Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય સુરક્ષાના પર્યાય બિપિન રાવતની આખરી વિદાય નિમિત્તે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 December 2021

આઠમી ડિસેમ્બર, 2021ની બપોર કારમી નીવડી ! તમિલનાડુનાં કુન્નુરમાં વૃક્ષોને ટકરાઈને એક હેલિકોપ્ટર ભડકો થઈ ઊઠયું ને તેણે સ્પેરપાર્ટસની સાથે જ તેમાં સવાર 14 લશ્કરી અધિકારીઓને સોનેરી ભડકામાં લપેટી લીધા. એમાં કેટલાક તો એવા સળગ્યા કે અગ્નિસંસ્કારની ય જરૂર ન રહી. હેલિકોપ્ટર ક્રેશની નવાઈ નથી, એમાં ઘણા બચી પણ જાય છે તો ઘણાં ભડકો ય થઈ જાય છે, પણ કુન્નુરમાં જે MI 17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું તેણે તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ.) બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજા 11 લશ્કરી અધિકારીઓનો ભોગ લીધો છે. ચોપરમાં 14 અધિકારીઓ સવાર હતા, તેમાં કેવળ ગ્રૂપ કેપ્ટન વરુણસિંહ ગંભીર હાલતમાં સૈન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ વર્ષે જ સ્વતંત્રતા દિવસે કેપ્ટનનું શૌર્ય ચક્રથી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. એ બચી જાય તો ખરેખર શું બન્યું એ જાણી શકાય. બિપિન રાવત લશ્કરી વડા તરીકે દેશને સમર્પિત જીવ હતા ને તેમણે છેલ્લે પણ વેલિંગ્ટન ખાતે ડિફેન્સ કોલેજમાં લેકચર આપવાનું સ્વીકાર્યું હતું, પણ ચોપર ક્રેશ થતાં કોલેજ તેમના વક્તવ્યથી કાયમને માટે વંચિત રહી ગઈ છે.

હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાએ તેર તેર લશ્કરી અધિકારીઓનો ભોગ લેતા આખો દેશ આઘાતથી વ્યગ્ર થયો છે. તેમાં પણ જનરલ રાવતના અણધાર્યા નિધને ત્રણેય લશ્કરી પાંખને તીવ્ર આંચકો આપ્યો છે. 63 વર્ષીય રાવતે દેશની સુરક્ષા માટે અનેક હોદ્દે રહીને અવિસ્મરણીય સેવાઓ જ કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો તેઓ 2019-20માં થયા, પણ તે પહેલાં લશ્કરી વડા તરીકે તેમણે જુદા જુદા હોદ્દાઓ પરથી અભૂતપૂર્વ સુરક્ષા સેવાનાં ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. ઉરીની સર્જિકલ સ્ટ્રાઈક કે ચીની સરહદે લાંબી સુરક્ષા સેવાથી રાવત કાયમને માટે યાદ રહેશે. તેઓ ઊંચાઈ પર બર્ફીલા પહાડો વચ્ચે સુરક્ષા વ્યવસ્થાના નિષ્ણાત હતા. તેમનો ચીન અને પાકિસ્તાન પર ભારે પ્રભાવ હતો. પાકિસ્તાને તો શોક પણ વ્યક્ત કર્યો છે. ચીન પાસેથી તો એવી ઔપચારિક્તાની પણ આશા રાખી શકાય એમ નથી. 1962માં ચીન સાથેના યુદ્ધમાં મળેલી નિષ્ફળતા પછી ભારતીય સુરક્ષા બાબતે વિશ્વનો બહુ સારો મત ન હતો ને પાકિસ્તાન જેવું પણ કાશ્મીરનો કેટલોક ભાગ કબજે કરીને ફૂંફાડતું રહેતું હતું. એ સ્થિતિ રાવતના લશ્કરી વડા થતાં બદલાઈ. ચીન માટે હવે ભારતનો સામનો કરવાનું 1962 જેટલું સરળ નથી. તે ભલે ઘૂસણખોરી કરીને સરહદી ચિંતા ઊભી કરે કે યુદ્ધની તૈયારીઓનું નાટક કરે, પણ સીધું યુદ્ધ છેડતાં પહેલાં તેણે સો વાર વિચાર કરવો પડે એમ છે. એ જ સ્થિતિ પાકિસ્તાનની પણ છે. તેણે નકલી નોટોથી ભારતના અર્થતંત્રને હાનિ પહોંચાડવાની કોશિશ કરી જોઈ ને બીજી તરફ આંતકી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપીને ભારત પર આતંકી હુમલાઓ પણ કરાવ્યા છે, પણ સીધું યુદ્ધ કરવાની તેનામાં હિંમત નથી. ચીન અને પાકિસ્તાનને આમ નાહિંમત કરવાનું કામ ભારતના સુરક્ષાતંત્રને આભારી છે. ભારત આધુનિક શસ્ત્રો અને વ્યવસ્થાથી સુસજ્જ છે ને તેની જલ, થલ અને વાયુ સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કટિબદ્ધ છે. આ શક્ય બન્યું બિપિન રાવત અને એમના જેવા ત્રણેય પાંખના લશ્કરી વડાની લશ્કરી કુનેહ અને વ્યવસ્થા શક્તિને કારણે ! બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિમાયા પછી ત્રણે પાંખના વડાઓ સાથેના તેમના માનવીય વ્યવહારે ત્રણે પાંખ વચ્ચે સમન્વય અને સામંજસ્યની ભૂમિકા ઊભી થઈ. એને કારણે જે સામૂહિક સાહસ માટેની કટિબદ્ધતા જન્મી તેણે સમગ્ર લશ્કરી વ્યવસ્થા પર સારો એવો પ્રભાવ પાથર્યો. આ સમન્વયકારી સી.ડી.એસ. રાવત હવે આપણી વચ્ચે નથી. તેમની લશ્કરી માન-સન્માન સાથે દિલ્હીમાં અંતિમ વિધિ થશે તે સાથે એક લશ્કરી વડાની કાયમી ખોટ વર્તાશે. તેમનું સ્થાન પણ એવા જ કોઈ બાહોશ વડા લે એમ બને, પણ જે સ્થાન રાવતનું હતું તે ઘણી બધી રીતે ખાલી રહે એમ બને, કારણ મૃત્યુ ભવિષ્ય પર કાયમી ચોકડી મારે છે. રાવત હયાત હોત અને જે કરી શક્યા હોત તે હવે કદી થવાનું નથી. એ રીતે એમની ખોટ કાયમી છે.

Cartoon courtesy : Satish Acharya

રાવતના અને અન્ય અધિકારીઓના નિધનથી આખું રાષ્ટ્ર શોકગ્રસ્ત છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુરક્ષા મંત્રીથી માંડીને આખા ય દેશે આ દુર્ઘટનાથી તીવ્ર આઘાત અનુભવ્યો છે. તમામ રાજદ્વારી નેતાઓએ રાવતને અને અધિકારીઓને ભાવપૂર્ણ અંજલિઓ આપી છે. આ ઘા તો હવે સમય જ રૂઝવશે, પણ જે બન્યું તે માન્યામાં આવે એમ નથી. પ્લેનક્રેશ કે હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનાઓ દેશવિદેશમાં બનતી રહે છે. ગુજરાતનાં મુખ્ય મંત્રી બળવંતરાય મહેતા, ડૉ. હોમી ભાભા, પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધી, સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝ, આંધ્રના પૂર્વ મુખ્ય મંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી, સિનિયર કોંગ્રેસ લીડર માધવરાવ સિંધિયા, લોકસભા સ્પીકર અને તેલુગુ દેશમના વડા બાલયોગી, હરિયાણાના મંત્રી ઓ.પી. જિંદાલ, પંજાબના ગવર્નર સુરેન્દ્ર નાથ ને એવા તો ઘણા મહાનુભાવોનાં મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયા છે. જો કે, સુભાષબાબુનું મૃત્યુ આજ સુધી વણઉકલ્યું જ રહ્યું છે, પણ બીજી હવાઈ દુર્ઘટનાઓ વિષે કોઈ શંકા નથી. હા, કુન્નુર હવાઈ દુર્ઘટના થોડું મનન-મંથન કરવા પ્રેરે છે. લશ્કરી વડા બિપિન રાવત અને તેમના અધિકારીઓનું આકસ્મિક મૃત્યુ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસના હુકમો અપાયા છે એટલે વધુ વિગતો અધિકૃત રીતે બહાર આવશે જ, પણ કુન્નુરમાં થયેલી હવાઈ દુર્ઘટના અનેક રીતે વિચારતા કરી મૂકે એવી છે. આમ તો રાવત પોતે આ અગાઉ ચોપર ક્રેશનો ભોગ બનેલા, પણ સદ્દભાગ્યે બચી ગયેલા. કમનસીબે 8મી ડિસેમ્બરે જે બન્યું તેમાં રાવત સહિત 13 જણાંનો ભોગ લેવાયો.

જે ચોપર વડા પ્રધાન વાપરે છે તે MI 17 બહુ જ સુરક્ષિત અને અત્યાધુનિક ગણાય છે. એ જ ચોપરનો રાવતને માટે પણ ઉપયોગ થયો એટલે જ્યાં સુધી હેલિકોપ્ટરનો સવાલ છે, કોઈ કચાશ એમાં ન જ હોય તે સમજી શકાય એવું છે. વારુ, સેનાના સર્વોચ્ચ વડા ને અધિકારીઓ જેમાં ઊડવાના હોય તેનું ઉત્તમ રીતે ચેકિંગ સ્વાભાવિક રીતે જ થયું હોય એમાં પણ શંકા નથી. આટલી તપાસ પછી પણ હેલિકોપ્ટર ક્રેશ થાય તો આશ્ચર્ય અને પીડા જ થાય. રક્ષા મંત્રીએ સંસદમાં જે માહિતી આપી છે તેમાં હેલિકોપ્ટરે 11.48 કલાકે ટેક ઓફ કર્યું ને 12.08 કલાકે સંપર્ક તૂટયો એવી વાત છે. આ સમય બપોરનો છે, પણ વાતાવરણ ઊજળું ન હતું તે પણ હકીકત છે. બ્લેક બોક્સ હાથ લાગ્યું છે એ રહસ્ય ઉકેલે એમ બને, પણ એટલું ચોક્કસ કે બધા પ્રયત્નો છતાં હવાઈ ઉડ્ડયન સલામત ન હતું. નીલગિરીનો પહાડી જંગલોનો વિસ્તાર, વાદળો નીચાં ને હળવો વરસાદી માહોલ, ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી ! આવામાં ચોપર ઊડતું હતું.

વિઝિબિલિટી ઓછી હોય તો પણ બપોરનો સમય હતો ને હેલિકોપ્ટરની એટલી ક્ષમતા તો હતી જ કે રાતના અંધકારનેય ભેદી શકે. જો આ સ્થિતિ હોય તો દિવસની ઓછી વિઝિબિલિટીથી હેલિકોપ્ટર ઝાડને અથડાય એ વાતમાં દમ નથી. જો કે, હેલિકોપ્ટર નીચાઇએ ઊડતું હતું એ સૂચવે છે કે વાતાવરણ હેલિકોપ્ટર ઉડાડવા માટે કોઈ રીતે યોગ્ય ન હતું. હવામાન વિભાગે ખરાબ હવામાનની આગાહી કરી જ હતી ને વાતાવરણ એવું જ ખરાબ હતું, છતાં હેલિકોપ્ટરે ટેક-ઓફ કર્યું. બિપિન રાવત જેવા લશ્કરી વડા જે પર્વતીય ઠંડાં હવામાનથી પૂરા માહિતગાર હોય, એ વાતાવરણ કળી ન શકે ને હેલિકોપ્ટર ઊડવા દે એ ગળે ઊતરે એમ નથી. તો, પ્રશ્ન એ થાય કે પાયલટે કોના કહેવાથી ઉડાન ભરી? કોઈ દબાણ વશ હેલિકોપ્ટર ઊડયું કે સહજ ક્રમે તે નથી સમજાતું? આ બધી શંકાઓને આધાર મળે એવી વાત નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતે કરી છે, તેમણે હેલિકોપ્ટર ક્રેશ થવામાં એલ.ટી.ટી.ઈ. – આઈ.એસ.આઇ.ના સ્લીપર સેલની સંડોવણી જોઈ છે. 35 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવનાર સાવંતને બોમ્બ પ્લાન્ટ થયો હોવાની શંકા છે. સી.ડી.એસ.ના ચોપરને ટાર્ગેટ બનાવવું લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ(એલ.ટી.ટી.ઈ.)ની રણનીતિનો ભાગ હોઈ શકે એવું બ્રિગેડિયર સાવંતનું માનવું છે. એવી જ, ષડ્યંત્રની શંકા સિનિયર બી.જે.પી. લીડર ને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ કરી છે. તેમનું કહેવું છે કે તપાસ ન તો સેનાની વ્યક્તિને કે ન તો સરકારની કોઈ વ્યક્તિને સોંપાવી જોઈએ. આખી તપાસ સુપ્રીમ કોર્ટને સોંપાય તો જ સાચી વાત બહાર આવશે એવું સ્વામીને લાગે છે.

જનરલ રાવતને લઈને ઊડેલાં હેલિકોપ્ટરમાં ખરેખર શું બન્યું તેની આ ક્ષણે તો કશી પાકી ખબર નથી, તપાસમાં કૈં બહાર આવે કે ન આવે, પણ એટલું નક્કી છે કે જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજી અગિયાર વ્યક્તિઓ કદી પણ પાછી ફરવાની નથી, ગમે તેવી ઉત્તમ તપાસ પણ આ લશ્કરી અધિકારીઓને પરત લાવી શકે એમ નથી. હકીકત એ છે કે મૃત્યુ, લેવામાં જ માને છે, પરત કરવાનું તેનાં લોહીમાં નથી ! ને દુ:ખદ છે તે આ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ડિસેમ્બર 2021

Loading

10 December 2021 admin
← મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == [3]
યુનાઇટેડ નેશન્સના સંપોષિત વિકાસના લક્ષ્યાંક અને જે.સી.કુમારપ્પાના સ્થાયી વિકાસની વિભાવના →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved