Opinion Magazine
Number of visits: 9446635
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિચયના મુસાફિર: ગુલઝાર અને પંચમ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 October 2023

રાજ ગોસ્વામી

જે લોકોએ રેડિયો પર વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળ્યા હશે, તેમને ‘જયમાલા’ કાર્યક્રમ યાદ હશે. તેમાં રોજ રાતે 8 વાગે, સોમવારથી શુક્રવાર સુધી, “ફૌજી ભાઈઓ” માટે હિન્દી ફિલ્મોનાં ગીતો આવતાં હતાં, અને શનિવારે તેમાં કોઈ ફિલ્મી હસ્તી સાથે મુલાકાત આવતી હતી. 1986માં, આવા જ એક કાર્યક્રમમાં સંગીતકાર રાહુલ દેવ બર્મન ઉર્ફે પંચમની મુલાકાત આવી હતી. તેમાં, તેમની સંગીત સફરની વાતો કરતાં તેમણે એક જગ્યાએ કહ્યું હતું;

“દોસ્તો, અબ મેં અપને એક પ્રિય દોસ્ત કે લિયે કુછ કહૂંગા, ગુલઝાર. વો મેરે ઘર ગાના લિખને આતે હૈ, ડિરેક્શન ભી દેતે હૈ. ઉસકે સાથ મેરા બહુત જમતા હૈ. લેકિન જબ વો ગાના લિખને બૈઠતા હૈ, તો હમારી દુશ્મની હો જાતી હૈ, ક્યોંકી ઉસકે ગીત કો સમજને કે લિયે મુજે એક યા દેઢ ઘંટે લગતે હૈ, ઔર મૈં ઉસકી ધૂન બનાતા હું તો ઉસે સમજને મેં ઉન્હેં દો દિન લગ જાતે હૈં. દો-તીન દિન કે બાદ, જબ દોનો કો એક દુસરે કા કામ સમજ મેં આતા હૈ, તો દુશ્મની ખતમ હો જાતી હૈ. બહુત દિન પહેલે, ફિલ્મ પરિચય કે સમય, એક દિન મૈં કિસી કારન સે બહુત દુઃખી થા. ગુલઝાર આયે ઔર કહા કે અગર મૂડ હો તો યે ગાના બના દેના. ગાના પઢતે હી એક મિનિટ કે અંદર મૈંને ધૂન બના દિયા, ક્યોંકી મૈં દુઃખી થા ઔર ગાને કા મૂડ ભી કુછ ઐસા થા. દો દિન કે અંદર ગાના રેકોર્ડ ભી કર લિયા.”

‘એક્ચુઅલી … આઈ મેટ ધેમ’ નામના સંસ્મરણમાં ગુલઝારે પંચમની આ વાતમાં ખૂટતી કડીઓ ઉમેરી હતી. તેમના કહેવા અનુસાર, પંચમ રાજકમલ સ્ટુડીઓમાં એક ફિલ્મનું બેકગ્રાઉડ રેકોર્ડ કરાવી રહ્યા હતા, ત્યારે ગુલઝાર ત્યાં આવ્યા હતા અને ધૂન વિચારવા માટે પંચમને એક ગીત આપ્યું હતું. ગુલઝાર કહે છે, “મેં તેને ગીતનું મુખડું અને ફિલ્મનું દૃશ્ય સમજાવ્યું.

“એ રાતે, લગભગ મધરાતે, પંચમ મારા એપાર્ટમેન્ટ નીચે આવ્યો અને જોર જોરથી કારનું હોર્ન મારવા લાગ્યો. તેણે કહ્યું, ‘નીચે આવ, મારા દિમાગમાં ધૂન છે.’ હું આજ્ઞાંકિત બનીને તેની સાથે રાતની રખડપટ્ટીમાં જોડાઈ ગયો. તેણે કારના કેસેટ પ્લેયરમાં સંગીતની અમુક લાઈનો સંભળાવી, પછી મારી તરફ જોઇને કહ્યું, ‘આ ધૂન માટે શબ્દો શોધ, નહીં તો હું આ ભૂલી જઈશ.’

“મેં કહ્યું, ‘અત્યારે? આ કારમાં? એ કેવી રીતે શક્ય છે?”

“તેણે આગ્રહ કર્યો, ‘તારે કરવું જ પડશે. આ તારી ફિલ્મનું ગીત છે.’” 

“મેં નમતું જોખ્યું અને અંતરા માટે અમુક લાઈનો લખી. પછી થોડી બીજી લાઈનો ઉમેરી, પછી ત્રીજી ઉમેરી. પંચમ પણ રેકોર્ડ કરેલી મૂળ ધૂનમાં સંગીતની લાઈનો ઉમેરતો ગયો. અમારા આ સર્જનમાં ઊંઘી રહેલા મુંબઈની સડકો અને શેરીઓમાં એકમાત્ર સાથીદાર હતી. સવારના ચાર વાગ્યા સુધી આ જુગલબંધી ચાલતી રહી. એ રીતે એ ગીત બન્યું હતું.”

‘પરિચય’(1972)નું એ ગીત એટલે કિશોર કુમારે જેમાં તેનો ફિલોસોફિકલ આત્મા રેડી દીધો હતો તે – મુસાફિર હું યારો, ના ઘર હૈ, ના ઠીકાના … મુજે ચલતે જાના હૈ, બસ, ચલતે જાના હૈ. ગુલઝાર, પંચમ અને કિશોર કુમારની ત્રિપુટીએ અનેક શાનદાર ગીતો આપ્યાં છે, પણ એમાં ‘પરિચય’નું આ ગીત એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે ગુલઝાર અને પંચમ પહેલી વાર આ ફિલ્મમાં ભેગા થયા હતા. પંચમ અને કિશોર દોસ્ત હતા અને પંચમે જ ગુલઝારને કિશોરનો ભેટો કરાવ્યો હતો.

ફિલ્મ નિર્દેશક તરીકે ગુલઝારની આ બીજી જ ફિલ્મ હતી. આગલા વર્ષે 1971માં, ‘મેરે અપને’થી તેમણે નિર્દેશનમાં ઝુકાવ્યું હતું. 72માં ગુલઝારની ત્રણ ફિલ્મો આવી; પરિચય, અચાનક અને કોશિશ. ‘પરિચય’ બનાવવાનો મૂળ વિચાર ફિલ્મના હીરો જિતેન્દ્રનો હતો. તે જમ્પિંગ જેકની તેની ઊછળકૂદની ઈમેજથી ધરાઈ ગયો હતો અને તેને એક અચ્છા એક્ટર તરીકે સ્થાપિત થવું હતું.

‘ફિલ્મફેર’ સામયિકને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં ગુલઝાર કહે છે, “હું ‘મેરે અપને’માં વ્યસ્ત હતો, ત્યારે મારો પડોશી અને દોસ્ત રવિ (તે જીતેન્દ્રને તેના મૂળ નામ રવિથી બોલાવતા હતા) એકવાર મારી પાસે આવ્યો અને મને તેના માટે એક ફિલ્મનું નિર્દેશન કરવા કહ્યું. મેં તેને અમુક વાર્તાઓના આઈડિયા આપ્યા, પણ તેણે બધા ખારીજ કરી નાખ્યા. એ પછી એક દિવસ, એક શૂટિંગમાં રાખીએ તેને એક વાર્તા સંભળાવી. તેને એ ગમી ગઈ. તેણે મને તરત ફોન કર્યો અને પૂછ્યું કે આના પરથી કેમ ફિલ્મ ન બને? મેં કહ્યું કે મેં તને આ વાર્તા પણ સંભળાવી હતી, પણ તે ખારીજ કરી નાખી હતી. તે સામો ગરજ્યો કે એનો અર્થ એટલો જ થાય કે તને વાર્તા કહેતાં નથી આવડતું. મેં ય સામું સંભળાવ્યું કે વાર્તા કહેવામાં કોઈ ખોટું નથી, પણ તું રાખીથી ઈમ્પ્રેસ થઇ ગયો હતો. મેં ઉમેર્યું, હવે પછી વાર્તા કહેવા માટે હું રાખીને જ મોકલીશ.”

‘પરિચય’માં બેરોજાગાર યુવાન રવિ (જીતેન્દ્ર), એક નિવૃત્ત કર્નલ રાય સાહેબ(પ્રાણ)નાં પાંચ પૌત્રી-પૌત્રોને ભણાવાનું કામ હાથમાં લે છે. રાય સાહેબના લશ્કરી મિજાજથી ત્રાસીને, તેમનો દીકરો નિલેશ (સંજીવ કુમાર) તેના સંગીતના પ્રેમને પોષવા માટે ઘર છોડીને જતો રહે છે. એમાં અચનાક નિલેશનું અવસાન થઇ જાય છે અને રાય સાહેબ તેનાં નાનાં છોકરાંને પોતાની પાસે લઈ આવે છે. છોકરાઓને એવું લાગતું હોય છે દાદાના કડક સ્વભાવથી જ તેમના પિતાનું અવસાન થયું છે. પરિણામે છોકરાં ઉદ્ધત થઇ જાય છે અને રાય સાહેબને ગાંઠતાં નથી.

એટલે રાય સાહેબ એક સારા શિક્ષકની તલાશમાં હોય છે અને રવિ એ નોકરી સ્વીકારે છે. રવિ જ્યારે ટાંગામાં બેસીને શહેરમાંથી ગામમાં રાય સાહેબના બંગલા તરફ જતો હોય છે, ત્યારે આ ‘મુસાફિર હું યારો …’ગીત આવે છે. છોકરાંને ભણાવવા અને સીધાં કરવાની તાલીમ દરમિયાન રવિ મોટી દીકરી રમા (જયા ભાદુરી) પ્રત્યે આકર્ષાય છે. વચ્ચે વિરહના થોડા ઉતાર-ચઢાવ પછી રાય સાહેબને તેમની પૌત્રીના દિલની વાત સમજાય છે અને તેઓ રવિ સાથે તેનું મિલન કરાવે છે.

1965માં, ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ નામની એક ફિલ્મ પરથી ‘પરિચય’ પ્રેરિત હતી, પરંતુ ગુલઝારને તેનો વિચાર બંગાળીમાં પ્રકાશિત રાજ કુમાર મૈત્રાની વાર્તા ‘રંગીન ઉત્રૈન’ પરથી આવ્યો હતો. ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’માં, ઈસાઈ નન બનવા માગતી એક તોફાની છોકરીને, તેની માતા એક નૌસેનાના નિવૃત્ત અધિકારીનાં સાત બાળકોની સંભાળ રાખવા મોકલે છે તેવી વાર્તા હતી. ગુલઝાર કહે છે રાખીએ બંગાળી વાર્તા વાંચી હતી અને તેને થતું હતું કે તેના પરથી એક સારી ફિલ્મ બને તેવી છે. ગુલઝારે તેનો હિન્દી અનુવાદ કરી રાખ્યો હતો.

સંજીવ કુમારના જીવનચરિત્ર્યમાં લેખક હનીફ ઝવેરી લખે છે કે સંજીવ કુમારે જીતેન્દ્રને તેની ઈમેજમાંથી બહાર આવવા માટે ગુલઝારની ફિલ્મમાં કામ કરવા પ્રેરણા આપી હતી. યોગાનુયોગ કેવો કે જે સમયે સંજીવ કુમાર ગુલઝારની ‘કોશિશ’માં જયા ભાદુરીના પતિની ભૂમિકા કરતા હતા  તે જ સમયે તે તેમની ‘પરિચય’માં જયાના પિતાની ભૂમિકામાં હતા!

જીતેન્દ્રને સંદેહ હતો કે આમાં તો ફિલ્મનો ધબડકો થશે પણ હરિભાઈએ કહ્યું હતું કે ગુલઝાર પર શ્રદ્ધા રાખજે. તેમના નિર્દેશનમાં જાદૂ છે. એ ગુલઝારની જ કમાલ હતી કે તે સંજીવ કુમાર અને જયાને એકદમ વિરોધાભાસીમાં એટલી જ વિશ્વસનીયતા સાથે પેશ કરી શક્યા હતા. ફિલ્મ રિલીઝ થઇ ત્યારે લોકોએ તેને બહુ સરાહી હતી અને ‘પરિચય’ ફિલ્મથી જ લોકો જીતેન્દ્રને એક ગંભીર એક્ટર તરીકે લેતા થયા. ફિલ્મમાં જીતેન્દ્ર બીજી એક જગ્યાએ પણ ખોટો પડ્યો હતો.

ફિલ્મમાં કુલ ચાર ગીતો હતાં; મુસાફિર હું યારો, મિતવા બોલે મીઠે બૈન, સા રે કે સા રે ગ મ કો લેકર અને બીતી ના બીતાઈ રૈના. એમાં ‘બીતી ના બીતાઈ રૈના …’ ગીત સૌથી પહેલું રેકોર્ડ થયું હતું. ગુલઝાર અને પંચમને આ ગીત બહુ પસંદ આવ્યું હતું, પરંતુ જીતેન્દ્રને લાગતું હતું કે આવું શાસ્ત્રીય ગીત તેની ફિલ્મમાં અનુકૂળ નહીં લાગે. જીતેન્દ્રના દોસ્તારોને પણ આ ગીત ગમ્યું નહોતું. તેની ઈચ્છા હતી કે આ ગીત પડતું મુકવામાં આવે અને બીજું બનાવવામાં આવે. ગુલઝાર અને પંચમે ઘસીને ના પાડી દીધી.

ગુલઝાર લખે છે, “અમે આર.કે. સ્ટુડીઓમાં ફિલ્મનો સેટ ગોઠવ્યો હતો. એક દિવસ ત્યાં અમિતાભ બચ્ચનનું પણ કોઈક શુટિંગ હતું. હું બધી ગોઠવણમાં હતો અને રવિએ અમિતાભ માટે કારમાં આ ગીત વગાડ્યું. એ ઉત્સાહ સાથે પાછો આવ્યો અને મને કહે, ‘અમિતાભ તો રો પડા ગાના સુન કે. તેને બહુ ગમ્યું અને બોલ્યો કે હમે તો ઐસે ગાને મિલતે હી નહિ કરને કે લિયે.”

પછી તો જીતેન્દ્રને પણ ગીત ગમવા લાગ્યું. લતા મંગેશકરને એ ગીત માટે એ વર્ષનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 25 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

27 October 2023 Vipool Kalyani
← ભ્રષ્ટાચારનો ભોરિંગ અને લોકપાલ-લોકાયુક્તની મોરલી
સ્ત્રી જો શક્તિ છે તો તેનામાં આટલી અશક્તિ કેમ છે?   →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved