
રવીન્દ્ર પારેખ
આંગળાં ચાટીને પેટ ભરવામાં ગુજરાતનું શિક્ષણ ખાતું, ખાસું પાવરધું થઈ ગયું છે. પ્રાથમિક શિક્ષણનો સર્વનાશ કરવામાં, બીજું કોઈ નહીં, પણ સરકાર જ જવાબદાર છે. શિક્ષકો પાસે મહિનાઓ સુધી SIRની મજૂરી કરાવીને માસ્તરો માંડ સ્કૂલે જતા થયા, ત્યાં વસ્તી ગણતરીનો વેપલો પણ તેમની જ પાસેથી કરાવવાની સરકારે પ્રતિજ્ઞા લીધી છે. તે એટલે કે સરકાર જાણે છે કે માસ્તરો તો પાળેલા છે ને તે ગમે એટલું થાય તો પણ માથું ઊંચકવાના નથી. તેમના પર ગમે એટલો બોજ પડે, તો પણ તે વેઠી જ લેવાના છે. તેમને સ્વમાન જેવું નથી કે માથું ઊંચકે. એકલદોકલ શિક્ષક હોય તો વાંધો ન ઉઠાવે, પણ આખા રાજ્યમાં હજારો શિક્ષકો પણ વિત્ત વગરનાં હોય, ત્યાં સરકાર ધારેલું કરાવે તેમાં નવાઈ નથી. BLOની કામગીરીમાં, બોર્ડની પરીક્ષામાં જોતરીને સરકાર ધરાઈ નથી, એટલે વસ્તી ગણતરી-2027 શરૂ થવા જઈ રહી છે ને તેમાં ૩૦૦થી વધુ આચાર્યો સહિત અનેક શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. આમાં અસહ્ય એ છે કે આચાર્યોને પણ જોડવામાં આવ્યા છે. આચાર્યો જો વસ્તી ગણતરીમાં જશે, તો શાળાનું સંચાલન કરવાનું જ ન રહે ને એવું થાય તો પૂરો રકાસ થઈ શકે એવું સરકારનું લક્ષ્ય છે.
વસ્તી ગણતરી તાલીમની સમાંતરે ૩ એપ્રિલથી પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, એને લીધે શિક્ષકોની ચાલી આવતી ઘટ વચ્ચે સ્કૂલોમાં શિક્ષકો ને આચાર્યો હાજર નહીં રહી શકે. એ સંજોગોમાં પરીક્ષા કેમ લેવાશે ને એમાં કેટલો ભલીવાર હશે તે પ્રશ્ન જ છે, કારણ કે શિક્ષકોની તંગી વચ્ચે અન્ય શિક્ષકોએ બેત્રણ વર્ગો સંભાળવા પડે એમ બને. આ વસ્તી ગણતરી કંઇ નજીકમાં પૂરી થવાની નથી, તે મહિનાઓ સુધી ચાલશે, એ સ્થિતિમાં બાળકોનું શિક્ષણ ને તેમની પરીક્ષાઓ કેટલી હદે પ્રભાવિત થશે, એની તો કલ્પના જ કરવાની રહે છે. શિક્ષકોની લાંબી ગેરહાજરી વચ્ચે શિક્ષણનો તો દાટ જ વળવાનો છે. સમિતિને નિર્દોષ બાળકોનાં શિક્ષણ સામે શી દુશ્મનાવટ છે, તે નથી ખબર, પણ બાળકો ભણે જ નહીં, એની પેરવીમાં સરકાર છે. વર્ગમાં શિક્ષક જાય જ નહીં ને સરકારની ઈતર પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહે એ સરકારનો એકમેવ હેતુ છે. શિક્ષક પગાર શિક્ષણનો લે ને કામ સરકારનું કરે એવી ગણતરી છે ને હવે તો શિક્ષક ઘેટાંની જેમ નતમસ્તક રહેવા ટેવાઈ ગયો છે, એટલે ચાલે છે બધું.
આ સરકાર બાળકોની શત્રુ ન હોત, તો ખાવાપીવાને મામલે તે કંજૂસની જેમ વર્તતી ન હોત. મોટે ઉપાડે સરકાર યોજનાઓ તો ઘણી કરે છે, પણ પછી તે યોજનાઓ બંધ કરે છે, અથવા તો તેમાં એવો કાપ મૂકે છે કે યોજના ચાલુ રહે કે બંધ, બહુ ફરક ના પડે. એક તરફ ‘કુપોષણ મુક્ત ગુજરાત’નો પ્રચાર થતો હોય ને તેને માટે કરોડોનો ખર્ચ થતો હોય, એ સ્થિતિમાં રાજ્યમાં બે લાખ બાળકો કુપોષિત હોવાનું સામે આવે તો સરકારનો ખર્ચ બીજાની હોજરી ભરવા જ થતો હોવાનો વહેમ પડે. રાજ્યની 32,277 શાળાઓના 38 લાખ જેટલાં બાળકોને બપોરનાં ભોજન ઉપરાંત અલ્પાહાર માટેની ‘મુખ્ય મંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવામાં આવી. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ દર વર્ષે 40 લાખ બાળકો પાછળ 1,27૩ કરોડ રૂપિયા ખર્ચાય છે. અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને કુપોષણથી બચાવવા બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓને નિયત માત્રામાં પૌષ્ટિક અલ્પાહાર, વર્ગશિક્ષણ શરૂ થાય તે પહેલાં, પ્રાર્થના સમયે આપવામાં આવતો હતો, જેની વિદ્યાર્થી દીઠ 5 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી. આટલી મોંઘવારી છતાં, 5 રૂપિયામાં સરકારે કોઈ વધારો કર્યો નથી. એથી ઊલટું આર્થિક ભારણ વધારાનાં બહાના હેઠળ પાંચ રૂપિયામાં જ 50 ગ્રામનો નાસ્તો ઘટાડીને સરેરાશ 46.83 ગ્રામ કરી દેવામાં આવ્યો હતો. આમ દશાંશ પદ્ધતિ મુજબ નાસ્તો આપવો પડે કે 50ના 38 ગ્રામ સુધી તે ઘટી આવે, તો આ બધું કોને માટે થાય છે એ સરકાર નથી જાણતી?
નાસ્તામાં થોડી વધઘટ તો સહજ ગણાય, પણ સરકાર એટલી બધી ગરીબ થઈ ગઈ છે કે ગ્રામ, અડધા ગ્રામ જોખીતોળીને કટોકટ નાસ્તો આપવો પડે? એ નાસ્તો સ્કૂલનાં બાળકોને આપવાનો છે, તો એને થોડો વધારે અપાય તો એને પોષણ જ મળશે, તેને બદલે ગ્રામ, મિલિગ્રામ સુધીની કરકસર કરવી પડે ને એનો સરકારને સંકોચ ન હોય એ શરમજનક છે. એની સામે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા પાંચના સાત રૂપિયા કરવાની માંગણી મૂકવામાં આવી છે.
ટૂંકમાં, 5ના 7 તો થાય એમ ન હતું, પણ અલ્પાહાર ઘટાડવાનું તો સહેલું હતું ને એ જ થયું. નાસ્તાના વજનમાં ઘટાડો કરીને તે 38 ગ્રામ સુધી લઈ જવાયો છે. આ નાસ્તાઓમાં ચાટ, પૌંઆ, ઉપમા વગેરે હતાં, આ 38 ગ્રામનો જથ્થો વિદ્યાર્થીઓને કેટલાં પોષિત રાખશે તે પ્રશ્ન જ છે, પણ એમાં ધોરણ પાંચથી સાતના મોટા વિદ્યાર્થીઓએ આંગળાં ચાટીને પેટ ભરવું પડે એમ બને. આટલો ઓછો નાસ્તો હોય તો એક બે ચમચીમાં કે એક બે ટુકડામાં જ પતી જાય. નાસ્તો કર્યા પછી પણ નાસ્તો કર્યા જેવું લાગે જ નહીં, એવું તો ન થાય ને ! ટૂંકમાં, આ નાસ્તો અપૂરતો છે. બાકી, હતું તે સરકારે 30 કરોડ બચાવવા બાળકોને સુખડી અપાતી હતી તે બંધ કરી. 2013-2014માં ‘પી.એમ. પોષણ યોજના’ અંતર્ગત અઠવાડિયામાં એક વાર સુખડી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેને માટે 16 કરોડ આપવામાં આવતા હતા. એમાં 2024માં 14 કરોડનો વધારો કરવામાં આવ્યો ને ૩૦ કરોડને ખર્ચે બનતી સુખડી દર ગુરુવારે બાળકોને અપાતી હતી, તે યોજના હાલ કોઈ જ કારણ વગર સદંતર બંધ કરી દેવાઈ છે.
આ આખો વેપલો એન.જી.ઓ.ને આધારે થઇ રહ્યો છે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઈઝ કિચન દ્વારા 5,000 જેટલાં કેન્દ્રો પર ભોજન પહોંચાડવાની કામગીરી એન.જી.ઓ.ને સોંપવામાં આવી છે. એમાં રમત એ છે કે જે શાળાઓમાં ભોજન તૈયાર થાય છે તેને એન.જી.ઓ. કરતાં ઓછી રકમ આપવામાં આવે છે. વળી જિલ્લા કે તાલુકા મથકે સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા તૈયાર થયેલું ભોજન બાળકો સુધી પહોંચતામાં ટાઢું પડી ગયું હોય છે. સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભોજન લીધાના બે કલાકમાં તાજી સુખડી આપવી, પણ હકીકત એ છે કે ભોજન તૈયાર કરનાર કૂક-કમ-હેલ્પરો ને ચૂકવવામાં આવતું વેતન, લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું છે. મતલબ કે સરકારી કામોમાં પણ શોષણ ને ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે, એનો આ નમૂનો છે.
2026માં કોઈ દુકાનમાં 5 રૂપિયામાં નાસ્તો મળતો નથી. 20 રૂપિયાથી ઓછામાં નાસ્તો મળશે નહીં, એવાં પાટિયાં મારેલાં હોય છે ને સરકાર 5 રૂપિયામાં નાસ્તાનું વજન ઘટાડતાં જઈને પૌષ્ટિક (?)નાસ્તો આપે છે. એ નાસ્તો કેવી રીતે બનતો હશે ને કેવો હશે તે કહેવાની જરૂર નથી. જેને નાસ્તાનો કોન્ટ્રાક્ટ અપાયો હશે, તે ખોટ ખાઈને તો નાસ્તો બનાવવાનો નથી. એ જે મટિરિયલ વાપરશે તેની ગુણવત્તાના પ્રશ્નો હશે, તો 5 રૂપિયામાં એ પૌષ્ટિક કેવી રીતે હશે ને સવાલોનો સવાલ તો એ છે કે આટલી કરકસર સરકાર પોતાને માટે કરે છે? તેના મંત્રીઓ, નેતાઓ, ગ્રામ, મિલિગ્રામમાં તોલીને નાસ્તો કે ભોજન લે છે? સરકારના મેળાવડાઓ કે સરકારી તાયફાઓમાં નાસ્તાપાણી થાય છે કે જમવાના થાળ બને છે, તેમાં સરકાર કેટલી કરકસર કરે છે તે દુનિયા જાણે છે. એકતરફ કરોડોનો ધુમાડો થતો હોય ને બીજી તરફ જેમને પોષણની જરૂર છે તેવાં બાળકોને નાસ્તો આપવામાં કરકસર થાય તે ઠીક નથી. પૈસા ઉડાવાય નહીં તે ખરું, પણ ગુણવત્તાને ભોગે કેવળ કંજૂસાઈ જ થાય, તો તે બધી રીતે અક્ષમ્ય છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 માર્ચ 2026
![]()

