Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંધિયા, ‘રાષ્ટ્રીય પ્રવાહ’માં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 March 2020

શું કહીશું, છોરો કે’દીનું પૈણું પૈણું કરતો’તો, એમ જ ને? કૉંગ્રેસના અગ્રણી યુવા નેતા, ટીમ રાહુલના સભ્ય તરીકે એક તબક્કે મધ્ય પ્રદેશના વરાયેલા મુખ્યમંત્રી લેખે પોતાની અને બીજા કેટલાકની નજરે જોવાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનું પક્ષ છોડવું અને ભા.જ.પ.માં પ્રવેશવું એ તો, માનો કે, એમણે કલમ ૩૭૦ની નાબૂદીને ધરાર ટેકો કીધો ત્યારથી સામી ભીંતે લખાયા બરોબર હતું. પણ જે સરળતાથી આ આખી ઘટનાને કેટલાંક વર્તુળોએ ‘ઘરવાપસી’માં ખતવી દીધી એ વાનું કેવી રીતે ઘટાવીશું એ એક સવાલ છે. ખરું જોતાં, બીજે છેડેથી જોઈએ તો છેલ્લાં અઢાર અઢાર વરસથી એમનું કૉંગ્રેસમાં હોવું પણ, એમ તો, કોઈક તબક્કે ‘ઘરવાપસી’ જ હતું ને? જનસંઘ-ભા.જ.પ.માં લાંબો સમય શીર્ષ નેતૃત્વમાં રહેલાં રાજમાતા સિંધિયા ક્યારેક કૉંગ્રેસવાસી હતાં, અને પછી જનસંઘભેગાં થયાં હતાં. પણ આજે રાજમાતા નથી અને ભા.જ.પ.માં યશોધરા તેમ જ વસુંધરા બેઉ પોતપોતાની રીતે ઓછાંવત્તાં તિલકાયત રહ્યાં છે એટલે એ ભત્રીજા જ્યોતિરાદિત્યને એક તિલકાયત પેઠે આવકારે એ સ્વાભાવિક છે.

અહીં તિલકાયત સરખો પ્રયોગ સાભિપ્રાય કર્યો છે. એમાંથી વંશાનુગત સામંતી રાજવટની બૂ આવે છે. આમ જુઓ તો, ક્યારેક ટીમ રાહુલના સન્માન્ય સહભાગી લેખે ઊંચક્યા નહીં ઊંચકાતા જ્યોતિરાદિત્યનો કૉંગ્રેસ માંહેલો દબદબો બીજા એક ‘ફર્સ્ટ ફેમિલી’ગત તિલકાયતને કારણે સ્તો હતો. પરબારું તિલકાયત હોવું અને ઊંચી પાયરીએ બેસવું (બાપની ગાદી પેઠે) એ લોકશાહી પ્રક્રિયાની અને મૂલ્યોની રીતે બેલાશક અણછાજતું છે.

જ્યોતિરાદિત્યે પક્ષ છોડતાં એકબે વિગતમુદ્દા ચોક્કસ જ સાચા કીધા છે કે ચૂંટણીઝુંબેશમાં આપેલાં વચનો – ખાસ કરીને ખેડૂતોની દેવાનાબૂદી – બાબતે સત્તારૂઢ થયા પછી મુખ્યમંત્રી કમલનાથે કરેલી જાહેરાતો ખાલી ખાલી ખખડે છે. પોતે આ મુદ્દે બેચેન છે અને પક્ષ છોડી રહ્યા છે એવી એક ખુદસચ્ચાઈની ભૂમિકા એમણે લીધી છે. પણ ચંદ્રશેખર કે કૃષ્ણકાન્ત અગર મોહન ધારિયાની જેમ કૉંગ્રેસની અંદર ‘યંગ ટર્ક’ની રીતે સક્રિય હોવાનું દૈવત આ તિલકાયત કને કદાચ નથી. સત્તા, જે જન્મગત હોવી જ જોઈએ, એના વગરના એક બેચેનબહાદુર હાલ તો જણાય છે.

એમની બેચેનીની એક સમજૂત, જોગાનુજોગ કૉંગ્રેસની હાલની અનવસ્થા (નેતૃત્વવિષયક અનિર્ણયવશ અમથા અમથા ‘ડ્રિફ્ટિંગ’ની પરિસ્થિતિ) રૂપે જરૂર આપી શકાય. પણ એનો ઉગાર એમણે પક્ષની હારણ (ડિફિટિસ્ટ) મનોદશાને પલટવા અને પડકારવાને બદલે કથિત ઘરવાપસીમાં શોધ્યો એમાંથી ઊઠતી બૂ કેવળ ને કેવળ સત્તાકાંક્ષી તકસાધુતાની છે. ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ એમનામાં વિભીષણનાં દર્શન કર્યા તે આ પક્ષની પોતીકી તરેહની રામનિષ્ઠા દર્શાવે છે. ખરું જોતાં એમણે વ્યાસ કને જઈ આવે વખતે વિકર્ણ (અને કદાચ યુયુત્સુને પણ) ખોજવા જેવું હતું અને છે.

એક વાત રાહુલ ગાંધીએ ભોગજોગે ઠીક કહી કે જ્યોતિરાદિત્યને એમના નવા મુકામમાં સુકૂન નહીં મળે. ભાઈ, સુકૂન જો દિલનો બલકે અંતરાત્માનો મામલો હોય તો એમાં જરૂર તમે કઈ વિચારધારાને વરેલા છો અને કઈ વિચારધારાને વળગવા જઈ રહેલા છો એવી કોઈ કસોટી હોય. અહીં તો જે છે તે કેરિયરની શોધ છે.

ભા.જ.પે. દેશને કૉંગ્રેસમુક્ત કરવાનો અને પોતે કૉંગ્રેસયુક્ત થવાનો જે ધોરી ઉર્ફે ભેલાણકારી રાહ લીધો છે એ અને નાનામોટા કૉંગ્રેસમેનોની આઘાપાછી બેઉ વસ્તુતઃ એક જ તરજ પરની બીના છે, અને બંને પોતપોતાને છેડેથી ઉદાત્ત રાજકારણની ભૂમિકા કઈ હદે છોડી ચૂક્યા છે એનું નિદર્શન છે. ઉચ્ચાકાંક્ષી વિચારધારાનું રાજકારણ ક્યારેક હશે તો હશે, અત્યારે તો એ બહુધા સત્તાકાંક્ષી બજારવાદની મર્યાદામાં રમે છે એમ જ કહેવું રહ્યું.

તેમ છતાં, એક વસ્તુ અવશ્ય વિચારણીય છે કે જેવો છે તેવો વિચારધારાવાદનો એક ખરોખોટો પણ ખૂંટો હાલ ભા.જ.પે. ખોડેલ છે. જવાહરલાલ નેહરુએ લોકશાહી સમાજવાદને ધોરણે સ્વતંત્રતા-અને-સમાનતા-લક્ષી એવી એક માનવીય અપીલ ક્યારેક જરૂર જગવી હતી. પ્રકારાન્તરે, બંધારણના આમુખમાં એ પડેલી છે. બધું રાજ્ય હસ્તક નહીં તો બધું બજારહસ્તક નહીં એવું જે એક લચીલું ને વહેવારુ વ્યાકરણ (મિશ્ર અર્થતંત્ર) આપણે ત્યાં કંઈક વિકસી રહ્યું હતું એમાં રાષ્ટ્રવાદ / સામ્યવાદની મૂર્છામોહિની નહીં પણ એક ભાવનામય અપીલસરની વહેવારડાહી સમજ જરૂર હતી. ભા.જ.પ.ના રાષ્ટ્રવાદે જગવેલ અફીણી ખેંચાણમાં બધો વખત હોશકોશને અવકાશ નયે હોય.

આ પ્રકારના વિચારધારાવાદ સામે ટકી જતો એક વ્યૂહ હમણાં આપણે આપ અને અરવિંદ કેજરીવાલના રાજકારણમાં જોયો છે. રાજકારણીઓના સ્પોઈલ્સ અને પેટ્રોનેજને મુકાબલે પ્રજાની સુવિધાલ્હાણ જરૂર આવકાર્ય છે. પણ આવી સુવિધાના કરવૈયા અને લાભાર્થી બેઉને બાંધતી કોઈ ભાવનાત્મક એટલી જ વૈચારિક અપીલ તો હોવી જોઈશે ને ? અન્યથા, પાટનગરી દિલ્હીના સરેરાશ મતદારને સારુ ઉપર મોદી અને નીચે કેજરીવાલ જેવા સરળમુગ્ધ અભિગમનો દબદબો કાયમ રહેશે. જેમાં નથી રીનેસાંસ, નથી રેફર્મેશન.

ચર્ચા જરી લાંબી ખેંચાઈ ગઈ – જો કે એ પ્રસ્તુત હતી અને છે – પણ પાછા સિંધિયા પ્રકરણ તરફ જઈએ તો સચીન પાઈલટની એ ટિપ્પણીમાં કંઈક દમ જરૂર છે કે આ પ્રશ્ન અમે પક્ષમાં અરસપરસ મળીને ઉકેલી શક્યા હોત એ ઇચ્છવાજોગ થાત. આ પ્રશ્ન એકબીજાને યથાસંભવ એકોમોડેટ કરવાનો છે, અને કૉંગ્રેસ જ કેમ ભા.જ.પ. ને બીજા પક્ષોમાં પણ તે જરૂરી હોય છે. પણ સત્તાકાંક્ષા ને મહત્ત્વાકાંક્ષાનું રાજકારણ ઉચ્ચાકાંક્ષાઓને ધરબીને ક્યાં સુધી ચાલી શકે ? જવાહરલાલના વારામાં પક્ષને (એના સેન્ટરિસ્ટ અને કંઈક ધર્મશાળારૂપ છતાં) બાંધતી જે એક ભાવનાત્મક અપીલ હતી એ ન હોય તો રાજકારણ ને જાહેર જીવન નકરાં અલૂણાં બની રહે છે.

પાટલીબદલુઓની નવાઈ નથી. પક્ષાન્તર થકી સત્તાંતરનો રવૈયો થોડોક ગાળો બાદ કરતાં કેવળ રાબેતો બની રહેલ છે. ઑપરેશન રંગપંચમી અગર ઑપરેશન કમલ (કે કમલનાથ?) મધ્યપ્રદેશમાં આ દિવસોમાં મત્ત મહાલવામાં છે. આવો દરેક પ્રસંગ (જે લગભગ રોજિંદા જેવો છે) હરિયાણા-કર્ણાટક રિસોર્ટકારણ કે ભોપાલમાં ફ્લોરાફ્લોરી, બધું ચાલશે પણ અત્યંત તીવ્રપણે જયપ્રકાશનાં એ આર્ત અને આર્ષ વચનો ડસ્યાં કરશે કે સાપનાથના સ્થાને નાગનાથ આવે તોપણ શું અને નાગનાથને સ્થાને સાપનાથ આવે તોપણ શું.

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 03

Loading

14 March 2020 admin
← પ્રમાણ
માત્ર નરવું હિંદુ રાષ્ટૃ શક્ય છે કે કેમ એ વિચારી જુઓ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved