Opinion Magazine
Number of visits: 9449450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રાજદ્રોહ’, રુખસદ ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2022

ઘણાને અગિયારમી મે એક ઐતિહાસિક દિવસ લાગ્યો : સર્વોચ્ચ અદાલતે ‘રાજદ્રોહ’ની ઘોર સાંસ્થાનિક જોગવાઈને અંગે ‘રુક જાવ’નો રવૈયો અસંદિગ્ધ શબ્દોમાં પ્રગટ કર્યો એ જોતાં હર્ષોદ્રેકનું એક લૉજિક પણ હતું અને છે. પણ ભાઈ, ‘રુક જાવ’ અને ‘રૂખસદ’ વચ્ચે જે અંતર છે એનો ખ્યાલ તો કરો જરી. હોઠ અને પિયાલા વચ્ચેનું અંતર કપાય ત્યારે સાચું … કેટલી બધી બાબતો એવી છે આપણે ત્યાં કે સ્વરાજનું પ્રભાત અને સંસ્થાનવાદનો મધ્યાહ્‌ન, બેઉ જાણે સાથેલગાં ન ચાલતાં હોય!

હોઠ અને પિયાલા વચ્ચેના અંતરની જિકર પૂંઠે બને કે કોઈને દૂધે દાઝ્‌યાની છાશફૂંક ચિંતા લાગે. પણ સતર્ક બલકે સાશંક રહેવા બાબતે એલાર્મ બેલ તો સન્માન્ય કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ તરત જ વગાડ્યો કે સર્વોચ્ચ અદાલતે ય લક્ષ્મણરેખામાં રહેવાપણું છે.

રિજ્જુ મશાયના આ બે ડહાપણબોલ અખરવાનું તત્કાળનિમિત્ત પણ અહીં મારે નોંધવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે અગ્નિર્ભા તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાની અરજીને પગલે આગળ વધવાના સંકેત આપ્યા અને ‘આ પાર, પેલે પાર’ની ઢબે મોટી બૅન્ચ રચી આખરી સુનાવણીનો વિકલ્પ ખોલી કાઢ્યો ત્યારે વડા પ્રધાન મોદીએ સોલિસિટર જનરલ મારફતે હૃદયનો ઉચ્ચ અભિલાષ પાઠવ્યો કે સ્વરાજનાં પંચોતેર વરસના સ્પિરિટમાં અમે રાજદ્રોહની જોગવાઈ બાબતે પુનર્વિચાર સારુ તત્પર છીએ. સર્વોચ્ચ અદાલતે રાજદ્રોહના નવા કેસો ન નોંધવાની તેમ જ ચાલુ કેસોમાં જામીન માટે સુવાણની ભૂમિકાએ આ વિનંતી ગ્રાહ્ય રાખી લગીર ખમી ખાવાનું વલણ લીધું. કેન્દ્ર સરકારના ઉચ્ચ અભિલાષની વાસ્તવિકતા શું હોઈ શકે એનો એક બુલંદ અણસાર કાયદા પ્રધાન રિજ્જુએ લક્ષ્મણરેખાનો ચીપિયો પછાડીને અલબત્ત આપ્યો જ છે.

જ્યાં સુધી વડા પ્રધાને દાખવેલ પુનર્વિચારતત્પરતાનો પ્રશ્ન છે, અહીં એ એક વિગત વેળાસર સંભારી લેવી જોઈએ કે આ એમનું મૂળ વલણ નથી. ૧૯૬૨ના કેદારનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ અને ગેરઅમલ ટાળવા કેટલીક માર્ગદર્શક રેખાઓ આપી હતી, પછીથી આ રેખાઓ એના ઘોર ભંગ થકી જ ઓળખાતી રહી છે. એટલે ‘રાજદ્રોહ’ની જોગવાઈ બાબતે આમૂલ ફેરફારની માંગ ઉત્તરોત્તર અનિવાર્ય અનુભવાતી રહે છે. વરસેક પર ફરી અવાજ ઊઠ્યો ત્યારે ભારત સરકારે સર્વોચ્ચ અદાલતમાં એવું વલણ લીધું હતું કે ૧૯૬૨માં કેદારનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે તે ‘ગુડ લૉ’ છે અને એમાં કોઈ ફેરફારની જરૂર નથી. દરમિયાન, સર્વોચ્ચ અદાલત સમક્ષ મોઈત્રા પહેલથી જે વિગતો આવવા લાગી અને ન્યાયપીઠ પરથી પણ જે બેબાક નુક્તેચીની થવા લાગી એના ઉજાસમાં વડા પ્રધાને એમના સુપરિચિત રણનીતિકૌશલને શોભીતી રીતે સ્વરાજનાં પંચોતેર વરસના સ્પિરિટનો હવાલો આપવાનું દુરસ્ત લેખ્યું. અલબત્ત એની હેસિયત કથિત ‘ડેમેજ કન્ટ્રોલ’થી વધુ નહોતી તે કાયદા પ્રધાનના ઉદ્‌ગારોથી સમજાઈ રહે છે.

સાંસ્થાનિક ઓથારમાંથી સદંતર મુક્તિ અને સ્વરાજની પૂર્ણ અનુભૂતિની દૃષ્ટિએ જે અંતર કાપવું રહે છે એ અંગે રાજકીય શાસકીય અગ્રવર્ગની પ્રતિબદ્ધતા વસ્તુતઃ કેવી અને કેટલી છે એનું અચ્છું નિદર્શન રિજ્જુ મશાયની એ પ્રગટ ટિપ્પણી વાટે મળી રહે છે કે અગાઉની સરકારે (એન.ડી.એ. નહીં પણ યુ.પી.એ. સરકારે) આવા તો હજારો કેસ કર્યા છે. ભલા’દમી, જે ખોટું છે એના બચાવમાં સામેવાળાએ ખોટું કર્યાનો આક્ષેપ ક્યાં સુધી કામ આવી શકે, કોઈ તો કહો. આમ પણ, જો કે, ૨૦૧૦થી ૨૦૧૪ અને ૨૦૧૪થી આજ સુધીની ટકાવારીમાં ગુણાત્મક અંતર છે, પણ તે કાયદા પ્રધાનને કોણ બોલી બતાવે.

૧૮૭૦થી ચાલુ આ સાંસ્થાનિક જોગવાઈમાં ૧૯૭૩માં ઇંદિરાઈ કાળમાં વગર વૉરન્ટે અટકાયત શક્ય અને એવો સુધારો (ખરું જોતાં જો કે કુધારો) આમેજ થયો હતો. જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધીના મિસા-શાસનનો એ પૂર્વાભાસ હતો. જનતા સરકારે કટોકટીરાજની દોષદુરસ્તી કરતા ઠીક સુધારા કીધા, પણ સાંસ્થાનિક ઓથારમાંથી મુક્ત થવાની પ્રક્રિયા લાંબી છે એ વખતોવખત સમજાતું રહે છે.

મુદ્દે, સરકારમાત્રની – રિપીટ, સરકારમાત્રની, પ્રકૃતિ સત્તાના કેન્દ્રીકરણ ને મનમુરાદ સુવાંગ ભોગવટાની હોય છે. અને એમાં પણ ચોક્કસ વિચારધારાત્મક ધોરણે એકશાહી ચલાવવા ઈચ્છતી સરકારનું પૂછવું જ શું. રાજદ્રોહના જે કેસો છેલ્લાં વરસોમાં નોંધાયા એમાંના કેટલા બધા વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની ટીકા સબબ નોંધાયા છે એનું કોઈકે પ્રગટ સર્વેક્ષણ કરવું રહે છે. વસ્તુતઃ કોઈની ટીકા પોતે થઈને ‘ક્રાઇમ’ નથી, સિવાય કે એ ટીકા હિંસક ઉશ્કેરણી પ્રેરતી હોય. સર્વોચ્ચ અદાલતે એકથી વધુ વખત આ સ્પષ્ટતા કરેલી છે, પણ –

આરંભે જ સતર્ક, સાવધ ને સાશંક રહેવાની જે જિકર કરી એની એક સમજૂત લેખે વાતનો બંધ વાળતી વખતે મારે સાથી નાગરિકને નાતે સૌ વાચકોનું ધ્યાન એ હકીકત તરફ પણ દારેવું જોઈશે કે વખત છે તે ૧૨૪ એ (‘રાજદ્રોહ’ની જોગવાઈ) રદ્દ થઈ તો પણ યુ.એ.પી.એ. [અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ]થી માંડીને એન.એસ.એ. [નૅશનલ સિક્યોરિટી ઍક્ટ] સહિતની કેટલી બધી કાનૂની જોગવાઈઓ મનમુરાદ સત્તાતંત્રની સેવામાં સાક્ષાત્‌ હાજરાહજૂર હોવાની છે.

સ્વચિત્રનું પ્રભાત અને પરચક્રનો મધ્યાહ્‌ન … નાગરિકની આ દોધારી નિયતિ ક્યાં સુધી?

મે ૧૩, ૨૦૨૨

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 01-02 

Loading

14 May 2022 admin
← મારા પ્રકાશિત – અપ્રકાશિત હાઈકુ
શું રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved