Opinion Magazine
Number of visits: 9446690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાળા શિક્ષણનો સર્વનાશ થઈ રહ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 October 2021

રાજસ્થાનના ચૂરુમાં એક ઘટના ઘટી છે. કોલસર કરીને એક ગામ. તેની એક ખાનગી શાળામાં એક વિદ્યાર્થી 7માં ધોરણમાં ભણે. બુધવારે બપોરે એક શિક્ષકે તેને એટલો માર્યો કે તે તેર વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું.

વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તે હોમવર્ક લાવ્યો ન હતો. આ જ વિદ્યાર્થીએ અગાઉ પણ ફરિયાદ કરી હતી કે તેના શિક્ષક કારણ વગર જ માર, માર કરે છે, પણ તેની વાતને સાબિત કરવા તેણે જીવ આપવો પડ્યો છે. હોમવર્ક ન લાવવાના ગુના સબબ શિક્ષકે તેને જમીન પર અફાળી અફાળીને એટલો માર્યો કે તેના નાકમાંથી લોહી નીકળવા માંડયું ને તે બેભાન થઈ ગયો. વિદ્યાર્થીએ ભાન ગુમાવ્યું ત્યારે શિક્ષક તેને હોસ્પિટલે લઈ ગયો. ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. એ પછી જે રાબેતા મુજબ થવું જોઈએ તે થયું. શિક્ષકની ધરપકડ કરવામાં આવી અને શિક્ષણ મંત્રીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. શાળા, આરોપી શિક્ષકના પિતાની છે એટલે શું થયું હશે ને શું થઈ શકે તે સમજી શકાય એમ છે.

બીજી એક ઘટના ગયા સપ્ટેમ્બરની, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક સ્કૂલની છે, જેમાં શિક્ષકે ક્લાસમાં વાતો કરતા એક વિદ્યાર્થીને ઠપકો આપ્યો તો વિદ્યાર્થીએ શિક્ષકને ક્લાસમાં જ મારવાની ધમકી આપી. સ્કૂલ છૂટી તો બાઇક પર જઈ રહેલા શિક્ષક પર એ વિદ્યાર્થી અને તેના બે મિત્રોએ ફાયરિંગ કર્યું. ગોળી શિક્ષકની છાતીને છરકાઇને નીકળી ગઈ એટલે શિક્ષકને સામાન્ય ઇજા થતાં બચાવ થયો હતો. શિક્ષકની ફરિયાદને આધારે પોલીસે વિદ્યાર્થી અને તેના મિત્રો સામે ગુનો નોંધ્યો હતો.

ત્રીજી ઘટના છે વિયેતનામની. એક વિદ્યાર્થી સ્કૂલમાંથી મોકલવામાં આવેલી વીડિયો લિન્ક મારફતે ઘરમાં જ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યો હતો. મોબાઇલને ચાર્જિંગમાં મૂકીને, ઇયરફોન લગાવીને તે અભ્યાસમાં જોડાયો હતો. અચાનક મોબાઈલ ફાટતાં તેનાં કપડાં સળગી ગયાં હતાં ને તેને હોસ્પિટલ ખસેડાયો હતો, પણ ત્યાં તે મૃત્યુ પામ્યો હતો. આમ તો ઓફલાઇન સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી, પણ કોરોનાને કારણે બાળકો અઠવાડિયામાં એક દિવસ ઘરેથી ઓનલાઈન અભ્યાસ કરે છે. 19 ઓકટોબરે, ઓનલાઈન અભ્યાસે, 11 વર્ષનાં એક બાળકનો જીવ લીધો હતો. અભ્યાસને નામે ઉપકરણોનાં બોજ અને  જોખમ આપણે બાળકો પર નાખી દીધાં છે તે દુ:ખદ છે.

આ ત્રણે ઘટનાઓ શિક્ષણ સાથે સંકળાયેલી છે. ત્રણેમાં શિક્ષણ નિમિત્તે ઊભાં થતાં જોખમોની વાત છે. પહેલી ઘટનામાં રાજસ્થાની શિક્ષકની હેવાનિયત ચરમસીમાએ છે. એમ લાગે છે, જગત સંવેદનહીન બનવાની સ્પર્ધામાં છે. ચોમેર મશીનો કામ કરે છે ને પૈસા કેવી રીતે ઊભા કરી લેવાય એની હોડ બકાતી રહે છે. ક્યાં ય કોઈ લાગણી, કોઈ સંવેદના, કોઈ માનવીય અભિગમની વાત જ નથી જાણે ! આમ બન્યું છે કારણ શિક્ષક પોતે માનવીય ભૂમિકામાંથી બાદ થઈ રહ્યો છે. ખરેખર તો શિક્ષકોને અત્યારે સૌથી વધુ માનવીય શિક્ષણની જરૂર છે. શિક્ષણ હવે ધંધાનું જ બીજું નામ છે ને એમાં સરકારથી માંડીને શિક્ષકો, સંચાલકો ને બધાં જ ધંધાદારી અભિગમથી જોડાય છે ને શિક્ષણ સિવાય બીજી બધી જ બાબતોની કાળજી લેવાય છે. અતિશિક્ષણ યાંત્રિકતાને જન્મ આપે છે. વધારે ટ્યૂશન, વધારે પુસ્તકો, વધારે હોમવર્ક એટલો જ અર્થ જાણે શિક્ષણનો બચી ગયો છે ને એ બધાં પછી બને છે શું, વગર પરીક્ષાએ જ બધાંને પાસ કરી દેવાતાં હોય છે, તો પ્રશ્ન થાય કે આટલા વ્યાયામનો કોઈ અર્થ ખરો? કોઈ પણ કાળમાં હોમવર્ક ન કરવું એ એવો મોટો ગુનો નથી જ કે તેને માટે જીવ આપવો પડે. આ પહેલી ઘટના નથી. આવું રાજસ્થાનમાં જ બને છે, એવું પણ નથી. તે કોઈ પણ રાજ્ય કે શહેર કે ગામમાં બની શકે છે.

બીજી ઘટનામાં વિદ્યાર્થી, હત્યા કરવાનો મનસૂબો રાખી શિક્ષકને ગોળી મારે છે. એ તો સારું છે કે શિક્ષકને ઇજા થઈને જ વાત અટકી ગઈ, બાકી જીવ પણ ગયો હોત ! ગોળી મારનાર વિદ્યાર્થી અને તેના મિત્રો સ્કૂલમાં ભણે છે ને એટલી હિંમત રાખે છે કે શિક્ષકને ચાલુ ક્લાસે જ ધમકી આપે, એટલું જ નહીં, ધમકીનો અમલ પણ કરે છે ને આ બધાંમાં સ્કૂલ મેનેજમેન્ટની કોઈ ભૂમિકા નથી જણાતી. એકથી વધુ વિદ્યાર્થીઓ વર્ગમાં હથિયાર રાખે ને સ્કૂલને તેની ભનક પણ ન પડે એવું તો ન જ હોય. શિક્ષકને ક્લાસમાં ધમકી અપાય ને એ શિક્ષક ચૂપ રહે ને તે જ ઘડીએ કોઈ પગલાં ન લે ને વિદ્યાર્થીઓ સ્કૂલ કેમ્પસમાં જ ગોળી મારે એ કઈ હદે વાતાવરણ કથળેલું હશે એની ચાડી ખાય છે. આ બંને ઘટનાઓની ઘોર નિંદા જ કરવાની રહે ને ભારતીય શિક્ષણ કેટલી હદે માંદલું થયું છે એનો અફસોસ જ વ્યક્ત કરવાનો રહે.

ત્રીજી ઘટના અકસ્માત છે. મોબાઈલ ફાટે છે ને વિદ્યાર્થી દાઝી જવાથી મૃત્યુ પામે છે, પણ આ અકસ્માત પણ શિક્ષણ સાથે સંકળાયેલો છે. વિયેતનામમાં સ્કૂલો ખૂલી ગઈ છે ને અઠવાડિયામાં એક દિવસ ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ લે છે. એ એક દિવસ, બાળકનું મોત બનીને આવે છે. સ્કૂલો ખૂલી ગઈ હોવા છતાં અઠવાડિયામાં એક દિવસ ઓનલાઈન શિક્ષણ આપવાનું શું કારણ હતું એ નથી ખબર, પણ કોરોનાએ વિશ્વભરમાં ઓનલાઈન શિક્ષણનો ધંધો પૂરબહારમાં ખીલવી આપ્યો છે ને એને નિમિત્તે બીજા પણ અનેક ધંધાઓનો વિકાસ થયો છે. જેમ કે, મોબાઈલ, લેપટોપ, નેટ વગેરેનો ઉપાડ ઘણા દેશોમાં વધ્યો છે. એને લીધે શિક્ષણની સ્થિતિ કેટલી સુધરી છે એ અલબત્ત ! પ્રશ્ન જ છે. ઓનલાઈન શિક્ષણને કારણે ઓનલાઈન પરીક્ષાઓ લેવાતી થઈ છે. એના સગવડ પ્રમાણે જવાબો આપવાનું પણ ક્યાંક બન્યું છે. વિદ્યાર્થીઓને એની એવી ટેવ પડી છે કે તેઓ ઓફલાઇન પરીક્ષા આપવા હવે બહુ તૈયાર નથી. ઘરેથી પરીક્ષા આપવાની સગવડે ઘણા વિદ્યાર્થીઓને વગર મહેનતે પાસ થવાની તકો પૂરી પાડી છે ને એ પછી પણ વાર્ષિક પરીક્ષાઓ લેવાય જ નહીં ને એનું મેરિટ પ્રમાણે પરિણામ પણ તૈયાર થાય તો ન ભણવાના લાભો વિદ્યાર્થી ન સમજે એટલા મૂરખ નથી.

શિક્ષણ શરૂ થઈ શકે એવા સંજોગો જ ન હતા એવામાં ઓનલાઈન શિક્ષણ એક વિકલ્પ તરીકે સ્વીકારવાનો વાંધો ન હતો, પણ હવે ઓનલાઈન શિક્ષણ બંધ થવું જોઈએ. ધારો કે હજી ક્યાંક ઓનલાઈન શિક્ષણ અનિવાર્ય બનતું હોય તો પણ, પરીક્ષાઓ કોઈ પણ સંજોગોમાં ઓફલાઇન જ લેવાવી જોઈએ. ઓનલાઈન પરીક્ષાએ વિદ્યાર્થીઓને એ માર્ગો બતાવ્યા છે જે મૂલ્યાંકનની કોઈ પ્રમાણિક બાજુ ઉપાસવતા નથી. વર્ગખંડમાં સુપરવાઇઝર્સ હોવા છતાં જો ચોરીનું પ્રમાણ ઘટતું ન હોય તો ઓફલાઇનમાં તો એ પ્રમાણ વધે એની પૂરતી સગવડો છે. જો મૂલ્યમાપનની કોઈ પણ અનિવાર્યતા આપણને જણાતી હોય તો તમામ સ્તરે ઓનલાઈન શિક્ષણ ને પરીક્ષાનું વર્ચસ્વ ઘટાડયે જ છૂટકો છે.

એ પણ સમજી લઈએ કે ઓનલાઈન શિક્ષણ ભારતમાં છેવાડાનાં ગામોમાં આજે પણ શક્ય બન્યું નથી. ત્યાં શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિ શી છે તેનો ફોડ પાડીને કોઈ કૈં કહેતું નથી. શિક્ષણ સમિતિઓમાં હોદ્દેદારો નિમાઈ જાય પછી કોઈ જવાબદારી કદાચ રહેતી નથી ને એ જ રગશિયું ગાડું શિક્ષણનું ચાલ્યા કરે છે. પગાર થતા રહે છે. ફી વધતી રહે છે ને કૈં પણ કર્યા વગર વિદ્યાર્થીઓ પાસ થતા રહે છે. વાલીઓ પોતાના નોકરી ધંધામાં વ્યસ્ત છે. બહુ થાય તો તે ફી ચોપડા આપી છૂટે છે. સ્કૂલો ફી ઉઘરાવીને કે થોડું ઘણું ભણાવીને ફરજ બજાવી લે છે. વિદ્યાર્થીઓ જાણે છે કે નહીં ભણવાથી પણ પાસ તો થવાય જ છે તો ભણીને ય શું ફેર પડી જવાનો છે?

કોઈ માઈના લાલને એ પ્રશ્ન થતો નથી કે ત્રણેક વર્ષથી 1થી 5 ધોરણના પ્રાઇમરીના વિદ્યાર્થીઓ સ્કૂલે જ જતાં નથી ને એક અક્ષર પાડ્યા વગર વિદ્યાર્થીઓ સીધા ત્રીજા ધોરણમાં આવી ગયા છે, એમ જ ઉપર સુધી સૌને ત્રણ ત્રણ વર્ષનું પ્રમોશન મળતું આવ્યું છે. પરીક્ષા વગર જ 8થી 10 સુધી ભણી જવાયું છે. એકથી ત્રણનો પાયાનો અભ્યાસ કાચો છે ને એ વિદ્યાર્થી આગળ વધતો જ જાય છે ને એની કોઈ ચકાસણી કયા સ્તરે થાય છે એની કશી વાતો બહાર આવતી નથી. પ્રાઇમરીમાં 1થી 5 ધોરણ છે કે પછી એ બંધ કરી દેવાયાં છે એની પણ કશી ખબર પડતી નથી. જાણે બધું ઠરી ગયું હોય તેમ ક્યાંય કશી સજીવતાનો અનુભવ જ નથી થતો. કોરોનાએ ઘણી લાશો પાડી એ ખરું, એમાં જે ગયાં તે તો હવે નથી, પણ જે રહ્યાં છે તે પણ છે એની ખાતરી નથી મળતી. જીવતાં ને ધબકતાં માણસો કેવાં હોય એ હવે પુસ્તકોમાંથી જાણવું પડે એવી સ્થિતિ છે ને વિચિત્રતા એ છે કે પુસ્તકો જ ભણવાના નથી ત્યાં કેમ જાણવું એ પ્રશ્ન જ છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑક્ટોબર 2021

Loading

22 October 2021 admin
← આ તે કેવું ન્યાયતંત્ર જેનો વર્ષો સુધી દુરુપયોગ થાય, ને કોર્ટ ચૂપ રહે
અર્થઘટનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇન્ટરપ્રીટેટિવ સ્ટેટમૅન્ટ્સ : →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved