Opinion Magazine
Number of visits: 9448976
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પેગસસ જ્યોર્જ ઓરવેલના બીગ બ્રધરનું જ ડિજીટલ સ્વરૂપ છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2021

કોરોના મહામારીની પહેલી લહેર જ્યારે દુનિયાભરમાં કહેર મચાવી રહી હતી, ત્યારે દુનિયામાં ધૂમ મચાવનાર બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયંસ: માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (આ લખનારે તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે)ના લેખક અને ઇઝરાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ લંડનના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ફાયનાન્સિયલ ટાઈમ્સ’માં ૨૦મી માર્ચ ૨૦૨૦ના રોજ એક લેખ લખ્યો હતો. ‘કોરોના વાઈરસ પછીની દુનિયા’ નામના આ લેખમાં તેમણે થોડીક ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહામારીના આ સંકટમાં દુનિયાભરની સરકારો એવાં વિકટ પગલાં ભરવાની છે, જેની અસર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ પર પડવાની છે.

હરારીને વિશેષ ચિંતા ટેકનોલોજીના ઉપયોગની હતી. તેમણે લખ્યું હતું, “કટોકટીમાં લેવામાં આવેલાં ટૂંકા ગાળાનાં પગલાં કાયમ માટે રહી જાય તેનો એક ઇતિહાસ છે. કટોકટીની પરિસ્થિતિઓની લાક્ષણિકતા છે કે સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાગુ કરતાં વર્ષો લાગે, તે કટોકટીના નામે કલાકોમાં અમલી બની શકે છે. સામાન્ય સંજોગોમાં આઘી રાખવામાં આવેલી ખતરનાક ટેકનોલોજીઓ કટોકટીના સમયમાં બહુ સરળતાથી સક્રિય કરી શકાય છે, કારણ કે તેની સામે કોઈ વિરોધ થતો નથી અને લોકો પણ સહજ રીતે તેનું સમર્થન કરે છે. સામાન્ય સંજોગોમાં, સરકારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આવા પ્રયોગ ના કરવા દે, પણ અત્યારે સંજોગો સામાન્ય નથી.”

હરારીએ ત્યારે કહ્યું હતું કે વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મ્હોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરીઅન સર્વેલન્સ) અને નાગરિક સશક્તિકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નેશનાલિસ્ટિક આઈસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. કાં તો સરકારો તેમના નાગરિકોની કડક નિગરાની રાખવાનું શરૂ કરી દે અથવા નાગરિકોને જ પોતાનું રક્ષણ કરવા શિક્ષિત કરે. બીજા વિકલ્પમાં, દરેક સરકાર બીજા દેશોના નાગરિકોની પરવા કર્યા વગર પોતાનો જ સ્વાર્થ જુવે. “આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ, તેના પર આપણા ભાવિનો આધાર છે,” એમ હરારીએ લખ્યું હતું.

હરારીએ તે લેખમાં ટેકનોલોજીના સહારે કેવી રીતે સરકારો જનતા પર નિગરાની રાખી શકે છે તેનું ચિત્ર આપ્યું હતું. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારીએ સોવિયત સંઘનું ઉદાહરણ આપ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં સોવિયત ગુપ્તચર સંસ્થા કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે તેવી સિસ્ટમ હતી. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.

એમાં નોંધપાત્ર ચીન છે. લોકોના સ્માર્ટફોન પર નિગરાની રાખીને, ચહેરાઓને ઓળખી શકે તેવા લાખો કેમેરાઓ ગોઠવીને તથા લોકોને તેમનાં બોડી ટેમ્પરેચર તેમ જ મેડિકલ પરિસ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી વાઇરસ ધરાવતા શંકસ્પદ લોકોને ઓળખી કાઢે છે. આ પ્રકારની ટેકનોલોજી ઇઝરાયેલમાં આતંકવાદી સામે લડવા માટે પણ છે. અગાઉ તમે તમારા મોબાઇલના સ્ક્રીન પર કોઈ લીંક પર ક્લિક કરો, તો સરકારને એ જાણવામાં રસ હતો કે તમે શું ખોલીને વાંચ્યું છે. કોરોનાવાઈરસમાં સરકારને તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેસર છે તે જાણવામાં રસ છે. મતલબ કે અગાઉ શરીરની બહાર જાપ્તો રાખવામાં આવતો હતો, હવે શરીરની અંદર રાખવામાં આવે છે.

ટેકનોલોજીઓ અત્યંત તેજ ગતિએ વિકસી રહી છે. હું ક્યા સમાચાર વાંચું છું અને મારા રાજકીય વિચારો કેવા છે, હું કોઈ વીડિયો જોઉં તો મારા બોડી ટેમ્પરેચરમાં, બ્લડ પ્રેસરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે, હું ક્યારે હસું છું, ક્યારે ગુસ્સો કરું છું અને ક્યારે દુઃખી થાઉં છું, તે જાણવામાં સરકારોને રસ છે. મને તાવ આવે કે ખાંસી આવે, તેવી જ રીતે મને સુખમાં હસવાનું અને દુઃખમાં રડવાનું પણ આવે. સરકારને માત્ર મારી ખાંસીમાં જ રસ હશે, એવું માનવું ભૂલ ભરેલું છે. મારાં વ્યક્તિત્વને જાણવામાં સરકારો અને કોર્પોરેશનોને રસ પડે છે. આખા દેશની પ્રજાનો આવો ડેટા સરકારો માટે બહુ કામનો છે. તે વિરોધીઓને ઓળખી શકે અને તેમને ‘સીધા’ કરવા માટે પગલાં ભરી શકે. બાયોમેટ્રિક પદ્ધતિથી એ પણ જાણી શકાય કે પ્રેસિડેન્ટ કે પ્રાઈમ મિનીસ્ટરનું ભાષણ સાંભળીને મને મજા પડી કે આક્રોશ આવ્યો. મને ગુસ્સો આવ્યો છે તેવી સરકારને ખબર પડે તો વાત ગઈ.

કોરોનાવાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એક વાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધ વેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોનાવાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.

આપણે આ સંદર્ભમાં તાજેતરના પેગાસસ સ્પાયવેર કૌભાંડને જોવા-સમજવાની જરૂર છે. આ તો પત્રકારો-રાજકારણીઓનો મામલો છે, એમાં મારે શું એવું કહીને આપણે તેનાથી નજર ફેરવી લઇએ તો તે બરાબર નથી, કારણ કે (૧) જેની પણ પાસે સ્માર્ટફોન છે અને જેને પણ પોતાની પ્રાઈવસીની ચિંતા છે તેનો આ મામલો છે (૨) જેને પણ લોકશાહીને જીવતી રાખવાની ચિંતા છે તેનો આ મામલો છે કારણ કે ટેકનોલોજીઓ લોકશાહીની દિશા અને દશા બદલી રહી છે.

એક વસ્તુ સ્પષ્ટ સમજવા જેવી છે કે પેગાસસ એક એવું સોફ્ટવેર છે જેને ઈઝરાયેલી સૈન્યની ભાષામાં મિલીટરી ટેકનોલોજી કહેવામાં આવે છે. નિવ, શાલેવ અને ઓમરી નામના સંસ્થાપકોની ‘એન.એસ.ઓ. ગ્રુપ ટેકનોલોજી’ નામની કંપનીએ પેગાસસ નામનું સોફ્ટવેર બનાવ્યું છે જે આતંકવાદી કે અપરાધિક ગતિવિધિઓ પર નિગરાની રાખવા માટે વપરાય છે. આ કંપની માત્ર સરકારોને જ આ સોફ્ટવેર વેચે છે, ખાનગી કંપનીઓ કે સંગઠનોને નહીં. સોફ્ટવેર મોંઘુ હોય છે અને તેને ઓપરેટ કરવા માટેની ક્ષમતા હોવી જરૂરી છે. ટૂંકમાં, તેનો ઉપયોગ સીમિત અને અત્યંત ગુપ્ત ગતિવિધિઓ માટે છે.

આમ છતાં, ભારત સહિત ૨૪ દેશોના પત્રકારો, નેતાઓ, માનવધિકાર કર્મશીલો, વકીલો અને મંત્રીઓના સ્માર્ટફોનમાં આ પેગાસસે ઘૂસ મારી હતી અથવા પ્રયાસ કર્યો હતો. પેગાસસના નિશાના પર હોય તેવા ૫૦,૦૦૦ ટેલિફોન નંબર્સ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને  ‘ફોરબિડન સ્ટોરીઝ’ નામના પેરિસ સ્થિત નહીં-નફોના ધોરણે ચાલતી પત્રકારત્વની સંસ્થાને લીક થયા હતા, જેમાંથી અમુક નંબર્સનું ઇન્વેસ્ટીગેશન કરીને દુનિયાનાં ૧૭ મીડિયા ગૃહોએ આ કૌભાંડ પ્રકાશિત કર્યું હતું.

