આપણા દેશમાં સામાન્ય રીતે રાજકીય નેતાઓ પાસેથી તેમની રાજકીય સફર કે પછી તે દરમિયાન કરવામાં આવેલાં લોકહિતનાં કાર્યોનાં સંભારણાંની અપેક્ષા રાખવામાં આવે છે; અને મહદંશે આ જ અપેક્ષા તેઓ પૂર્ણ કરતા રહ્યા છે. જૂજ રાજકીય નેતાઓ પોતાની આ છબિમાંથી બહાર નીકળીને કોઈ કાર્ય કરે છે. મનીષ સિસોદિયા તેમાંના જ એક છે. તેમણે દિલ્હીના શિક્ષણક્ષેત્રની કાયાપલટ કરી છે અને સરકારી શાળાઓને શ્રેષ્ઠ રીતે કાર્યરત કરી બતાવી છે. સરકારી માળખામાં અચ્છા અચ્છા પ્રયોગ કરનારા આવીને બીબાંઢાળ કામો કરીને પોતાની ટર્મ પૂરી કરી નાંખે છે, જ્યારે મનીષ સિસોદિયાએ અલગ તરી આવે તેવું કામ શિક્ષણમાં કર્યું છે. વર્તમાન સમયમાં ખાનગી સ્કૂલોની બોલબાલા છે અને શહેરી મધ્યમવર્ગ પણ સરકારી શાળાઓના ભરોસે પોતાનાં બાળકોનું શિક્ષણ કરાવવા માંગતા નથી. આ માહોલમાં દિલ્હીના શિક્ષણમાં થયેલા કાર્યને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોના લોકો પણ સ્વીકારે છે. તેમનું તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘શિક્ષા : માય એક્સ્પેરિમેન્ટ્સ એઝ એન એજ્યુકેશન મિનિસ્ટર’ આ અંગેનો દસ્તાવેજ પૂરો પાડે છે.
આજે દેશભરમાં સરકારી શાળાઓ બંધ થઈ રહી છે અને જે કાર્યરત છે, તેની સ્થિતિ કથળેલી છે. આ કિસ્સામાં ગુજરાત સહિત અનેક રાજ્યોની સરકારે એવું વલણ અપનાવ્યું કે બાળકો સરકારની નહીં પણ માતાપિતાની જવાબદારી છે. જો માતાપિતાને પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપવું હશે, તો તેઓ જવાબદારી ઉઠાવે. આ જ વલણ સાથે શિક્ષણમાં પ્રવેશેલા માફિયાઓના સંગ હાથ મિલાવીને મોટા ભાગની સરકારોએ શિક્ષણમાંથી હાથ ઊંચા કરી લીધા છે. પણ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાનું વલણ આમ ન રહ્યું. તેમણે બાળકોને માબાપની જવાબદારી તો ગણાવી જ, પણ સાથે બાળકોને દેશની સંપત્તિ તરીકે જોયાં. માતા-પિતા બાળકોનાં ભવિષ્યને લઈને તેમનું સર્વસ્વ ઇન્વેસ્ટ કરતા હોય તો દેશે પણ તે જ રાહે બાળકો પર ઇન્વેસ્ટ કરવું જોઈએ.
દિલ્હીને શિક્ષણમાં મૉડલ તરીકે ઊભું કરવું તે કંઈ નાનીસૂની વાત નથી. દિલ્હીમાં કૉર્પોરેશન અને રાજ્ય સ્તરની શાળાનો રેશિયો પચાસ ટકાથી ઉપર છે; એટલે આ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વીસ લાખને સ્પર્શે છે. વીસ લાખ બાળકો જ્યાં અભ્યાસ કરતાં હોય, તે તમામ શાળાઓમાં પ્રયોગ કરીને એક બૅન્ચમાર્ક સેટ કરવો પડકારભર્યું છે. ખાસ કરીને કેન્દ્રમાં અન્ય સરકાર હોય ત્યારે. તેમ છતાં, દિલ્હીની શાળાનાં સતત સારાં પરિણામ આવતાં રહ્યાં. આમ કરી શકવા પાછળ દિલ્હી સરકારનું પ્રોત્સાહન તો હતું જ પણ શિક્ષકોની તાલીમ અને પ્રતિબદ્ધતા પણ હતી. એક મુલાકાતમાં મનીષ સિસોદિયા કહે છે કે શિક્ષકો પ્રત્યે પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખીએ છીએ, ત્યારે તેની શરૂઆત તો સૌથી પહેલાં તમારાથી જ થાય છે. મતલબ કે જે પરિવર્તનનો વિચાર મૂકે છે તેનાથી. દિલ્હીમાં શિક્ષણમંત્રીથી માંડીને નીચેના તબક્કા સુધીના તમામે આ પ્રયોગમાં પોતાની ફરજ બજાવી, જેનું પરિણામ આજે દિલ્હીની શાળાઓમાં ઝળકી રહ્યું છે.
‘આપ’ જ્યારે દિલ્હીમાં બહુમતીથી ચૂંટાઈ આવ્યો, ત્યારે તેમનો પ્રાથમિક એજન્ડા દિલ્હીના શિક્ષણનાં કાયાપલટનો હતો, પરંતુ ત્યારે તેમની સામે સમસ્યા એ હતી કે ખાડે ગયેલી આ પૂરી વ્યવસ્થાને કેવી રીતે ટ્રૅક પર લાવવી. અગાઉના અનુભવ વર્ણવતાં મનીષ સિસોદિયા કહે છે કે શરૂઆતમાં દિલ્હીની શાળાઓમાં જઈને જોયું તો ઘણે ઠેકાણે બાળકો જોખમી છત નીચે ભણી રહ્યાં હતાં, કેટલીક જગ્યાએ બાળકો પરસાળમાં ભણવા મજબૂર હતાં, ક્યાંક વળી એક જ વર્ગમાં ૧૭૪ વિદ્યાર્થીઓની સંખ્યા હતી! તેઓ લખે છે કે આ કિસ્સામાં તો સાક્ષાત્ ઈશ્વર પણ શિક્ષક બનીને આવે તો ય ભણાવવાની વાત તો દૂર રહી, પણ બાળકોને એક જ વર્ગમાં કેવી રીતે બેસાડવાં તે પણ પ્રશ્ન હતો. સૌ પ્રથમ ૩૦,૦૦૦ વર્ગખંડ નિર્માણ કરવાની આવશ્યકતા હતી, જેમાંથી ૨૧,૦૦૦ વર્ગખંડ ચાર વર્ષમાં નિર્માણ પામ્યા મનીષ સિસોદિયા ખૂબ સંતોષ વ્યક્ત કરતાં કહે છે કે આજે દિલ્હીના કોઈ પણ સરકારી શાળા તમને બૉર્ડ વિનાની, પંખા વિનાની કે તૂટેલો વૉશરૂમવાળી જોવા નહીં મળે. આ બધા જ ખર્ચ માટે દિલ્હી સરકારે બજેટ ફાળવણીમાં પણ શિક્ષણને પ્રાથમિકતા આપી છે. શિક્ષણમાં સૌથી વધુ નાણાં ફાળવનાર રાજ્ય દિલ્હી જ છે. ૨૦૧૯-૨૦માં પણ કુલ ૬૦,૦૦૦ કરોડના બજેટમાં શિક્ષણમાં ૨૬ ટકા(૧૩,૯૯૭) બજેટ ફાળવવામાં આવ્યું છે.
શિક્ષણ પ્રત્યે લગાવ ધરાવનારા અને તેમાં દીર્ઘદૃષ્ટિથી કાર્ય કરનારા રાજકીય નેતાઓ જૂજ રહ્યા છે. ખુદ મનીષ સિસોદિયાએ આવા નેતાઓમાં જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીનો જ ઉલ્લેખ કર્યો છે. જેઓના શાસનકાળમાં શિક્ષણમાં ધ્યાન અપાયું; પરંતુ તેનો લાભ તમામ વિદ્યાર્થીઓને ન મળી શક્યો. મનીષ સિસોદિયાએ આ મર્યાદા ન રહે તે માટે દિલ્હીની દરેક શાળા અને વિદ્યાર્થીઓને રડારમાં લીધા હોવાનો દાવો કરે છે.
શિક્ષણમાં કશું નક્કર થાય તે માટે સરકારમાં પ્રયાસ થયા છે. જો કે પરિણામ ઠોસ નથી આવતાં તે અંગે સિસોદિયા કહે છે કે શિક્ષણ અંગે નિર્ણય લેનારાઓમાં મુખ્યત્વે ત્રણ પદાધિકારી હોય છે : એક શિક્ષણમંત્રી, બીજા શિક્ષણસચિવ અને ત્રીજા શિક્ષણ નિર્દેશક. આ ત્રણેય વ્યક્તિઓનો એજ્યુકેશન સાથે કોઈ નાતો હોતો નથી! સંયોગથી કોઈનો સંબંધ હોય તો તે વાત અલગ છે. આ કારણે જ શિક્ષણની સ્થિતિ બદતર થતી રહી છે. થોડું વધુ ફોડ પાડીને કહેવું હોય તો આપણે ત્યાં શિક્ષણ સાથે કોઈ જ સંબંધ ન ધરાવનાર વ્યક્તિ પણ શિક્ષણમંત્રી બની જાય છે. એવી જ રીતે આઈ.એ.એસ. અધિકારી સિનિયૉરિટી અને શિક્ષણક્ષેત્રના અલ્પ અનુભવ સાથે સચિવ કે નિર્દેશક બની શકે છે. આ પદ્ધતિને બદલીશું નહીં ત્યાં સુધી શિક્ષણમાં પરિવર્તનનાં સપનાં જ જોવા રહ્યાં!
‘શિક્ષા’ પુસ્તકમાં આવાં અનેક સૂચનો છે. જેમ કે, મુલાકાતમાં મનીષ સિસોદિયાને એમ પૂછવામાં આવ્યું કે શું તમારો પ્રયાસ દિલ્હીના કોચિંગ-ઇન્ડસ્ટ્રીઝ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે? તેના જવાબમાં સિસોદિયાએ કહ્યું કે ક્વૉલિટી એજ્યુકેશનની કોઈ લિમિટ નથી. આ માટે આપણે મિનિમમ એજ્યુકેશનની લિમિટ નક્કી કરી શકીએ. તે સિવાય તમારે દુનિયાભરમાં જે શીખવું હોય તે કેટલુંક શાળા શીખવશે, કેટલુંક કોચિંગ અને કેટલુંક યુનિવર્સિટી પણ શીખવડાવશે. તમે જાતે પણ કેટલુંક શીખશો. જો કે મનીષ અહીંયાં ભારપૂર્વક જણાવે છે કે બેઝિક લેવલના શિક્ષણની જવાબદારી શાળાઓએ લેવી જ રહી. આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકોને આપણે કઈ બાબત માટે તૈયાર કરીએ છીએ તે નિશ્ચિત નથી. જેમ કે જે વિદ્યાર્થીઓને ઍન્જિનિયરિંગ ભણવું છે તેમને ભાષાનું વધુ જ્ઞાન આપવું જરૂરી નથી. આમ, જો અભ્યાસક્રમ ઘડાય તો તેનાં પરિણામ વધુ સારાં આવી શકે.
મનીષ સિસોદિયા અને તેમની ટીમે જે કાર્ય કર્યું છે, તેના તબક્કા હતા. સિસોદિયાનું તે વિશે કહેવું છે કે પ્રથમ વર્ષ અમે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કર્યું. બીજા વર્ષે શિક્ષકોની ટ્રેનિંગ પર અને વિશ્વભરમાં અલગ અલગ રીતે શિક્ષણ કેવી રીતે અપાય છે તેના પર કામ કર્યું. ત્રીજા વર્ષે અમે જોયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિર્માણ થવા માંડ્યું છે અને વિશ્વભરમાં જે પદ્ધતિથી શિક્ષણ અપાય છે તે પણ આપણને માલૂમ થયું છે. ત્રીજા વર્ષથી માત્ર અમે એજ્યુકેશન પર ફોકસ કરવા લાગ્યા. આગળમાં એક આઇડિયા ‘હેપ્પીનેસ કરિકુલમ’નો આવ્યો. દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં આજે ‘હેપ્પીનેસ કરિકુલમ’ લાગુ છે. આ અંતર્ગત નર્સરીથી આઠ વર્ગના વિદ્યાર્થીઓ પ્રથમ ૪૫ મિનિટ પુસ્તક વિના ગાળે છે. આ અભ્યાસક્રમમાં જીવનમાં આવનારા પડકાર સામે ઝીંક ઝીલવા અને આનંદિત રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે દિલ્હીનો આ સફળ પ્રયોગ ભા.જ.પ.શાસિત હિમાચલપ્રદેશમાં પણ લાગુ થવાનો છે!
મનીષ સિસોદિયાના અહીંયાં પ્રસ્તુત વિચાર ’એન.ડી.ટી.વી.’ના હમલોગ કાર્યક્રમમાં નગમા સહર લીધેલા મુલાકાત પર આધારિત છે. આ મુલાકાતમાં પુછાયેલો એક પ્રશ્ન આપણે પ્રજા તરીકે સાવ ભૂલી ચૂક્યા છે, તે હતો કે “શિક્ષણ ક્યારે ય આપણી રાજનીતિના કેન્દ્રમાં રહ્યું નથી, શિક્ષણ ચૂંટણીનો મુદ્દો બને તેવું પણ રહ્યું નથી. તમારી રાજનીતિમાં શિક્ષણ કેવી રીતે મહત્ત્વનો મુદ્દો બન્યો?” આ અંગે મનીષ સિસોદિયા જવાબ આપે છે કે “શિક્ષણ રાજનીતિના કેન્દ્રમાં નહીં પણ ખરેખર તો દેશની ચર્ચાના કેન્દ્રમાં હોવું જોઈએ. પૂરા દેશે નક્કી કરવું જોઈએ કે જે કોઈ કાર્યો બાકી છે, તે પછી કરીશું, જરૂરી એ છે કે પહેલાં આપણે બાળકોને તો ભણાવીએ. એ ખૂબ સારી વાત છે કે આપણે ચંદ્ર પર જવાની વાત કરીએ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જવાની વાત કરીએ. જો કે તેની સાથે આપણે એ પણ જોવું જોઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં એક ખંડમાં આપણે ૧૭૪ બાળકો એનરોલ કર્યાં હતાં!”
મનીષ સિસોદિયા શિક્ષણને લગતી એવી અનેક વાતો કરે છે, જે સૌએ ગાંઠે બાંધવા જેવી છે. દિલ્હીનાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે કેટલાક આકરા નિર્ણયો પણ લેવા પડ્યા છે. મનીષ કહે છે કે અમે માળખાગત સુવિધા અને અનેક યોજનાઓનાં નાણાં પર કાપ મૂકીને શિક્ષણમાં રોકાણ કર્યું છે. અન્ય વિભાગોમાં કાર્ય અગત્યનાં હતાં, યોજનાઓ મહત્ત્વની હતી, પણ અમે શિક્ષણ માટે આકરા થયા. સૌથી અગત્યનું જેનો ઉલ્લેખ આરંભમાં કર્યો છે તેમ શિક્ષણનું બજેટ ટકાવારી પ્રમાણે નક્કી નથી થયું, બલકે મનીષના કહેવા મુજબ શિક્ષણમાં જે પણ જરૂરી છે તે બધું જ કરવું છે, તે આધારે નક્કી થયું.
આ બધું જ થયું છે આમ તો મનીષ સિસોદિયાના નેતૃત્વ હેઠળ, પણ તેઓ આ પૂરી સફળ ગાથાનો જશ એકલા લેતા નથી. આજે ’બધું મેં કર્યું છે’તેમ કહેવાની પૅટર્ન ખૂબ વિકસી છે, ત્યારે મનીષ દિલ્હીના શિક્ષણને લઈને પોતાની પૂરી ટીમને, અધિકારીઓને, શિક્ષકોને અને બાળકોને પણ શ્રેય આપે છે. મનીષની વાતમાં ઊભરી આવે તેવું નામ આતીષી મર્લેનાનું છે. આ ઉપરાંત રાજનીતિક ઇચ્છાશક્તિ દાખવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આભાર તેઓ માને છે.
મનીષ રાજનીતિમાં આવ્યા પછી ટૂંકા ગાળામાં ધરખમ બદલાવ લાવી શક્યા તેનું મહત્ત્વનું કારણ તેમનું લાંબા અરસાનું જાહેરજીવન છે. તેઓની કારકિર્દી પત્રકારત્વની રહી છે અને ત્યાર બાદ સ્વૈચ્છિક સંસ્થાઓમાં રહીને પણ તેમણે માહિતીનો અધિકાર અને જનલોકપાલ બિલ પર કામ કર્યું. તેનો લાભ તેમને જમીની સ્તરે શિક્ષણમંત્રી તરીકે નિર્ણયોનો અમલ કરવા માટે મળ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શિક્ષણમાં કેવા કેવા પ્રયોગ થઈ રહ્યાં છે તેને લઈને પણ દિલ્હીના શિક્ષણમંત્રી સજાગ છે અને તે અર્થે તેઓ શિક્ષણના વિચારોની આપ-લે થાય એવા મંચ પર પણ જાય છે. તમે દેશનાં મોટા ભાગનાં રાજ્યના શિક્ષણમંત્રીનાં નામ તારવશો તો તેમાં જૂજ જ એવા મળે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કંઈક નવો વિચાર મૂકી શકે. મનીષ સિસોદિયા આવી જ એક આંતરરાષ્ટ્રિય શિક્ષણમંત્રીઓની કૉન્ફરન્સમાં ભારત વતી સારી વાતો મૂકી આવ્યા છે. આ કૉન્ફરન્સમાં સૌ કોઈ ટેક્નોલૉજી અને નવા યુગને શિક્ષણના સમાંતર કેવી રીતે જોવો તેવી વાત કરતા હતા, ત્યારે મનીષે સમાજ કેવી રીતે બહેતર થઈ શકે અને તેમાં શિક્ષણની શું ભૂમિકા હોય તેવા વિચાર મૂક્યા. તેઓનો સૂર એ હતો કે હિંસાને અટકાવવા માટે શિક્ષણ ખૂબ કારગત સાધન નીવડી શકે. સામાન્ય રીતે હિંસાને અટકાવવા શસ્ત્રો અને કાયદાનો આધાર લેવાય છે, પણ કૉન્ફરન્સમાં મનીષે હિંસાને નાબૂદ કરવા શિક્ષણમાં પદ્ધતિ વિકસાવવાની વાત કરી. જો કે મનીષે સ્વીકાર્યું કે જ્યારે આ કેવી રીતે થઈ શકે તેવું તેમને પૂછવામાં આવ્યું, ત્યારે તેમની પાસે તત્કાલ કોઈ જવાબ નહોતો. આ વિશે પછીથી તેઓનું મનોમંથન ચાલતું રહ્યું અને તેના પરિણામ સ્વરૂપ દિલ્હીના શિક્ષણમાં ’હેપ્પીનેસ કરિકુલમ’ લઈ આવ્યા.
શિક્ષણની આવી અનેક વાત મનીષ સિસોદિયાના પુસ્તકમાં કરી છે. જે માતા પિતા બાળકોના શિક્ષણ અંગે ગંભીર હોય અને હળવા થતા માંગતાં હોય, તો તેમણે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. આશા રાખીએ કે આપણા રાજ્યને પણ ભવિષ્યમાં મનીષ સિસોદિયા જેવા શિક્ષણમંત્રી મળે અને અભ્યાસ કરનારાં બાળકોનું કલ્યાણ થાય અને માતા પિતા ચૂકવી રહેલી મસમોટી ફીથી બચે.
E-mail : kirankapure@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 10 – 11