Opinion Magazine
Number of visits: 9446874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર જ નહીં, આપણે પણ, પ્રજા તરીકે નિષ્ફળ છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 May 2021

ગંગા નદીમાં જે રીતે લાશો વહી આવી છે ને તેને કૂતરાં ફાડી રહ્યાં છે તે જોતાં મર્યાં પછી પણ કેવળ અવગતિ જ છે તે સમજાઈ રહ્યું છે. કોઈ આપણું નહાય કે ન નહાય, આપણે, આપણું નાહી નાખવા જેવું છે. જે ગતિ મનુષ્યની થઈ રહી છે ને ભારતમાં થઈ રહી છે તે પરથી આખો દેશ કેટલો દંભી અને અમાનવીય છે તેનો ખ્યાલ આવે છે. આખો દેશ પોલો અને બોદો છે. તે સત્યની વાતો કરે છે ને જૂઠાણાંનો વ્યાપાર કરે છે. પ્રજા આ ચાલવા દે છે, કારણ તે પણ દંભી અને જૂઠી છે.

ઘણીવાર આશ્ચર્ય થાય છે કે આ એ જ પ્રજા છે જે આઝાદીની લડતમાં માથે કફન બાંધીને સડકો પર ઊતરી પડી હતી? એમાંનો અંશ પણ અત્યારે કેમ વર્તાતો નથી? કોરોના નામની ફિલ્મ ચાલી રહી હોય  અને 130 કરોડ લોકો ભારતનાં મસમોટાં થિયેટરમાં જોઈ રહ્યાં હોય તેમ મરણ માણી રહ્યાં છે. એમને એમ જ છે કે શો પૂરો થશે, પછી બધાં મરણની વાતો મમળાવતાં વિખેરાઈ જઈશું, પણ આ શો જલદી પૂરો થવાનો નથી અને થશે ત્યાં સુધીમાં અનેકને કૂતરાંઓ ભરખી જાય તો નવાઈ નહીં. આપણે સૌ ફિલ્મ જોઈ રહ્યાં હોઈએ એવી તટસ્થતાથી કોરોનાને જોઈ રહ્યાં છીએ. પ્રજા તરીકે આપણે સરકાર કરતાં પણ વધુ સંવેદનહીન અને નેત્રહીન છીએ. આ પ્રજા આટલી નિર્માલ્ય તો કદી ન હતી. અનેક સ્મશાનો ભડકે, ઓક્સિજન, ઇન્જેકશનો વગર દરદીઓ તરફડે અને આપણને કૈં થાય જ નહીં એ કેવું? આપણને કૈં ખબર નથી પડતી કે આપણે કૈં જાણવા નથી માંગતા એ નથી સમજાતું.

એ સાચું કે આટલા મોટા દેશમાં બધી વ્યવસ્થાઓ તરત ન જ થાય, સાધનો ટાંચા પડે જ, પણ મોટા દેશે જ લાખો કરોડો મત આપ્યા છે, સત્તા આપી છે, એને આમ કૂતરાંનાં મોતે તો ન મરવા દેવાયને ! સરકારને માણસની લાશો તણાતી જોઈને અરેરાટી ન થાય તો પ્રજાએ એનો કાન આમળવાનો રહે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અપ્રમાણિક જણાય તો પ્રજાએ ધ્યાન ખેંચવું પડે. એને બદલે પ્રજા જીવે છે એવું જ ન અનુભવાય તો એ ઠીક નથી. પ્રજા સરકાર થોડી જ છે કે એ આટલી સંવેદનશૂન્ય હોય તો ચાલી જાય? સરકાર કેવી છે એનો એક દાખલો –

એક વીડિયો ગુજરાતના મુખ્ય મંત્રીનો ઘણા વખતથી મીડિયામાં ફરે છે, જેમાં મુખ્ય મંત્રી કહેતાં સંભળાય છે કે અમેરિકાને દવા ગુજરાત સપ્લાય કરશે. આ દવા ગુજરાત પોતે બનાવશે. એમણે એમ પણ કહ્યું કે ગુજરાત માટે પૂરતો સ્ટોક રાખી દીધો છે, એક કરોડ ટેબ્લેટનો, એટલું જ નહીં, ગુજરાત વેન્ટિલેટર પણ પોતે બનાવશે. આખા વિશ્વમાં વેન્ટિલેટર, દવાઓ, માસ્ક્સ, પી.પી.ઈ. કિટ … વગેરેની અછત છે એ બધું ગુજરાત બનાવશે. આવું તો ઘણું ઘણું સાહેબે કહ્યું છે. એમને પૂછી શકાય કે જે ટેબ્લેટ બની જ નથી એનો સ્ટોક તમે કર્યો કેવી રીતે? જે વેન્ટિલેટર, દવાઓ, માસ્ક્સ ગુજરાત બનાવવાનું હતું તેનું શું થયું? આટલું બધું ગુજરાત જ બનાવવાનું હતું તો રેમડેસિવિરનાં ફાંફાં કેમ પડી ગયાં? એટલું છે કે સાહેબે દવાઓ તો ના બનાવી, પણ લોકોને ઉલ્લુ જરૂર બનાવ્યા. આવું બધું કહેવાતું હોય ને પ્રજા તરીકે આપણે મૂરખની જેમ સાંભળ્યા કરીએ એ કેવું?

આપણાંમાંથી જ ઘણાં કહી શકે કે આમાં આપણે શું કરી શકીએ? સાચું, આપણે કૈં ન કરી શકીએ. આપણે લાચાર, મૂરખ અને બીમાર પ્રજા છીએ. એમાં કોઈ એકલદોકલ બોલે તો તેની અસર ના પડે. પણ સમૂહમાં તો અવાજ પહોંચાડી શકાયને કે સાહેબ, વિદેશમાં ટેબ્લેટ પહોંચાડવાનું તો જવા દો, ગુજરાતમાં ય તમારો પનો ટૂંકો પડ્યો છે ને લોકો એમ જ મરી રહ્યાં છે, પણ આ કહેવું કેવી રીતે? સમૂહ બને તો વાત પહોંચેને ! મતલબ કે આપણને લોકો ભેગાં કરી આપવાં પડે. એવું કૈં થાય તો બોલીએ. જો કે, ચૂંટણીસભામાં કે વિજય સરઘસોમાં હજારોની સંખ્યામાં ભેગા થઈ જવાય છે, ક્રિકેટના સ્ટેડિયમ પર હજારોની ભીડનો વાંધો નથી આવતો, દિવાળીની ખરીદીમાં, મંદિરના ઉત્સવોમાં, લગ્નોમાં આપણને ટોળું કરવાનું ફાવે છે, પણ આપણે માટે ન્યાય મેળવવા આપણે તૈયાર નથી. એક નાનો મેસેજ પણ ટ્વિટ કરી શકાય, પણ આપણે લાચાર, બીમાર છીએ.

બીજી વાત જવા દો, દુનિયા કહે છે કે રસી એક માત્ર ઈલાજ છે, એ રસી આપણાં સુધી પહોંચે છે? રસી ઉજવણીની વાત થઈ, પણ રસીનું ઉઠમણું થવા જેવું જ થયું. રસી આવી તો પહેલાં 60+ને આપવાની વાત આવી. ઘણાંએ એનો લાભ લીધો. 28 દિવસે બીજો ડોઝ લેવાની વાતે ગરબડ શરૂ થઈ. તે અઠવાડિયું લંબાયું. એ ડોઝ પતે ન પતે ત્યાં તો 45+ને રસી મૂકવાનું ચાલ્યું. એના બીજા ડોઝનું ઠેકાણું પડે ત્યાં તો 18+ને રસી મૂકવાની વાત આવી. એમાં એવો ધસારો થયો કે હવે રસી નથી-ની બૂમ પડી છે. હજારો યુવાનો ધક્કા ખાઈને પાછા ફરે છે. જો રસીના ઠેકાણાં ન હતાં તો બધાંને રસી-રસીના મણકા પકડાવવાની જરૂર હતી? આટલું ઓછું હોય તેમ બાયોટેકની કોવેક્સિનની રસીની ક્લિનિકલ ટ્રાયલ 2થી 18 વર્ષનાં બાળકો પર કરવાની વાત પણ છે. પનો ટૂંકો પડતો હોય તો પગ બહાર ફેલાવવાની જરૂર ખરી? આટલાં હવાતિયાં મારીને સરકારે સિદ્ધ શું કરવું છે તે નથી સમજાતું. એક તબક્કો પૂરો થાય પછી બીજામાં પ્રવેશ કરવાને બદલે બધાંમાં જ માથું મારવાથી કયો લાભ થાય છે તે સરકારે જણાવવું  જોઈએ. વિપક્ષોએ સરકારને ટપારતાં કહ્યું પણ ખરું કે અત્યારનો સમય સેન્ટ્રલ વિસ્ટાને બદલે રસીકરણ પર ધ્યાન આપવાનો છે ને તેમાં થનાર ખર્ચ રસીકરણ અને ઓક્સિજનમાં કરવા જેવો છે, પણ આ વાત વિપક્ષ તરફથી આવી છે એટલે સરકાર ધ્યાન આપે તો ચમત્કાર ગણાય.

આ બધાંમાં મોંકાણ એ થઈ છે કે કોઈ પણ વર્ગને બે ડોઝ પૂરા મળે એવી સ્થિતિ રહી નથી. જેને એક ડોઝ મળ્યો છે તેના બીજા ડોઝનું શું તે અંગે કશી સ્પષ્ટતા નથી. આવા કૂદકા મારવાનું સરકારને કોઈએ કહ્યું નથી ને છતાં બધાંમાં જ સરકારે લોકોને ધક્કે ચડાવ્યાં છે. અહીં પ્રજા પૂછી શકેને કે આ બધાંમાં એનો વાંક શું છે? દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર એમ બધાંમાં જ ધક્કા ખાવાના, આવું કેમ? એ બધું પાછું કાળાબજારમાં તો મળે, તો જેને જરૂર છે એણે જ મરવાનું? એટલું સ્વીકારવું પડે કે સરકાર આ બધું જાણી જોઈને તો નહીં જ કરતી હોય, પણ આટલું અંધેર ચાલતું હોય ને કોઈ કૈં જોતું જ ન હોય એ કેવું? શું કારણ છે કે સરકાર આટલી નિર્લેપતાથી વર્તે છે?

એનું સાદું કારણ, સરકાર વિદેશમાં પોતાની છાપ ઊભી કરવા માંગતી હોવાનું લાગે છે. તેણે વિશ્વમાં એવી છાપ ઊભી કરી છે કે કોરોના પર કાબૂ મેળવી લીધો છે. એ કાબૂ કેટલો ખોટો હતો તે બીજી લહેરમાં સાબિત થઈ ગયું છે. કોરોનાને મામલે બધી જ વાતની અછત ભારતમાં છે તે બહાર આવ્યું છે. વિશ્વગુરુ બનવાની લહાયમાં સરકારે રસીને મામલે વિદેશમાં સાચી નહીં, પણ સારી છાપ પાડવાની કોશિશ કરી, એમાં ઉઘાડાં પડવાનું જ બન્યું છે. એ ખરું કે સિરમ ઇન્સ્ટિટયૂટ, પૂના સૌથી વધુ રસી બનાવે છે. આમ છતાં ભારતની 130 કરોડની વસતિને ધ્યાનમાં રાખીએ અને અડધી વસતિને જ રસી પૂરી પાડવી હોય તો 130 કરોડ ડોઝ રોકડા હોવા જોઈએ જેથી દરેકને બે ડોઝ મળી રહે. આ ક્ષમતા તો ભારતની હાલને તબક્કે નથી જ નથી, આવી હાલતમાં વિશ્વના અનેક દેશોને ભારતે સાડા છ કરોડ વેક્સિન પૂરી પાડી. વિશ્વના દેશોને મદદ કરવાથી ભારતની છાપ સારી પડતી હોય તો એનાથી રૂડું શું? પણ ઘરનાં ઘંટી ચાટે એવો ઘાટ થયો. અહીંની પ્રજા રસી માટે ફાંફા મારે ને વિદેશોને સાડા છ કરોડ રસી સરકારે સામે ચાલીને આપી દીધી. એનો બચાવ સરકારના પ્રવક્તાએ એમ કર્યો કે એ રસી વિદેશને આપવી જ પડે એમ હતી. કેમ, તો એનો જવાબ પ્રવક્તાએ ન આપ્યો, પણ કોઈ નીતિ જાળવવા વિદેશને રસી આપવી પડી હોય તો પણ સવાલ એ આવે કે એવી કોઈ લાચારી અમેરિકા, ઇંગ્લેન્ડ કે અન્ય દેશોને કેમ ન આવી? અમેરિકા કે ઇંગ્લેન્ડે પોતાના દેશની જરૂરિયાતો પર કાપ મૂકીને બીજા દેશોને રસી આપવાની ફરજ નથી બજાવી, તો એ ફરજ ભારતને જ કેમ પડી? ગમે તેટલાં કારણો ભલે અપાય, પણ વિદેશોને સાડા છ કરોડ વેક્સિન આપવાની ભૂલ ભારતે કરી જ છે, કારણ એટલી રસી ભારતમાં હોત તો ઘણાં જીવો બચાવી શકાયા હોત. આજે રસીથી કરોડો લોકો વંચિત છે અને જો કોરોના વધુ વકરે તો સ્થિતિ કેવી ભયાવહ થાય તેની કલ્પના જ કરવાની રહે.

આવી સ્થિતિ હોય ત્યારે એક પ્રજા તરીકે આપણે, આપણી વાત સરકાર સુધી પહોંચાડવી જોઈએ, એટલું પણ ન કરી શકીએ તો જે ગતિ આપણી અત્યારે થઈ રહી છે એને લાયક જ છીએ એમ માનવાનું રહે.

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 મે 2021

Loading

14 May 2021 admin
← ‘પહેલી વારના વાચનનો હરખ’
સ્વપ્નભ્રમ, સ્વપ્નભંગ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved