
રવીન્દ્ર પારેખ
શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી હોય કે સરકારી, બિન શૈક્ષણિક ઈરાદાઓ માટે ખપમાં લેવાતી થઈ ગઈ છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો માટેના અખાડાની જેવી છે. આ અખાડાઓ કોલેજો, યુનિવર્સિટીઓ સુધી વિસ્તર્યા છે. કોણ જાણે કેમ પણ શૈક્ષણિક સંસ્થાઓએ સ્વમાન ગુમાવી દીધું હોય, તેમ ખુશામતખોરોથી ભર્યું પડ્યું છે. રાજકીય નેતાઓની, મંત્રીઓની કદમબોશી એ જ જીવન છે, એવું લગભગ બધા જ અધિકારીઓ, શિક્ષણશાસ્ત્રીઓએ સ્વીકારી લીધું છે ને ‘સાહેબો’ને રાજી કરીને રાજી રહેવાનું પટાવાળાથી માંડીને પ્રોફેસરો સુધીના સમજી ગયા છે. યુનિવર્સિટી સુધી રાજકીય કાર્યક્રમો અને ધાર્મિક શિક્ષણ પહોંચ્યું છે ને તેનો સીધો ઈરાદો રાજકારણીઓને પ્રસન્ન રાખવાનો જ છે. સરકારો બદલાવા માટે હોય છે, પણ કેટલીક સરકારો અનંતકાળ સુધી ચાલવાની હોય તેમ સત્તાના કેફમાં બધું કબજે કરવામાં માને છે, પણ સમય તો સમયનું કામ કરે જ છે ને ઘણી વખત તો તે એટલી ક્રૂરતાથી કરે છે કે બચાવની કોઈ જ તક નથી રહેતી.
કેટલીક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં જુદા જુદા પ્રવેશ નિમિત્તે વિધાયકો, સાંસદો કે મંત્રીઓ રાજકીય પ્રચાર કે ધાર્મિક કાર્યક્રમો માટે દાખલ પડી જતાં હોય છે. સ્કૂલો ખાનગી હોય કે સરકારી, એમાં બહુ ફરક પડતો નથી. આવી વાત દક્ષિણનાં રાજ્યોનાં ધ્યાન પર વહેલી આવે છે. તમિલનાડુ સરકારે ખાનગી સ્કૂલોનાં કેમ્પસમાં રાજકીય તેમ જ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારનું માનવું છે કે શૈક્ષણિક કેમ્પસમાં બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ ન થવી જોઈએ. કેમ્પસ શિક્ષણ માટે જ સુરક્ષિત હોવું જોઈએ. શિક્ષણ વિભાગે 2 માર્ચે સરકારી આદેશ બહાર પાડ્યો, જેમાં તમિલનાડુએ પ્રાઇવેટ સ્કૂલ (રેગ્યુલેશન) નિયમોમાં ફેરફાર કર્યા છે, જેનો હેતુ સંસાધનોનો ઉપયોગ શિક્ષણેતર પ્રવૃત્તિઓ માટે ના થાય તે સુનિશ્ચિત કરવાનો છે. એ હિસાબે સ્કૂલ સિવાયની કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સ્કૂલની કોઈ પણ જગ્યાનો ઉપયોગ રાજકીય કે ધાર્મિક કે ચોક્કસ વિચારધારાના પ્રચાર માટે નહીં કરી શકે. આ પ્રતિબંધ સ્કૂલ સમય પછી, શનિ-રવિ, જાહેર રજા કે વેકેશનમાં પણ લાગુ રહેશે. એનું આશ્ચર્ય જ છે કે આ પ્રતિબંધ બીજા કોઈએ નહીં, પણ સરકારે-તમિલનાડુ સરકારે મૂક્યો છે.
પ્રતિબંધ દરેક વખતે સારી બાબત નથી, પણ ક્યારેક તે અનિવાર્ય બને છે. કર્ણાટક ભારતનું પહેલું એવું રાજ્ય છે, જે 16 વર્ષથી નીચેની ઉમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ 17મું બજેટ રજૂ કરતી વખતે 16 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર કાબૂ કરવાની જાહેરાત કરી હતી. એ સાચું છે કે 16થી નીચેની વયનાં બાળકોને મોબાઈલનો અમર્યાદ ઉપયોગ કરતાં રોકવા અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના ઈલાજ તરીકે આ પ્રતિબંધ લાગુ કરવા તરફ કર્ણાટક સરકાર જઈ રહી છે. આવું એટલે જરૂરી છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાની વધી રહેલી લતને કારણે બાળકોનાં સ્વાસ્થ્ય, માનસિક આરોગ્ય, શીખવાની ક્ષમતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પર અસર પડી છે. સરકારનું માનવું છે કે બાળકો નાની ઉંમરથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. એકસપર્ટસનું માનવું છે કે ખૂબ જ વધારે સ્ક્રિન ટાઈમનો ઉપયોગ બાળકોની ધ્યાન આપવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. સોશિયલ મીડિયાથી ડિજિટલ એડિકશનનું જોખમ વધે છે અને ઓનલાઈન કન્ટેન્ટથી માનસિક અને ભાવનાત્મક અસર થઈ શકે છે ને તે સાથે જ સાઈબર બુલીંગ અને ઓનલાઈન ફ્રોડની શક્યતાઓ વધે છે. સિદ્ધારમૈયાએ યુનિવર્સિટીના કુલપતિ સંમેલનમાં આ અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી.
એ જ રીતે શુક્રવારે એન.ડી.એ.ની આંધ્ર સરકારે 13 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પર, સોશિયલ મીડિયા સંદર્ભે પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. એટલે કે એક જ દિવસે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્વા બે રાજ્યો – આંધ્ર અને કર્ણાટક – આગળ આવ્યાં છે. ઉંમરમાં ફરક રાખ્યો છે. આંધ્રમાં 13 વર્ષે જ્યારે કાઁગ્રેસની કર્ણાટકી સરકારે 16 વર્ષે, બાળકો પર, સોશિયલ મીડિયા પર, પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. આંધ્રના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ 13ની ઉંમર 16 સુધી લઇ જવાની વાત પણ કરી છે. નાયડુએ તો ત્યાં સુધી કહ્યું છે કે 90 દિવસની અંદર જ 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે તેની અમે ખાતરી કરીશું. બંને રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે ટૂંક સમયમાં જ નવા નિયમો લાગુ કરી દેવાશે.
કર્ણાટકે તો બાળકો માટે ટેકનોલોજી શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી છે. રાજ્યમાં AI બેઝ્ડ લર્નિંગ સિસ્ટમ હેઠળ ધોરણ 8થી ધોરણ 12 સુધીનાં બાળકોને આવરી લેવામાં આવશે. કર્ણાટક સરકારે એવી સિસ્ટમ વિકસાવી છે, જે અંતર્ગત 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ આપી શકાશે. એક તરફ 1૩ અને 16થી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ પર, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાય છે અને બીજી તરફ 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજી શિક્ષણ આપવાની વાત પણ કર્ણાટક સરકાર કરી રહી છે, આ વિચિત્ર નથી લાગતું?
એ ખરું કે બેન્ગલુરુના રહેવાસી મનોહર એન. એચે પ્રતિબંધને મામલે એવું કહ્યું છે કે તે સારી વાત છે, પણ તેનો અમલ કરવાનું મુશ્કેલ થશે. તો, મધરહૂડ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. સરિતા નાગરાજે રાજ્યની પ્રતિબંધ મૂકવાની વાતને બિરદાવી છે. આનાથી બાળકોની, કિશોરોની આરોગ્ય વિષયક હતાશા, ચિંતા, ઊંઘ જેવી સમસ્યાઓ હળવી થશે. આ પ્રતિબંધથી બાળકોની એકાગ્રતા અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો થવાની વાત પણ છે. આવું ભારતમાં જ છે, એવું નથી. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાનાં ક્મ્યુનિકેશન અને ડિજિટલ અફેર્સ મંત્રાલયે જાહેર કર્યું છે કે 16 વર્ષથી નીચેનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. U-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક સહિતનાં પ્લેટફોર્મ્સને નોટિસ બજાવાઈ છે. ઇન્ડોનેશિયા સરકારે નવો નિયમ બનાવી લીધો છે ને તે 28 માર્ચથી અમલમાં આવે એવી ધારણા છે. દરેક સોશિયલ મીડિયાને તાકીદ કરાઈ છે કે 28 માર્ચ પહેલાં 16 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિનાં એકાઉન્ટ્સ બંધ કરે. આમ પણ બાળકો પર સાઈબર બુલીંગ, પોર્નોગ્રાફી, ઓનલાઈન છેતરપિંડીનું જોખમ છે જ, એ જોતાં આ પ્રતિબંધ અનિવાર્ય ગણાય.
એક વાત બહુ સ્પષ્ટ છે કે બાળકો અને તેના વાલીઓનો સ્ક્રિન ટાઈમ વધતો જ આવે છે. કેટલાંક ઘરોમાં સોશિયલ મીડિયામાં બાળક તો ઠીક, માબાપ પણ મોબાઈલમાં એવાં વ્યસ્ત હોય છે કે દુનિયા જોડે વાત કરવામાં ઘરની વ્યક્તિઓ વચ્ચે જ કંઇ કોમ્યુનિકેટ નથી થતું. મોબાઈલે દુનિયા ઘરમાં લાવી મૂકી છે, પણ ઘર, બહાર રહી ગયું છે. આ વધતા સ્ક્રિન ટાઈમે બાળકો પર એવી પકડ જમાવી છે કે પ્રતિબંધ એ જ એકમાત્ર ઉપાય બચતો હતો. આંધ્ર અને કર્ણાટકે તો પ્રતિબંધ મૂક્યો, પણ અન્ય રાજ્યો શાંત છે, તો એમ માનવાનું છે કે તે રાજ્યોમાં કોઈ જોખમ નથી? જોખમ છે, પણ રાજ્યો તેને નજર અંદાજ કરતાં હોય એમ બને. ક્યાં તો આ બધું કોઠે પડી ગયું છે અથવા તો તેમને, તેમનાં બાળકોની ચિંતા નથી. કમ સે કમ અન્ય રાજ્યોની દેખાદેખી પણ 16 વર્ષથી ઓછી વયનાં સંતાનો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું કરે.
કર્ણાટકમાં પ્રતિબંધ મુકાયો છે તો આવું પણ સામે આવે છે – બેન્ગ્લુરુની વિશ્વશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને આઈ.આઈ.ટી.ની તર્જ પર ડેવેલપ કરવા 500 કરોડનું ફંડ જાહેર થયું છે. એમાં પહેલે વર્ષે જ 100 કરોડ ફાળવી દેવાશે. પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટે બે હજાર ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પણ કર્ણાટકના મુખ્ય મંત્રીએ જાહેરાત કરી છે. એક તરફ 16થી નીચેનાં બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત છે, તો બીજી તરફ આઈ.આઈ.ટી. ડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવવાની વાત છે. આ બંને એકબીજાના પૂરક નથી જણાતાં. આંધ્રના મુખ્ય મંત્રીએ પ્રતિબંધ માટે 13 વર્ષ કે 16 વર્ષની મર્યાદા રાખવી એ માટે ઘણી મથામણ પછી 13 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે ને આ પ્રતિબંધ 90 દિવસમાં લાગુ કરવાનું ઠરાવ્યું છે. જો કે, વયમર્યાદા 16 વર્ષ કરવાનું પણ વિચારાઈ રહ્યું છે.
હવે પ્રતિબંધિત જગતમાં જીવવાનું છે, પણ સાચું તો એ છે કે સોશિયલ મીડિયાના ઉપયોગે એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે 16થી નીચેના પર આખા દેશમાં પ્રતિબંધ મુકાવો જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 માર્ચ 2026
![]()

