આપણે બંધારણના સિદ્ધાંતો અને આંબેડકરના વિચારોને ખરેખર ઊજવીએ છીએ? કે ખરા અર્થમાં સમજીએ છીએ ખરા?

પ્રકાશ ન. શાહ
બરાબર દસ વરસ થયાં આજે ન.મો. સરકારે હર 26મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. 2015નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી.
સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમ જ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે.
જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું 1950ના જાન્યુઆરીની છવ્વીસમીએ. પસાર તો થઈ ગયું હતું આશરે ત્રણેક વરસ જેટલી કવાયત પછી 1949ના નવેમ્બરની 26મીએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે 1950ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે 1929માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કાઁગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે 1930થી હર 26મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.
આંબેડકર 125નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે 26મી નવેમ્બરના પૂર્વ દિવસે, 25મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું – એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમ જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.
હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઇતિહાસદર્જ છે.
1946-49ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કાઁગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં. 1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. 1931માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કાઁગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1931માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઇતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.
ગાંધીની સલાહ સાથે જેમાં મુખર્જી ને આંબેડકર જેવા કાઁગ્રેસ વિરોધીઓ પણ હોઈ શકે એવા સમાવેશી અભિગમપૂર્વક નેહરુ પ્રધાનમંડળે સ્વરાજ કૂચ આદરી તેમાંથી કાળક્રમે આંબેડકર છૂટા થયા, કેમ કે અબઘડી હિંદુ કોડમાં સુધારાની એમની તીવ્રતા અને તાલાવેલી અંગે સત્તામાં કેટલાંક તત્ત્વો ને પરિબળો સંમત નહોતા. બહારનાં બળોમાં રામલીલા મેદાનમાં મોટી વિરોધ રેલી યોજનારાઓમાં સંઘ પરિવારની પહેલ ભાગીદારી હતી.
આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમ જ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું.
વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.
હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.
આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર 2025
![]()