દેખીતી રીતે જ, આ નંબરો આતંકવાદીઓ કે અપરાધીઓના નથી, પણ દેશોના પ્રતિષ્ઠિત, જવાબદાર નાગરિકોના છે, અને સૌથી મોટી ચિંતાનો વિષય એ જ છે કે જો સમાજમાં બેઠેલા મોટા લોકોના ફોનની જાસૂસી કરવામાં આવતી હોય, તો મારા-તમારા જેવા સામાન્ય લોકોના સ્માર્ટફોનના ડેટા કેવા-કેવા લોકોના હાથમાં હશે અને હજુ ભવિષ્યમાં મારા ફોનમાં બીજું શું-શું થશે?

પેગાસસ સ્પાયવેરે ભારતમાં પહેલીવાર પત્રકારો અને માનવાધિકાર કર્મશીલોને નિશાન નથી બનાવ્યા. ૨૦૧૯માં, વોટ્સએપે એકરાર કર્યો હતો કે તેના અમુક યુઝર્સને સ્પાયવેર મારફતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તે વખતે ભારતના ૧૨૧ યુઝર્સના ફોનની જાસૂસી કરવામાં આવી હતી, જેમાં એક્ટિવીસ્ટ, લેખકો અને પત્રકારો હતા. સંસદમાં આ મુદ્દે હોબાળો થયો ત્યારે તત્કાલીન માહિતી-પ્રસારણ-ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમે વોટ્સએપને કાગળ લખીને એ માહિતી માગી છે કે તેના પ્લેટફોર્મનો આવી રીતે ઉપયોગ એવી રીતે થયો.

ત્યારે પણ એવા આરોપ લાગ્યા હતા કે ભારત સરકારે આ જાસૂસી કરાવી છે અને અત્યારે પણ એવા સવાલો પુછાવા લાગ્યા છે કે સરકારે જો આ સોફ્ટવેર ખરીદ્યું હોય તો જાહેર કરે અને ના ખરીદ્યું હોય તો પછી કોણ જાસૂસી કરાવે છે તેની તપાસ કરાવે. આ બંને બાબતોનો સરકારે સંતોષકારક જવાબ નથી આપ્યો. ઊલટાનું સરકારે એવો આરોપ લગાવ્યો છે કે ભારતને બદનામ કરવા માટે આ એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર છે.

પેગાસસ મામલે કેટલું સત્ય બહાર આવે છે તેની સામે પ્રશ્નાર્થ છે, પરંતુ જાસૂસીનો વિવાદ વિસ્તૃત પ્રશ્નો ઊભા કરે છે. આપણે એક જમાનામાં ચીનને એકહથ્થુ રાજ્ય કહેતા હતા, પરંતુ દુનિયાભરની સરકારોમાં એવી વૃત્તિ વધતી જાય છે (જેનો ઈશારો હરારીએ મહામારીના સંદર્ભમાં કર્યો છે) કે તેઓ નાગરિકોની પ્રાઈવસી અને સ્વતંત્રતા પર નજર રાખે. સરકારો ફેસિયલ રિકગ્નિશન, ડિજિટલ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ઇમ્યુનિટી પાસપોર્ટ લાગુ કરી રહી છે.

આ બધું સ્વસ્થ્યના નામે થાય છે એટલે લોકોને તેની સામે વાંધો પણ નથી, પરંતુ જાસૂસી કરીને ડેટા ભેગો કરવો એ એક તોતિંગ બિઝનેસ પણ બની ગયો છે જેનો સામાન્ય માણસને અંદાજ નથી. આજે ડેટાને ‘ન્યૂ ઓઈલ’ કહેવામાં આવે છે. એક જમાનામાં જ્યારે જમીનમાં તેલના ભંડારો છે તેવી ખબર પડી તે પછી તેની આસપાસ એવા ઉદ્યોગનો વિકાસ થયો જેણે પૂરા વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજનીતિની શકલ બદલી નાખી હતી. તેવી જ રીતે, ૨૧મી સદીમાં હું મારા ડિવાઈસમાં અને ડિજીટલ દુનિયામાં શું કરું છું તેની માહિતી કોર્પોરેશનનો, બિઝનેસમેનો અને સરકારી એજન્સીઓ માટે અત્યંત મૂલ્યવાન જણસ બની ગઈ છે.

ટેકનોલોજીના જમાનામાં, જાસૂસીનો અર્થ વાંધાજનક કે ગેરકાનૂની ગતિવિધિઓની વિગતો મેળવવાનો જ થતો નથી. જાસૂસીનો અર્થ ડેટા એકઠો કરવાનો થાય છે. અમેરિકાની એક કંપનીએ ‘ટીનસેફ’ નામની એક એપ બજારમાં મૂકી છે જે સંતાનોની જાસૂસી કરવામાં વાલીઓને મદદ કરે છે. ભારતમાં દિલ્હી પોલીસે રિલાયન્સ, એસ્સાર, કેયર્ન્સ જેવી કંપનીઓના 13 લોકો સામે કોર્પોરેટ જાસૂસીના પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ફ્રેન્ચ સંસદમાં આતંકવાદ વિરોધી ખરડો પેશ થયો છે જેમાં સરકારે લોકોના ઇ-મેઇલ અને ફોન કોલ્સ પર નિગરાની રાખવાની સત્તા માગી છે. બાંગ્લાદેશમાં બહારની જે એજન્સીઓ સક્રિય છે તેમાં ન્યુઝીલેન્ડ સરકારના કોમ્યુનિકેશન સિક્યુરિટી બ્યૂરોએ સૌથી વધુ જાસૂસી કરીને માહિતીઓ એકઠી કરી છે. યુરોપિયન દેશ આઇસલેન્ડના પ્રધાન મંત્રીએ કહ્યું કે તેમની પાસે એક એવો રિપોર્ટ છે જેમાં આઇસલેન્ડની ફડચામાં ગયેલી બેન્કોના લેણદારો, પત્રકારો અને રાજકારણીઓની અંગત વિગતોથી લઇને તેમનાં વ્યવહાર-વર્તનનું વર્ણન છે. વિકિલિક્સવાળા એડવર્ડ સ્નોવડેને માહિતી લીક કરી છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટને વિશ્વના નેતાઓ અને રાજનેતાઓની જાસૂસી કરાવી હતી.

આપણે ઇન્ફોર્મેશન અને ડાટાના યુગમાં જીવીએ છીએ. આપણા બધાની જાત-ભાતની ઇલેક્ટ્રોનિક ઓળખાણો છે અને સિરિયલ નંબરો છે. આપણને ખબર છે કે આપણી જિંદગીમાં કોર્પોરેટ સેક્ટરની હાજરી કેટલી છે. આજે જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થયો છે તે જોતાં કોઇ પણ કોર્પોરેશન કે કંપની પાસે તમારી અઢળક માહિતી પડેલી હોઇ શકે. આ માહિતીઓનો ગમે ત્યારે, ગમે તે ઉપયોગ થઇ શકે છે. આવું થાય તો તમે ક્યાં જશો? એટલા માટે જ ભારતની સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે નાગરિકની પ્રાઈવસી એ તેનો સંવિધાનિક (એટલે કે જન્મજાત) અધિકાર છે.

જ્યોર્જ ઓરવેલે 1949માં લખેલી નવલકથા ‘1984’માં સર્વવ્યાપી અને બધા ઉપર નિગરાની રાખતી સત્તાની કલ્પના કરી હતી. તેણે તેને ‘બીગ બ્રધર’ નામ આપ્યું હતું (જેના પરથી લોકપ્રિય ‘બીગ બોસ’ રિયાલીટી શોનું નામ પડ્યું છે). ટેકનોલોજીના સહારે આ કલ્પના હવે હકીકત બની ગઈ છે. પેગાસસ બીગ બ્રધરનું જ ડિજીટલ સ્વરૂપ છે.

ટેક્નોલોજીએ આપણી ચિકિત્સા અને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સુવિધા અનેકગણી વધારી દીધી ત્યારે નકારાત્મક વિચારોવાળી રાજકીય કે કોર્પોરેટ વ્યવસ્થા એનો વિનાશકારી ઉપયોગ કરે તેવી સંભાવના પણ વધી ગઇ છે. એટલે જ શકીલ બદાયુનીની આ શાયરી નવા સંદર્ભમાં પ્રાસંગિક છે. તેમણે લખ્યું હતું :

મુજે છોડ દે મેરે હાલ પર તિરા ક્યા
ભરોસા ચારાગર,
યે તિરી નવાજિસ-એ-મુખ્તસર મેરા
દર્દ ઔર બઢા ન દે

(ચારાગર: વૈદ્ય, નવાજિસ-એ-મુખ્તસર: કૃપાદૃષ્ટિ)

અર્થાત, હે વૈદ્ય, તું મને મારા હાલ પર છોડી દે, તારો શું વિશ્વાસ,
ઈલાજની કૃપાદ્રષ્ટિ કરીને તું મારું દુઃખ વધારી મુકીશ.

——————————–

પેગાસસ પ્રોજેક્ટ શું છે

– પેરિસની મીડિયા સંસ્થા ફોરબિડન સ્ટોરીઝ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશલને દુનિયાભરમાં પેગાસસ સ્પાયવેરના લીસ્ટમાંથી ૫૦,૦૦૦ ફોન નંબરનો ડેટા મળ્યો હતો.

– તેમાંથી તેમણે પત્રકારો, એક્ટિવીસ્ટો, રાજનેતાઓ અને અન્યોના ૬૭ ફોનની ફોરેન્સિક તપાસ કરાવી હતી.

– તેનો રિપોર્ટ તેમણે  વિશ્વનાં ૧૭ મીડિયાને આપ્યો હતો. ભારતમાં ધ વાયર નામના પોર્ટલે તે રિપોર્ટ છાપ્યા હતા.

– પેગાસસ સ્પાયવેર મિસ્ડ કોલ કે લિંક મારફતે સ્માર્ટફોનમાં ઈંસ્ટોલ થઈને ફોનની તમામ ગતિવિધિઓને રિમોટ લોકેશનથી જોઈ શકે છે. એ બંધ ફોનને ચાલુ કરી શકે છે અને માઈક્રોફોન-કેમેરા પણ ઓન કરી શકે છે. પેગાસસ એપલની ઓપરેટીંગ સિસ્ટમને પણ હેક કરી શકે છે.

– આને બનાવનારી ઇઝરાયેલ કંપની તેને માત્ર સરકારોને જ વેચે છે. ૨૦૧૮માં ટોરંટોની સિટીઝન લેબના રિપોર્ટ અનુસાર ૪૫ દેશોને આ સ્પાયવેર વેચવામાં આવ્યું હતું.

– ૨૦૧૬માં યુનાઇટેડ આરબ અમિરાતને એક માનવધિકાર કાર્યકર અહમદ મન્સૂરે તેને ઉપરાછાપરી મળેલા શંકસ્પદ મેસેજના કારણે સિટીઝન લેબ પાસે તપાસ કરાવી તો ખબર પડી કે મેસેજની લિંકમાં પેગાસસ સ્પાયવેરનું કનેક્શન હતું. એ પછી પેગાસસ ચર્ચામાં આવ્યું હતું.

———————————-

ફોનને કેવી રીતે સલામત રખાય

– તમામ એપ્લીકેશન માટે ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશન સિસ્ટમ વાપરવી જોઈએ

– ફોનની ઓપરેટીંગ સિસ્ટમ અને એપ્સને નિયમિત અપડેટ કરતા રહેવું જોઈએ

– થર્ડ પાર્ટી એપ્સ ઈંસ્ટોલ ન કરવા જોઈએ. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરનો જ ઉપયોગ કરવો જોઈએ.

– સાર્વજનિક વાઈફાઈનો બને તો ઉપયોગ ટાળવો જોઈએ

– અજાણી લિંક ખોલવાની લાલચથી બચવું જોઈએ

– એચ.ટી.ટી.પી.એસ. પ્લગ ઇનવાળી વેબસાઈટ જ ખોલવી જોઈએ

– એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપ્શન મેસેન્જર જ વાપરવું જોઈએ.

——————————–

પેગાસસ નામનો અર્થ

પેગાસસ ગ્રીક પુરાણોમાં એક સફેદ રંગના ઘોડાનું નામ છે. તેની ઉત્પતિ પોસાડન અને મેડુસા દેવી-દેવતાથી થઇ હતી. હીરો પેર્સ્યુંસે મેડુસાનો શિરચ્છેદ કર્યો ત્યારે તેના લોહીમાંથી તેનો જન્મ થયો હતો. પેગાસસ તેની બુદ્ધિમત્તા અને પ્રસિદ્ધિ માટે જાણીતો છે. ગ્રીસમાં માઉન્ટ હેલીકોનની ઉત્પતિ પેગાસસે પગની ખરી જમીનમાં પછાડી તેમાંથી થઇ હતી. ઘોડાને વિશાળ પાંખો હતી, જેથી તે ટ્રોજન હોર્સ તરીકે પણ ઓળખાય છે. કોમ્પ્યુટરની ભાષામાં માલવેર એટલે કે વાઇરસને ટ્રોજન હોર્સ કહેવાય છે. માલવેર ઇન્ટરનેટની મદદથી ડિવાઈસમાં સંક્રમિત થતો હોય છે એટલે ઇઝરાયેલની કંપનીના સોફ્ટવેરને પેગાસસનું નામ આપવામાં આવ્યું છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 જુલાઈ 2021

Loading

30 July 2021 admin
← હળહળતાં જૂઠાણાં બોલતા વડા પ્રધાનને નૈતિકતા જેવું છે કે નહીં ?
જેજુરી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved