Opinion Magazine
Number of visits: 9446714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાનુભૂત સંવેદનોના સર્જક – ભગવતીકુમાર શર્મા

અરવિંદ વાઘેલા|Opinion - Literature|6 October 2019

'હું અક્ષર બ્રહ્મમાં ડૂબ્યો છું , પણ ઈશ્વરને જઈ કહેજો;
જો મારી જરૂરત હોય તો તે આભેથી અનાહત નાદ કરે !'
(નખદર્પણ)

૫ મી સપ્ટેમ્બર, શિક્ષકદિનની સવારે જ ઈશ્વરને જરૂરત ઊભી થઈ અને આભેથી અનાહત નાદ આવ્યો –

'અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન,પૂરજો તમે!'
(અઢી અક્ષર …)

આ અડધા અક્ષરની ખોટ પુરાવા સ્વાનુભૂત સંવેદનોના સર્જક ભગવતીકુમાર શ,ર્મા આપણા માટે સ્મરણોનું રાજપાટ છોડી, અનંતની યાત્રાએ નીકળી પડ્યા. જો કે તેઓને ખબર છે કે – 'હું નહિ હોઉં ને દુનિયા ચાલશે, જો કે મારી થોડી ચર્ચા ચર્ચા ચાલશે.’ આપણે પણ એ જ ઉપક્રમ રાખી આ ચર્ચા માંડી છે.

ગુજરાતી સાહિત્યમાં તેઓ કવિ, ગઝલકાર, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પ્રવાસ લેખક અને પત્રકાર તરીકે વિશેષ જાણીતા છે. ૩૧મી મે ૧૯૩૪ના રોજ સૂર્યપુત્રી તાપીને ખોળે, સૂરતની દેસાઈની પોળમાં, પિતા હરગોવિંદ શર્મા અને માતા હીરાબાના સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા 'બકુ' ભગવતીકુમાર શર્મા વૈયક્તિક રસાયણને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઘૂંટનારા સર્જક છે. 'અસૂર્યલોક'નું બીજ લઈ જન્મેલા ભગવતીકુમારની આંખ ભલે નબળી હોય પણ એમની દ્રષ્ટિમાં, એમના દર્શનમાં જન્મજાત પ્રતિભાનું તેજ ભારોભાર છે. 'હું શબ્દમાં જીવું છું’ એમ કહેનાર ભગવતીકુમાર કોઈના પણ માર્ગદર્શન કે પ્રોત્સાહન વિના પોતાના એકાકીપણા અને મનના ખાલીપાને ટાળવા વાંચવા લખવાનું શરૂ કરે છે. સર્જનનો લય પામવાની સતત મથામણ કરતા અને લય કે રિધમ મળે પછી જ  સર્જન કાર્યમાં પ્રવૃત થતા ભગવતીકુમાર આધુનિકતા અને પરંપરા વચ્ચે સમન્વય સાધનાર મધ્યમમાર્ગી સર્જક છે સર્જનમાં તેઓ શબ્દના સથવારે પોતાની, પોતાના મૂળની શોધ આદરે છે. કેમ કે તેમને લાગે છે કે 'હું જ્યાં છું, જ્યાંનો છું તે 'હું' ક્યાં મારી રચનાઓમાં સંકેતાયો છે ? અને એટલે જ જાણે કે કવિ-ગઝલ, નિબંધ અને નવલકથામાં સર્જકનું Personal element ડોકાતું રહે છે.

'આદિવચનો' નામના પુસ્તકમાં ક.મા. મુનશી કહે છે કે – 'પુસ્તકને સમજવા માટે પુસ્તકની સર્જન પ્રક્રિયા, એનું મૂળ ને એના વિકાસનો અભ્યાસ કરવો જોઈએ'. ભગવતીકુમાર શર્માના સર્જનમાં પણ કલાપી અને રાવજીની જેમ અંગત જીવનની સર્જક ચેતના ધબકે છે. 'ઊર્ધ્વમૂલ' નવલકથાની કેફિયતમાં નિખાલસ એકરાર કરતાં તેઓ કહે છે કે – ' હું અતિ નાજુક ભાવુક, સંવેદનસભર ચિત્તતંત્ર ધરાવતો માણસ છું. મારું બાળપણ અને તારુણ્ય નિતાંત એકલતામાં વીત્યાં છે. હજીયે, જીવનના પાછોતરા કાળે ય, એકલતાની  મારી અનુભૂતિઓ ઉત્કટ અને સુદીર્ઘ રહે છે. ઉદાસી, વિષાદ, શૂન્યતા, અજંપો એ બધા મારા લગભગ સ્થાયી ભાવો છે. મૃત્યુ વિશે મને એક પ્રકારનું રોમેન્ટિક આકર્ષણ છે ….  … ઝૂરતાં, હિજરાતાં, ગૂંગળાતાં, અવ્યક્ત રહેતાં, સહન કરતાં, લઘુતાગ્રંથિથી પીડાતાં, જતુ કરતાં, ગુમાવી દેતાં, ખસી જતાં, વૈયક્તિકતા ગુમાવી દેતાં પાત્રોના આલેખનમાં કદાચ હું મારાં સ્વનાં પ્રતિબિંબો અને રૂપાંતરો આલેખતો હોઉં છું. અંધકાર અને ઝાંખપનો હું આશિક છું. જો કે કુદરતે મને ઝાંખી દ્રષ્ટિ આપી છે.' (પૃ.૨૪ 'ઊર્ધ્વમૂલ') એમની નવલકથાના નાયક નાયિકાઓમાં પણ એમના 'સ્વ'નું જ પ્રતિબિંબ વિશેષ ઝીલાયું છે. તેમના વિચારો કે ચિંતનમાં પણ એમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું હોય એમ લાગે છે. એમની જાણીતી નવલકથાઓ 'વ્યક્તમધ્ય', 'ઉર્ધ્વમૂલ', ‘સમયદ્વીપ',  'અસૂર્યલોક' એની સાબિતી આપે છે.

ઊર્ધ્વમૂલ' માનવ જીવનની મૂલવિહિનતા(Rootlessnes)ને આલેખતી ' સર્જકની ઓટોબાયોગ્રાફિકલ મેથડથી નાયિકાને મુખે કહેવાયેલી નવલકથા છે . એની કેફિયતમાં તેઓ કબૂલે છે કે  – 'ઘણાં પાત્રોમાં હું બોલું છું. – વર્તુ છું એવું આળ સ્વીકારવાની તૈયારી રાખીને ય હું કહીશ કે આ પાત્રોની હયાતીમાં હાજર રહેવાનું મારાં પૂરતું તો અનિવાર્ય છે. 'ક્ષમા એક નારી પાત્ર હોવા છતાં તેનાં કેટલાંયે સંવેદનોમાં હું ,એક પુરુષ વિસ્તર્યો છે. ક્ષમાનો કાવ્યપ્રેમ એ મારી કાવ્યપ્રીતિ છે, ક્ષમાની ઉદાસી, વિષાદ, અવ્યક્તતા, ભીરુતા ,લઘુતાગ્રંથિ એ બધાં વાનામાં ઓછેવત્તે અંશે હું પણ છું જ. ક્ષમાની Myopic (માયોપિક) જાડા કાચનાં ચશ્માંથી ઢંકાયેલી તે તો મારી જ આંખો છે.' (પૃ. ૧૫ 'ઊર્ધ્વમૂલ')

સ્વના સંવેદનોને શબ્દસ્થ કરતા સર્જક ભગવતીકુમારને જીવનપર્યંત વેદના સાથે અતૂટ નાતો રહ્યો છે. એટલે જ તો 'મળી છે’ કાવ્યમાં તેઓ કહે છે :

'સૂર્ય ડૂબ્યોને કાજળની ઠકરાત મળી,
 મને વેદના જાણે આંગળિયાત મળી.'

સર્જક સ્વની વેદના – સંવેદનાને પોતાની કૃતિઓમાં આલેખતા રહે છે. એમની નવલકથા 'સમયદ્વીપ' એક વ્યક્તિના આંતર સંઘર્ષની કથા નિમિત્તે કહેવાયેલી આપણાં પલટાઈ રહેલા સમાજ અને સંસ્કૃતિના સંઘર્ષની કથા છે. નાયક નીલકંઠનો અતીત એના મનોવિશ્વમાં ખળભળાટ મચાવે છે. પરંપરા અને આધુનિકતા, શ્રદ્ધા અને અશ્રદ્ધાના બે અંતિમો વચ્ચે મનોમંથન અનુભવતો આ નવલકથાનો નાયક નીલકંઠ વર્તમાનમાં હતાશા, એકલતા અને વિષાદભર્યું જીવન જીવે છે. વિચ્છિન્ન દામ્પત્યના દ્વીપ પર નીલકંઠ એકલો રહી જાય છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્ય અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ અનેક પ્રશ્નો ઊભા કરે છે. મહાનગરોની યાંત્રિકતા અને રોજગારી માટેની દોડધામને કારણે હવે કુટુંબ પહેલાં જેવું સંયુક્ત રહ્યું નથી, છતાં પેલો કુટુંબભાવ ટક્યો છે ખરો ! પરંતુ સહિષ્ણુતા ટકી છે ખરી ? ભગવતીકુમાર જેવા સંસ્કૃતિચિંતકના સંસ્કારોનો સંઘર્ષ 'સમયદ્વીપ'માં સ્વયંભૂ પ્રગટે છે. તેઓ આ નવલકથાને સંદર્ભે કહે છે કે – ‘સમયદ્વીપ' એ મારા કૌટુંબિક પરિવેશની, મારા પૂર્વજો જે હવામાં ઉછર્યા હતા તેની, મારા કેટલાક પડોશીઓ હજી જે હવામાં શ્વાસ લઇ રહ્યા હતા તેની, એ સર્વમાંથી મને સાંપડેલા આછા પાતળા શબ્દની કથા છે. એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું.' (પૃ.૯  સવ્યસાચી …)

સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર વિજેતા નવલકથા 'અસૂર્યલોક'ની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે -'અસૂર્યલોકનું બીજ લઇને જ હું જન્મ્યો હતો.' દસેક વર્ષની વયે આંખો પર ચશ્માં ચઢ્યાં ત્યારથી આંતર મનમાં જે બીજ રોપાયું હશે તે લગભગ સાડા ચાર દાયકે આ નવલકથારૂપે વૃક્ષત્વ પામ્યું. (પૃ.૯ સવ્યસાચી…) ૬૦૦ પાનાંની 'અસૂર્યલોક'માં ચાર પેઢીની નેત્રવિહિન પરિસ્થિતિ ને મનોવેદનાને અને તેના પુરુષાર્થને પ્રભાવક રીતે ઉપસાવવાનો લેખકે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. નવલકથામાં સ્થૂળ દૈહિક અંધાપા કરતાં માનવીની ચેતનાના, વૃતિ વલણોના સૂક્ષ્મ અંધાપાને વ્યંજિત કરી છે. એક નવલકથાકાર તરીકે ઝૂરતાં, હિબકતાં, રિબાતાં, તરફડતા પાત્રોનું એમને આકર્ષણ રહ્યું છે. એમની નવલકથાના પાત્રો આનંદ કે સુખ ભાગ્યે જ અનુભવે છે. તેઓ વિશેષ મૃત્યુ પર્યવસાયી હોય છે. ભગવતીકુમાર શર્માના પાત્રો પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકાર તો કરે છે. પણ જીવનનો ઘોષ ભાગ્યે જ કરે છે. પરંતુ અસૂર્યલોક એ રીતે જુદી પડે છે. અહીં અંતે જીવનના જય ઘોષનું આલેખન છે.  'तमसो मा ज्योतिर्गमय' (‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’નો મંત્ર પડઘાય છે. 'સર્વાઈવલ' કાવ્યની આ પંક્તિઓ જાણે એમની આ  વાતને સમર્થન આપે છે.

'ટકી રહેવાનું છે, કોઈ પણ હિસાબે 
 ટૂંટિયું વાળીને, ટાચકા ફોડીને બચી જવાનું છે.'  

સૂરતના ગઝલ મુશાયરાઓના માહોલમાં શાયર તરીકે ઊછરીને સંસ્કારાયેલા ભગવતીકુમારે કવિ તરીકે 'સંભવ', છંદો છે પાંદડા જેના', 'ઝળહળ', અને 'નખ દર્પણ, 'અઢી અક્ષરનું ચોમાસું' ,એક કાગળ હરિવરને 'ગઝલયાન' અને 'આત્મસાત' જેવા કાવ્યસંગ્રહો આપે છે. આ સંગ્રહોમાં કવિનું આત્મકથન અભિવ્યક્તિ પામતું રહે છે, ગીત ગઝલ અને સોનેટ આ સંગ્રહનાં. આધુનિક માનવીની વેદના, ખેદ,અજંપો, વિષાદ, મૂંઝવણ અને એકલતાને વાચા આપે છે. મૃત્યુ વિશે એમને ગજબનુ રોમેન્ટિક આકર્ષણ છે. એટલે નવલકથાની જેમ કાવ્યોમાં પણ મૃત્યુ વિષય બને છે. ‘સંભવ'ની એક રચનામાં તેઓ કહે છે કે –

એના હરેક કણમાં અનાગતની ઝંખના;  તૂટી રહેલા આખરી વેળાનો શ્વાસ છું,
ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું? આમેય ક્યાં જીવંત છું ? હોવાનો ભાસ છું '
(સંભવ )’

જીવન પ્રત્યેની નિર્લેપતાને  કારણે જ તેઓ મોતને પણ પડકારી શકે છે. જુઓ –

'મોત જો મોડું કરે તો શું કરું ?

મારી તો હંમેશ તૈયારી હતી'.

પોતાના સર્જનમાં જાતને મળવાની મથામણ કરતા ભગવતીકુમાર એક ચિંતકની અદાથી જીવનને એની મર્યાદા બતાવી દે છે.

'તોફાની અશ્વ જેવું છે જીવન મનુષ્યનું,
 કાબૂમાં રહે છે એ મરણની લગામથી'  

નિખાલસ મનના માનવી ભગવતીકુમાર જીવનની જ નહિ પોતાની મર્યાદાઓ પણ જાણે છે. નિયતિએ  આપેલા 'અસૂર્યલોક'ને કારણે જીવનસંધ્યાને સમયે પોતાના ક્ષીણ થતા ઉજાશને તેઓ આ રીતે ઓળખાવે છે. 

'ક્યાં સુધી તું ચન્દ્રના ઝાંખા પ્રકાશે આ ગઝલ,
 લખતો રહેશે લોહીમાં બોળી કલમ ?
 ભગવતી તું પણ હવે અહીંયા અટક / લાઈટ્સ ઓફ' 
     –  (સંભવ)

શબ્દને સથવારે સ્વની શોધ આદરતા સર્જક સ્વયં કહે છે કે – 'હું મારી સ્વાનુભૂતિઓ અને સ્વ સ્પંદનોને ઝીલતી લેખિનીનો જ આહલાદ માણું છું.' આપણે માટે સ્મરણોના રાજપાટ છોડી ગયેલા સર્જક સ્વર્ગસ્થ નહિ શબ્દસ્થ થયા છે. શબ્દસ્થ થયેલા સર્જકને એમના શબ્દોમાં જ શ્રદ્ધાંજલિ ….

'હું મને છોડીને ચાલ્યો જાઉં પણ,
ક્યાં જશે સ્મરણોના મારાં રાજપાટ' 
(છંદો છે…)

સંદર્ભ ગ્રંથ   

૧. ઊર્ધ્વમૂલ – ભગવતીકુમાર શર્મા

૨. સમયદ્વીપ – ભગવતીકુમાર શર્મા

૩. અસૂર્યલોક – ભગવતીકુમાર શર્મા

૪. સવ્યસાચી સાહિત્યકાર ભગવતીકુમાર  – ડૉ. ઋજુતા ગાંધી

૫. વિકિપીડિયા − ભગવતીકુમાર શર્મા                                                                           

સી.યુ. શાહ સિટી આર્ટ્સ કૉલેજ, અમદાવાદ – 380 001 

Loading

6 October 2019 admin
← Gandhi Alone is the ‘Father of India’
બ્રિટન : પ્રવાસી ભારતીયોની બીજી માતૃભૂમિ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved