Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ્યના ડાંડિયા ગુલ, નાગરિૅક ડેરા ડૂલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 September 2017

સંકેલાતે ઑગસ્ટે ડેરા સચ્ચા સૌદા ઘટનાએ સન બયાલીસની પંચોતેરીએ અને સ્વરાજની સિત્તેરીએ દેશના રાજકીય-શાસકીય અગ્રવર્ગ સમેત દેશજનતા સમસ્ત જોગ જાસો પાઠવ્યો છે : ક્યાં છે જવાબ-દાર રાજ્ય અને ક્યાં છે સવાલ-દાર નાગરિક.

ગુરમીત રામ રહીમ સિંહના કથિત ટેકેદારોએ ૨૫મી ઑગસ્ટે જે રીતે કાયદો ને વ્યવસ્થા બલકે રાજવટ આખી રફેદફે કરી નાખી, કેવી રીતે ઘટાવીશું એને. ભલે ભાઈ, દાદા માર્ક્સ કબરમાં રાજીપે પડખું ફેરવે કે રાજ્યનું વિગલન (વિધરિંગ અવે) ઝંખતું સમાજવાદી સમણું સાકાર થયું છે કે બાપુ ગાંધી રાજઘાટે સૂતા આતમઓડકાર અનુભવે કે રાજ્ય વિલય પામ્યું છે … કાશ, ત્રાહિત તમાશબીન પેઠે તટસ્થ રહી શકાતું હોત અને આમ કટાક્ષનાં બેચાર તીર ફેંકીને છૂટી પડાતું હોત!

જ્યાં સુધી સચ્ચા ડેરા જેની હદમાં પડે છે તે વિધિસરની હરિયાણા સરકારનો સવાલ છે, હજુ ૨૦૧૬માં જાટ ઉઠાવ વખતે એની જગજાહેર નિષ્ફળતા પછીનો પોલીસ હેવાલ એની કને પડેલો હતો અને છે. લોકો (આ કિસ્સામાં કમનસીબે ને ભોગજોગે કથિત ભક્તભીડ) મોટી સંખ્યામાં ઠલવાય અને તંત્ર ઠપ થઈ જાય એવા ઘટનાક્રમ સામે આગોતરી તકેદારીની સઘળી સૂચનાસામગ્રી એ હેવાલમાં પડેલી હતી. ખરું જોતાં, એની પણ જરૂર નહોતી ને નથી, કેમ કે પોલીસની તાલીમ અને કાર્યાનુભવનો એક લાંબો સિલસિલો છે.

છતાં, ૨૫મી ઑગસ્ટે કથિત ધર્મગુરુ અને (પ્ર)સિદ્ધ બળાત્કારીની તરફેણમાં પોલીસે હાથ ઊંચા કરી દીધાનું અને રાજ્ય ગેરહાજર હોવાનું ભયાવહ ચિત્ર ઊપસ્યું એ હકીકત છે. ‘ભગત લોગ હૈ, ઉનકો આને દો’ની આશ્વસ્ત જ નહીં પણ સ્વાગતકારી મુદ્રામાં બેરોકટોક ખુલ્લા પ્રવેશની નકો નકો નીતિ સરકાર છેડેથી પ્રવર્તતી હતી. ભક્તમંડળી સગાંવહાલાં ને મિત્રમંડળ સહિત ગુરુસેવામાં ચોમેરચોફેરથી હુલસતે હૈયે ફૂલ ને પથ્થર વચ્ચેનો ભેદ વિસારતી ઉમટી પડેલી હતી. અને રાજ્ય સરકારના મંત્રી, નામે રામવિલાસ શર્મા, ટાઢે કોઠે ફિલસૂફિયાણી હાંકી રહ્યા હતા કે ‘આસ્થા’ને તે કંઈ ૧૪૪મી કલમ લાગુ પાડી શકાતી હશે. પેલી ફૂલપથ્થર અભેદ મંડળીને હવે પેટ્રોલબાજ ભેરુભિલ્લુ આવી મળ્યા હતા, કેમ કે રામ (રાજ) રાખે એને કોણ ચાખે. આ સૌને સનકી અધ્યાત્મ આભડેલું બલકે ચડેલું હતું : મેસેન્જર ઑફ ગૉડ (એમ.એસ.જી.) એ રામરહીમ ફિલ્મનો લાઈવ ઉત્તરાર્ધ રચવામાં એમણે ધર્મ જોયો હતો.

રાજ્ય સરકાર અલબત્ત આસ્થાવશ બદ્ધ હતી; કેમ કે વિધાનસભાની અઠ્ઠાવીસ બેઠકો જિતાડવાનું પુણ્યકાર્ય સચ્ચા સૌદાની રામ રહીમ મંડળીને નામે જમે બોલતું હતું. ખટ્ટર સરકારે સત્તારૂઢ થયા પછી રાજ આખાને સરાફી નાણાં મબલક પૂરા પાડી શકે એવા આ આસામીને એકથી વધુ વખત લાખોકરોડોની નવાજેશ કરવામાં હૈયાઉલટ અનુભવી છે એ અલબત્ત અકારણ ન જ હોય.

વખતોવખત ‘મૌન કી બાત’નો કાનમીંઢ અનુભવ કરાવતી ‘મન કી બાત’માં, રહી રહીને, વડાપ્રધાને કહ્યું છે કે આસ્થાને નામે હિંસા નહીં ચલાવી લેવાય. ભાઈ, આ તો ઘોડા ભાગી છૂટે એ પછી તબેલે તાળાનો રાબેતો થયો! જુઓ ને, હાઈકોર્ટે પણ અજબ જેવી માસૂમિયતથી આસારામ કેસ કેમ લંબાઈ રહ્યો છે એવું આ દિવસોમાં જ પૂછવાની નોબત આવી છે.

આ આખા ઘટનાક્રમને રાજ્ય સરકારની અકર્મણ્યતાથી માંડીને ગુનાઈત મેળાપીપણા તરીકે જરૂર જોઈ શકાય, જેમ ૨૦૦૨માં ગુજરાતના ઘટનાક્રમ વિશે પણ કહેવાનોંધવાનું થતું રહ્યું છે. ઉપરાંત ગુજરાતમાં હિંસ્ર પરિબળો અને એમના સત્તાપક્ષી મિત્રોને એક વિચારધારાકીય સમાધાન અને સૅન્કશનની કુમક હતી. હરિયાણાનો કિસ્સો કથિત ધર્મસંસ્થાને આધીન સરકારનો અને કથિત ધર્મે ધેનગાફેલ સમુદાયનો છે. પણ રાજ્યે રાજ્યપણું ગુમાવ્યાનું ને નિઃશાસન/ દુઃશાસનમાં ઉગાર જોયાનું તત્ત્વ બંનેમાં એક સમાન માલૂમ પડે છે.

જો કે, ડેરા સચ્ચા સૌદા અંતર્ગત ગુરમીત રામ રહીમ સિંહના ‘નિજધામ’માં તેમ એમની નિશ્રા ને નિગેહબાનીમાં રચાતાં હિંસ્ર હત્યાકાંડ ને નિર્ઘૃણ યૌન શોષણના કારસા ને કારનામાં પર કે રાજ્ય સરકાર અને સત્તાપક્ષની ડેરાધીનતા પર જ સમગ્ર વિમર્શનો એકંદર બોજ ટિંગાડતા પહેલાં બીજા પણ એકબે વાનાં ચર્ચવાં રહે છે.

એક તો, આપણે જેને ન્યાય અને શાંતિ વાસ્તેના વિધિવત્‌ પાયદળ તરીકે ઓળખીએ છીએ તે પોલીસ વધુ પડતા કાર્યબોજે લદાયેલી છે. પોલીસ તંત્ર અક્ષરશઃ અન્ડરસ્ટાફ છે, અને જે તે સ્તરે રાજકારણી રાહે કંઈક દબાયેલચંપાયેલ તો કંઈક મીલીભગત એવી હાલતમાં અસરકારકતાનું ટાંચુ પડેલું છે. અને આ સિલસિલો કેવળ ભાજપી શાસનો પૂરતો સીમિત હોય એવું નથી તે નથી. અલબત્ત, ગુજરાત મોડેલ આ મોરચે ઉત્તરોત્તર મહારત દાખવી રહેલ છે, પણ અહીં એની વિગતોમાં જવું અનિવાર્ય નથી.

બીજું, પ્રજાસત્તાક સ્વરાજે ‘નિર્બલ કે બલરામ’ની તરજ ને તરાહ પર જે કલ્યાણરૂપ નભાવવું રહે છે તે આપણે ત્યાં કંઈક ઓછું જ માલૂમ પડે છે, અને નવી આર્થિક નીતિને ધોરણે રાજ્ય ખાસી જવાબદારીઓ બાબતે હાથ ઊંચા કરી તમને ને મને ખાનગીકરણને હવાલે કરતું ચાલ્યું છે. એટલે સામાન્ય માણસને થોડીકે સામાજિક દરજ્જાકીય હૂંફ, કિંચિત આરોગ્યસેવા, ખાનપાન સોઈ ક્યાંકથીયે મળી રહે! (અને એમાંય ધર્મને નામે મળી રહે) ત્યારે એ આરંભે આભારવશ અને સહજક્રમે વ્યામોહવશ બની ભળતાસળતા ધરમમજહબ અખાડે આશ્વસ્તિથી માંડીને તીવ્ર ખેંચાણવશ ચાલે છે. (આ કિસ્સામાં પણ કથિત ગુરુ અને અને દુષ્પ્રવૃત્તિઓનો બચાવ આવા જ કોઈ ધક્કે થતો જણાય છે.)

‘પૂરા સચ’ખ્યાત રણજિતસિંહની બલિદાની કોશિશે આટલે વરસે એની અસર દાખવી. એના ઉજાસમાં, સી.બી.આઈ.ના અદાલતી ફેંસલે આ બધું કહેવુંનોંધવું પ્રાપ્ત થાય છે. રાજ્યની નિઃશાસન / દુઃશાસન તાસીર વિશે પણ ઊહ ને અપોહની રીતે વાત કરવાનું બને છે. પણ સાથોસાથ, રાજ્ય જ્યારે ધર્મસંસ્થા સાથે સલામત અંતરનો અને કાયદાના શાસનથી બદ્ધ સંબંધ ન રાખે ત્યારે શું બને છે તે પણ સમજી લઈએ. ધર્મની આડમાં ને બેવડમાં બધું માફ ક્યાં સુધી અને આ સવાલ ઉઠાવનારને રાજદ્રોહી કે નઠારા સેક્યુલર અગર મુઆ માનવઅધિકારવાદીમાં ખતવતા પહેલાં નાગરિક સમાજ તરીકે આપણે કેમ ઊભવું છે એ સમજી લઈએ તો પણ તે ગુરમીત પ્રકારના ઘટનાવ્યાપારની આકરી કિંમત ચૂકવ્યા છતાં મહદ્‌ લબ્ધિ લેખાશે.

ઑગસ્ટ ૨૯, ૨૦૧૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 01-02

Loading

4 September 2017 admin
← મુસ્લિમ ઉમ્માહ એટલે શું? … ભારતીય મુસ્લિમોમાં વ્યાપેલ સામાજિક સ્તરીકરણ અને સામાજિક ચળવળો
સલામ, અવની ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved