪૭ લાખ મૅટ્રિક ટન ઘઉંની સરકારી ખરીદી થઈ છે. ગયા વરસની ૩૭૨.૨૨ લાખ મૅટ્રિકટનની તુલનાએ તે આશરે ૧૨ ટકા વધુ છે. ૨૦૧૯-૨૦માં સરકારે એમ.એસ.પી.થી રૂ. ૬૦,૦૩૮.૬૮ કરોડ ખર્ચીને ૨૯.૭૦ લાખ ખેડૂતો પાસેથી અનાજ ખરીદ્યું હતું. જો કે હજુ પણ અનાજની ખરીદીમાં પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એ પાંચ રાજ્યો જ મોખરે હોય છે. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે, પરંતુ તે કુલ ઉત્પાદનના ૧૦થી ૨૦ ટકા જ હોય છે. ૨૦૧૯-૨૦માં રાજ્યમાં પાકેલી કુલ મગફળીમાંથી ૧૦.૭૮ ટકાની જ એમ.એસ.પી.થી સરકારી ખરીદી થઈ હતી.
મોટા ભાગના ખેડૂતોને એમ.એસ.પી.થી ઓછા ભાવે ખાનગી વેપારીઓને ખુલ્લા બજારમાં પોતાની ખેતપેદાશો વેચવી પડે છે. મધ્ય પ્રદેશ સરકારે ટેકાના ભાવ અને ખેડૂતને ઓછા મળેલા ભાવનો તફાવત ચૂકવવા ‘ભાવાંતર ભુગતાનયોજના’ અમલી કરી છે. કેન્દ્ર સરકાર ‘કિસાન સન્માનનિધિ યોજના’ હેઠળ ખેડૂતના ખાતામાં ચોક્કસ રકમ જમા કરે છે, પરંતુ તેમ છતાં ખેડૂતને ઊપજના વળતરદાયક ભાવ મળતા ન હોવાની ફરિયાદ ઊકલતી નથી. ‘પરથમીનો પોઠી’ કે ‘અન્ન્નદાતા’ ગણાતો ખેડૂત તેની મહેનતનું યોગ્ય વળતર પણ ન મેળવી શકે તે સ્થિતિ તાકીદે ઉકેલ માંગે છે. જો સરકાર એમ.એસ.પી.નો વ્યાપક ઉપયોગ કરે, તેને કાયદેસરતા બક્ષે અને પાક વીમાનો યોગ્ય અમલ કરે, તો કદાચ ખેડૂતનું દુઃખ થોડું હળવું થઈ શકે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 10-11
 ![]()


ગત વરસના મે મહિનામાં કાળા અમેરિકી નાગરિક જ્યોર્જ ફ્લોઈડને સામાન્ય ગુના બદલ ગોરા પોલીસ અધિકારીએ જાહેર રસ્તા પર મારી નાંખ્યા હતા.. ફ્લોઈડની વરસી પૂર્વે જ બાર જજોની ગ્રાન્ડ જ્યુરીએ ગોરા પોલીસ અધિકારી ડેરેક ચૉવિનને દોષિત ઠેરવતો ચુકાદો આપી દીધો છે. ફ્લોઈડની હત્યાનો અને રંગભેદી અત્યાચારોનો વિશ્વભરમાં ભારે વિરોધ થયો હતો. પોલીસે તેના પગનો ઘૂંટણ ફ્લોઈડની ગરદન પર મૂકીને તેમના શ્વાસ રુંધી નાંખ્યા હતા. તે સમયે ‘મારો શ્વાસ રુંધાય છે’ તેમ સતત બોલતાબોલતા ફ્લોઈડે અંતિમ શ્વાસ લીધા હતા. એટલે ફ્લોઈડના આ આખરી શબ્દો વિરોધ આંદોલનનો નારો બની ગયા હતા. કાળી પ્રજા ગોરી દુનિયામાં રોજબરોજ જે રુંધામણ, અત્યાચાર અને ભેદભાવ અનુભવે છે, તેનો પડઘો તેમાં જોવા મળતો હતો. ચૉવિનને દોષિત ઠેરવતા અમેરિકી કોર્ટના ચુકાદાને આવકારતા, રાષ્ટ્રપતિ જો બાઈડને વાજબી રીતે જ ફ્લોઈડની હત્યા પછીના વિરોધ આંદોલનને સિવિલ વોર પછીનું સૌથી મજબૂત આંદોલન ગણાવ્યું છે. ફ્લોઈડની હત્યાને અમેરિકાના આત્મા પરનો ડાઘ કહી, આવી ઘટનાઓનાં પુનરાવર્તનને  અટકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં પસાર કરાયેલા, રાજકીય રીતે લવજેહાદ વિરોધી કાયદા તરીકે પ્રચારિત, ‘ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧’ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. સરકારે નિયમો ઘડી આ  કાયદાનો ૧૬મી જૂન, ૨૦૨૧થી અમલ પણ શરૂ કરી દીધો છે. અગાઉ ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્ત રપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઉત્તરા ખંડમાં લવજેહાદ વિરોધી કાયદા ઘડાયા હતા. હવે ગુજરાત પણ તેમની પંગતમાં આવી ગયું છે. આ કાયદા મુજબ ૨૦૦૩ના ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક  સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓને બળજબરીથી, ફોસલાવીને કે કપટથી લગ્ન કરવાનો અસલી મકસદ ધર્મપરિવર્તનનો હોય, તો તેને ગુનો ગણી ત્રણથી દસ વરસની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં થયેલી ચર્ચાઓ અને હિંદુત્વ બળોની લવજેહાદ વિરોધી ઝુંબેશ પરથી સમજાય છે કે મુસ્લિમ પુરુષો દ્વારા બિનમુસ્લિમ સ્ત્રીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતર કરાવવામાં આવી રહ્યાનું, તે માટેના સામૂહિક પ્રયાસો કે ષડ્યંત્રો થતાં હોવા જેવી બાબતોની જોગવાઈ ધરાવતા આ કાયદા પાછળ મૂળે રાજકીય હેતુ છે.