Opinion Magazine
Number of visits: 9449243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારમાં “સર” છે તો “કાર” પણ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 December 2020

આજે થોડી હળવી વાત કરવી છે એટલે કોઈ પાઘડીના માપનું માથું ન કરે અને એન્જોય કરે એટલી જ વિનંતી છે. શું છે કે લોકો ગાળ દઈ શકે એટલે ઈશ્વરે, સરકાર અને વહુનું સર્જન કરેલું છે ને બંનેને જેમ સર્જનની તક આપી છે એમ જ વિસર્જનની તક પણ કુદરતે આપી છે. સરકારને ગાળ ને વહુને ગાલ આપી શકાય. વહુ, સહુની નથી થતી તેમ સરકાર પણ સહુની નથી થતી. સરકાર સારું કામ ન કરે તો લોકો બદલી કાઢે છે, પણ વહુ સારું કામ ન કરે તો તેને બદલવાનું સહેલું નથી. એ જુદી વાત છે કે વહુ જ સાસરું બદલતી રહીને સુ-વર પામતી રહે. વહુ મળે તો “સર” રહેવાનું અઘરું છે ને “કાર” હોય તો તે કાઢવી પડે એમ પણ બને. જો કે સરકારમાં “સર” અને “કાર”ની ગેરંટી છે. સરકારનું એવું છે કે એને માનવી પડે. ન માનો તો એ પટાવે અથવા તો પતાવે. “વાતોનાં વડાં” પ્રધાન હોય ને સૂતરફેણી જેવી દાઢી ફરકાવતાં ઋષિ કહે કે કૃષિ કાનૂન ભલા માટે જ છે તો માની લેવાનું. એને પૂછવા નહીં જવાનું કે કાનૂન કોના ભલા માટે છે? ખરેખર તો એ પૂછવાનો પ્રશ્ન જ નથી, એ તો સમજવાનો ને સાનમાં સમજી જવાનો પ્રશ્ન છે. સીધી વાત એ છે કે કોઈ સરકાર ગરીબ રહી નથી, એ હક પ્રજાનો જ છે. પછી એ કહે કે કાનૂન ભલા માટે છે તો સમજી જવાનું કે કોના ભલા માટે છે ! તેને બદલે તમે ચક્કા જામ કરવા નીકળો તો છક્કા તમારા છૂટે તેમાં નવાઈ નથી. એમાં થશે શું કે ચક્કા જામ તમે કરશો ને ભાવ છાનામાના પેટ્રોલના વધશે ને તે ય એવી રીતે જેમ આંગળીના નખ વધે છે.

હવે સરકાર સામે તમે શીંગડાં ભરાવો તો થોડો વખત તો ચાલશે બધું પણ, છેલ્લે સમાધાનમાં જ ધાન છે એ ભાન થઈને રહેશે. તમે ટોલ ટેક્સ નહીં ભરો તો ટેક્સ ટાલ પર આવશે ને એની મેળે જ બાલ ઊતરી જશે ને ત્યારે હેલ્મેટ પણ તેને ઢાંકી નહીં શકે. કોરોનાની ખબર તો પડતાં પડશે, પણ કોરોના ટેક્સ તો ઘણાની ટાલ પાડી દેશે ને ટાલ પર તો ઓલરેડી ટેક્સ હશે જ એટલે બાવાના બે ય બગડશે. એટલું સમજો કે સરકારમાં અક્કલ વધારે જ હોય છે. એ જાણે છે કે કોરોના કાળમાં પૈસા કેવી રીતે ખરચવા? એને ખબર છે કે કોરોના કરતાં સંસદની જરૂર વધારે છે. કોરોના તો આજ છે ને કાલ નથી, જ્યારે સંસદ તો કાયમી છે. એ વગર એ નવું સંસદભવન કરવા બેસે? Sansad ખરેખર તો son-sad છે, જેમાં son બેસે ને દેશને ય બેસાડી દે એમ બને. સરકારને ખબર છે કે બુલેટ ટ્રેન હોય તો અમીરોના ને ગોળી હોય તો ગરીબોના હિતમાં જ હોય છે. આપણે તો દેશમાં જ રહીએ છીએ, જ્યારે સરકાર તો વિદેશમાં પણ રહે છે, બલકે, ઘણીવાર તો ત્યાં જ વધારે રહે છે. એવે વખતે એ દેશનો, વિદેશમાં કેવો ઇમ્પેક્ટ પડે એ ન જુએ? એ વિદેશમાં છાપ બગાડે તો અહીં ઇન,“વેસ્ટ” કયો કાકો કરે?

ખરેખર તો ઈન્ડસ્ટ્રી ઇઝ ઇન ડસ્ટ ! ડોંચ્યુ નો ધેટ? ઈન્ડસ્ટ્રીને ઉપર નહીં લાવીએ તો લોકો “ઉપર” જશે ને એ ઉપર જશે તો સરકાર નીચે રહેવાની હતી? એ ય ઊંચી જશે જ ! એ પણ ઊડશે તો ઇંડસ્ટ્રિયાલિસ્ટના જીવ પર જ ને ! એ ઉપર આવશે તો સરકાર પ્લેનમાં કે હેલિકોપ્ટરમાં ઊડી શકશે ! એને કૈં તમે “ઉડાડવાના” હતા? દાણીઓ ને દોણીઓ છે તો બાણીઓ ને બોણીઓ છે ને તેની જ તો ધાણીઓ ફૂટે છે, નહીં તો બધું ધૂળધાણી થઈને રહે. સમજો, જરા, સમજો !

સરકાર અને સરદારમાં અસરદાર સરદાર છે, એટલે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. હવે યુનિટી સ્ટેચ્યુઓ વચ્ચે જ રહી છે. બાકી લોકો તો ઠોકો તો જ ઠેકાણે આવે છે. લોક છે તો પરલોક છે, બાકી ત્યાં જાય કોણ? કોઈ દાણી સરદારને અ-સરદાર કરવા મથે તો લોકોને તો કોઈ ફરક પડતો નથી. બહુ બહુ તો એ મેસેજ ફોરવર્ડ કરી જાણે. બહુ થાય તો “ખરું ચાલે છે !” કહીને ખોટું કરવા લાગી જશે કે એકાદ સૂત્ર ફટકારશે – વિમાન ઘર કરતાં સ્વમાન ઘર તો ઊંચું જ હોવાનું ! – શું છે કે જમાનો “એડ્સ”નો છે. મંત્રીઓને ફોટાનો ક્રેઝ હોય તો ઉદ્યોગપતિઓને ખોટાનો ન હોય? સંપત્તિ સરદારને ઢાંકે ને દાણીને હાંકે એમાં નવાઈ નથી. આ લોકો અગમચેતીમાં ચીનથી આગળ છે. એ જેમ રોગ પહેલાં રસી શોધી રાખે છે એમ જ દાણી અનાજ પહેલાં સ્ટોરેજ પણ પ્લાન કરી લે છે. ચીનથી આવેલો કોરોના ચીનમાં નથી ફેલાયો એટલો વિશ્વમાં ફેલાયો છે તે સમજાય છે?

વેલ, જેમાં સર છે ને કાર પણ છે ને જો તે સરકાર નથી, તો નક્કી તે ડોક્ટર છે. ડોક્ટરને કેટલાક ડોક-ક્ટર પણ કહે છે, પણ બધા જ એવા નથી. કોરોનામાં ડોકટરોએ જીવ આપ્યો છે તો જીવ લીધો પણ છે. બે પ્રકારના ડોકટરો કોરોનાએ આપ્યા છે. જાનની પરવા કર્યા વગર ડોક્ટરે, દરદીઓને બચાવ્યા છે તો દરદીઓએ પણ જાન આપીને ડોક્ટરોને બચાવ્યા છે. ડોક્ટરોની એક ટીમ એવી પણ આવી જેણે કોરોનામાંથી કિડનીની કમાણી કરી. એમાં શું હતું કે કોરોનામાં દરદી મરે તો ડેડબોડી સંબંધીઓને અપાતી ન હતી ને ડોકટરોએ સેવા તો કરી જ હતી, દરદીને દુનિયા છોડાવવાની, તો ડોક્ટરે શું કરવાનું? હવે જે દુનિયા જ છોડી ગયો છે તેને કિડની તો કામ લાગવાની નથી, તો બેસ્ટ વે, કિડની કાઢીને મેવાની વ્યવસ્થા કરી લો. ટૂંકમાં, ડોક્ટરો બે પ્રકારના હોય છે. એક ખાનગી ને બીજા જાહેર. ખાનગીમાં દિલ ઘટે ને બિલ વધે. જાહેરમાં દિલ ને બિલ બંને ઓળખાણને આભારી છે. ઓળખાણ હોય તો દિલ ને બિલ બંને બચે ને એ ન હોય તો સિવિલ, ઈવિલની ગરજ સારે એટલું નક્કી.

ડોક્ટરમાં કેટલાક ભાગુ હોય છે તો કેટલાક લેભાગુ હોય છે. ભાગુ એટલે એવા જે ભાગતા ફરે. લેભાગુ એવા જે (પૈસા) લઈને ભાગતા ફરે. કેટલાક ડોક્ટરો એટલા ભલા હોય છે કે તે નિદાનમાં પણ દાન જુએ છે. એવું બને કે નિદાન ટાઇફોઇડનું થાય ને દરદી મલેરિયાથી ગુજરી જાય, તો કેટલાક મલેરિયાનું નિદાન કરે તો દરદીની તાકાત નથી કે તે ટાઇફોઈડથી મરે. એ મલેરિયાથી જ મરે. આ વખતે તો ડોક્ટરો નવરા પણ બહુ રહ્યા. લોકડાઉનમાં દવાખાના બંધ, તો કરે શું? ઘરમાં જ સ્ટેથોસ્કોપ ફેરવતા રહ્યા. તો ય ટાઈમ વધ્યો, તો પોતાનું જ બી.પી. માપતા રહ્યા. જો કે હમણાં તો ઘણા હડતાળ પર ગયા છે. થયું એવું કે આયુર્વેદના અનુસ્નાતકોને સરકારે સર્જરીની છૂટ આપી. આમ તો એ સર્જરી કરતા જ હતા, પણ મેડ મેડ મેડિક્લેઇમને ઓફિશિયલ કરવા સરકારે વિધિવત્‌ જાહેરાત કરી કે હવેથી આયુર્વેદના સ્નાતકો પણ સર્જરી કરી શકશે. આ વાતે આયુર્વેદે, એલોપથીની સિમ્પથી ગુમાવી અને ડોક્ટરોની એક જમાત હડતાળ પર ઊતરી. એને કદાચ થયું હશે કે દરદીને મારનારા અમે જીવતા જાગતા બેઠા છીએ તે ઓછા છીએ કે આયુર્વેદ એમાં ભાગ પડાવે? ધીસ ઈઝ નોટ ફેર ! ને બસ ! ડોક્ટરો હડતાળ પર ઊતર્યા. સારું છે કે દરદીઓને અક્કલ નથી, નહિતર એ પણ બધા હડતાળ પર ઊતર્યા હોત ! એવું થયું હોત તો ઘણા દરદીઓ અવગતે જતા બચી ગયા હોત ! જો કે દરદીઓ ડોક્ટરોને ભગવાન માને છે ને એ ભલે ભગવાનને ત્યાં પહોંચાડતા હોય તો પણ, દરદીઓ, ડોક્ટરોથી છેડો ફાડી શકતા નથી. છેડો મૂકવાનો થાય તો પણ કે ક્યારેક દરદીનાં સગાંઓ ડોક્ટર પર હાથ સાફ કરી લેતા હોય તો પણ, દરદીઓ ડોક્ટરોની સામે હડતાળ પર જઈ શકતા નથી, કારણ, ગમે તે હોય, પણ છેલ્લે તો ડોક્ટર જ તેનો હાથ ને પગ ઝાલે છે. એ પગ તે ડોક્ટરના પેટ પર મૂકે તો દરદીઓની સાત પેઢી લાજે. ડોક્ટરને હાર્ટ હોય કે ન હોય, પણ દરદીને તો હાર્ટ હોય જ છે, એટલે છોરું કછોરું થાય, પણ માવતર, કમાવતર ન જ થાય, ખરુંને ?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 15 ડિસેમ્બર 2020

Loading

15 December 2020 admin
← સાદિક નૂર પઠાણ : રેડિયોનો બુલંદ અવાજ
‘વંટોળિયો’ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved