Opinion Magazine
Number of visits: 9555013
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 December 2025

ચંદુ મહેરિયા

અખબારી ભાષામાં કદાચ એમ કહેવાય કે ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતીઓની એક કરોડ કિલો ચરબી ઉતરી જશે ! અહીં ચરબી ઉતારવાનો અર્થ મિથ્યા અભિમાન કે ખોટી દાદાગીરીનો નથી. લિટરલી ગુજરાતીઓની ચરબી કહેતાં શરીરનો મેદ ઘટાડવાની આ તો વાત છે. મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ, આહાર અને આયુર્વેદના નિયમનથી આ મહિનાના અંત સુધીમાં દસ લાખ મેદસ્વી લોકોના શરીર પરનું એક કરોડ કિલો વધારાનું વજન ઘટશે.

તબીબી પત્રિકા લાન્સેટના આંકડાઓ પ્રમાણે ૨૦૨૧માં દુનિયામાં ૨.૧૧ અબજ લોકો મેદસ્વી હતા. તેમાં ૧૦૦ કરોડ પુરુષો અને ૧૧૧ કરોડ સ્ત્રીઓ હતી. ચાળીસ વરસો(૧૯૮૦ થી ૨૦૨૦)માં સ્થૂળતા દર ૬.૪ ટકાથી વધીને ૧૨ ટકા જેટલો બમણો થયો છે. ભારતમાં સાડા ત્રણ દાયકામાં સ્થૂળતા પાંચ ગણી વધી છે. ભારતમાં ૨૧.૮ કરોડ પુરુષ અને ૨૩.૧ કરોડ મહિલા મેદસ્વી છે. કુલ ૨૭ લાખ ગુજરાતીઓ મેદસ્વી છે. જેમાં મહિલાઓ ૫૮ ટકા અને પુરુષો ૪૨ ટકા છે. હાલના દરે મેદસ્વિતામાં વધારો થતો રહેશે તો ૨૦૫૦ સુધીમાં સામ્યવાદી ચીનમાં પચીસ વરસથી વધુ વયના સૌથી વધુ ૬૨.૭ કરોડ, લોકતાંત્રિક ભારતમાં ૪૫ કરોડ અને મૂડીવાદી અમેરિકામાં ૨૧.૪ કરોડ લોકો મેદસ્વી હશે. વૈશ્વિક સ્થૂળતામાં ભારતનો ક્રમ ચીન પછી બીજો છે. રાષ્ટ્રીય કક્ષાએ મેદસ્વી રાજ્યોમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે. 

બોડી માસ ઈન્ડેક્ષ(બી.એમ.આઈ.)થી શરીરમાં કેટલી ચરબી વધારે છે તે જાણી શકાય છે. તેના આધારે અલ્પ, મધ્યમ અને તીવ્ર સ્થૂળતા નક્કી થાય છે. વિશ્વના અઢાર વરસથી ઉપરના ૪૩ ટકા લોકો વધુ વજન ધરાવે છે પરંતુ તેમાંથી ૧૬ ટકા મેદસ્વી છે. દર પાંચે એક વ્યક્તિ બાહ્ય દેખાવમાં શારીરિક રીતે સ્વસ્થ લાગે છે પરંતુ અંદરથી ખોખલો હોય છે. વિશ્વના પુખ્ત વયના ૨૦ ટકા લોકોના બી.એમ.આઈ. સામાન્ય છે પણ તેમના પેટનો ઘેરાવો વધુ હોય છે કે પેટની આસપાસ ચરબી જમા થયેલી હોય છે. વિસરલ ફેટ તરીકે ઓળખાતી પેટની ચરબી શરીરના અંદરના અંગોમાં પણ જમા થયેલી હોય છે. વ્યક્તિનું ઉપસેલું, બહિર્ગોળ કે વધુ ઘેરાવો ધરાવતું પેટ મેદસ્વિતાનું લક્ષણ છે અને તે ખતરનાક છે. 

પુખ્ત વયની વ્યક્તિઓ જ નહીં બાળકો અને કિશોરોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. દેશનો દર દસમો કિશોર વધુ વજનનો છે. પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ પાંચથી ઓગણીસ વરસના પચીસ ટકા બાળકો અને કિશોરો સ્થૂળતાનો ભોગ બનેલા છે. ગુજરાતમાં ૨.૭૩ લાખ બાળકો સામાન્ય કરતાં વધુ વજનના છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દુનિયામાં ૩૪ કરોડ બાળકો સામાન્ય કરતાં ઘણું વધારે વજન ધરાવતા હોવાનું નોંધે  છે. 

મેદસ્વિતા, સ્થૂળતા, ઓબેસિટી કે ચાલુ ભાષામાં કહેવાતું જાડિયાપણું ખરાબ જીવન શૈલી, મીઠાં પીણાં, વધુ કેલેરીવાળા ફાસ્ટ ફૂડ, બેઠાડુ જીવન પ્રવૃત્તિ, અનિયમિત ઊંઘ અને આહાર, એકલતા, વધુ સ્ક્રીન ટાઈમ, આનુવંશિક પરિબળો, તણાવ જેવાં કારણોથી જોવા મળે છે. શહેરોની તુલનામાં ગામડાંના લોકો સપ્રમાણ શરીર ધરાવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારની ચોથા ભાગની વસ્તી પણ મેદસ્વી છે. 

શરીરમાં ચરબીનું વધુ કે અતિ પ્રમાણ અનેક જોખમો નોતરે છે. ટાઈપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ, સાંધાનો ઘસારો, પ્રોસ્ટેટ કેન્સર, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર, નસોમાં લોહીના ગઠ્ઠા, માનસિક અસ્થિરતા, પિત્તાશયની પથરી, ચામડીના રોગો અને લીવર સીરોસીસ જેવી બીમારીઓ મેદસ્વિતાના કારણે થઈ શકે છે. સ્થૂળ વ્યક્તિઓ વધુ માંદી પડે છે અને તેમનું મરણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ જાડા શરીરની વ્યક્તિઓને વીમો આપવા ઈન્કાર કરે છે કે વધુ પ્રિમિયમ માંગે છે. એકાદ વિમાન કંપનીએ જાડા પેસેન્જરને વધુ એક સીટ બુક કરવાનું કહ્યાનું સાંભળ્યું છે. મેદસ્વિતાની આર્થિક અસરો પણ છે. તેલની આયાત વધે છે. દેશ વરસે ૧૩૦ લાખ ટન તેલ આયાત કરે છે. મેદસ્વિતાના કારણે  દેશના આર્થતંત્ર પર ૨૦૧૯માં રૂ. ૨.૪ લાખ કરોડનો આર્થિક બોજ પડ્યો હતો. જે ૨૦૩૦ સુધીમાં વધીને રૂ. ૬.૭ લાખ કરોડ અને ૨૦૬૦માં ૬૯.૬ લાખ કરોડ  થઈ શકે છે. 

વૈશ્વિક સમસ્યા મેદસ્વિતાથી ભારતને મુક્ત કરવા વડા પ્રધાનની હાકલ પછી વ્યક્તિ, સમાજ અને સરકાર તે દિશામાં સક્રિય થયા છે.  સ્વસ્થ આહાર અને આહાર નિયંત્રણ, પૂરતી ઊંઘ, યોગ્ય જીવન શૈલી, તણાવ મુક્ત જીવન, બેઠાડુ જીવન પ્રવૃત્તિનો ત્યાગ, યોગ, પ્રાણાયામ, ઓછી કેલેરી, ઓછી ચરબીનો અને રેસાયુક્ત ખોરાક તથા કસરત જેવા  ઉપાયોથી મેદસ્વિતામાંથી મુક્ત થઈ શકાય છે. દવાઓ અને સર્જરી પણ તેના ઉપાય છે. વડા પ્રધાને લોકોને પોતાના ખોરાકમાં દસ ટકા તેલનો વપરાશ ઘટાડવા આહ્વાન કર્યું છે. સી.બી.એસ.સી.એ શાળાઓને તેલ અને સુગરના વધુ ઉપયોગના જોખમો સંબંધી બોર્ડ મુકવા સૂચના આપી છે. 

વિરોધાભાસોથી ભરેલા આપણા દેશમાં અતિ જાડા લોકો છે તો સાવ સુકલકડી જ નહીં, માયકાંગલા લોકો પણ છે. મેદસ્વી લોકો છે તો કુપોષિત પણ છે. એ તે કેવી વિડંબના કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. તેમાં કુલ બાળકોના ૧/૩ કુપોષિત છે. એટલે કે તેમને પર્યાપ્ત ખાવાનું મળતું નથી. ૨૦૨૦ થી ૨૦૨૨ વચ્ચે ૭૪ કરોડ લોકો અલ્પપોષિત હતા. સરકારનો દાવો છે કે તે કોરોનાકાળથી દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને નિ:શુલ્ક પૂરક અનાજ પૂરું પાડે છે. તે બધા પણ નાનામોટા કુપોષણનો ભોગ બનેલા જ હશેને?

પાંચમા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે અનુસાર દેશના ૧૦ જિલ્લા સૌથી વધુ કુપોષિત છે. તેમાં ગુજરાતના ચાર આદિવાસીબહુલ જિલ્લા, પંચમહાલ, દાહોદ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યના કેટલાક વિકસિત જિલ્લાના તાલુકાઓમાં પણ કુપોષિત લોકો છે. સંકલિત બાળ વિકાસ યોજના, મધ્યાહ્ન ભોજન યોજના અને અન્નસુરક્ષાના કાયદા છતાં કુપોષણને ખાળી શકાયું નથી. 

આજે મેદસ્વિતા સરકારના રાજકીય એજન્ડાનો વિષય બન્યો છે. તેમ જો કુપોષણ પણ બને અને ગરીબી, ભૂખ, કુપોષણ જે સામાજિક-રાજકીય કારણોનું પરિણામ છે તેની નાબૂદીની દિશામાં જાગ્રત થઈએ તો બહિર્ગોળ પેટની જેમ અંતર્ગોળ પેટની સમસ્યા પણ નિવારી શકાય. કાગળ પરની ગરીબી નાબૂદીની યોજનાઓ ધરાતલ પર ઉતરે, કુપોષણ મુક્તિ લોક આંદોલન બને તો ચરબીથી વધી ગયેલા પેટની સાથે ભૂખથી અંદર ઉતરી ગયેલા પેટની સમસ્યા પણ ઉકલે. સરવાળે નહીં અદોદળા, નહીં માયકાંગલા એવા ગુજરાતી, ભારતીય અને અને વિશ્વનાગરિક  જોવા મળે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

10 December 2025 Vipool Kalyani
← કક્કો ઘૂંટ્યો …

Search by

Opinion

  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved