Opinion Magazine
Number of visits: 9449412
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફિતરત બનામ ફિતરત, નાગરિક નિસબત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 March 2019

‘નગારે ઘાવ’ની રીતે જોઈએ તો પિછવાઈ તો ઠીક જ હતી : દાંડી કૂચનો, વણજોયા મૂરત શો દિવસ, ગાંધી આશ્રમે પ્રાર્થના અને સરદાર સ્મારકમાં કારોબારીની બેઠક; ને ત્રિવિક્રમ મંદિર વિસ્તારમાં વિશાળ રેલી : કૉંગ્રેસ તડે પેંગડે નહોતી લાગતી એમ તો કહી શકાતું નથી. ખાસ તો, પુલવામા ઘટના અને સર્જિકલ સ્ટ્રાઈક પછી સત્તાપક્ષ તરફે જે સ્વાભાવિક મનઃસ્થિતિ તેમ જ માહોલ બન્યાં હતાં – અને ગુજરાતમાં પણ જાણે કે ડૂબતા વહાણના ખયાલે કૉંગ્રેસ ધારાસભ્યો ભા.જ.પ.માં જોડાઈ રહ્યા હતા – એ વખતે ઉમંગ અને ઉત્સાહથી, કંઈક જોસ્સાથી આમ મળી શકવું, સામાન્ય વાત તો એ નથી.

અહીં સવાલ એ થાય કે સામાન્યપણે જેને દેશનો મિજાજ કહેવાય છે એ ૧૪મી ફેબ્રુઆરી અને સર્જિકલ સ્ટ્રાઈક પછી તરતના દિવસોમાં જે જોવા મળ્યો હતો, વળી શીર્ષ સત્તાસ્થાનેથી પાકિસ્તાન અને વિપક્ષના સમીકરણનો અને રાજ્યે રાજ્યે કાશ્મીરીઓને નિશાન બનાવવાની પ્રક્રિયા પરત્વે કેન્દ્રના પક્ષે એક હદ લગી આંખ આડાકાનની હતી, એમાંથી એવું તો શું બન્યું કે ૨૦૧૪માં બે આંકડામાં સમેટાઈ ગયેલી કૉંગ્રેસ, આગળ ચાલતાં એક તબક્કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને હાંફનો અનુભવ કરાવી શકેલી અને ચાર વરસ પાર કરતે કરતે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ એમ ત્રણ પાંદડે પહોંચી ગયેલી, તો નીચે કર્ણાટકમાં પણ કંઈક ગોઠવાઈ ન ગોઠવાઈ અને ફેબ્રુઆરી ૨૦૧૯ ઉતરતે એકદમ જ મનોવૈજ્ઞાનિક ભોંયપટક – પણ આ ભોંયપટકના દસવીસ દિવસ પછી વળી જોમ …

આમ તો, કૉંગ્રેસે આશ્વસ્ત રહેવા જેવું દેખીતું એટલું બધું કદાચ છે તો નહીં. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, ક્યાં છે એ? અને સૌથી મોટા ઉત્તર પ્રદેશમાં એક પા ભા.જ.પ. બીજી પા સ.પ.-બ.સ.પ., પછી એને વાસ્તે હમણે તો તસુ ભોંય હોય તો હોય. તો પછી, ૧૨ માર્ચ ૨૦૧૯નો એનો ઉત્સાહ અગર તો વળતે દહાડે ૧૩મી માર્ચે ચેન્નાઈમાં રાહુલ ગાંધીની આત્મવિશ્વાસથી મંડિત સામેલગીરી અને પ્રિયંકા ગાંધીની ચંદ્રશેખર આઝાદ (રાવણ) સાથેની મુલાકાત, કેવી રીતે જોશું એને.

સમગ્રપણે જોતાં જે સમજાય છે તે કદાચ એ છે કે મે ૨૦૧૪માં જરૂર છાકો પડી ગયો, પણ સત્તાપક્ષની વિચારરૂખથી ગુણાત્મકપણે જુદી હોઈ શકતી જે ધારા સ્વરાજસંગ્રામ સાથેના અનુસંધાન અને ગાંધીનેહરુપટેલની ત્રિપુટીના અનુબંધમાં નવસંદર્ભમાં લુપ્તવત્‌ છતાં ભોમભીતર સરવાણી શી પ્રવહમાન છે તે પોતાની હાજરી ઓર જીવંતપણે પુરાવી પણ શકે. આ ધારાની વિલક્ષણતા એ છે કે નેહરુપટેલથી અલગપણે રાજનીતિ કરનારા કૃપાલાની, લોહિયા, જયપ્રકાશ પણ એમાં છે. ૧૯૭૪-૧૯૭૭ના જે.પી. જમાવડાની ખૂબી એ હતી કે તે ઇંદિરાઈની સામે હોય ત્યારે અને તો પણ ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીના ઓછાવત્તા મેળમાં હોઈ શકતી હતી. એક પ્રકારે સીધા પડકારની છતાં વિમર્શને ધોરણે છેક વૈકલ્પિક નહીં એવા પથસંસ્કરણની ભૂમિકા એની હતી.

તમે એને વિલક્ષણતા કહો, વણછો કહો, જે.પી. જમાવડામાં જનસંઘ પણ હતો જેણે આગળ જતાં ભા.જ.પ. રૂપે દેશ સમક્ષ વૈકલ્પિક વિમર્શના દાવા સાથે સત્તા હાંસલ કરી. જે.પી. આંદોલન, સર્વોદયી સંસ્કારપૂર્વક લોકશાહી સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતાની ધારામાં હતું એવા વ્યાપક વિધાનને અવશ્ય અવકાશ છે, પણ એના લાભાર્થી જનસંઘને પોતાના કથિત વૈકલ્પિક વિમર્શમાં એનો બુનિયાદી ખપ નથી તે સાફ છે.

સત્તારમત અને એનાં વહેણ અને વમળ વચ્ચે છતાં કટોકટીરાજનો અક્ષમ્ય જેવો અપરાધ બાદ કરો તો ઇંદિરા ગાંધી રાજપુરુષોચિત વલણનાં પણ હોઈ શકતાં હતાં, અને જેમ સર્વસાધારણ રાજકારણી ઉત્તરોત્તર ખરડાતો ને ભ્રષ્ટાચારલિપ્ત વરતાયો (જેમાં આજની ભા.જ.પ. મંડળીને પણ મૂકી શકીએ) તેવાં પણ એ હોઈ શકતાં હતાં. એટલે આજે કૉંગ્રેસમુક્ત ભારતની લાયમાં કૉંગ્રેસયુક્ત ભા.જ.પ.નું જે દર્શન થઈ રહ્યું છે એનાથી સામાન્યપણે આશ્ચર્ય થવું ન જોઈએ.

ભા.જ.પ. અને ઇંદિરા કૉંગ્રેસને આમ એકસાથે મૂકીને સંભારવાનું કારણ એ છે કે આજે કૉંગ્રેસ નવજીવનનો જે આછોપાતળો પણ અનુભવ કરી રહી હશે એને ઓસાણ રહેવાં જોઈશે કે પોતે જ્યારે ભા.જ.પ.ના મુકાબલાની ભૂમિકામાં છે ત્યારે ઇંદિરા ગાંધીના રાજકારણમાં જે સ્ખલનો વરતાયાં હતાં એ પણ દિલચોરી વગર સમજવાં જોઈશે. પ્રિયંકા ગાંધી તખતે ઝળકે એટલે ‘ઇંદિરા ગાંધી ઝિંદાબાદ’ના હર્ષોલ્લાસી નારા પોકારાય એ સમજી તો શકાય, પણ આ ધાડિયામાં હાલના સત્તાપક્ષમાં ને ઇંદિરા ગાંધીના રાજકારણમાં જે મળતી રેખાઓ છે એને અંગે સૂક્ષ્મ વિવેકપૂર્વકની સભાનતા નહીં હોય તો તે સ્વરાજની વડી પાર્ટીને લાયક નવી ઇનિંગ્ઝ વાસ્તે ઓછું ને પાછું પડશે.

આ મુદ્દો કરતી વખતે હાલના સંજોગોમાં કેરળના ડાબેરી લોકશાહી મોરચા પેઠે ભા.જ.પ. અને કૉંગ્રેસ બેઉ સરખાં ખરાબ છે એવું સમીકરણ કરવાનો ખયાલ અલબત્ત નથી. મર્યાદાઓ અલબત્ત છે તે છે; પણ કોમવાદ સબબ કૉંગ્રેસનાં સિન્સ ઑફ ઓમિશન્સ ને કમિશન્સ (એમાં પણ ૧૯૮૪) સામે ભા.જ.પે. તો કોમવાદને પૂરા કદની રાજકીય વિચારધારાનો દરજ્જો આપ્યો અને માથે રાષ્ટ્રવાદનો વરખ થાપ્યો એ બે વચ્ચેનો ભેદ સમજવાની જરૂર (અને ગરજ) છે. આ ભેદ સમજાય તો ભા.જ.પ. શાસનની બિનલોકશાહી ગુંજાશ કઈ હદે હોઈ શકે છે તે પણ સમજાઈ રહેશે. એમાં કોઈ શક નથી કે સ્વાયત્ત હોવી અને રહેવી જોઈતી સંસ્થાઓને હાલ જે રીતે હસ્તગત અને નષ્ટભ્રષ્ટ કરાઈ રહી છે એ પ્રક્રિયા હવેનાં વરસોમાં હજુ વધુ હાણ પહોંચાડશે અને પ્રજાજીવનને એની કળ તો વળતાં વળશે. એટલે ક્યારેક જો બિનકૉંગ્રેસવાદનું એક લૉજિક હતું તો બિનભા.જ.પ.વાદનુંયે એક લૉજિક ખસૂસ હોઈ શકે છે.

ઇંદિરા ગાંધી એક તબક્કે નાગરિક સમાજ અને કર્મશીલ બૌદ્ધિકો પરત્વે વિમુખ જેવાં પેશ આવ્યાં હતાં. સોનિયા ગાંધીએ જે રાષ્ટ્રીય સલાહકાર સમિતિનો રાહ લીધો એમાં આ તત્ત્વો અને પરિબળોને કંઈક પ્રવેશ જરૂર હતો, પણ જનઆંદોલનને સહજ અનુસરતી લવચીકતા રીઢા રાજકારણી માહોલમાં ઓછી પડતી હતી. અત્યારની સત્તામંડળીને તો આવાં પરિબળો અને સ્વાયત્ત સંસ્થાઓને કેવળ અને કેવળ વિપક્ષ તરીકે જ જોવાની આદત છે. જ્યાં સુધી વિપક્ષનો સવાલ છે, અત્યારની સત્તામંડળીની માનસિકતા બનતી ત્વરાએ તેને પાકિસ્તાનતરફીથી માંડી રાષ્ટ્રવિરોધીની રીતે ખતવવાની છે.

કૉંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ પોતપોતાની રીતેભાતે પોતપોતાને ધોરણસરના વિકલ્પ તરીકે પેશ કરવા રહેશે. વચલાં વરસોમાં ચઢાવઉતાર વચ્ચે પણ એ સૌ આ ક્ષણે હારણ (ડિફિટિસ્ટ) મનોદશાની બહાર છે તે ઠીક જ છે. પ્રશ્ન એ છે કે સત્તાકાંક્ષાવશ સૌ સૌનાં ગણિત એમને એકત્ર થવામાં અવરોધ સરજે છે એનું શું.

એમણે જાડી રીતે કહેતાં બે વાનાં પાયાનાં ગણીને ચાલવું જોઈશે. એક તો, દિલ્હીમાં જે સત્તારૂઢ છે એને ખાળવાની તાકીદ ભીંત પરના અક્ષર પેઠે સાફ છે. બીજી વાત એ કે વાત માત્ર વ્યક્તિગત કે પક્ષગત વિરોધની નથી; પણ વૈકલ્પિક વૃત્તાંત કે કથા(નિરેટિવ)ની છે. આ કથા બહોળી રીતે પણ સૂત્રરૂપે કહીએ તો ‘નફરતની ફિતરત’ વિ. ‘મહોબતની ફિતરત’ની છે. આ ફિતરત મુક્ત પણ મુખતેસર માંડણી માગી લે છે. માત્ર, કૉંગ્રેસ કારોબારી નિમિત્તે કંઈક સંચાર વરતાયો તે ચોક્કસ.

ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 01-02 તેમ જ 15

Loading

15 March 2019 admin
← Glorifying Self: Maintaining status Quo : Modi’s Gimmick of Washing feet of Sanitary Workers
યુદ્ધને ‘જશ્ન’ માનનારા તેનો હિસ્સો નથી, જે યુદ્ધમાં ભાગ લે છે તેને માટે એ ‘જશ્ન’ નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved