Opinion Magazine
Number of visits: 9524356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|16 November 2025

હિતેશ રાઠોડ

આજકાલ જ્યાં જુઓ ત્યાં સાવ ક્ષુલ્લક મુદ્દે અમુક ચોક્કસ પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓને સરકારના અમુક પગલાં સામેની તેમની અસહમતિને લઈને દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી અને જન-વિરોધી ચિતરી પ્રજામાનસમાં એમની છબીને ઈરાદાપૂર્વક મલિન કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય એમ લાગે છે. ઘણી વાર તો તદ્દન વાહિયાત મુદ્દે પણ કોઈ લક્ષિત પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓ માટે દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી વગેરે જેવા વિશેષણોનો ઈરાદાપૂર્વક મારો ચલાવવામાં આવે છે. આમ કરવા પાછળ આસુરી શક્તિના છદ્મ વેશમાં કહેવાતા દેશભક્તો કે રાષ્ટ્રપ્રેમીઓનો આશય જે તે વ્યક્તિ કે સંસ્થાની નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્વચ્છ છબીને લોકોની નજરે દૂષિત કે કલંકિત કરી પોતાની અથવા જેમના માટે તેઓ આ કૃત્ય કરે છે એમની મેલી મુરાદ બર લાવવાનો હોય છે. આસુરી શક્તિના આવા દુષ્પ્રચારી કૃત્યો સામે સરકારનું મૌન અને સહેતુક નિષ્ક્રિયતા એ સરકારની એમાં મૂક સંમતિ દર્શાવે છે. સરકાર કે સરકારમાં સામેલ અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિને લગતી કોઈપણ બાબતમાં જરાક જેટલી અસહમતિને પણ સરકારનો વિરોધ માની લઈ જોરશોરથી એવો પ્રચાર કરવામાં આવે છે કે અમુક પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થા દેશ વિરોધી છે અને દેશહિત વિરુદ્ધના કાર્યો કરે છે, આવા લોકો પર યેનકેન પ્રકારેણ દેશદ્રોહીનું લેબલ લગાવી પ્રજામાનસમાં એમના વિરુદ્ધ ઝેર ભરવાની વિધ્વંશક પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. 

લોકશાહીમાં લોકો અને લોકોનો અવાજ સર્વોપરી છે, પછી એ અવાજ અસહમતિ કે આક્રોશનો કેમ નથી. ઘણી વાર વિરોધ વ્યક્ત કરવાની રીત કદાચ અયોગ્ય હોય તો પણ એ વિરોધમાં રહેલ સચ્ચાઈના સૂરને દબાવી શકાય નહીં. સરકારોને ચૂંટીને મોકલનારા લોકો હોય છે એટલે સરકાર સાથે અસહમત થવાનો એમને હક છે, એમાં સરકારના વિરોધી હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વસ્તુત: કોઈ ચોક્કસ હેતુ સાથે સમાજમાં વૈમનસ્ય ફેલાવનારા, સમાજસેવાનો અંચળો ઓઢી ફરતા અને રાજકીય પક્ષોનો હાથો બની ફરતા દૂષિત તત્ત્વોને ખુદને જ વિરોધ અને અસહમતિ વચ્ચેના ભેદની ખબર હોતી નથી, એટલે કોઈની વ્યાજબી અસહમતિને પણ વિરોધના વાઘા પહેરાવી લોકોને ગેરમાર્ગે દોરી સમાજમાં વિખવાદની આગ લગાડી એમાં પોતાના સ્વાર્થનો રોટલો શેકી લેતા હોય છે. વાસ્તવમાં તેમની આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં કોઈ દેશહિત હોતું જ નથી, જે હિત હોય છે એ એમનું પોતાનું વ્યક્તિગત હોય છે. આવા ફસાદી તત્ત્વો દ્વારા સમાજમાં ચારેકોર નર્યાં જૂઠાણાં અને ભ્રામક વાતોનો એટલો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે સાચા-ખોટાનો ભેદ પારખવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં લોકોએ હવે આવા લેભાગુ, તકસાધુ અસામાજિક તત્ત્વોને ઓળખવા પડશે. કોઈની પણ વાતો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા પોતાની સાદી સમજ અને સ્વ-વિવેકનો ઉપયોગ કરી તથ્યો અને હકીકતોને આધારે સત્ય અને અસત્યને અલગ પાડતા શીખવું પડશે, અને તો જ સાચા-ખોટા વચ્ચેનો ભેદ પારખી શકાશે. 

પરિવારની ઘરેલું બાબતોમાં ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયમાં પરિવારનો કોઈ સભ્ય અસહમતિ દર્શાવે તો એનો અર્થ એવો જરા ય નથી થતો કે એ વ્યક્તિ પરિવારના વડાની કે પરિવારની વિરોધી છે. ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયોના કારણે પરિવારમાં એવી ઘણી બાબતો આકાર લેતી હોય છે જેમાં પરિવારના કોઈ સભ્ય સંમત ન પણ હોય. આવા સંજોગોમાં એ સભ્ય ઘરના વડા કે પરિવારનો વિરોધી છે એવું અર્થઘટન વાહિયાત છે. સમાજના પ્રાથમિક એકમ એવા પરિવારમાં પણ પરિવારના સભ્યને પણ એટલી સ્વતંત્રતા તો છે જ કે પરિવારની અમુક બાબતોમાં તે અસહમતિ દર્શાવી શકે, ત્યારે સરકારના કોઈ પગલાં કે નિર્ણય વિશે અસહમતિ દર્શાવવી એટલે સરકારના વિરોધી હોવું એ તર્કહીન, વાહિયાત અને સગવડિયું અર્થઘટન છે. પારિવારિક બાબતોનું સંચાલન કરતી વખતે પરિવારના વડાએ જેમ ઘરના અમુક સભ્યોની અસહમતિને ધ્યાને લેવાની હોય છે એમ દેશનો વહીવટ ચલાવતી સરકારે બધી બાબતોમાં પોતાની મનમાની કરવાને બદલે દેશના અદના નાગરિકનો અવાજ પણ કાને ધરવો જોઈએ, પછી ભલે એ અવાજ અસહમતિ અને વિરોધનો કેમ નથી. વળી, સરકાર એ દેશ કે રાષ્ટ્રનો એક ભાગ છે તે સ્વયં દેશ કે રાષ્ટ્ર નથી. દેશની એકેક વ્યક્તિ, સમુદાય, સમાજ, એકમ, સંસ્થાઓ, સંગઠનો, વ્યવસ્થાઓ, તંત્રો અને સંસાધનો વગેરેથી એક દેશ કે રાષ્ટ્ર બને છે. આમાં પાંચ-પાંચ વર્ષે આવ-જા કરતી એવી સરકારનાં કોઈ પગલાં કે કાર્ય સાથે અસહમતિ દાખવવી એ દેશ કે રાષ્ટ્રનો વિરોધ કોઈ કાળે નથી જ નથી. સરકારના નિર્ણય કે પગલાં સાથે અસહમતિ એ સરકાર સાથે અસહમતિ છે, એમાં દેશનો, રાષ્ટ્રનો કે કોઈ વ્યક્તિનો વિરોધ જરા ય નથી. સરકાર પ્રજાથી, પ્રજા માટે અને પ્રજા વતી ચૂંટાય છે. સરકાર કામચલાઉ છે, પ્રજા કાયમી છે. સત્તાધિશોએ એક વાત સમજી લેવી પડશે કે પ્રજાએ એમને પાંચ વર્ષ માટે શાસન ચલાવવા મોકલ્યા છે, કંઈ હમેશ માટે શાસન લખી નથી આપ્યું. સરકાર જે કાંઈ કરે એ બધું સાચું, કાયદેસર, બંધારણીય અને લોકહિતમાં જ હોય એમ માની લેવાને કોઈ કારણ નથી. પ્રજાની સાચી વાત કે અસહમતિને જો અન્યથા લેવામાં આવશે તો પ્રજાના પ્રતિકારનો સામનો કરવાની તૈયારી સત્તાએ રાખવી પડશે.

લોકશાહી શાસનપ્રણાલિનું સૌથી મજબૂત પાસુ હોય તો એ વિરોધ છે. જો કોઈ વિરોધ જ ન હોય તો શાસન કરવામાં વળી શાણપણ કેવું! સાચો શાસક એ છે જે વિરોધીઓને પણ પોતાની સાથે લઈને ચાલે. વિરોધ અને વિરોધીઓનો ડર એ નબળા શાસકની નિશાની છે. દરિયો ખેડતા નાવિકે દરિયામાં કોઈ મોજું એની સામે ન આવવું જોઈએ એમ માનવું એ એની બાલિશતા છે. વિરોધ હોય તો પણ વિરોધથી ડર્યા વિના વિરોધનું સમાધાન કરવાનું કૌવત પણ સરકારે દાખવવું જોઈએ. પોતાના પક્ષીય હેતુઓથી પોતાને અલગ કરી પ્રજાહિત અને લોક-કલ્યાણની દિશામાં કામ કરતી સરકારો જ સાચા અર્થમાં પ્રજાપ્રિય થઈ શકે છે અને લાંબા ગાળા સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે.

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં તમામ વ્યક્તિ, સંપ્રદાય અને ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં દરેક વ્યક્તિનો સૂર એકસરખું મહત્ત્વ ધરાવે છે, કોઈના પણ સૂરને અવગણી શકાય નહિ, પછી એ સૂર સંમતિનો હોય કે અસંમતિનો. અમુક મુદ્દા પર હું કોઈની સાથે અસહમત છું તો એનો અર્થ એ જરા ય નથી કે હું એમનો વિરોધી છું. અસહમતિને વિરોધમાં ખપાવવાની પ્રવૃત્તિ પાછળ વાસ્તવમાં સત્યને દબાવવાની મંશા છે. અસહમતિને વિરોધના વાઘા પહેરાવી સત્યને બિહામણું દેખાડવાની વૃત્તિ એ વાસ્ત્વમાં સત્ય સામેનો ડર છે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

16 November 2025 Vipool Kalyani
← ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !

Search by

Opinion

  • ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !
  • ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની
  • ‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 
  • ચલ મન મુંબઈ નગરી —315
  • યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved