Opinion Magazine
Number of visits: 9448589
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિવા પત્રકારત્વ અવૉર્ડ : પ્રગતિશીલ અને પ્રસ્તુત, પ્રેરણાદાયી અને પ્રથમ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 February 2025

– ‘મારો દીકરો ત્રણ મહિનાનો હતો અને મારે સળંગ ત્રણ દિવસ ઓવરનાઈટ શૂટ પર જવું પડ્યું. આમ તો ચોવીસ કલાકની નોકરી ઇમ્પોસિબલ છે’ : ગોપી મણિયાર-ઘાંઘર, જાણીતાં ટેલિવિઝન પત્રકાર

–  ‘આ મારું લાઇફ અચીવમેન્ટ સન્માન છે’ : ભાનુમતિબહેન, ગોપીનાં સાસુ 

‘મારું સન્માન થાય એના કરતાં વધારે ખુશી મારાં મા-બાપનું સન્માન કર્યું તેની છે. તેમણે મારા માટે જે કર્યું છે તે મારા માટે બહુ મહત્ત્વનું છે’ : અનિતા પટણી, ટેલિવિઝન પત્રકાર, કે જેમના માતાને ફળની લારી છે અને પિતા નિવૃત્ત શિક્ષક છે. 

– ‘માસિક ધર્મ થકી સ્ત્રી દર મહિને પવિત્ર થાય છે, પુરુષ ક્યારે ય પવિત્ર થતો નથી, પછી એ પ્રયાગરાજ જઈને આવે પછી પણ એવો ને એવો જ રહે છે’, પ્રશાંત દયાળ, અગ્રણી પત્રકાર

આ કેટલીક વાતો છે શિવા પત્રકારત્વ અવૉર્ડ સમારંભની.

•••

પ્રશાંત દયાળ, તેમના પરિવાર અને નવજીવન ન્યૂઝે પ્રશાંતભાઈના જીવનસાથી શિવાનીબહેનની સ્મૃતિમાં શરૂ કરેલા શિવા પત્રકારત્વ અવૉર્ડનો સમારંભ 22 ફેબ્રુઆરીએ, કસ્તૂરબાની પુણ્યતિથિએ, સાંજે નવજીવન ટ્રસ્ટના સંકુલમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલમાં ભરચક દર્શકોની હાજરીમાં યોજાયો હતો. 

આ પહેલી વારનું સન્માન ગોપી મણિયાર ઘાંઘર અને તેમનાં સાસુ ભાનુમતિબહેનને; અને,  અનિતાબહેન પટણી અને તેમનાં માતા સવિતાબહેનને આપવામાં આવ્યું.

તેમાં સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને વીસ હજાર રૂપિયાના રાશિનો સમાવેશ હતો. બંને પત્રકારોનો પરિચય તરીકે તેમના પરની ટૂંકી સંગીન ફિલ્મ્સ હતી.

પ્રગતિશીલ, પ્રસ્તુત અને પ્રેરણાદાયી એવા આ ઉપક્રમના કાર્યક્રમનું આયોજન પણ દોઢ કલાક યાદગાર બને તેવી રીતે થયું હતું.

પ્રશાંતભાઈએ માહિતી આપી કે આ સન્માન દસ વર્ષથી વધુ અનુભવ ધરાવનારા અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના પત્રકારને એનાયત થશે. જેથી કામગીરીનો એક તબક્કો સધાયો હોય અને અવૉર્ડનો આનંદ આવે તેવી ઉંમર હોય. 

અલબત્ત, આ એવૉર્ડની અનન્યતા એ કે તે પત્રકાર ઉપરાંત તેની સાથે પડખે રહેનાર મહિલાને પણ આપવામાં આવશે. તેનો આશય પત્રકારની કામગીરી માટે તેના પરિવારના ફાળાને બિરદાવવાનો છે.   

કસ્તૂરબાની પુણ્યતિથિએ સમારંભ યોજવાનો હેતુ ગાંધીજીના જીવનમાં તેમનાં પ્રદાનનું ગૌરવ કરવાનો હતો. અનેક અગ્રણીઓનાં જીવનમાં આવેલી મહિલાઓની જેમ ઉપેક્ષિત રહ્યાં છે. તેમની કદર ન થઈ. ઘરઘરમાં આવી કસ્તૂરબા હોય છે. તેની કદર કરવી એ સાચી અંજલિ  ગણાય. 

શિવાની અને પ્રશાન્ત દયાળ

એવૉર્ડની ઉપરોક્ત ભૂમિકા આપવાની સાથે પ્રશાંતભાઈએ સમાજમાં ઘરની મહિલાઓ બાબતે તને-ખબર-ન-પડે એ બેહૂદી પુરુષપ્રધાન માન્યતાથી શરૂ કરીને પ્રશાંતભાઈએ સ્ત્રીજાતિની અસાધારણ ક્ષમતાને સરસ રીતે ઉપસાવી.

પ્રશાંતે તેમના જીવનમાં શિવાનીબહેનનું કેવું અસાધારણ સ્થાન હતું તે હૃદયસ્પર્શી રીતે બતાવ્યું. સમારંભનો દિવસ એ ત્રીસ વર્ષ પૂર્વે એટલે કે 1996માં ભરૂચના નાનકડા ટાઉનની  શિવાની મોઘે પ્રશાંતના જીવનમાં રજિસ્ટર લગ્ન કરીને પહેરેલાં કપડે પ્રવેશવાનો પણ દિવસ હતો.

પત્રકાર પતિ પ્રામાણિક અને હિમ્મતવાળો જ રહે તેના માટે શિવાનીએ જે  કહ્યું-કર્યું તેના બનાવો પણ પ્રશાંતભાઈએ વર્ણવ્યા. જેમ કે, પોતે કૌસરબી બળાત્કાર-હત્યા તેમ જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનું જબરદસ્ત કવરેજ કરતા હતા, તે વખતે તેમને મોટી રકમની ઑફર થઈ હતી. એ  વખતે મમ્મીના કૅન્સરની સારવાર માટે પૈસાની જરૂર પણ હતી.

એટલે પ્રશાંતભાઈએ પૈસા લેવા અંગે શિવાનીને પૂછ્યું, એટલે એ મતલબનો જવાબ મળ્યો કે ‘મારી પર બળાત્કાર થાય અને મને આવી રીતે મારી નાખે તો તમે પૈસા લઈ લેશો ને, લઈ લેજો પૈસા.’  

એક વખત સરકારે એક સ્ટોરી માટે પ્રશાન્ત પર રાજદ્રોહનો કેસ કર્યો અને તેને અન્ડરગ્રાઉન્ડ જવું પડ્યું ત્યારે શિવાનીએ કહ્યું : ‘હવે કોઈ દિવસ કોઈની વિરુદ્ધ લખતા નહીં … ડરીને ભાગી જાય એવો પતિ હું પસંદ નથી કરતી.’ 

પ્રશાંતભાઈએ યાદ કર્યું કે લગ્ન બાદ પહેલાં પંદર વર્ષ એમણે એક પણ વીકલી ઑફ લીધો ન હતો. તેમણે ઘરના મોકળાશભર્યા વાતાવરણની, સંતાનો સાથેની નિખાલસ વાતચીતની, સભ્યો વચ્ચેના સંવાદની અને એકંદરે સંસારની ઉજળી બાજુ બનાવો સાથે સંભારી.

પ્રશાંતભાઈએ અનેક શબ્દોમાં શિવાનીને યાદ કર્યાં : ‘શિવાનીએ મારા ઘરની દીવાલોને ઘર બનાવ્યું’, ‘હું પત્રકારત્વમાં આગળ વધતો રહ્યો અને તેની કિંમત શિવાની અને મારો પરિવાર ચૂકવતાં રહ્યાં એ મને સમજાયું નહીં’, ‘એ બહુ સાદી સ્ત્રી, સરળ, બીકણ સ્ત્રી. પણ એના પાતળા દેહમાં બહાદુરી, ખુમારી ઠાંસી ઠાંસીને ભરી હતી’, ‘એની પાસે એ સ્પષ્ટતા હતી કે મારા ઘરમાં એવો પૈસો ન આવવો જોઈએ કે જે નિસાસાનો પૈસો હોય, કોઈની પીડાનો પૈસો હોય.’ 

‘એને ખબર હતી કે એ જવાની છે, એની પાસે સમય ઓછો છે, પણ છતાં એ એની તાકાત પ્રમાણે લડતી રહી’, ‘મારી પાછળ શિવાની ન હોત તો હું જે કંઈ છું તે ન હોત, આ મુકામ પર પત્રકારત્વને પહોંચાડી શક્યો ન હોત’, ‘શિવાની પુત્રવધૂ ભૂમિને પેટે દીકરી તરીકે અમારા ઘરમાં પાછી આવવની છે.’ 

સન્માન મેળવનાર  બંને પત્રકારોએ તેમનાં ઘડતરમાં પ્રશાંતભાઈના ટેકાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો. ગોપીએ લાગણીસભર રીતે શિવાંગી અને તેની વચ્ચેની મૈત્રીને યાદ કરી. તેમણે ભાનુમતિબહેનની પીઠબળની પણ વાત કરી.

સન્માન સમાજસેવક મિત્તલ પટેલ અને વરિષ્ઠ પત્રકાર મુકુંદ પંડ્યાને હસ્તે અપાયાં. મિત્તલે પ્રશાંતભાઈએ તેને પ્રસંગે પૂરાં પાડેલાં મજબૂત પીઠબળની જીકર કરી. તેમણે એ પણ નોંધ્યું કે પ્રશાંતભાઈ માણસ તરીકે ટકી રહ્યા, ખોવાયા નહીં તેની પાછળ શિવાની હતાં. 

મુકુંદભાઈ 1975ની કટોકટી વખતના પત્રકારત્વને યાદ કર્યું .તેમણે એમ પણ કહ્યું કે સન્માનિત પત્રકારો અત્યારના સમયમાં પણ મૂલ્યો જાળવીને, પ્રામાણિકતાથી કાર્યરત છે તેમાં તેમના પરિવારનો સાથ હોય છે, તેમનો પરિવાર તેમની તાકાત, તેમનું પોષણ હોય છે.

શિવાનીને યાદ કરીને તેમણે ‘રામ તમે સીતાજીની તોલે ન આવો’ પંક્તિ ટાંકી. મકરંદ દવેના જાણીતા ભજન ‘અમે રે સૂકું રૂનું પૂમડું’નો છેલ્લો અંતરો ‘અમે રે ઊધઈ ખાધું ઇંધણું’ હલકથી ગાઈને તેનો કસ્તૂરબાના, મહિલાના સંદર્ભમાં અર્થ બતાવ્યો. નવજીવનના મૅનેજિન્ગ ડિરેક્ટર વિવેક દેસાઈએ પણ ભાવસભર રીતે નવજીવન બ્લૉક્સનો માહોલ અને તેમાં શિવાનીની હાજરીની યાદો વર્ણવી. પ્રશાંતના દીકરી પ્રાર્થનાએ પણ તેની મમ્મીને સ્વસ્થ રીતે યાદ કરી.

સંશોધક, પત્રકાર, લેખક અને વર્ષોથી પ્રશાંતના મિત્ર ઉર્વીશ કોઠારીએ કાર્યક્રમનું સંચાલન સાહજિક રીતે કર્યું. તેમાં પ્રશાન્ત, અત્યારની પત્રકારિતા, અત્યારનો સમય જેવી બાબતોના ઉલ્લેખો હતા. તેમની વાતમાં હળવાશ, કટાક્ષ, ટિપ્પ્ણી અને ચિંતનનો મજાનો મેળાપ હતો.

અત્યારે સ્ત્રીઓ માટે તકો વધતી જાય છે, એની સામે પુરુષી ઝેરીલાપણું (male toxicity) પણ વધતું જાય છે. એવા સંજોગોમાં સ્ત્રીની મહત્તાનું આટલી સરસ રીતે ગૌરવ કરવા બદલ પ્રશાંત દયાળ અને નવજીવન ન્યૂઝને અનેક ધન્યવાદ!

તસવીરો : રોહન ત્રિવેદી, કોલાજ : પરીક્ષિત જોગી 
26 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

26 February 2025 Vipool Kalyani
← સાવરકરના મનમાં હિંદુ રાજાઓની છાપ કેવી હતી?
તરસ જિંદગીની →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved