Opinion Magazine
Number of visits: 9504389
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સજા મશીનની ભૂલોની નહીં, માનવીય ભૂલોની જ થાય છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 May 2022

આ માર્કશીટનો અભ્યાસ કરવા જેવો છે. આ માર્કશીટ બનાસકાંઠાના થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળાની છે. તે કે.વી. પટેલ (સહી એ નામની વંચાય છે. નામ બીજું હોઈ શકે છે.) દ્વારા તૈયાર થઈ છે. પરિણામ પત્રક 7/5/2022નું છે. એમાં શાળાનું નામ ચોધરી દશરથભાઈ તોરાજી કે ભેરાજી છે ને વિદ્યાર્થીના નામમાં શ્રી મિયાલ પ્રાથમિક શાળા લખાયેલું છે. માર્કશીટ ધોરણ 8ના વર્ગ ‘અ’ની શૈક્ષણિક વર્ષ 2021-22ની છે. એમાં આઠ વિષયના 1,520 માર્કસમાંથી 1,490 ગુણ અપાયા છે. એમાં અંગ્રેજીના વિષયમાં 160માંથી 165 અને સંસ્કૃત / પર્યાવરણના વિષયમાં પણ 160માંથી 165 ગુણ અપાયા છે. સામાજિક વિજ્ઞાનમાં તો 160માંથી 174 ગુણ અપાયા છે. બીજા વિષયોમાં 160થી વધારે ગુણ અપાયા નથી. ઓવરઓલ પરિણામ 98.02 ટકા સાથે એ- ગ્રેડનું છે. એક જ માર્કશીટમાં ત્રણ ત્રણ વિષયમાં 160માંથી અનુક્રમે 165, 165 અને 174 માર્કસ અપાય અને શિક્ષક કે આચાર્યનું ધ્યાન જ ન જાય એ ઘોર બેદરકારી અને બેવકૂફી સિવાય શું છે? 160માંથી 165 ન અપાય એટલી સામાન્ય બુદ્ધિ પણ શિક્ષક કે આચાર્યે દાખવી નથી. એ પણ વિચાર આવ્યો નથી કે આ માર્કશીટ બીજાંના હાથમાં પણ જઈ શકે છે. આવી કેટલી માર્કશીટ બની હશે તે નથી ખબર અને આવું કેટલી સ્કૂલોમાં થયું હશે એની પણ કલ્પના જ કરવાની રહે. માર્કશીટમાં શાળાનો સિક્કો છે ને આચાર્યની સહી પણ છે. માર્કશીટ તૈયાર કરનાર શિક્ષકને એ પણ ભાન નથી કે સ્કૂલનાં નામમાં વિદ્યાર્થીનું અને વિદ્યાર્થીના નામમાં સ્કૂલનું નામ લખાયું છે ને તેને સહીસિક્કા સાથે આચાર્યે પ્રમાણિત પણ કર્યું છે. આ તો એક નમૂનો છે. બીજા પણ હશે.

એક બાબત બેત્રણ વર્ષમાં એ બની છે કે પરીક્ષા આપનાર કરતાં પરીક્ષાઓ લેનાર વધારે બેદરકાર પુરવાર થયા છે. કોઈનું પેપર ફૂટી જાય છે, તો કોઈને પેપરમાં ભળતું જ પુછાય છે. કોઈને ભળતું જ પેપર અપાઈ જાય છે, તો કોઈને બીજાં દિવસનું પેપર અપાઈ જાય છે ને આ કોઈ સ્કૂલ કે કોલેજ પૂરતું સીમિત નથી, આ રોગ યુનિવર્સિટી સુધી ફેલાયો છે. આ વર્ષે જ નર્મદ યુનિવર્સિટીમાં એક જ દિવસમાં પાંચ, પાંચ પેપરો ફૂટ્યાં ને યુનિવર્સિટીએ પરીક્ષાઓ રદ્દ કરવી પડી. એમાં જે પરીક્ષાઓ આપવા પૂરતો જ રસ ધરાવતા હતા, તેમને તો બહુ ફેર ન પડ્યો, પણ જે વિદ્યાર્થીઓ પૂરતી તૈયારીઓ સાથે પરીક્ષા હોલમાં પહોંચ્યા ને પેપરના જવાબો લખવાનું શરૂ કરી ચૂક્યા હતા, તેમને એમ કહીને લખતાં અટકાવાયા કે પેપર ફૂટી ગયું છે. એ લખતાં હતા એમાંના ઘણાંને તો ખબરે ય નહીં હોય કે પેપર ફૂટી ગયું છે. એમની તૈયારી તો ધૂળમાં જ મળી ગઈ અને ફરી એ જ વિષયની પરીક્ષા આપવાની મજૂરી કરવાના કચવાટ સાથે એમને ઘરભેગા થવું પડ્યું. જે વિદ્યાર્થીઓ પૂરતી તૈયારીઓ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હોય ને એમને ફરી એ જ પરીક્ષા માટે જોતરાવું પડે એમની માનસિક તાણની ચિંતા યુનિવર્સિટીએ અને તમામ શૈક્ષણિક સંસ્થાનોએ કરવા જેવી છે ને જે આ આખા વેપલામાં જોતરાયા હોય એમની સામે શિક્ષાત્મક પગલાં યુનિવર્સિટીએ અનિવાર્ય રીતે લેવાં જ જોઈએ, કારણ એક બે નહીં, 27,000 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવાની નોબત આવી હતી. એમને જે ત્રાસ થયો તે સંદર્ભે યુનિવર્સિટીએ જવાબદારો સામે સખત પગલાં લેવાં જોઈએ, તેણે પગલાં લીધાં પણ ખરાં. સબંધિત કોલેજના આચાર્ય અને સ્ટાફ સહિત યુનિવર્સિટીએ 12 જણાંને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા ને પોલીસમાં ફરિયાદ આપી.

આમાં જે આચાર્ય સંડોવાયા હતા તે આચાર્ય મંડળના પ્રમુખ પણ છે, એટલે આચાર્ય મંડળના હોદ્દેદારો કુલપતિને મળ્યા ને સંબંધિતો સામે કૂણું વલણ દાખવવા રજૂઆત કરતાં ઉમેર્યું કે આ માનવીય ભૂલો છે ને આવી ભૂલો થતી રહે છે. પેપર લીક પ્રકરણનો રિપોર્ટ સિન્ડિકેટની બેઠકમાં રજૂ થાય ને યુનિવર્સિટી કડક પગલાં લે તે પહેલાં આચાર્ય મંડળે કુલપતિને રજૂઆત કરી છે. આચાર્ય મંડળની આ પ્રવૃત્તિ શરમજનક છે. પાંચ પાંચ પેપર ફૂટવાની ઘટના આચાર્ય મંડળને માનવીય ભૂલ લાગે ને શિક્ષાત્મક પગલાં ભરતાં કુલપતિને રોકે એમાં ભીનું સંકેલાવાની ગંધ આવે છે. જે માનવીય ભૂલને કારણે હજારો વિદ્યાર્થીઓને વેઠવાનું આવ્યું તેને આટલી હળવાશથી લઈ શકાય નહીં. પરીક્ષામાં ચોરી કરવાની વાતને જો માનવીય ભૂલ ગણીને માફ ન કરાતી હોય તો આ વાતને પણ માનવીય ભૂલ ગણીને, એ રીતે ભીનું સંકેલીને કુલપતિને શરમમાં નાખી શકાય નહીં ને કુલપતિએ શરમમાં પડીને એવું કૈં ન કરવું જોઈએ જે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને દાવ પર લગાવે. ભૂલો તો માનવીય જ હોવાની, તે કૈં મશીન પોતે કરે નહીં ને માણસ ભૂલો કરે તો તેને સુધારવા શિક્ષાત્મક પગલાં ન લેવાય તો ભૂલો થતી જ રહે. આચાર્ય મંડળ એમ ઈચ્છે છે કે પેપર ફૂટવાની ઘટના બનતી જ રહે ને જેને માટે જવાબદાર નથી એવા વિદ્યાર્થીઓ, તેમના કોઈ વાંકગુના વગર વેઠતા જ રહે? આ ઠીક નથી. 

કોરોનાનો સહુથી વરવો લાભ શિક્ષણે લીધો છે. પ્રાથમિક શિક્ષણ લગભગ થયું જ નથી. સ્કૂલો બંધ હતી, ત્યારે તો થયું જ નથી, સ્કૂલો ઓનલાઈન કે ઓફલાઇન ચાલી એમાં પણ વેઠ જ ઊતરી છે. સાધનો હતાં, ત્યાં થોડું ઘણું શિક્ષણ ચાલ્યું, પણ પરીક્ષાઓમાં ઘણા ગોટાળા થયા. ઉત્તરવહીમાં જવાબો લખવામાં અઠવાડિયા જેટલો સમય અપાયો. કઇ પરીક્ષામાં આટલો સમય અપાય છે? વારુ, જવાબો બુકમાં જોઈને કે બીજાને પૂછીને કે બીજા પાસે લખાવીને સબમીટ કરવાની છૂટ હતી. હવે આમાં સાચું મૂલ્યાંકન ન જ થાય તે કહેવાની જરૂર નથી.

બોર્ડે આગલાં વર્ષોનાં પરિણામ પરથી 10માંનું પરિણામ, પરીક્ષાઓ લીધાં વગર જ, ગયે વર્ષે નક્કી કર્યું ને એમાં એ-1, એ-2 ગ્રેડ પણ અપાયા. જે પરીક્ષાઓ લેવાઈ જ નથી, એનું પરિણામ આ રીતે બોર્ડ નક્કી કરે ને આખું શિક્ષણ ખાતું તે મંજૂર કરે કે કોઈ વાલી કે વિદ્યાર્થીને સ્વમાન જેવું કૈં જાગે જ નહીં, એ વાત શિક્ષણને ચામડી જ બચી નથી એની સાક્ષી પૂરે છે ને જ્યાં ચામડી જ બચી ન હોય ત્યાં રૂંવાડું ફરકે તો પણ ક્યાંથી?

જોઈ શકાશે કે પ્રાથમિક શિક્ષણથી માંડીને યુનિવર્સિટી શિક્ષણ સુધીમાં અક્ષમ્ય બેદરકારી અને વિચિત્ર પ્રયોગોએ તમામ સ્તરે સર્વનાશ જ કર્યો છે. ક્યાં ય શિક્ષણને ગંભીરતાથી લેવાની વાત જ જણાતી નથી. શિક્ષણ વર્ગખંડોમાંથી લગભગ નીકળી ગયું છે ને તેનું સ્થાન અમુક તમુક ઉજવણીએ, પરિપત્રોની ગુલામીએ અને પત્રકો ભરવાની કારકૂનીએ લઈ લીધું છે. ભણાવાય કે ન ભણાવાય તો વાંધો નહીં, પણ કાગળ પર બધું ઠીક ચાલે છે તે દેખાડવામાં જ આખો શિક્ષણ વિભાગ વ્યસ્ત રહે છે. ફોર્મમાં કે પત્રકોમાં આંકડાઓ પૂરા પાડવામાં જ આચાર્યો ને શિક્ષકો રોકાયેલા રહે છે, એ ઉપરાંત સરકારની ઈતર પ્રવૃત્તિઓમાં જોડાવાનું થાય છે તે તો નફામાં. આવામાં શિક્ષણ ફ્રી પિરિયડ જેવું થઈ ગયું છે. કોઈને એની શરમ કે નાનમ નથી ને શિક્ષણ મંત્રી તો ધમકાવતા કહે પણ છે કે જેમને ગુજરાતનું શિક્ષણ ન ફાવતું હોય તે બીજે જાય. ખરેખર તો શિક્ષણની જે હાલત છે તે બીજે જવા જેવી જ છે. શિક્ષણનું એવું કોઈ આકર્ષણ નથી કે અહીં પડી રહેવાનું મન થાય. જેમની પાસે બીજા વિકલ્પો છે તે બીજે જઈ જ રહ્યા છે ને જે પડી રહ્યાં છે તે લાચાર છે. થોડી પણ શરમ બચી હોય તો શિક્ષણમાંથી તમામ રાજકારણીઓને તાત્કાલિક અસરથી મુક્ત કરવા જોઈએ ને જેમને હૈયે શિક્ષણનું હિત વસ્યું છે એવા શિક્ષણ શાસ્ત્રીઓને માનભેર ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવા જોઈએ. એ કેવળ દુ:ખદ છે કે જેમની પાત્રતા નથી એવી વ્યક્તિઓ સત્તા સ્થાને છે. તે ઊંધું ન મારે તો આઘાત લાગે. આમાં ગુજરાતની નિર્માલ્ય પ્રજા પણ ઓછી જવાબદાર નથી. પ્રજાને શિક્ષણની જરા જેટલી પણ ચિંતા હોય તો તેણે અસરકારક શિક્ષણ માટે આંદોલન ઉપાડવું જોઈએ, પર વો દિન કહાં કિ …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 મે 2022

Loading

9 May 2022 admin
← In praise of Nayantara Sahgal
ગટર અને ગુલાલ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved