Opinion Magazine
Number of visits: 9446689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી જો શક્તિ છે તો તેનામાં આટલી અશક્તિ કેમ છે?  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2023

રવીન્દ્ર પારેખ

નવરાત્રિ મહોત્સવ હવે સંપન્ન થવાની દિશાએ છે. આજે માતાની આઠમ છે. મંદિરો, ઉત્સવોની ઝાકઝમાળમાં આકાશ રંગી રહ્યાં છે ને રાત્રે તો દરેક શેરીથી માંડીને મેદાનો, અનેક સ્ત્રી-પુરુષોથી ગરબે ઘૂમવા થનગની ઊઠશે. એમાં જ ક્યાંક આંખો મળશે તો ક્યાંક છલકાશેય ખરી. ક્યાંક પ્રસાદ વહેંચાશે તો ક્યાંક પ્રાસાદ શૃંગાર-શણગારથી મહેકશે પણ ખરા. કોણ જાણે કેમ પણ ભક્તિનું ઘોડાપૂર આ વખતે તો અનેક કંઠ ને કાંઠાઓ છલકાવતું વધારે જ આવ્યું છે. એમાં ક્યાંક માતા ને ભક્તિ ગૌણ થઈ જાય તો ય, ઉજવણું તો ધોધમાર થાય જ છે ને એમાં સ્ત્રીઓ પણ રંગેચંગે ઊતરે છે. અપાર રંગરૂપનો વૈભવ ગરબા, દોઢિયું ને રાસ વગેરેમાં ઊતરે છે. હજી ક્યાંક શેરીની રોશનીમાં સ્ત્રીઓ ગરબે ઘૂમતી ગાય પણ છે, પણ મોટે ભાગે ઘૂમવાનું એટલું વધ્યું છે કે ગાવાનું ગૌણ થઈ ગયું છે. કોઈ ખાસ ગાતું નથી, પણ તાલ પર ઘૂમવાનું ધ્યાન બરાબર રખાય છે. ગાવાનું ગૌણ થયું તો ગરબો ગાનારા ગાયકોને મંચ મળી ગયો છે. એ ગાય છે ને પછી તો એ જ ગાય છે ને ઘૂમનારા યાંત્રિક રીતે ઘૂમ્યા કરતાં હોય છે. રેકોર્ડેડ ઇન્સ્ટ્રુમેન્ટલ ફિલ્મી ધૂનો તો વધુ તીવ્રતાથી ગરબૈયાઓને મેદાનોમાં દોડાવે છે. મોટે ભાગે હવે ઘૂમનારાઓ ગાવાની પ્રેક્ટિસ નથી કરતા, પણ ઘૂમવાની પ્રેક્ટિસ તો મહિનાઓથી કરતા હોય છે. થોડાં વર્ષો પર તો નવરાત્રિને દિવસે ઘરેલુ અવસ્થામાં જ છોકરીઓ ને ગૃહિણીઓ શેરીમાં ઊતરી પડતી ને એ જ એની પ્રેક્ટિસ ને એ જ એનો ગરબો થઈ જતો. કોઈ બુલંદ સ્વરે ગવડાવતું ને એવા જ કંઠે ગરબો ઝીલાતો, પણ હવે એવું રહ્યું નથી. હવે તો ગરબામાં પણ ઘણો વિકાસ થયો છે. ઘૂમનારાઓ વાર્ષિક પરીક્ષા આપવાના હોય તેમ એની તૈયારીઓમાં મહિનાઓથી લાગે છે.

એમાં આ વખતે હાર્ટ ટ્રબલનો ઉમેરો થયો છે. યુવાનો એકાએક ઢળી પડે છે. જેમને એવી તકલીફ છે તે આમ તો ઘરમાં આરામ કરી શકે, પણ યુવાધન કોઈ ચાન્સ લેવા તૈયાર નથી. એનું પણ આશ્ચર્ય જ છે કે હાર્ટ ટ્રબલ મોટે ભાગે પુરુષોને જ થાય છે, એ કદાચ સ્ત્રી શક્તિ હોવાને કારણે હશે. જો કે, ગરબા સ્થળે એમ્બ્યુલન્સ, ડોકટરોની ટીમ ખડે પગે રાખવાના આદેશો થયા છે, તે એકલાં પુરુષ માટે જ છે, એવું નથી. સમય હોય તો પોલીસ પણ આંટાફેરા કરી લે છે. જો કે, હવે તો એ દખલ પણ નહીં રહે એવું સરકારે કરી આપ્યું છે. રાત્રે 12 પછી પણ ગરબે ઘૂમવાની છૂટ મળી છે એટલે ખેલૈયાઓ ઝાલ્યા ન ઝલાય એમ બને. ક્યાંક ભાડેથી લવાતા હશે, પણ મોટે ભાગે મહિલાઓ ડ્રેસ, ઘરેણાં, મેકઅપ માટે બજેટ ફાળવે છે ને રોજના ડ્રેસ વગેરેની વ્યવસ્થા પણ કરે છે. સારું છે કે મહિલાઓ આટલો ખર્ચ ઊભો કરી શકે છે.

તહેવારોમાં કે રોજિંદા વ્યવહારમાં મહિલાઓ બહારની ટાપટીપમાં ભારે રસ લે છે. આછો મેકઅપ, જંક ફૂડ ને ફેશન સ્ત્રીઓની જ નહીં, પુરુષોની પણ ઓળખ છે. કુદરતી દેખાવનું સ્થાન મેકઅપે લઈ લીધું છે, પણ આ બધાંમાં આંતર વિકાસ કે ચેતના માટે ભાગ્યે જ કોઈ પ્રયત્નશીલ છે. સૌંદર્ય અંતરનું પણ હોય છે, પણ એમાં ઘણું અંતર આજની પેઢીમાં જણાય છે. સ્ત્રીઓની વાત કરીએ તો તેનું આજ્ઞાંકિતપણું કે જી-હજૂરિયાપણું ઘણુંખરું અકબંધ છે. આમ તો આજ્ઞાંકિત હોવું સારી વાત છે, પણ આજ્ઞાપાલનમાં શોષણ ઉમેરાતું હોય તો તે ગુલામી સૂચવે છે. ગરબામાં મસ્તીથી ઝૂમતી સન્નારીઓ ઘરે પહોંચે છે ત્યારે, મેકઅપની સાથે સાથે પેલી મસ્તી પણ ઊતરી જાય છે. પિતા કે પતિના કે સાસુ-નણંદના ઠપકાથી ભીની આંખે સવાર પડતી હોય એવી ઘણી સ્ત્રીઓ હશે. એનો અર્થ એ થયો કે બહાર અપટુડેટ રહેતી મહિલાઓ ઘરોમાં જોઈતી મોકળાશ મેળવી શકતી નથી. મોકળાશ એટલે અભિવ્યક્તિ, બેફામપણું નહીં !

સ્ત્રીઓ અનેક ક્ષેત્રે મોખરે રહી હોય તો પણ, તે પતિ કે પિતાના દાબમાં રહેતી આવી છે. એમાં કુટુંબ ઘણીવાર સહાયકની ભૂમિકામાં હોય છે. કેટલાંક નિયંત્રણો જરૂરી હોય તો પણ, તે અતૂટ કે અસહ્ય બંધનની સ્થિતિએ આવકાર્ય નથી. એક બાબત ક્યારે ય ભુલાય તે ઇચ્છનીય નથી, તે એ કે જેમ પુરુષ છે એમ જ સ્ત્રી પણ છે. પુરુષ સિદ્ધિ -મર્યાદા ધરાવે છે, એમ જ સ્ત્રી પણ ધરાવે છે. બંનેએ એકબીજાનું મનોબળ મજબૂત કરવાની દિશામાં સક્રિય રહેવું જોઈએ. એમ થશે તો એનો લાભ કુટુંબ અને સંબંધી મિત્રો વગેરેને પણ થશે. જો કે, મોટે ભાગે પુરુષ ઘરમાં કે બહાર, સ્ત્રીને નીચી બતાવવાના પ્રયત્નો કરતો રહે છે, પણ એથી હકીકતમાં બહુ ફેર પડતો નથી. સમભાવથી જે પરિણામો મળે તે નકલી સ્પર્ધાભાવથી મળતાં નથી. સ્પર્ધાભાવ પતિ-પત્નીમાં વધુ હોય તો સરવાળે લગ્નજીવન પ્રભાવિત થયાં વગર રહેતું નથી. પતિ-પત્નીમાં મૈત્રીભાવ જ પરિણામદાયી નીવડે છે એ વાત સમજી લેવાની રહે.

પતિ-પત્ની વચ્ચે સાધારણ કુટુંબમાં મૈત્રીભાવ લગભગ હોતો નથી, સિવાય કે કોઈ સ્વાર્થ કે ગણતરી હોય. તે સિવાય મોટે ભાગે અધિકાર અને અહંકાર જ કેન્દ્રમાં હોય છે. આજકાલ તો નજીવી વાતોમાં છરી મારી દેવાનું સામાન્ય થઈ પડ્યું છે ને તે જીવ ન જાય ત્યાં સુધી મારવાનું ચાલે છે. પતિ સભાન-અભાન અવસ્થામાં હુમલો કરી દે છે. હુમલો કરવાથી કાયદો કેવી રીતે વર્તશે એનો અંદાજ હોય તેમ, સજાની પરવા કર્યાં વગર જ પતિ વર્તે છે. સજાનો જાણે તેને ખોફ જ રહ્યો નથી. ગોંડલ તાલુકામાં, ઘરમાં પીવાનું પાણી ન ભર્યું એટલે પતિએ ધોકો મારીને પત્નીને પતાવી દીધી ને કૂવામાં ફેંકી દીધી. આ કોઈને પણ મારી નાખવાનું કારણ છે? આવી માનસિકતા હવે આમ વાત બનતી આવે છે ને એ સૂચવે છે કે સમાજ ખરાબ રીતે માંદો પડી ગયો છે. આવી હિંસા પતિ-પત્ની વચ્ચે જ થાય છે એવું નથી. વડોદરાનાં તરસાલીમાં ભાણેજને મિલકતમાં ભાગીદાર ન બનાવ્યો તો એક વૃદ્ધાની હત્યા કરી દેવાઈ. અગાઉ ક્યારે ય ન હતું એવું એક પરિબળ છેલ્લાં થોડાં વર્ષમાં પતિ કે પત્ની, એમ બંને પક્ષે ઉમેરાયું છે તે લગ્નેતર સંબંધોનું. એને કારણે પતિ-પત્નીના સંબંધો વણસ્યા છે ને પરિણામો ઘાતક આવે છે. પતિ, પત્ની અને ત્રીજી વ્યક્તિ વચ્ચે ઘણીવાર તો જીવનું જોખમ પણ ઊભું થાય છે.

આ ઉપરાંત ઘરેલુ હિંસાનો ભોગ પણ પત્ની બનતી રહે છે. વાત બોલવા પૂરતી જ સીમિત નથી રહેતી, માનસિક અને શારીરિક ત્રાસ તેમાં એવી રીતે ઉમેરાય છે કે કાચીપોચી પત્નીનો આત્મહત્યા કર્યે જ છૂટકો થાય. સાધારણ કુટુંબોમાં એવું બનતું રહે છે કે પત્નીનું અનેક રીતે શોષણ પતિ કે કુટુંબનાં અન્ય સભ્યો કરે છે. લગભગ 18થી 48ની ઉંમરની 30 ટકા મહિલાઓ ઘરેલુ કે જાતીય હિંસાનો ભોગ બને છે. આજ ઉંમરની ત્રણેક ટકા મહિલાઓ તો ગર્ભવતી હોય ત્યારે પણ આવી હિંસાનો ભોગ બનતી હોય છે. આમ છતાં ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત પૂરતી માત્રામાં કેસ જ નોંધાતા નથી. 87 ટકા મહિલાઓ એવી છે જે આ મામલે ચૂપ રહે છે ને કાનૂની મદદ લેતી નથી. આવું કેમ થાય છે? ઘણા એવું માને છે કે હુમલાનાં કારણમાં પતિનું વ્યસન, તેની શારીરિક, માનસિક, આર્થિક સ્થિતિ જવાબદાર છે, પણ એવું નથી. એવું હોત તો પતિ કામનાં સ્થળે અન્ય પુરુષ કે સ્ત્રી પર પણ હુમલો કરતો હોત, પણ, હુમલો પત્ની પર જ થાય છે. બીજે આ જોર ચાલે એમ નથી, પણ પત્ની પર હુમલો થશે તો એ સામે પ્રતિકાર કરશે નહીં, એટલે બધું જોર ઘરમાં પત્ની પર જ અજમાવાય છે.

આવું કરવામાં કુટુંબ એકલું જ જવાબદાર છે? ના, એમાં કુટુંબથી વધુ જવાબદાર તો પત્ની પોતે છે. તે એ વિચારે સતત ભયમાં જીવે છે કે પોતે બોલશે કે પ્રતિકાર કરશે તો સાસરિયાઓ વહુનાં પ્રતિકારને બેફામ ગણાવી વગોવશે. તેને ભય હોય છે કે પોતે બોલશે તો પિયરમાં વાત પહોંચશે ને ઘરની આબરૂ જશે. આબરૂ વહુને જ વહાલી હોય ને તે સાચવવાની જવાબદારી વહુની જ છે, એ માનસિક્તાને કારણે વહુ બોલતી નથી. સાસરિયાઓને પણ ખાતરી હોય છે કે વહુ આબરૂ જવાની બીકે મોં નહીં ખોલે, એટલે સાસરિયાઓની હિંમત વધે છે ને તેમની જુલમ ગુજારવાની ક્ષમતા પણ વધે છે. આ ત્રાસ પતિ કે સાસરિયાઓ તો અટકાવવાના નથી, એ વહુ જ અટકાવી શકે. ઘરની આબરૂની ચિંતા તેની એકલીની જ જવાબદારી તો ન હોયને ! જુલમ ગુજારવાથી કુટુંબની આબરૂ તો વધતી નથી, તો જુલમ રોકીને સાસરું પણ આબરૂ જાળવી શકેને ! એ સ્થિતિ વહુ પણ ઊભી કરી શકે – અવાજ ઉઠાવીને ! અહીં વિદ્રોહ કે બળવો પોકારવાની વાત નથી, પણ સ્વબચાવ ન કરવો કે શોષણ વેઠી લેવું એ પણ માનવતાની વિરુદ્ધ જતી વાત છે.

કાયદો સ્ત્રીઓને 2005થી ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ રક્ષણ આપે છે, એટલે કારણ વગર પરિણીત સ્ત્રીઓએ ચૂપ રહેવાની કે સહન કરવાની જરૂર નથી. ઘરની આબરૂ એકલી સ્ત્રીઓએ જ સાચવવાની નથી, એ  જવાબદારી પુરુષની પણ છે. સ્ત્રી શક્તિ છે, તે હિંસા વેઠીને કે ચૂપ રહીને અશક્તિનું પ્રદર્શન ન કરે એ જોવાની કુટુંબની અને સમાજની ફરજ બને છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 22 ઑક્ટોબર 2023

Loading

27 October 2023 Vipool Kalyani
← પરિચયના મુસાફિર: ગુલઝાર અને પંચમ 
દર્પણ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved