ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, 7 ફેબ્રુઆરી 2026ના રોજ, ગોલ્ડર્સ ગ્રીનના યુનિટેરિયન ચર્ચ ખાતે પ્રાર્થના અને પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે ભૂતકાળમાં કે વર્તમાન કાળમાં માનવ માત્રની સેવા અર્થે કાર્ય કરી ગયેલા અને કરી રહેલા મહાનુભાવોનાં જીવન અને કાર્યની વાત ગાંધી નિર્વાણ દિને કરીને ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
તે દિવસના મુખ્ય વક્તા રેવરંડ ફરગસ[Reverend Feargus]ના વક્તવ્યનો અનુવાદ અહીં પ્રસ્તુત કરું તે પહેલા એમનો ટૂંક પરિચય આપીશ.
રેવરંડ ફરગસ આઇરિશ યૂનિટેરિયન ચર્ચના મિનિસ્ટર છે. તેઓ ગાંધીજીના અહિંસાના વિચારોને સમર્પિત છે. તેઓ 2003-2023 દરમિયાન વર્લ્ડ કાઁગ્રેસ ઓફ ફેઈથના સેક્રેટરી રહી ચુક્યા છે અને એનિમલ ઇન્ટર ફેઈથ એલાયન્સના સ્થાપક તથા તેના મુખ્ય સંચાલક હતા. ઉપરાંત રેવરંડ ફરગસ ગાંધી શ્વાઈત્ઝર યુનિવર્સલ કિનશિપ, ક્લારા બાર્ટન હ્યુમૅનિટેરિયન અપીલ (બ્રિટિશ રેડક્રોસ) તથા ઇગ્લેન્ટીન જેબ અપીલ(સેવ ધ ચિલ્ડ્રન યુ.કે.)ના સ્થાપકોમાંના એક છે. તેઓ ગાંધી ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોરના પણ ચાહક છે.
રેવરંડ ફરગસના વક્તવ્યનો અનુવાદ અહીં સાદર પ્રસ્તુત :

રેવરંડ ફરગસ
મહાત્મા ગાંધીના નિર્વાણ દિને હર સાલ ગોલ્ડર્સ ગ્રીન યુનિટેરિયન ચર્ચમાં ગાંધી ફાઉન્ડેશન સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરે છે એ આપણા સહુ માટે સન્માનનો વિષય છે. માનદ મિનિસ્ટર તરીકે આ વર્ષની સભામાં મહાત્મા અને તેમની અહિંસાની નીતિ વિશે બધા ધર્મના પ્રતિનિધિઓ તેમ જ ગાંધી વિચારના અનુરાગી જન સમક્ષ વક્તવ્ય આપવાની તક મળી તે માટે હું ખાસ ગૌરવ અનુભવું છું.
મારા આ પહેલાનાં પ્રવચનોમાં મેં લિયો ટોલ્સટોય, ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, થિચ ન્હાટ હાન્હ, ડેસમન્ડ ટુટુ, શ્રદ્ધેય દલાઈ લામા અને આપણને પ્રેરણા પૂરી પાડનારા અહિંસાના અન્ય પ્રચારકોને શ્રદ્ધાંજલિ આપી છે. આજે હું ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર અને ખુદ ગાંધીજીને જ નહીં, પરંતુ બીજા ત્રણ પ્રેરણાદાયી માનવતાવાદીને માનપૂર્વક અંજલિ આપવા માંગુ છું અને તેમની સ્મૃતિને અને તેમના જીવનકાર્યને કઈ રીતે વ્યવહારમાં અમલી બનાવી શકાય તે વિશે વાત કરવા ધારું છું.
પહેલી વ્યક્તિ છે, ક્લારા બાર્ટન (1821-1912), અમેરિકન રેડક્રોસના અને અમેરિકન સિવિલ વોર દરમિયાન ‘એન્જલ ઓફ ધ બેટલ ફિલ્ડ’ના સ્થાપક.

ક્લારા બાર્ટન
લોર્ડ શાફ્ટસબરી, ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર, અને ગાંધી જેવા વ્યવહારુ માનવહિત સમર્થકોની જેમ ક્લારા પણ પીડિત માનવ જાતને ઘણા મદદરૂપ થયાં. તેઓ માનવતા અને કરુણાની પ્રખર લાગણી તથા બીજાના જીવનને બચાવવાની અદમ્ય ઇચ્છા અને યુદ્ધ તથા કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને રાહત આપવાના ધ્યેયથી દોરવાયેલા હતા. આનાથી વધુ ઉમદા લાગણી બીજી કઈ હોઈ શકે?
રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીનાં વિશ્વવ્યાપી કાર્યો માનવતા, નિષ્પક્ષપાતીપણું, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને વૈશ્વિકતા જેવા સિદ્ધાંતો પર હજુ આજે પણ કાર્યરત છે જેની પ્રેરણા ક્લારાએ પૂરી પાડી હતી.
બીજી પ્રેરણાદાયક વ્યક્તિનો ઉલ્લેખ કરવા માંગુ છું તે છે હેન્રી ડૂનન્ટ (Henri Dunant – 1828-1910).

હેન્રી ડૂનન્ટ
આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ પોતાના અસ્તિત્વ માટે આ સ્વિસ માનવતાવાદી દૃષ્ટિનું ઋણી છે. ઉત્તરી ઇટલીના સોલફેરીનો વિસ્તારમાં જ્યાં નેપોલિયનનું લશ્કર ઑસ્ટ્રિયાના લશ્કર સાથે લડાઈ ખેલી રહ્યું હતું ત્યાં લોહિયાળ ખાનાખરાબીના સાક્ષી બન્યા બાદ હેન્રી એટલા વિચલિત થઈ ગયા કે તેમણે ‘સોલફેરીનોની સ્મૃતિમાં’ નામની નાની પુસ્તિકા લખી. તેમાં એમણે રણમેદાનની અસ્તવ્યસ્ત, વેરણછેરણ અને શબ્દાતીત હતાશા અને દુઃખદ સ્થિતિ અને ઘાયલ થયેલાની સારવાર કરવાની મથામણનું વર્ણન કર્યું છે.
1863માં જીનીવા સોસાયટીની સ્થાપના થઇ અને 16 દેશોમાંથી 39 પ્રતિનિધિઓએ જીનીવામાં પછીથી જે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસના નામે જાણીતું થયું એ સંગઠનની રચના કરવા માટે પરિષદ યોજી હતી. 1864માં બાર દેશોએ આંતરરાષ્ટ્રીય કરાર પર સહી કરી, જે જીનીવા કન્વેન્શન તરીકે ઓળખાય છે. રેડક્રોસનું પરિચિત સફેદ કાપડ પર લાલ ક્રોસનું પ્રતીક તે વખતે સ્વીકારવામાં આવ્યું. હેન્રી ડૂનન્ટએ માનવહિતના સાહસ પાછળ પોતાની તમામ મિલકત અને શક્તિ ખર્ચ્યા અને છેવટ ગરીબી અને ઉપેક્ષિત દશામાં મૃત્યુ પામ્યા.
ખરું જોતાં હેન્રી ડૂનન્ટએ 1864માં રેડક્રોસ સોસાયટી હોનારત અને યુદ્ધ સમયની કટોકટીમાં રાહત પહોંચાડે એવું સૂચન કરેલું, પરંતુ તે પછીનાં વર્ષોમાં ક્લારા રેડક્રોસના કાર્યોની સહુથી સબળ સમર્થક બની. 1884ની ઇન્ટરનેશનલ રેડક્રોસની ત્રીજી પરિષદમાં અમેરિકન રેડ્ક્રોસે જીનીવા ટ્રીટીમાં ફેરફાર કરીને માત્ર યુદ્ધના ભોગ બનેલા જ નહીં પણ કુદરતી આફતમાં ફસાયેલા લોકોને રાહત પહોંચાડવાનો સમાવેશ કરી રેડક્રોસના કાર્યનો વ્યાપ વધારવાનું સૂચન કર્યું હતું. આ પ્રસ્તાવ પાસ થયો અને જીનીવા ટ્રીટી 1864ના ‘અમેરિકન સુધારણા’ તરીકે ઓળખાવા લાગ્યો. હેન્રી ડૂનન્ટ અને ક્લારા બાર્ટનના પ્રયાસોના ફળસ્વરૂપ રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ જેવા સંસ્થાનો દ્વારા જગત આખામાં કુદરત અને માનવ સર્જિત આપત્તિઓને પરિણામે પીડિત થયેલાઓ માટે રાહત પહોંચાડવાનાં અને જીવન બચાવવાનાં કર્યો થતાં રહ્યાં છે એ પરોપકારી અને કરુણામય કર્તવ્યનું ઉમદા ઉદાહરણ છે.
ત્રીજી માનવતાવાદી વ્યક્તિને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માંગુ છું એ છે ઇગ્લેન્ટીન જેબ (Eglantyne Jebb (1876-1928).

ઇગ્લેન્ટીન જેબ
ઓસ્ટ્રિયા અને જર્મની વચ્ચેની લડાઈમાંથી બચી જવા પામેલ નિર્દોષ બાળકો, કે જેને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ‘દુશ્મન’ ગણવામાં આવ્યા હતા તેમના ભય ઉપજાવે ફોટા અખબારોમાં જોયા પછી 1919માં ઇગ્લેન્ટીન જેબ એ હકીકતની જાણ કરતી પત્રિકાઓ ટ્રફાલગર સ્ક્વેરમાં વહેંચવા ગઈ. જો કે 11 નવેમ્બર 1918ને દિવસે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો હતો, પણ મિત્ર રાજ્યોએ કહેવાતા ‘દુશ્મન’ બારાં પર નાકાબંધી કરવાની ચાલુ રાખી હતી, જેને કારણે ખોરાક અને દવાનો જરૂરી પુરવઠો અત્યંત મર્યાદિત થઈ ગયો. પરિણામે ત્રણ મિલિયનથી વધુ બાળકો પર ભૂખમરાનો ભય તોળાઈ રહ્યો.
અખબારોમાં જોયેલી તસવીરો જોઈને ઇગ્લેન્ટીનને ફાઇટ ધ ફેમીન કાઉન્સિલમાં જોડાવાની પ્રેરણા થઈ. એ સંગઠન આવાં બાળકો સુધી જીવન બચાવે તેવો ખોરાક અને દવાઓ પૂરા પાડવાનું કામ કરે છે. ઇગ્લેન્ટીનના બહેન ડોરોથી, કે જેઓ કવેકરમાં જોડાયાં અને રિલિજિયસ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સમાં પરોપકારની ભાવનાથી કાર્યરત રહ્યાં. આ બંને બહેનોએ દુનિયાના કોઈ પણ ભાગમાં રહેતાં તમામ બાળકોને માનવતાથી પ્રેરાઈને મદદ પહોંચાડવાનું અને લડાઈ બાદ નાકાબંધી દૂર કરવાનું કામ કર્યું. ઇગ્લેન્ટીને મહિલાઓના માન્ય વર્તનના ધોરણોના એડવોર્ડીયન ખ્યાલો સામે પડકાર ફેંક્યો અને ટ્રફાલગર સ્કવેરમાં જઈને લોકોના મનમાં આ ભૂખ્યાં બાળકો માટે રસ પેદા કરવા પહોંચી ગઈ. તેની પત્રિકામાં ‘આપણી નાકાબંધીને કારણે આ સ્થિતિ સર્જાઈ – લાખો બાળકો ભુખ્યાં તરફડે છે અને મોતને ભેટે છે’ એવાં લખાણ સાથે કૃશકાય બની ગયેલાં બાળકોના ફોટા હતા.
લંડનમાં વિરોધી દેખાવો કરવા બદલ ઇગ્લેન્ટીનની ધરપકડ કરવામાં આવી. એ ગુનેગાર સાબિત થઇ પરંતુ તહોમત મુકનાર તેની નિર્દોષ અને પીડિત બાળકો પ્રત્યેની કરુણા અને નિષ્ઠાથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેને થયેલ દંડ પોતે ભરી દીધો. 1919માં તેણે સ્થાપેલ સેવ ધ ચિલ્ડ્રનનું એ પહેલું દાન હતું. (પછીથી એ સેવ ધ ચિલ્ડ્રન ફંડના નામે ઓળખાય છે). બે વર્ષમાં ઇગ્લેન્ટીન બાળકો માટે મોટા રાહત કાર્યના પ્રકલ્પની આગેવાની કરવા લાગ્યા હતાં. 1921-22માં રશિયામાં પડેલ દુષ્કાળે લાખો બાળકોને દારુણ અને જોખમભરી પરિસ્થિતિમાં મૂકી દીધા. મોટા ભાગના બાળકો ભૂખમરાને કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ઇગ્લેન્ટીનના ફંડ એકઠું કરવાના અથાક પ્રયાસોને લીધે સેવ ધ ચિલ્ડ્રન સેંકડો ટન ભરીને ખોરાક અને દવાઓ રશિયા પહોંચાડી શક્યું. રોજ સેંકડો અને હજારો બાળકોને પોષક ખોરાક આપવામાં આવતો હતો.
ઇગ્લેન્ટીન જાણતા હતાં કે બાળકોની જરૂરિયાતો ખાસ પ્રકારની હોય છે અને તેઓ મક્કમપણે માનતાં હતાં કે દુનિયાની દરેકે દરેક વ્યક્તિએ બાળકોના અધિકાર અને કલ્યાણ માટે જવાબદારી લેવી જોઈએ. તેમણે ડેક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડ નામનો ઐતિહાસિક પરિપત્ર લખ્યો, જે 1924માં લીગ ઓફ નેશન્સના જીનીવા કન્વેનશનમાં સ્વીકારવામાં આવ્યો હતો. બાળકોના જે માનવ અધિકારો હોવા જોઈએ એમ ઇગ્લેન્ટીન માનતા હતા એ બધા એ ડેક્લેરેશનમાં સમાવિષ્ટ હતા. તેનો સારાંશ આ મુજબ છે: ‘હું માનું છું કે આપણે બાળકોના કેટલાક અધિકારો માન્ય રાખવા જોઈએ અને તેને વૈશ્વિક માન્યતા મળે તે માટે સખત પરિશ્રમ કરવો જોઈએ, જેથી કરીને બધા – જેઓ આવા રાહત ફંડમાં ફાળો આપવા શક્તિમાન છે તેટલા જ માત્ર નહીં – પણ જેઓ કોઈ પણ રીતે બાળકોના સંપર્કમાં આવે; એટલે કે મોટા ભાગની માનવ જાત – આ પ્રયાસને આગળ ધપાવવા મદદરૂપ થઇ શકે.’
આ નિવેદન થોડા વિસ્તૃત રૂપમાં 1959માં યુનાઇટેડ નેશન્સમાં સ્વીકારવામાં આવ્યું હતું. 1989માં એ યુ.એન.ના સીમાચિહ્નરૂપ માનવ અધિકારના કરારનામા કન્વેનશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડ માટે પ્રેરણા સ્રોત સમું સાબિત થયું.
ઇગ્લેન્ટીન તેમની ઝુંબેશને કારણે પડેલ શ્રમ અને થાઇરોઇડની તકલીફને કારણે બીમારી ભોગવીને 1928માં 52 વર્ષની વયે મૃત્યુ પામ્યાં. એમની દૃષ્ટિ અને મિશન સેવ ધ ચિલ્ડ્રન જેવા સંગઠનના રૂપમાં દુનિયાના 120 દેશોમાં કાર્યરત રહીને જીવંત રહ્યા છે.
આજે આપણે આ પ્રેરણાદાયી માનવતાવાદી હસ્તીઓનું માત્ર સન્માન કરવા જ નહીં, પરંતુ એમના પદચિહ્નો પર ચાલવા પ્રતિબદ્ધ થવા અને વ્યવહારુ પગલું ભરવા એકઠા મળ્યા છીએ. આજે ગાંધી ફાઉન્ડેશન અને દરેક ધર્મના લોકોના સદ્ભાવથી ગાંધી શ્વાઈત્ઝર હ્યુમૅનિટેરિયન ફેલોશીપનો પ્રારંભ કરીએ છીએ. આ ઇન્ટર ફેઈથ ફેલોશિપનો હેતુ મહાત્મા ગાંધી અને આલ્બર્ટ શ્વાઈત્ઝરની કરુણા, ઊંડી તાદાત્મ્યની ભાવના અને નૈતિક મિશનની સ્મૃતિનું સાદર સન્માન કરવાનો છે.
“કોઈ પણ વ્યક્તિ એક આત્માનો નાશ કરે તો એ સમગ્ર વિશ્વનો નાશ કરે છે તેમ માનવામાં આવે છે. અને જો કોઈ એકની જિંદગી બચાવે છે, તો એ જાણે કે આખી દુનિયાને બચાવે છે તેમ માનવામાં આવે છે.” (જેરુસલેમ તાલમુદ)
“જે કોઈ એક જિંદગી બચાવે છે એ આખી માનવજાતને બચાવે છે.” (કુરાન)
યુદ્ધના ભોગ બનેલા લોકો પ્રત્યેની અનુકંપા આપણને સત્કાર્ય કરવા પ્રોત્સાહન આપે છે. આપણે સહુ યુદ્ધનો અંત લાવવા માટે પ્રયત્નશીલ રહીએ, વિશ્વમાં શાંતિ અને કરુણા જળવાઈ રહે અને અમૂલ્ય માનવ જીવનની રક્ષા કરી શકીએ તેવી પ્રાર્થના.
e.mail : 71abuch@gmail.com
![]()

