Opinion Magazine
Number of visits: 9446698
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકોને પરવડતો/નડતો નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 May 2021

છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ વધતા રહ્યા છે. મે મહિનામાં જ ઓઇલના ભાવ 15 વખત વધ્યા છે. ઈંધણના ભાવ પણ સમજુ અને જીવદયામાં માનનારા છે. તેઓ જાણે છે કે ચૂંટણી હોય ત્યારે અને કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યારે, વધવાનું નથી. જો ક્યાં ય ચૂંટણી ન હોય કે કોરોના જાત પર ન જાય તો રોજ જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે એમ બને. શનિવારે પેટ્રોલ લિટરે 26 પૈસા અને ડીઝલ 30 પૈસા વધ્યું. એ હિસાબે છેલ્લા 25 દિવસમાં પેટ્રોલ 3.54 અને ડીઝલ 4.16 પૈસા મોંઘું થયું છે. આમાં પણ છાપે છાપે વધઘટ થયા કરે છે. એટલે અંદાજ એટલો જ લગાવવાનો રહે કે ઈંધણનો ભાવ વધ્યો છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ લિટરના 105થી વધુને ભાવે વેચાય છે, તો ભોપાલમાં તે 104ની ઉપર પહોચ્યું છે, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100.19 અને ડીઝલનો ભાવ 92.17 રૂપિયા થયો છે, અમદાવાદમાં 90.95 પેટ્રોલનો તથા 91.41 ડીઝલનો ભાવ બોલાય છે. ચેન્નઈમાં પેટ્રોલ 95.51 અને ડીઝલ 89.65 રૂપિયા પર પહોંચ્યું છે, તો ઘણાં શહેરોમાં પેટ્રોલ 100ને આંબવા પર છે. ડીઝલ પણ એની પાછળ પાછળ જ ચાલે છે. એકંદરે એક વર્ષમાં પેટ્રોલ 31 ટકા અને ડીઝલ 22 ટકા મોંઘું થયું છે. આ ભાવો બધે સરખા નથી. તેનું કારણ, વેટ રાજ્યો પ્રમાણે જુદો જુદો લાગે, તે છે. રાજસ્થાનમાં પરિવહન ખર્ચ વધુ આવતાં પેટ્રોલ પર 36 ટકા ને ડીઝલ પર 26 ટકા વેટ લાગે છે, જે ભારતમાં સૌથી વધારે છે. આ ઉપરાંત 2021નાં બજેટમાં 2.50 રૂપિયા કૃષિ સેસ લિટર પેટ્રોલ પર અને 4 રૂપિયા ડીઝલ પર લાગુ કરાયેલો તે તો ખરો જ. એ જ વખતે ઓઈલના ભાવ વધશે એવું લાગતું હતું, પણ નાણામંત્રીએ એમ કહીને વાત નકારી હતી કે કસ્ટમર પર વધુ બોજો નહીં પડે, ત્યારે કદાચ ઘણાંને સમજાયું નહીં હોય કે સેસનો બોજો ખરેખર કોના પર પડવાનો છે? જો કે, હવે એ રહસ્ય નથી રહ્યું. બધું આવી આવીને સામાન્ય લોકો પર જ પડ્યું છે ને પડે છે. સરકાર ભલે ટાઢા પહોરની હાંકતી રહે, પણ ઓઇલ પર 53 ટકાથી વધુ ટેક્સ સરકાર વસૂલે છે. આ સ્થિતિ હોય તો ઓઇલના ભાવો ન જ ઘટે તે સૌએ સમજી લેવાનું રહે. સાચું તો એ છે કે સરકારની જ ઈચ્છા નથી કે ઈંધણ સસ્તું થાય.

કોરોનાને કારણે સરકારની હાલત આર્થિક ક્ષેત્રે કફોડી થઈ એ સાચું અને એને કારણે આવકનાં એક સાધન તરીકે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારવાનું તેને માટે અનિવાર્ય બને તે સમજી શકાય, પણ લોકોની સ્થિતિ પણ એ જ ગાળામાં બદથી બદતર હતી, તે ખરું કે કેમ? સરકાર પાસે તો આવક વધારવા ઓઇલ પણ હતું, પ્રજા પાસે શું હતું? એની તો આવક જ બંધ કે ઓછી થઈ ગઈ હતી. આવક વધવાની કોઈ શક્યતા ન હતી એવા સમયમાં સરકારે ઈંધણમાં ભાવ વધારો કર્યો ને પ્રજાની સ્થિતિ પડતાં પર પાટું – જેવી થઈ. આવક નહીં ને ખર્ચ ચાલુ એવી સ્થિતિમાં સરકારને હૈયે પ્રજાનું હિત વસવું જોઈતું હતું, પણ કમનસીબે તેવું ન થયું. બીજી તરફ પ્રજા એવી મૂઢ જેવી થઈ ગઈ છે કે તેણે મોંઘવારી સ્વીકારી લીધી છે અથવા તો મોંઘવારીના મારની તેને ખાસ અસર થતી નથી. તેણે પેટ્રોલ કે ડીઝલ જ થોડું ખરીદવાનું છે ! તેણે તો અનાજ, શાકભાજી, દૂધ, ફળ વગેરે પણ મોંઘાં જ ખરીદવાનાં છે. એવે વખતે તે ખરીદી પર કાપ મૂકે છે અથવા તો ખરીખોટી રીતે આવક ઊભી કરીને જીવવાની કોશિશ કરે છે.

પ્રજા કદાચ મોંઘવારી બાબતે બહુ ધ્યાન ન આપતી હોય એમ બને. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો બહોળા વર્ગને અસર નથી કરતો એવો પણ ભ્રમ પ્રવર્તે છે. એ ખરું કે ઈંધણ, વાહન ચાલકો કે રેલવે, બસ વગેરે માટે જરૂરી છે. એટલે બહુ લોકો કદાચ ઓઇલના ભાવ વધારાથી પ્રભાવિત થતાં નથી એવું મનાય છે, પણ એ પૂરું સાચું નથી. ઓઇલમાં ભાવ વધારો થાય છે એની સાથે જ ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થઈ જાય છે. ઈંધણ મોંઘું થાય છે એની અસર દૂધ, શાકભાજી, ફળો …ની કિંમતો પર પણ પડે છે, એટલે એ પણ મોંઘું થાય છે. ટૂંકમાં, વાહનો પૂરતી જ ઈંધણના ભાવ વધારાની અસર થાય છે એવું નથી, રોજબરોજની ચીજ વસ્તુઓ પણ એને લીધે મોંઘી થાય છે એની ના પાડી શકાશે નહીં.

વડા પ્રધાન મધ્યમવર્ગમાંથી આવે છે. એમને આ બધાંની અસર નહીં જ વર્તાઈ હોય એમ તો ન બને, છતાં આ અંગે એમણે કૈં કહેવાનું નથી એનું આશ્ચર્ય થાય છે. વડા પ્રધાન જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે 2014ની યુ.પી.એ. સરકાર વિષે જુસ્સાથી બોલેલા કે પેટ્રોલના ભાવ જે રીતે વધારી દીધા છે, તે દિલ્હી સરકારની નિષ્ફળતાનો જીવતો જાગતો પુરાવો છે, ત્યારના ગુજરાતનાં મુખ્ય મંત્રીને એ ભાવ વધારો નાગરિકો પર અને સરકારો પર બોજ વધારનારો લાગેલો, હવે એ જ મુખ્ય મંત્રી વડા પ્રધાન છે ને એમને ઈંધણનો આ ભાવ વધારો કેમ અખરતો નથી એનું આશ્ચર્ય થાય છે. એમણે કહેલી વાત, એમને જ પૂછીએ તો કોઈ જવાબ મળે એવું બને?

આશ્ચર્ય તો એનું પણ છે કે કેટલાંક લોકોને આ ભાવ વધારો નડતો જ નથી. ચામડી જ ન રહી હોય તેમ તેમનું આ ભાવ વધારાથી રુંવાડું ય ફરકતું નથી ને એવી દલીલો કરે છે કે આજે આખી દુનિયામાં ક્રૂડનો ભાવ વધેલો છે તો અહીં વધે એમાં નવાઈ નથી. સાચું. આંતરરાષ્ટ્રીય દરો વધે તો ઓઇલના ભાવ વધે તેનો વાંધો જ નથી, પણ 2020માં લોકડાઉન વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવ તળિયે ગયેલા ને પેટ્રોલ-ડીઝલનો વપરાશ નહિવત થઈ ગયેલો, ત્યારે પણ ભારતીય તેલ કંપનીઓને નિર્લજ્જ થઈને ભાવ વધારવાની ફાવટ આવી ગયેલી, સરકારનો ભાવ વધારો યોગ્ય માનનારા થોડું પાછળ જોઈ લે તો સાચું સમજાય એમ બને. ભાવ વધારાનો એક બચાવ એમ કહીને પણ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય માટે તો આ જ એક આવક છે. ભાવ વધારે છે તો તેની આવકમાંથી હોસ્પિટલો ચાલે છે, વેક્સિન મફત અપાય છે, રાફેલ ખરીદાય છે … વગેરે. એવા ભોળા ભક્તોની દયા આવે છે. બીજા કેટલા ટેક્સ સરકારો વસૂલે છે તેનાથી લોકો આટલા અજાણ હોય તે માની શકાતું નથી. ઇન્કમટેક્સ, જી.એસ.ટી., સેલ્સટેક્સ … જેવા ટેક્સ ભારત સરકાર જ વસૂલે છે. દવાદારૂ પર, ટેક્સ કે ડ્યૂટી વસૂલવાનું ન ચૂક્તી હોય તે સરકાર, માત્ર પેટ્રોલ મોઘું કરીને અટકી જાય એટલી ભલી તો ક્યારે હતી ! એવું બને કે આર્થિક સ્થિતિ સારી ન હોય તો ભાવ વધારીને કમાણી કરવી પડે, એ સાથે જ બિનજરૂરી ખર્ચા પણ ઘટાડી શકાયને ! બુલેટ ટ્રેન, સેંટ્રલ વિસ્ટા, વિશ્વકક્ષાનું સ્ટેડિયમ, વિશ્વની અજાયબી જેવું સ્ટેચ્યૂ … જેવી યોજનાઓ પાછળ ઠેલી શકાય તો પ્રજા પર ઘણો ઉપકાર થાય. લાખો માણસો મરી રહ્યાં હોય, બેડ, રસી, ઓક્સિજન વગેરેની કમી હોય ત્યારે એને લગતી વ્યવસ્થાઓ કરવાનું જરૂરી છે કે વિશ્વકક્ષાનાં સ્ટેડિયમમાં ક્રિકેટ રમાડવાનું તે વિચારવાનું રહે. વિદેશોમાં ભારતની ઇમેજ સુધરે તો એ આનંદનો વિષય છે, પણ લોકોની જિંદગી જોખમમાં હોય તો થોડી યોજનાઓ પાછળ નાખી શકાય. ઇમેજ આજના સંજોગોમાં સુધારવા કરતાં બગડે નહીં, તેટલું જોવાય તો પણ ઘણું. સરકાર ઘણી બાબતોમાં પ્રાયોરિટી નક્કી કરવામાં પાછળ પડી છે તે કોરોનાની બીજી લહેરમાં સાબિત થઈ ચૂક્યું છે. એને લીધે ઇમેજ સુધરી હોવાનું તો લાગતું નથી. હજી રસી અંગે ઘણી ગરબડો છે. રસી નથી અને રસીનો પ્રચાર ચાલ્યા કરે છે એમાં મંત્રીઓના ફોટા બતાવવા સિવાય કોઈ હેતુ સરતો નથી. આ ખેલ પણ ત્યારે ચાલે છે, જ્યારે મહામારી અનેક જોખમો સાથે મોં ફાડીને સામે ઊભી છે. રસી જ એક માત્ર વિકલ્પ છે એવું કીર્તન કરતાં પહેલાં જોઈ લેવાયને કે રસી છે ખરી ને છે તો કેટલાંને પહોંચે તેમ છે?

રસીની રમત સમજાતી નથી. રસી નથી, પણ ખાનગી હોસ્પિટલો રસી આપે છે ને 1,000 વસૂલે છે. એટલે એમ સમજવાનું છે કે જે હજાર આપે છે તેને માટે રસી છે ને જે નથી આપતો તેને માટે નથી? રસીના 1,000 ઊભા કરવા તો અછતનો આ કારસો નથી રચાયોને? એમ લાગે છે કે સરકારથી માંડીને બધાં જ આવક ઊભી કરવામાં પડ્યા છે. સરકાર ઓઇલ મોંઘું કરીને કમાય છે, તો કેટલાંક જાણી ગયાં છે કે આજના સમયમાં શેની જરૂર વધારે છે? તો, એની તંગી ઊભી કરો ને પછી એના કાળાબજાર કરો. લોકોને મારીને પણ કમાણી થઈ શકતી હોય તો તે કરો. આ માનસિકતા સરકારની છે કે નહીં, તે નથી ખબર, પણ લોકોની તો છે જ ! અગ્નિદાહમાં લાકડાં ખૂટ્યાં તો પેટ્રોલનો ઉપયોગ પણ થયો. એનો વપરાશ ઘટાડવા તો ઈંધણ મોંઘું નથી થતુંને ! હવે તો અગ્નિદાહ વગર જ શબ વહાવી દેવાનું ચાલ્યું છે, 100 રૂપિયે લિટરનું પેટ્રોલ હોય તો કોઈ પણ શબ વહાવે નહીં તો શું કરે ! ઓક્સિજન, દવા, વેન્ટિલેટર … જેવામાં તો ધંધો જ થયો છે. જીવ બચાવનારાઓએ તો જીવ બચાવવા બનતું બધું જ કર્યું, પણ જીવ લેવામાં પણ કોઈએ કોઈ કસર બાકી નથી રાખી એવું, નથી લાગતું?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 મે 2021

Loading

31 May 2021 admin
← ‘અટક’ : ઓળખ અને જ્ઞાતિગુમાનના આટાપાટા
ભરત દવે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved