એપ્રિલ માસમાં આવતી મહાપુરુષોની જયંતીઓના ત્રિવેણી સંગમે, નારાયણ ગુરુના આદર્શોથી માંડીને આંબેડકર–જગજીવનરામના સંવાદો દ્વારા રચાતા ભારતીય દલિત વિમર્શનો તારસ્વર

બાબુ જગજીવન રામ અને બાબાસાહેબ આંબેડકર

પ્રકાશ ન. શાહ
હમણે વાંચી તો રહ્યો છું એક હસ્તપ્રત, જગજીવન રામ વિશે અરવિંદ માર્ડનની કલમે : જોઉં છું કે પાંચમી એપ્રિલે એમની જન્મજયંતી ટકોરા દઈ રહી છે; અને વાંસોવાંસ ફુલે જયંતી (અગિયારમી એપ્રિલ) અને આંબેડકર જયંતી (ચૌદમી એપ્રિલ) પણ … બિલકુલ, એપ્રિલ જાણે કે દલિત ઇતિહાસ માસ સ્તો.
જો કે આ લખી રહ્યો છું ત્યારે બે પિછવાઈધક્કા પણ ચિરશોભીતા અનુભવું છું. હવામાં કાંશીરામને ભારતરત્ન ઘોષિત કરવાની માંગ માયાવતીની જ નહીં, રાહુલ ગાંધીની પણ છે. વળી, ખાસ તો, આજકાલ શશી થરુરની નારાયણ ગુરુ પરની કિતાબ ચર્ચામાં છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ગાળામાં એક તબક્કે એ કેવી મોટી ઘટના હશે, એનો બને કે આજે આપણને પાધરો ખયાલ નયે હોય. પણ વરસેક પર વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી વિશે વાંચવા-લખવાનું થયું ત્યારે ગાંધીજીનો એક હૃદયવેધી ઉદ્દગાર બલકે પુણ્યાવેશી ચિત્કાર નોંધવાનું બન્યું હતું તે બસ થઈ પડશે. મંદિર ફરતે જે રસ્તાઓ હતા તેમાં દલિતોને ચાલવાની પરંપરાગત બંધી હતી. ગાંધીજીએ કહ્યું હતું : જેની ફરતે રસ્તા પર નારાયણ ગુરુ પણ ન ચાલી શકે તેવું મંદિર હું કલ્પી શકતો નથી.
ઈસવી 2000 સંકેલાતે મેન ઓફ ધ મિલેનિયમ કોણ એવી ચર્ચામાં વિશ્વસ્તરે ઊપસેલું નામ ગાંધીજીનું હતું. પણ 1999માં એક મલયાલી અખબારે કેરળ પૂરતું આવું સર્વેક્ષણ કર્યું ત્યારે ઉભરેલું નામ નારાયણ ગુરુનું હતું : વાયકોમ પર્વમાં ગાંધીનું નારાયણ સ્મરણ એક સહસ્રાબ્દી પુરુષે બીજા સહસ્રાબ્દી પુરુષને આપેલી અનન્ય અંજલિ હતી.
જે કાળે બેછૂટ છુઆછુતને કારણે વિવેકાનંદને કેરળની ભૂમિ ગાંડાઓના આશ્રયધામ (લ્યુનેટિક એસાયલમ) જેવી લાગી હતી એની વચ્ચે નારાયણ ગુરુ આવ્યા અને એક નાત, એક ધર્મ, એક ઈશ્વર એવા ખ્યાલ સાથે કેમ જાણે છાઈ ગયા. શિવગિરિ જાતરાનો જે સમો એમણે બાંધી જાણ્યો એમાં ઊપસી રહેલાં વાનાં શિક્ષણ, સ્વચ્છતા, ખેતી, ઉદ્યોગ ને ટેકનિકલ ટ્રેઈનિંગ જેવાં હતાં. વિશેષતા એ રહી નારાયણ ગુરુની ધર્મચર્ચાની કે એમાંથી દેશનું સંભવત: પહેલું રેશનલિસ્ટ એસોસિએશન આવ્યું, અને એક તગડમસ્ત લેબર યુનિયન પણ!
વાયકોમ દિવસોમાં, એમ તો, કાઁગ્રેસમેન પેરિયાર પણ સત્યાગ્રહ સાથે હતા પણ એ મોળો લાગતાં ખસી ગયા હતા. જો કે એમની રીતે એમણે પૂરા કદનો જ વૈકલ્પિક વિમર્શ જગવ્યો એની વચાળે ગાંધી પરત્વે એમનો અભિગમ પ્રસંગે સલામત અંતર એટલો જ સટીક સમાદરનો રહ્યો.
આ ત્વરિત તવારીખી ટિપ્પણીમાં એક સાથે જે બધાં નામો દડી આવે છે, દોડી આવે છે, તે બધા મળીને ખરું જોતાં પ્રજાસત્તાક સ્વરાજને લાયક દલિત વિમર્શ માટેની સર્વાંગી ખોજમથામણનો ગોફ રચે છે. સમાજસુધારા વગર ચાલવાનું નથી. તે સંદર્ભે ધર્મશોધન કદાચ દુર્નિવાર છે. મહારાષ્ટ્રની ફુલે-આંબેડકર પરંપરા જુઓ. શિવાજી તો અમારા શુદ્રોના રાજા કહેતાં ફુલે અંગ્રેજી રાજને કારણે જે સમતાલક્ષી સંભાવના ઊભી થઈ એના કાયલ છે. આંબેડકર બૌદ્ધ બનવું પસંદ કરે છે, અને ક્યારેક વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર રહ્યા પછી એ તમને પ્રજાસત્તાક સ્વરાજના બંધારણના અગ્ર ઘડવૈયાઓમાં જોવા મળે છે.
પુના કરારે ગાંધી-આંબેડકર જેવા બે કથિત સ્પર્ધી ભેરુઓને એવા સાંકળ્યા છે કે ગાંધીસૂચને આંબેડકર નેહરુ-પટેલના બરકયા સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળ પર છે. આ તો પ્રમાણમાં જાણીતી વિગત છે. પણ ઇંદ્રાણીએ પતિ જગજીવન રામનાં જે સંસ્મરણો આલેખ્યાં છે એમાં નોંધ્યું છે કે ત્યારે દલિત છેડેથી કાઁગ્રેસ નેતૃત્વમાં ઉભરેલા જગજીવન રામ પણ આંબેડકર સાથી પ્રધાન હોય તેવું સૂચવવામાં હતા. જે અર્થમાં જગજીવન રામ સીધી સ્વરાજ લડતમાં હતા તે અર્થમાં આંબેડકર અલબત્ત નહોતા. પણ સમતા વગરની રાજકીય સ્વતંત્રતા અધૂરી છે એ સમજમાં તો બેઉ સાથે જ હતા ને.
પુના કરાર સાથે આંબેડકર રાષ્ટ્રીય સ્તરે ઊંચકાયા ત્યારે જગજીવન રામની રાજકીય કામગીરી ને કારકિર્દીની પણ માંડ શરૂઆત હશે. બિહારના આ તેજસ્વી છાત્રને માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ સારુ નિમંત્ર્યા, પણ જેમ સયાજીરાવ આંબેડકરને નિવાસ ન અપાવી શક્યા તેમ માલવિયાજી જગજીવન રામને છાત્રાવાસ ન અપાવી શક્યા. કલકત્તે જઈ ભણી ઊતર્યા ને ડિપ્રેસ્ડ લીગ તેમ કાઁગ્રેસ મારફતે સક્રિય બન્યા. એમણે ધર્માંતરમાં નહીં પણ ધર્મસુધારમાં ઉગાર જોયો. વ્યાપક સમાજ સાથે, સમતા મથામણ પૂર્વક પણ અનુબંધની ભૂમિકાએ એ સક્રિય હતા. કેન્દ્રીય પ્રધાનમંડળના એમનાં વર્ષો બાંગલા ઘટના વેળાએ સંરક્ષણ પ્રધાન તરીકે તેમ હરિયાળી ક્રાંતિના વારામાં કૃષિપ્રધાન તરીકે ઝળહળતાં છે. લઘુત્તમ વેતન ધારો તેમ જ કામદાર વીમા યોજના આદિનું શ્રેય એમને નામે ઇતિહાસ જમે છે.
કાંશીરામે આંબેડકરને ગુરુ કીધા તો કીધા, પણ આંબેડકર જો અલ્પસંખ્યક માત્રને પૂરા અધિકારે સજ્જ બનાવવામાં અગ્રતા જોતા હતા તો કાંશીરામ નાનામોટા અલ્પસંખ્યકોને એકત્ર કરી બહુસંખ્ય રાજનૈતિક ફતેહની રણનીતિમાં રમેલા હતા. આંબેડકરને માટે હિંદુ મટી બૌદ્ધ થવું એ અંતરતમની આરત હશે તો કાંશીરામ માટે આપણે સત્તા પર આવીએ અને બૌદ્ધ બનીએ તો રોલો પડી જાય એવું હશે. માયાવતી સર્વસમાજ ફોર્મ્યુલા સાથે મુખ્ય મંત્રીની પાયરીએ પહોંચ્યાં એ નિ:શંક એક વિક્રમ ઘટના હતી.
જો સહયોગપૂર્વક સમતાલક્ષી સ્વરાજ નિર્માણ અભીષ્ટ હોય તો કેવળ આંબેડકર છેડેથી અગર કેવળ જગજીવન રામ છેડેથી ચાલવાનું નથી. થોડી બાંધછોડ, થોડી સોરાબ-રુસ્તમી … અને તમે જુઓ, કેવોક ગોફ ગુંથાતો આવે છે!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 માર્ચ 2026
![]()

