Opinion Magazine
Number of visits: 9448771
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરદાર-મોદી તથા ઇન્દિરા-રાહુલની કાલ્પનિક મુલાકાતનો અહેવાલ

દીપક સોલિયા|Opinion - Opinion|31 October 2017

માની લો કે આજે ૩૧ ઑક્ટોબરે જન્મદિવસ નિમિત્તે સરદારને અને મૃત્યુિતથિ નિમિત્તે ઇન્દિરાને પૃથ્વીલોક પર કોઈ એક જણ સાથે પાંચ મિનિટ ગાળવાની તક આપવામાં આવે, તો તેઓ અનુક્રમે નરેન્દ્ર મોદી તથા રાહુલ ગાંધીને મળીને કેવી વાત કરે એની એક કલ્પના.

શરૂઆત કરીએ સરદારથી.

સરદાર અચાનક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પ્રગટ થયા. મોદી ચોંક્યા. સરદારે પોતાના આગમન વિશે ઓછામાં ઓછા શબ્દોમાં સ્પષ્ટતા કરીને મોદીનું આશ્ચર્ય શમાવ્યું અને પછી મુદ્દાની વાત છેડીઃ ‘તમે મારું બાવલું શા માટે બનાવી રહ્યા છો?’

મોદીઃ ‘સરદારસાહેબ, કોંગ્રેસે આજ સુધી તમારી જેટલી પણ અવગણના કરી છે એનું સાટું વાળવા માટે અને જગતને તમારા વિરાટ કદની જાણ કરવા માટે મેં આ યોજના હાથ ધરી છે.’

સરદાર મલક્યાઃ ‘અવગણનાથી હું ટેવાઈ ચૂક્યો છું. અગાઉ કોંગ્રેસે અને નેહરુના વારસદારોએ મને અવગણ્યો અને હવે તમે મારી કામગીરીને અવગણી રહ્યા છો.’

મોદીઃ ‘તમારી અવગણના અમે કરી જ કઈ રીતે શકીએ?’

સરદારઃ ‘કેમ? તમે એવો દાવો કરો છો કે ૨૦૧૪માં તમારું રાજ આવ્યું એ અગાઉ અમે કોંગ્રેસીઓએ દેશને ખાડામાં નાખવા સિવાય જાણે બીજું કશું કર્યું જ નહોતું …’

મોદીઃ ‘ના સાહેબ, તમારું પ્રદાન કઈ રીતે ભૂલાય? તમે તો રજવાડાંનું વિલિનીકરણ કરેલું અને તમારું એ કાર્ય અમે હંમેશાં યાદ કરીએ છીએ.’

સરદારઃ ‘હા, પણ રજવાડાંના વિલિનીકરણનું કાર્ય મને સોંપાયું, કારણ કે હું કોંગ્રેસનો નેતા હતો. પણ છોડો, મને એ કહો કે મારું બાવલું બનાવવાની યોજનાથી હું રાજી થઈશ એવું તમને લાગે છે?’

મોદીઃ ‘ના, હું બરાબર જાણું છું કે તમે આનાથી નારાજ થશો. છતાં, હું આ કરી રહ્યો છું. એમ તો મને એ પણ ખબર છે કે બુલેટ ટ્રેનનો ઝાઝો ઉપયોગ થવાનો નથી. છતાં, હું આપની પ્રતિમા તથા બુલેટ ટ્રેન જેવાં કેટલાંક કામ કરી રહ્યો છું, કારણ કે મારો ઇરાદો નેક છે. હું ભારતવાસીઓમાં એક ગુમાન, આત્મવિશ્વાસ પેદા કરવા માગું છું. અમેરિકા કે યુરોપ કે ચીનથી આપણે સહેજ પણ ઉતરતાં નથી એવું એક ગૌરવ હું દેશવાસીઓના હૃદયમાં પ્રગટાવવા માગું છું. આપની પ્રતિમા અને બુલેટ ટ્રેનનો ઉપયોગ હું પ્રતીકો તરીકે કરવા માગું છું. પ્રતીકોનો પોતાનો આગવો પ્રભાવ હોય છે. એક અન્ય પ્રતીકની વાત કરું તો સોમનાથનું મંદિર પણ એક મોટું પ્રતીક છે …’

આટલું કહીને મોદી અટક્યા. સરદારના ચહેરા પર મંદ સ્મિત રેલાયું. એ ધીમેથી બોલ્યા, ‘અટકો નહીં. હું સાંભળી રહ્યો છું. સોમનાથના મંદિર વિશે તમારે જે કહેવું હોય તે નિઃસંકોચ કહો.’

મોદીઃ ‘હજારો વર્ષથી હિન્દુઓની આસ્થાઓનાં પ્રતીકો પર મુસ્લિમોએ કરેલા પ્રહારોનું સાટું વાળવા માટે સોમનાથ મંદિરનો આપે ભવ્ય ઢબે જીર્ણોદ્ધાર કરાવેલો ત્યારે આપની ગણતરી પણ એ જ હતી કે આ બહાને, આ પ્રતીક દ્વારા હિન્દુઓનું ઘવાયેલું આત્મસન્માન થોડું સાજું થાય.’

સરદારઃ ‘તમે સાચું સમજ્યા છો. સોમનાથના મંદિરના બહાને હું હિન્દુઓના આત્મસન્માનની પુનઃસ્થાપના કરાવવા માગતો હતો, પણ મારા બાવલામાં અને સોમનાથના મંદિરમાં ઘણો મોટો ફરક છે. પહેલો ફરક એ કે સોમનાથનું મંદિર પૂર્ણપણે પ્રજાના પૈસે બંધાવું જોઈએ એ વાતે ગાંધીજી અને હું મક્કમ હતા. પ્રજા પોતાના પૈસે કશુંક ઊભું કરે ત્યારે પ્રજામાં સાચું ગૌરવ પેદા થાય. હું જાણું છું ત્યાં સુધી તમે પણ મારા બાવલા માટે પ્રજા પાસેથી લોખંડ અને પૈસા ઉઘરાવેલા.’

‘જી, હું પણ એ જ ઇચ્છતો હતો કે પ્રજાના પ્રદાનથી તમારી પ્રતિમા રચાય.’

‘પણ છેવટે તમારે આ પ્રતિમા માટે નર્મદા યોજનામાંથી નાણાં લેવા પડ્યા. નર્મદા યોજનાની નહેરોનાં અને બીજાં કેટલાંક કામો બાકી હોય ત્યારે આ રીતે યોજનાના પૈસા બાવલા પાછળ ખર્ચાય એ ઠીક નથી. પહેલી વાત એ કે મારાં બાવલાં બને એ જ મને ગમે એવી વાત નથી. બીજી વાત એ કે મારું બાવલું બનાવવું જ હોય તો પ્રજા જેટલા પૈસા આપે એટલા જ પૈસાથી નાનું તો નાનું બાવલું બનાવો. ત્રીજી વાત એ કે સોમનાથના મંદિરના બાંધકામ માટે ફક્ત સ્થાનિક સોમપુરા સ્થપતિઓનો અને સ્થાનિક, ભારતીય સામગ્રીનો જ ઉપયોગ થયેલો, જ્યારે તમે મારા બાવલા માટે વિદેશી નિષ્ણાતોની અને વિદેશી સામગ્રીની મદદ લઈ રહ્યા છો. મેં સાંભળ્યું છે કે દુબઈમાં પેલો ૮૨૮ મીટર ઊંચો બુર્ઝ ખલીફા ટાવર બાંધનાર ટર્નર કન્સ્ટ્રક્શન કંપનીને પણ આ યોજનામાં સાથે સાંકળવામાં આવી છે. લોખંડની આ પ્રતિમા પર કાંસાનું આવરણ લગાવવાનું કામ ચીન ખાતેની ઝિયાંગશી ટોકિન નામની કંપની કરશે એવી માહિતી મેં વિકિપીડિયા પર વાંચી. શું આ બધી વાત સાચી છે?’

મોદીએ વિગતોમાં ઉતરવાને બદલે પાયારૂપ નીતિ પર ભાર મૂક્યો, ‘સરદારસાહેબ, હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે ભારતને લોકો તાજમહલથી નહીં, સરદારની પ્રતિમાથી ઓળખે.’

સરદારઃ ‘જુઓ નરેન્દ્રભાઈ, તમને ભારતની જનતાએ આદરભેર ચૂંટ્યા છે. તમે ભારતના આદરણીય વડા પ્રધાન છો. એટલે તમારા આદર અને ગરિમાનો સહેજ પણ ભંગ ન થવો જોઈએ એ બાબતે હું સભાન છું. તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ મારી પાસે મારા બાવલાની યોજના લઈને આવી હોત તો મેં એને કેટલો આકરો ઠપકો આપ્યો હોત એની હું કલ્પના નથી કરવા માગતો. તમને હું ફક્ત એક વડીલ તરીકે એક વાત-સૂચન-વિનંતી કરવા માગું છું.’

મોદીસાહેબે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, ‘સાહેબ, તમારે તો આજ્ઞા કરવાની હોય.’

સરદારઃ ‘મારે ફક્ત એટલું જ કહેવું છે કે તમારે, તમારા પક્ષ ભાજપે અને તમારી માતૃસંસ્થા આર.એસ.એસે. મારું તથા ભગત સિંહનું નામ વાપરવાનું બંધ કરવું જોઈએ. ભગત સિંહ મહાન રાષ્ટ્રવાદી હતા અને હું મુસ્લિમોની આળપંપાળ કરવાને બદલે એમને હિન્દુની માફક જ સમાન ગણીને એમની સાથે વહેવાર કરવાનો આગ્રહી હતો, પણ આનાથી ભગત સિંહ કે હું સંઘના પ્રચારક નથી બની જતા. તમારી પાસે સંઘના આદરણીય નેતાઓ છે જ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય તમારી પાસેનું એક અત્યંત આદરણીય નામ છે. તમે એમને હાઈલાઈટ કરો. તમારી જાત પર, તમારી સંસ્થા પર, તમારી મહાનતા પર ભરોસો રાખો, આત્મવિશ્વાસ રાખો, ઉછીનાં પ્રતીકો ન લો. તમે એવી રીતે પ્રચાર કરી રહ્યા છો કે ભાવિ પેઢી તો કદાચ એવું માનશે કે સરદાર અને ભગત સિંહ સંઘના સભ્યો હતા. ના, હું આજીવન કોંગ્રેસી હતો, હાડોહાડ કોંગ્રેસી હતો અને ભગત સિંહ ડાબેરી ક્રાંતિકારી હતા, એ હકીકતને ભૂલવાડીને તમે મારા અને ભગત સિંહના નામનો જે રીતે ઉપયોગ કરો એ યોગ્ય છે ખરું?’

સરદાર અટક્યા. મોદી ધીમેથી બોલ્યા, ‘તમે, હું અને ભગત સિંહ … આપણે ત્રણેય તીવ્ર રાષ્ટ્રભાવનાથી જોડાયેલા નથી શું?’

સરદાર હસ્યા, ‘તમારા રાષ્ટ્રપ્રેમ બાબતે મને કશી શંકા નથી, પણ મારે તમને એક ભળતી જ વાત કહેવી છે. અત્યારે તમારે ત્યાં (પૃથ્વી પર) એકવીસમી સદીનાં કમ્પ્યુટર્સ અને એલ્ગરિધમ્સ જે કામ કરે છે એના કરતાં પણ અમારે ત્યાં ‘ઉપર’ હિસાબ-કિતાબનું મીટર વધુ શાનદાર ઢબે કામ કરે છે. પૃથ્વી પર જીવતી પ્રત્યેક વ્યક્તિ માટે ત્યાં એક મીટર છે. માણસ જ્યારે કશુંક સારું કરે-બોલે-વિચારે ત્યારે એ મીટરમાં લીલા રંગમાં ગુણ ઉમેરાય, પણ જ્યારે વ્યક્તિ કશુંક ખરાબ કરે-બોલે-વિચારે ત્યારે એ મીટરમાં લાલ રંગમાં ગુણ બાદ થાય. પ્રત્યેક પળે એ ખાતામાં જમા-ઉધારી નોંધાતી રહે છે. પછી જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એ પળે એના મીટરમાં જમા ખાતે લીલા ફોન્ટમાં સાવ નાનકડો આંકડો હોય તો પણ એને સ્વર્ગમાં સ્થાન મળે, પરંતુ ઉધાર ખાતે લાલ ફોન્ટમાં સાવ જ નજીવો આંકડો હોય તો એને નર્કમાં સ્થાન મળે. નરેન્દ્રભાઈ, તમે બેઠકનું અંકગણિત બહુ સારી રીતે સમજો છો. તમે વડા પ્રધાનની બેઠક મેળવવા માટે જરૂરી અંક મેળવવા જબરદસ્ત મહેનત કરી ચૂક્યા છે. હવે સ્વર્ગની બેઠક માટેના અંકગણિત વિશે પણ ક્યારેક થોડું વિચારજો. તમારી પાસે હજુ ઘણો સમય છે. તમે તો જાણો જ છો કે વડા પ્રધાનની બેઠક અસ્થાયી છે, જ્યારે સ્વર્ગમાં મળતી બેઠક સ્થાયી છે. તમે સમજદાર છો. તમને વધુ શું કહું?’

આટલું કહીને સરદાર અલોપ થયા અને મોદી વિચારમાં ડૂબ્યા.

***

પોતાના પ્રિય ડોગી ‘પીડી’ને ખોળામાં બેસાડીને પોતાનું ટ્વીટર અકાઉન્ટ ચેક કરી રહેલા રાહુલે નજર ઊંચી કરી તો સામે દાદીમા ઇન્દિરા ગાંધી ઊભાં હતાં. રાહુલ અત્યંત ખુશ થઈ ગયાઃ ‘ગ્રેની (દાદીમા), વ્હોટ અ સરપ્રાઈઝ!’

ઇન્દિરાએ અત્યંત વ્હાલપૂર્વક પૌત્રનું કપાળ ચૂમ્યું. એ બોલ્યાં, ‘અરે વાહ. તું હજુ પણ એવો જ ક્યૂટ લાગે છે.’

રાહુલે હસીને કહ્યું, ‘ગ્રેની, હવે હું મોટો થઈ ગયો છું. આખી કોંગ્રેસનો ભાર હવે મારા ખભે છે.’

ઇન્દિરાએ નિઃસાસો નાખ્યો, ‘આઈ નો … મારી પાસે સમય બહુ ઓછો છે અને હું તને એ જ કહેવા આવી છું કે તું રાજકારણ છોડી દે.’

‘વ્હોટ?’ રાહુલનો અવાજ સહેજ ફાટી ગયો.

‘જો બેટા, તું મારા ખોળામાં રમ્યો છે. હું તને આખેઆખો ઓળખું છું. તું તારા પપ્પા જેવો છે. તમે બન્ને સીધાસાદા છો. રાજકારણમાં તમે ન ચાલો.’

‘પણ ગ્રેની, આઈ હેવ ટુ ફાઈટ. જો હું ખસી જઈશ તો રાઈટ વિંગના (જમણેરી) ફોર્સિસ આ દેશના ટુકડા કરી નાખશે. આ દેશ આપણા મહાન ફેમિલી વિના પડી ભાંગશે.’

‘ના બેટા, એવું નથી. મારા ફાધર જવાહરલાલ આપણા બધા કરતાં ઊંચેરા હતા. એમણે આ દેશને બહુ પ્રેમથી, માવજતથી, સમજદારીથી ઉછેરીને બાળકમાંથી કિશોર બનાવેલો, પણ દેશ હજુ પૂરેપૂરો પુખ્ત થાય એ પહેલાં એ જતા રહ્યા. ત્યારે એમના જવાથી દેશ પડી નહોતો ભાંગ્યો. શાસ્ત્રીજીએ (લાલ બહાદુર શાસ્ત્રીએ) એમનું સ્થાન લઈને દેશને સરસ નેતૃત્વ પૂરું પાડેલું.’

‘પણ ગ્રેની, ત્યારે શાસ્ત્રીજી હતા અને શાસ્ત્રીજી પછી તમે હતાં. અત્યારે એવું કોઈ નથી. આ દેશનું સેક્યુલર ફેબ્રિક જળવાઈ રહે તેનો પૂરો આધાર એ વાત પર છે કે હું એમને કેવી ફાઈટ આપું છું.’

‘એ જ હું તને કહી રહી છું કે તારા વિના દેશ અટકી પડશે એવી તારી આ સમજ તારી નાદાનીની નિશાની છે. અને રાજકારણમાં નાદાનોનું આવી બને છે. તારા પપ્પા, મારો રાજીવ પણ તારા જેવો જ નાદાન માણસ હતો. એ બહુ સારો હતો. એ દેશને ખૂબ આગળ લઈ જવા માગતો હતો. એણે ટેક્નોલોજીના ક્ષેત્રે દેશમાં ક્રાંતિ કરી. એના હૈયે ખરેખર દેશહિત વસ્યું હતું. છતાં, એ ભેરવાઈ ગયો, બોફોર્સમાં વગોવાયો, અકાળે મર્યો … નાદાન હોવા છતાં રાજકારણમાં ઝંપલાવવાને લીધે મારો દીકરો તો મર્યો … હવે મારો પૌત્ર પણ એ માર્ગે આગળ વધે એવું હું નથી ઇચ્છતી.’

‘પણ ગ્રેની, નાઉ આઇ એમ ટૂ ઓલ્ડ ટુ ચેન્જ ધ કરિયર (કારકિર્દી બદલવાની ઉંમર હું વટાવી ચૂક્યો છું).’

‘ડોન્ટ વરી બેટા. ભૂલ સુધારવા માટે કોઈ પણ ઉંમર નાની નથી હોતી.’

‘પણ પછી આ દેશનું શું? કોંગ્રેસનું શું?’

‘કોંગ્રેસને કોઈ ને કોઈ મળી રહેશે. બીજું કોઈ ન મળે તો પ્રિયંકા પણ કદાચ ચાલી શકે.’

‘યુ મીન ટુ સે કે પ્રિયંકા મારા કરતાં વધુ કાબેલ છે?’

‘ના બેટા, નાદાની તો પ્રિયંકામાં પણ છે, અને નાદાની તો મારામાં પણ હતી. મેં અને મારી જેમ પ્રિયંકાએ જીવનસાથી પસંદ કરવામાં નાદાની કરેલી. પણ એ જુદી જ વાત છે. મારું તને એટલું જ કહેવું છે કે તૂ બહોત સીધા-સાદા-ભોલા-ભાલા હૈ. એટલે તું રાજકારણમાં નહીં ચાલે. લોકો તને ફાડી ખાશે.’

‘ગ્રેની, તમે કહો છો કે હું રાજકારણમાં રહીશ તો લોકો મને ફાડી ખાશે, પણ મને લાગે છે કે હું રાજકારણ છોડીશ તો આ લોકો મને ફાડી ખાશે, મારા પર હજાર કેસ કરશે, મને કોઈ પણ રીતે જેલમાં પૂરશે.’

ઇન્દિરાએ સહેજ ઉદાસ સૂરમાં કહ્યું, ‘એ લોકો તને કશાકમાં ભેરવી દે અને જેલમાં પૂરે તો પણ મને દુઃખ તો થશે, પણ તું સત્તાના આ ખેલમાં બહુ આગળ વધીને જીવ ગુમાવશે તો મને વધુ દુઃખ થશે. માટે, પ્લીઝ …’

‘ગ્રેની, રિલેક્સ …’ રાહુલે સ્મિત વેર્યું, ‘ઓલ્ડ એજ(મોટી ઉંમર)ને લીધે આવી બધી ચિંતા થાય. ઇટ્સ ઓકે. પણ ગ્રેની, પ્લીઝ, હવે હું આ ફિલ્ડમાં બહુ આગળ વધી ચૂક્યો છું. આઈ કાન્ટ રિટર્ન (હું પાછો ન ફરી શકું). તમારે મને ગાઈડન્સ આપવું જ હોય તો એ ગાઈડન્સ આપો કે આ જ લાઈનમાં રહીને આગળ વધવા માટે, વધુ સારી રીતે ફાઈટ આપવા માટે, સેલ્ફ પ્રોટેક્શન માટે મારે શું કરવું જોઈએ?’

ઇન્દિરાએ ઊંડો શ્વાસ લીધો. પછી એ ધીમેથી બોલ્યાં, ‘મારી તને ત્રણ સલાહ છે. પહેલી એ કે ક્યારે ય વડા પ્રધાન ન બનતો. ફક્ત પક્ષનું અને સંગઠનનું જ કામ કરજે.’

રાહુલને આ સલાહ ગમી તો નહીં, પણ દાદીમાનું માન રાખવા એણે કશી દલીલ કરી નહીં.

ઇન્દિરાએ વાત આગળ ધપાવીઃ ‘બીજી સલાહ એ કે લગ્ન કરીને બાળકો પેદાં કર.’

દાદીની ભળતી જ સલાહ સાંભળીને રાહુલ ગૂંચવાયા. એમણે પૂછ્યું, ‘લગ્ન કરવાથી શું થશે?’

‘તું વધુ મૅચ્યોર બનશે, પત્ની-બાળકોની જવાબદારી તને વધુ ઠરેલ અને સમજદાર બનાવશે, તું સામાન્ય ભારતીયની વેદના વધુ સારી રીતે સમજી શકીશ. તારી જેમ તારા હરીફ નરેન્દ્ર મોદી પણ લગ્ન બાદ પરિવાર લઈને બેઠા હોત તો એ વધુ સમજદાર અને સંવેદનશીલ નેતા બની શક્યા હોત અને નોટબંધીની યોજના વધુ સારી રીતે લાગુ કરી શક્યા હોત. પણ છોડ, મોદી શું કરે છે એની મને ચિંતા નથી. મને તારી ચિંતા છે. એટલે તને સલાહ આપું છું કે વડા પ્રધાન બનતો નહીં અને કુંવારો રહેતો નહીં …’

‘અને ત્રીજી સલાહ?’ લગ્નના વિષયથી પિંડ છોડાવવા રાહુલે પૂછ્યું.

‘ત્રીજી સલાહ એ કે અડધી બાંયના ઝભ્ભા પહેર.’

‘કેમ?’

‘કારણ કે તું વારેવારે જે રીતે બાંયો ચઢાવે છે એને લીધે તારી ઇમ્મેચ્યોરિટી આખી દુનિયા સામે ખુલ્લી પડી જાય છે.’

આટલું કહેતાં, સમય પૂરો થઈ જવાને લીધે ઇન્દિરાએ અલોપ થઈ જવું પડ્યું અને ગૂંચવાઈ ગયેલા રાહુલે માથું ખંજવાળ્યું.

(આજના [31-10-2017] ગુજરાતી મિડ-ડેમાં આ લેખ છપાયો છે, પરંતુ ગઈ કાલે ઉતાવળે લખી મોકલેલા આ લેખમાં કેટલાક ઉમેરા-સુધારા કરીને લખાણ અહીં મૂક્યું છે. સરવાળે, લેખ ઘણો લાંબો તો બન્યો છે, પરંતુ મારા મોટા ભાગના અન્ય લેખોની માફક અહીં લેખના અંતે મેં ‘ક્રમશઃ’ નથી લખ્યું એ પણ મોટી વાત છે.)

સૌજન્ય : ‘આર્ટ ઓફ થિન્કિંગ’, “ગુજરાતી મિડ-ડે”, 31 ઓક્ટોબર 2017 

Loading

31 October 2017 admin
← લોર્ડ મેકોલેનો આભાર
Hindutva’s attempt to Polarize ‘God’s Own Country’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved