Opinion Magazine
Number of visits: 9448777
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાન્યપણે શ્રીમન્તોને પુસ્તકો સાથે ખાસ લેવાદેવા હોતી નથી, હોય તોપણ ખપ પૂરતી હોય છે. પરન્તુ બિલ ગેટ્સ એમાં અપવાદ છે

સુમન શાહ|Opinion - Opinion|16 December 2018

કવિ થઇને જ રહીશ એવો જાતજુલમ ફળે તો સારી વાત છે, બાકી એ બાબતે જીવનનાં કીમતો વરસો વેડફાય નહીં

વર્ષ ૨૦૧૮ પૂરું થવામાં છે. એ દરમ્યાન તમારી પાસે ઘણાં પુસ્તકો ભેગાં થયાં હશે. પુસ્તકમેળામાંથી વેચાતાં લીધાં હશે. કૉલેજ કે યુનિવર્સિટીની લાઈબ્રેરીમાંથી લાવ્યા હશો. કોઈ કોઇને સાહિત્યકારોએ ભેટ આપ્યાં હશે. એ બધાંમાંથી કેટલાંક વંચાયાં હશે, કેટલાંક બાકી હશે. જે હશે તે, પણ એક કામ કરી શકાય – બીજાંને કહી શકાય કે આટલાં પુસ્તકો ઉત્તમ છે, વાચનક્ષમ છે, વાંચવા-જેવાં છે, વાંચશો તો પસ્તાવો નહીં થાય. પુસ્તકો વિશેના પોતાના અનુભવોને શૅઅર કરવાનો આ એક અતિ સરળ તરીકો છે. જુઓ, બિલ ગેટ્સ (1955 –) એવાં પાંચ પુસ્તકો આપણા વાચન માટે સૂચવે છે.

સુવિદિત છે કે એણે ૧૯૭૫માં 'માઈક્રોસૉફ્ટ'-ની સ્થાપના કરેલી. એટલું બધું કમાયો કે આજે વિશ્વના શ્રીમન્તોની પહેલી પંક્તિમાં એનું સ્થાન છે. કેટલાકના મતે એ બીજા નમ્બરે છે અને # 2 Bill Gates કહેવાય છે. 'બિલ ઍન્ડ મેલિન્ડા (પત્ની) ગેટ્સ ફાઉન્ડેશન' વિશ્વનું મોટામાં મોટું ચૅરિટેબલ ફાઉન્ડેશન છે. એનો કેન્દ્રવર્તી આશય એ છે કે મનુષ્યોની જિન્દગીઓ બચાવવી અને તે માટે ગ્લોબલ હૅલ્થ જેવા પ્રોજેક્ટ હાથ ધરવા. ફાઉન્ડેશનને એણે અત્યાર સુધીમાં $35.8 બિલિયનનું દાન કર્યું છે. વિશ્વનો એ મોટામાં મોટો ફિલાન્થ્રોફિસ્ટ – પરોપકારી દાનવીર – ગણાય છે. આપણે જાણીએ છીએ કે ૧૯૯૭માં પહેલી વાર ઈન્ડિયા આવ્યા પછી બિલે કહેલું કે હું દર સાલ આવીશ. ઈન્ડિયામાં પોલીઓ-નાબુદી થઇ અને અન્ય અનેક દેશોમાં સ્વાસ્થ્યપરક સેવાઓ અને સહાય પ્રસરતી રહી છે. બિલની પરદુ:ખભંજક તરીકેની ઈમેજ સતત દૃઢ થતી રહી છે.

સામાન્યપણે શ્રીમન્તોને પુસ્તકો સાથે ખાસ લેવાદેવા હોતી નથી, હોય તો પણ ખપ પૂરતી હોય છે. પરન્તુ બિલ ગેટ્સ એમાં અપવાદ છે. હાર્વર્ડમાં ભણતો'તો પણ એ સુખ્યાત યુનિવર્સિટીનો એ ડ્રૉપ-આઉટ હતો. તેમ છતાં એની બુદ્ધિમત્તાનો અંદાજ લગાવવાનું હંમેશાં મુશ્કેલ રહ્યું છે. એવી વિરલ વ્યક્તિ પુસ્તકોની વાચક ન હોય તો જ નવાઈ થાય. ખરેખર તો બિલ બહુ-વાચક છે, વ્હોરેશ્યસ રીડર. કહેવાય છે કે વર્ષ દરમ્યાન એ ઓછાંમાં ઓછાં ૫૦ પુસ્તકો વાંચી લે છે. એટલું જ નહીં, પોતાના વાચન-અનુભવોમાં સૌને સહભાગી બનાવવા માટે પોતાને ઉત્તમ લાગ્યાં હોય એ પુસ્તકો અન્યોને સૂચવે છે. એટલું જ નહીં, બિલ પુસ્તકદાતા પણ છે. કૉલેજ-સ્ટુડન્ટ્સને પુસ્તકો ભેટમાં આપે છે. જગતને વિશેની આપણી ભ્રાન્ત કે ખોટી માન્યતાઓનાં ૧૦ કારણો દર્શાવતું પુસ્તક 'ફૅક્ટફુલનેસ', અને, વસ્તુઓ આપણી ધારણા કરતાં કેમ વધારે સારી હોય છે એની સમજૂતી આપતું પુસ્તક 'વ્હાય થિન્ગ્સ આર બેટર ધૅન યુ થિન્ક' એણે કોઇપણ ઈચ્છુક વિદ્યાર્થીને ભેટમાં આપેલાં. બન્નેના લેખક છે, ગ્લોબલ હૅલ્થ ઍક્સપર્ટ, હૉન્સ રોસલિન્ગ. રોસલિન્ગના દીકરાએ અને પુત્રવધૂએ પણ પુસ્તકલેખનમાં સાથ આપેલો.

બિલ કહે છે, તમે જો મારા જેવા હોવ, તો રજાઓ દરમ્યાન પુસ્તકો આપવાનું – કે મેળવવાનું – તમને ગમે. ઉત્તમ વાચન, ભેટ આપવાલાયક મોટી અને સાવ સરળ જણસ છે. હું ધારું છું કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં થોડાંક પુસ્તકોનો વિનિયોગ તો કરી જ શકે. મેં વર્ષના અન્તે જાહેર કરેલી યાદી મને ખાસ ઉપકારક ભેટ નથી લાગતી હોતી, પણ આ વર્ષની પસંદગી એકદમની ગિફ્ટેબલ છે.

પાંચ પુસ્તકોની બિલે કરેલી વાત આ પ્રમાણે છે :

ટૉરા વેસ્ટઓવરે લખેલું પુસ્તક 'ઍજ્યુકેટેડ' એની સ્મરણકથા છે. બિલ કહે છે, ટૉરા સારી લેખક છે. ભણવા માટે શાળાએ કદી ગયેલી નહીં. પણ એની લગન તીવ્ર હતી. ૧૭ વર્ષની વયે ઘર છોડીને નીકળી પડી તે છેલ્લે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થઇને રહી. બિલ જણાવે છે કે – ટૉરાની કારકિર્દીએ મને મારી જિન્દગી વિશે વિચારો કરતો કરી મૂકેલો.

પૉલ શારે-લિખિત પુસ્તક 'આર્મિ ઑફ નન' આર્ટફિશ્યલ ઈન્ટેલિજન્સથી ચલાવાતાં યુદ્ધ કે યુદ્ધપરક મશીનોની વાત કરે છે. બિલ કહે છે, રજાઓના મજાના દિવસોમાં એની શું વાત કરવી પણ અતિ સંકુલ વિષયના એટલા જ સ્પષ્ટ નિરૂપણ માટે તેમ જ એ મશીનોના ગુણાવગુણ સમજવા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. યુ.ઍસ.ની ઑટોનૉમસ વેપન્સની પૉલિસીનો ડ્રાફ્ટ ઘડવામાં શારેએ ઘણી મદદ કરેલી.

જૉહ્ન કૅરિરોયુ-લિખિત 'બૅડ બ્લડ'-માં પાલો આલ્ટોની Theranos નામની કમ્પનીની વાત છે. હૅલ્થ ટૅક્નોલૉજિ કૉર્પોરેશન રૂપે એણે નામના મેળવેલી પણ પાછળથી લોકોના જૂઠા બ્લડટેસ્ટ્સના કૌભાણ્ડને કારણે ફડચામાં ગયેલી. બિલ જણાવે છે કે આ પુસ્તકમાં બધું જ છે : મોટા મોટા ગોટાળા, કૌભાણ્ડો, કૉર્પોરેટ-વર્લ્ડના દાવપેચ, જુક્તિઓ, બરબાદ પરિવારોનાં વીતક, અને, કોઇ જમાનામાં લગભગ $10 billion-નો ધંધો કરતી એ કમ્પનીનો નાશ. બિલ કહે છે, વાંચવાનું શરૂ કર્યા પછી પોતાનો પૂરું કર્યે જ છૂટકો થયેલો.

યુવાલ નોહ હરારિ-લિખિત '21 લેસન્સ ફૉર ધ 21st સૅન્ચ્યુરી'-માં, ભૂતકાળસંલગ્ન અને ભવિષ્યસંલગ્ન વાતો છે પણ ખાસ તો પુસ્તક વર્તમાન વિશેનું છે. બિલ કહે છે, જગતની વર્તમાન દશા જોઇને ૨૦૧૮માં આપણે ડઘાઈ ગયા હોઇએ, તો હવે સવાલ એ છે કે આપણે સમાચારોને કેમ ઘટાવીશું, પડકારો વિશે કેવુંક વિચારીશું? એના ઉકેલની આ ૨૧ લેસન્સમાં રસપ્રદ રજૂઆત થઇ છે. બિલને હરારિનાં બધાં લેખનો ગમે છે.

આપણને એ જાણીને વિશેષ ખુશી એ થાય કે બિલને ધ્યાનને વિશેનું ઍન્ડી પુડ્ડિકોમ્બનું પુસ્તક 'ધ હેડસ્પેસ ગાઈડ ટુ મૅડિટેશન ઍન્ડ માઈન્ડફુલનેસ' પણ ગમ્યું છે અને આપણને વાંચવાની એણે ખાસ ભલામણ કરી છે. બિલ કહે છે, હું ૨૫-નો હતો ત્યારે આ પુસ્તક હાથ ચડ્યું હોત તો મેં હસી કાઢ્યું હોત. પણ એ પછીના સમયોથી હું અને મેલિન્ડા ધ્યાન કરતાં થઇ ગયાં છીએ. લેખકની આ એક રીતે તો, વિદ્યાયાત્રા છે. યુનિવર્સિટીનો એ વિદ્યાર્થી ક્રમે ક્રમે બૌદ્ધધર્મી સાધુ બની ગયો ને પછી ધ્યાન શું છે ને કેમ કરાય એ વિષયનો આકર્ષક ગુરુ બન્યો. બિલ કહે છે, જો તમે સ્વસ્થ સચેત થવાનો પ્રયત્ન કરતા હોવ, તો આ પુસ્તક તમારા માટે ઉપકારક પ્રવેશક બની રહેશે.

ઉપર્યુક્ત પાંચ પુસ્તકોમાંથી 'ઍજ્યુકેટેડ' 'ફૅક્ટફુલનેસ' અને 'વ્હાય થિન્ગ્સ…'-ના ગુજરાતીમાં અનુવાદો જો ન થયા હોય તો કરી શકાય; નહીં જ થયા હોય. ગુજરાતી ભાષામાં આવાં વિવિધ વિષયનાં રસપ્રદ પુસ્તકો જવલ્લે જ લખાય છે. વાર્તા કે નવલકથા લખાય એની વાટ જોઇને બેસી રહેવાય થોડું? કવિ થઇને જ રહીશ એવો જાતજુલમ ફળે તો સારી વાત છે, બાકી એ બાબતે જીવનનાં કીમતો વરસો વેડફાય નહીં. 'રીલાયન્સ'-થી માંડીને અનેક કમ્પનીઓની સફળતાઓની અને સિદ્ધિઓની ગૌરવગાથા લખી શકાય. અમદાવાદની મિલો પડી ભાંગી એ કરુણ ઇતિહાસ લખી શકાય. દેશી નામાપદ્ધતિ નથી રહી. જૂના શૅરબજારમાં ધોતી-ઝભ્ભા-ટોપીધારી શૅરબજારિયા બિરાદરો જે ભાષા પ્રયોજતા એ પણ નથી રહી. એ બધાં વિશે લખી શકાય. એ માટે સંશોધનવૃત્તિ જોઇએ. જો કે એ હોય પછી એ પુસ્તકોને પ્રકાશિત કરનારા જોઇએ. જો કે પ્રકાશકો મળી રહે તો પૂછવાના કે વાચકો ક્યાં છે, ગ્રાહકો ક્યાં છે…

હું 'ગેટ્સનોટ્સ'-નો સભ્ય છું. મેં બિલને ઈમેઈલ મોકલ્યો છે કે કારકિર્દી દરમ્યાન એણે વાંચેલાં નકરાં સાહિત્યનાં ઉત્તમ પુસ્તકોનાં નામ જણાવે. તો એ વિશે પણ ક્યારેક વાત કરીશ.

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખક્રમાંક : 223 : તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૧૮

https://www.facebook.com/photo.php?fbid=2251881651509402&set=a.453758734655045&type=3&theater

Loading

16 December 2018 admin
← ચૂંટણી પરિણામો બતાવે છે કે સ્વામીનાથન્‌ આયોગની ભલામણોનો સત્વરે અમલ અનિવાર્ય છે
સાલી હિંમતને તો દાદ આપવી પડે! આઝાદી દિન જેવા પવિત્ર દિવસે લાલ કિલ્લા પરથી દેશના વડા પ્રધાન એક ડઝન જૂઠ બોલી શકે અને સર્વોચ્ચ અદાલતને જૂઠ પકડાવી શકે એ કોઈ કાચાપોચાનું કામ છે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved