Opinion Magazine
Number of visits: 9447110
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રદ્ધેય માઈકલ કરીનો બ્રિટનના શાહી લગ્ન સમારંભ પ્રસંગે પ્રેમભર્યો સંદેશ

માઈકલ કરી (અનુવાદક : આશા બૂચ)|Opinion - Opinion|29 May 2018

રાજકુમાર હેરી અને મેગન માર્કલના વિવાહ પ્રસંગે શ્રદ્ધેય માઈકલ કરીના પ્રેરણાદાયી પ્રવચનનું શબ્દાંકન પ્રસ્તુત છે :-

બિશપ માઈકલ કરીનું પ્રેરણાદાયી પ્રવચન

“આપણા પર પ્રેમ વરસાવતા, સહુના મુક્તિદાતા અને જીવન આપનાર એવા ઈશ્વર, પિતા, પુત્ર અને પવિત્ર આત્માનાં સ્મરણ સાથે આરંભ કરું. આમિન.

બાઇબલમાંના સોલોમનના ગીતમાંથી ઉદ્ધૃત:

મને તમારા હૃદય પરની છાપરૂપે મૂકો
તમારા  હાથ પર છાપરૂપે મૂકો;
કેમ કે પ્રેમ એ મૃત્યુ જેટલું જ શક્તિશાળી છે,
આવેગ ભર્યો જુસ્સો એ કબર જેટલો ભીષણ છે.
તેની જ્વાળાઓ અગ્નિ જેવી હોય છે
ભભૂકતી અગ્નિશિખા
પાણી પ્રેમની જ્વાળાઓને ઠારી ન શકે
પૂર તેને ડૂબાડી ન શકે

સ્વ. ડો. માર્ટિન લ્યુથર કિંગે એકદા કહેલું તેનું અવતરણ ટાંકુ છું, “આપણે પ્રેમની શક્તિ શોધવી જોઈએ, મુક્તિ અપાવે તેવા પ્રેમની શક્તિ. અને જ્યારે આપણે તે શોધી કાઢીશું ત્યારે આ જૂની દુનિયાને સ્થાને નવી દુનિયા બનાવીશું કેમ કે પ્રેમ એ જ એક માર્ગ છે.”

પ્રેમમાં શક્તિ છે. તેનું મૂલ્ય ઓછું ન આંકશો. તેને વધુ પડતા લાગણીશીલ થઈને ના જોશો. પ્રેમમાં અપાર શક્તિ છે. મારી વાત માન્યામાં ન આવતી હોય તો યાદ કરો, તમે જ્યારે પ્રથમ વાર પ્રેમમાં પડેલા એ સમયને. આખી દુનિયા તમારી અને તમારા પ્રિયતમની આસપાસ ફરતી જણાયેલી હશે.

પ્રેમમાં શક્તિ છે; તે માત્ર રોમાંચક સ્વરૂપમાં જ નહીં, કોઈ પણ પ્રકારના સંબંધોના પ્રેમમાં શક્તિ છે. એક ચોક્કસ પ્રકારની લાગણી હોય છે, જ્યારે તમને કોઈ પ્રેમ કરે છે, જ્યારે તમારી કાળજી કોઈ લે છે, ત્યારે તમને તેની જાણ થાય છે. તમે જ્યારે કોઈને પ્રેમ કરો છો અને તે દર્શાવો છો ત્યારે કઇંક સાચું કર્યાનો અહેસાસ થાય છે.

પ્રેમ કરવામાં કઇંક સાચું છે, સારું છે. અને તેની પાછળ એક કારણ છે. એ કારણ તેનાં સ્રોતમાં છે. આપણું સર્જન જ પ્રેમની શક્તિથી થયું છે. આપણી જિંદગી પહેલાં પણ અને આજે પણ એ પ્રેમથી જીવવા નિર્માયેલી છે. તેથી જ આપણે આજે અહીં એકઠાં થયાં છીએ.

આખર પ્રેમનો સ્રોત ઈશ્વર જ છે: આપણા સહુના જીવનનો એ સ્રોત. એક મધ્ય યુગીન કવિતા છે જેમાં કહે છે, “ખુદ ઈશ્વર ત્યાં હાજર હોય છે જ્યાં સાચો પ્રેમ મળે છે.” ન્યુ ટેસ્ટામેન્ટમાં આ રીતે કહેવાયું છે, “મારા પ્રિયજનો, ચાલો આપણે એકબીજાંને પ્રેમ કરીએ, કેમ કે પ્રેમ એ ઈશ્વરનો અંશ છે અને જેઓ પ્રેમ કરે છે તેઓ ઈશ્વરના સંતાનો છે અને ઈશ્વરને પહેચાને છે. જેઓ પ્રેમ નથી કરતા તેઓ ઈશ્વરને ઓળખતા નથી.” શા માટે? કેમ કે “પ્રેમ જ ઈશ્વર છે.” પ્રેમમાં એવી શક્તિ છે જે આપણા ઘાવને રુઝવવામાં મદદ કરે છે જે બીજા કશાથી નથી રુઝાતો.

પ્રેમમાં એવી શક્તિ છે જે આપણને ઉપર ઉઠાવે અને મુક્તિ અપાવે જે બીજા કશાયમાં નથી. પ્રેમની શક્તિ આપણને જીવનનો માર્ગ બતાવે છે. મને તમારા હૃદય પરની છાપરૂપે મૂકો, તમારા  હાથ પર છાપરૂપે મૂકો એવું પ્રાર્થ્યું; કેમ કે પ્રેમ એ મૃત્યુ જેટલું જ શક્તિશાળી છે. પ્રેમ એ માત્ર યુવાન યુગલ વચ્ચે પાંગરતો ભાવ નથી. અત્યારે પ્રેમની શક્તિને કારણે આપણે સહુ અહીં એકત્રિત થયાં છીએ. બે યુવા વ્યક્તિઓ પ્રેમમાં પડી અને આપણે સહુ એકઠાં થયાં. પણ એ આનંદ આપણે માત્ર બે યુવા વ્યક્તિ માટે કે તેમને વિષે જ નથી અનુભવતા. એ તેનાથી વિશેષ કઇંક છે.

નાઝરથના જીસસને મોઝીઝના સંદેશને ટૂંકમાં સમજાવવા એક વકીલે કહ્યું. તેઓએ હિબ્રુ ગ્રંથોનો આધાર લીધો, ડયૂટોરૉનોમી (Deuteronomy) અને લવટિકસ(Leviticus)ને ટાંકતાં કહ્યું, “તમારે ઈશ્વરને પૂરા દિલથી, માનથી અને પૂરેપૂરી શક્તિથી ચાહવો જોઈએ.” આ પહેલો અને મહાન આદેશ છે. અને બીજો આદેશ છે: “તમારી જાતને ચાહો છો તેવી રીતે તમારા પાડોશીને ચાહો.”

જીસસના બીજા પટ્ટશિષ્ય મેથ્યુએ તેમાં ઉમેર્યું, “ઈશ્વર અને પડોશી પ્રત્યેના પ્રેમમાં બધા કાયદાઓ, પયગંબરોએ આપેલ સંદેશાઓ, મોઝીઝે જે કઇં લખ્યું, ઈશ્વર આ દુનિયાને જે કઇં સંકેત કરવા માંગે છે, તે તમામનો સમાવેશ થઇ જાય છે. ઈશ્વરને અને પડોશીને પ્રેમ કરો અને જ્યારે પ્રેમ કરવા બેઠા જ છો, તો તમારી જાતને પણ પ્રેમ કરો.”

એમ કહેવાય છે કે માનવ જાતના ઇતિહાસમાં જીસસે બહુ મોટી ક્રાંતિકારી ચળવળ કરી: એ ક્રાંતિકારી ચળવળનાં મૂળ હતાં આ દુનિયા માટે ઈશ્વર પ્રત્યેનો બિનશરતી પ્રેમ અને લોકોને પ્રેમભર્યું જીવન જીવવા માટે અપાયેલ અબાધિત અધિકાર. આવું પ્રેમ પ્લાવિત જીવન જીવવાથી વ્યક્તિ ન માત્ર પોતાનું જીવન, પણ એ જે દુનિયામાં રહે છે તેમાં પણ પરિવર્તન લાવી શકે. હું શક્તિની વાત કરું છું. સાચી શક્તિની. શક્તિ કે જે દુનિયાને બદલી શકે.

તમને મારી વાત પર વિશ્વાસ ન બેસતો હોય તો સાંભળો, અમેરિકાના દક્ષિણ એન્ટેબેલમ વિસ્તારમાં ગુલામો રહેતા હતા, જેમણે પ્રેમની પ્રેરક શક્તિની અને તે કેવી રીતે પરિસ્થિતિને બદલાવી શકે તે સમજાવેલું. તેઓએ એ વાતને આ રીતે સમજાવી. જ્યારે ગુલામોને કારાવાસમાં પુરવામાં આવેલા, ત્યારે પણ ભક્તિગીતો, ઉલ્લાસ ગીતો ગાતાં રહ્યાં. તેમાંનાં એક ગીતના શબ્દો છે: “ગીલીએડમાં એક પ્રકારની રાહત આપતી શક્તિ છે” એવી શક્તિ જે લોકને સાજા કરે, તેમની કઠણાઈઓ દૂર કરે.  

“ગીલીએડમાં જખ્મ પામેલી દુનિયાને ફરી દુરસ્ત કરે તેવો મલમ છે.” એ ગીતની એક કડીમાં એ કેવી રીતે બને, તે સમજાવે છે:

તમે જો પીટરની માફક ઉપદેશ ન આપી શકો,
અને પોલની માફક પ્રાર્થના ન કરી શકો,
તો તમે દુનિયાને બસ જીસસ પ્રત્યેના પ્રેમની વાત કરો,
આપણી રક્ષા કરવા એણે કેવું બલિદાન આપ્યું.

અને એ જ મલમ છે ગીલીએડમાં !

આ પ્રેમની રીત, એ જ છે જીવનની રીત. તેઓ આ વાત સમજી ગયેલા. તેમણે (જીસસે) આપણી રક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપ્યું. મૃત્યુને શરણે જવાનું કોઈ અન્ય કારણ નહોતું, તેઓ તેમાંથી ઊગરી જઈ શક્યા હોત. જીસસને મૃત્યુ પામવા માટે કોઈ માનદ્દ વિદ્યા વાચસ્પતિની ઉપાધિ નહોતી મળી. તેમને એમાંથી કોઈ લાભ નહોતો મળવાનો. અન્ય લોકોના ભલા માટે અને દુનિયાની સ્વસ્થતા વાસ્તે – આપણા માટે – તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું.

પ્રેમ આ ચીજ છે. પ્રેમ સ્વાર્થી અને સ્વકેન્દ્રી નથી હોતો. પ્રેમ બલિદાન માગે છે અને તેમ કરતાં મુક્તિ આપનાર બને છે. અને આ રીતે નિ:સ્વાર્થ, બલિદાન માગનારો અને મુક્તિ આપનારો પ્રેમ જીવન બદલી નાખે છે, એટલું જ નહીં પૂરા વિશ્વને બદલી શકે છે.

જો તમને મારી વાત પર વિશ્વાસ ન બેસતો હોય તો જરા ઊભા રહો, કલ્પના કરો. જરા વિચારો અને કલ્પના કરો, એક એવી દુનિયાની જ્યાં પ્રેમ એ જ જીવનનો માર્ગ છે.

કલ્પના કરો કે તમારા ઘર અને પરિવારમાં પ્રેમ એ જ જીવન રીતિ છે. કલ્પના કરો આપણાં પડોશીઓ અને સમુદાયોમાં પ્રેમ એ જ એક માત્ર જીવનરીતિ છે.

જરા કલ્પના કરો આપણી સરકારો અને રાષ્ટ્રો એવાં છે, જ્યાં પ્રેમનું જ આધિપત્ય છે. કલ્પના કરો કે વ્યાપાર-વાણિજ્યમાં પણ પ્રેમ એ જ વ્યવહારની રીત છે. કલ્પના કરો કે આ થાકેલી પુરાણી દુનિયાનો પ્રેમ એ જ એક માર્ગ છે.

જ્યારે નિ:સ્વાર્થ, બલિદાન માગનારો અને મુક્તિ આપનારો પ્રેમ આપણો માર્ગ બનશે ત્યારે એક પણ બાળક આ દુનિયામાં કદી ભૂખ્યું સૂશે નહીં. જ્યારે પ્રેમના માર્ગ પર ચાલીશું ત્યારે આપણે ન્યાયને એક ખળખળ વહેતાં ઝરણાંની જેમ વહેતુ કરીશું અને સત્ય એક અવિરત ઝરાની જેમ વહ્યા કરશે. જ્યારે પ્રેમ જીવનનો પ્રધાન માર્ગ બને છે, ત્યારે ગરીબી ઇતિહાસ બની જાય છે. જ્યારે પ્રેમ જીવનની રીત બને છે, ત્યારે પૃથ્વી એક અભયારણ બની રહે છે. જ્યારે પ્રેમ આપણા જીવનનો માર્ગદર્શક બને ત્યારે આપણે તલવાર અને ઢાલ નદી કિનારે હેઠાં મૂકી દેશું અને યુદ્ધોનો અભ્યાસ કદી નહીં કરીએ. જ્યારે પ્રેમ મુખ્ય જીવનની ધારા બનશે ત્યારે – તેને માટે ઘણો અવકાશ છે – ઈશ્વરનાં બધાં સંતાનો માટે; ત્યારે આપણે એકબીજાં સાથે એક પરિવારના સભ્ય જેવો વ્યવહાર કરીશું. જ્યારે પ્રેમ જીવનરીતિ બને છે, ત્યારે આપણે અનુભવીએ છીએ કે ઈશ્વર જ આપણા ંબધાંનો મૂળ સ્રોત છે અને આપણે બધાં તેનાં સંતાનો છીએ, આપણે ભાઈઓ અને બહેનો છીએ.  

મારા ભાઈઓ અને બહેનો, આ નવું સ્વર્ગ છે, નવી પૃથ્વી છે, નવીન દુનિયા છે, નવો માનવ પરિવાર છે. મને એક વાત કહેવા દો, જૂના કરાર(અૉલ્ડ ટેસ્ટામેન્ટ)માં સોલોમને કહ્યું છે તે સાચું છે: એ શક્તિ અગ્નિ છે.

ફ્રેન્ચ જેસુઆઇટ પિયર તેયાલાર્દ દ’ શારદાન (Pierre Teilhard de Chardin) એ વીસમી સદીના ઉત્તમ વિચારક અને મનીષી મનાય છે. તેઓ એક જેસુઆઇટ, કેથલિક પાદરી, વૈજ્ઞાનિક, વિશેષજ્ઞ અને રહસ્યવાદી હતા. કેટલાંક લખાણોમાં દ’ શારદાન (de Chardin) પોતાના વૈજ્ઞાનિક અને બ્રહ્મવિદ્યાની પશ્ચાદભૂમિકાના સંદર્ભમાં પ્રતિપાદિત કરી ગયા છે – જેમ અન્ય વિચારકોએ પણ કહ્યું છે – કે અગ્નિની શોધ, અગ્નિને નાથવાની પ્રક્રિયા એ માનવ જાતના ઇતિહાસની સહુથી મહાન વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિકલ શોધખોળ ગણાય છે.

માનવ સંસ્કૃિતને વિકસાવવામાં અગ્નિનો ફાળો ઘણો મોટો છે. અગ્નિને કારણે ખોરાકને રાંધવાનું શક્ય બન્યું, તેને કારણે ભોજનની આરોગ્યપ્રદ રીત અસ્તિત્વમાં આવી, જેને પરિણામે તે સમયના રોગોનો ફેલાવો કાબૂમાં આવી શક્યો. અગ્નિના ઉપયોગથી વાતાવરણને ગરમ કરવાનું સંભવ બન્યું અને ઠંડા પ્રદેશોમાં પણ માનવ સ્થળાંતર શક્ય બન્યું.

અગ્નિ વિના કાંસ્ય યુગ કે લોહ યુગ સંભવ ન બન્યો હોત. અગ્નિની શોધ ન થઇ હોત તો ઔદ્યોગિક ક્રાંતિ શક્ય ન બની હોત. અગ્નિ અને બીજી ટેક્નોલોજીની પ્રગતિનો ઘણોખરો આધાર માનવીની અગ્નિને માનવ જાતના હિતમાં વાપરવાની શક્તિ પર રહ્યો છે.

તમારાંમાંથી કેટલાં અહીં કારમાં આવ્યાં? જો આવ્યાં હો તો જરૂર હકારમાં જવાબ આપશો. જો કે કેટલીક બગ્ગીઓ હતી તે જાણું છું. પરંતુ નિયંત્રિત અને કાબૂમાં રાખેલ અગ્નિથી કાર ચલાવવી શક્ય બની. હું જાણું છું કે બાઇબલમાં કહ્યું છે – અને હું માનું પણ છું – કે જીસસ પાણી પર ચાલેલા. પરંતુ મારે તમને કહેવું જોઈએ કે હું અહીં આવવા માટે એટલાન્ટિક મહાસાગર પર ચાલીને નથી આવ્યો. નિયંત્રિત કરેલ અગ્નિથી ચાલતાં એરોપ્લેનને કારણે આ શક્ય બન્યું.

અગ્નિને કારણે આપણે ટેક્સ્ટ, ટ્વિટ, ઇમેઇલ અને ઇન્સ્ટગ્રામ તથા ફેઈસબુક વાપરી શકીએ છીએ અને બીજી પાસ, એકબીજાં સાથે સામાજિક રીતે નકામા થતાં જઈએ છીએ. અગ્નિને કારણે આ બધું સંભવ બને છે. દ’ શારદાને (De Chardin) કહ્યું છે તેમ, અગ્નિની શોધ માનવ જાતિના ઇતિહાસમાં સહુથી મોટી શોધખોળ છે. પછી, તેમણે ઉમેર્યું કે જો માનવ જાત અગ્નિને ફરી વખત નાથી શકશે – જો માનવી પ્રેમની શક્તિને ફરી વખત બાંધી શકશે – તો ઇતિહાસમાં બીજી વખત આપણે અગ્નિની શોધ કરી કહેવાશે.

ડો. કિંગ સાચા હતા: આપણે પ્રેમની શોધ કરવી જોઈએ – મુક્તિ આપી શકે તેવી પ્રેમની શક્તિની. અને જ્યારે આપણે એ કરી શકીશું, ત્યારે આ જૂની પુરાણી દુનિયાને નવી બનાવી શકીશું.

મારા ભાઈઓ અને બહેનો, ઈશ્વર તમને ચાહે છે, ઈશ્વર તમારું કલ્યાણ કરે અને ઈશ્વર આપણે સહુને પ્રેમના સશક્ત બાહુપાશમાં સમાવી લે.”

•••••

વધુ રસ ધરાવનારાના લાભાર્થે, “ધ ગાર્ડિયન” અખબારમાં છપાયેલા એ પ્રવચન અને તેની વીડિયો ક્લીપ આ સાથે અહીં નીચે સામેલ છે:

https://www.theguardian.com/uk-news/2018/may/19/bishop-michael-currys-rousing-royal-wedding-sermon-the-full-text

e.mail : 71abuch@gmail.com

Loading

29 May 2018 admin
← Strife Torn Kashmir: Longings for Peace
Increasing Divisiveness: Modi Sarkar’s Communal agenda →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved