Opinion Magazine
Number of visits: 9448795
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન છે ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 October 2021

પાકિસ્તાનમાં જેટલા પણ વડા પ્રધાન આવ્યા એ સૌમાં સૌથી નબળા વડા પ્રધાન ઇમરાનખાન છે. તે ભારત માટે તો ઝેર ઓકે જ છે, પણ પાકિસ્તાનનું પણ તેમણે ભલું કર્યું હોય તેવું જણાતું નથી. એક નાના છોકરાએ તેની કવિતામાં પાક. વડા પ્રધાનની એમ કહીને ધોલાઈ કરી છે કે પાકિસ્તાન સંભાળવાના ઠેકાણાં નથી ને તાલિબાનમાં માથું મારે છે. તાલિબાનને માન્યતા અપાવવા યુ.એન.માં પણ ઇમરાનખાને તાલિબાનની દલાલી કરતાં કહ્યું છે કે તેનાં વચનો પર ભરોસો કરો. તેઓ સુધરવા ને સુધારવા માંગે છે. દુનિયા જોઈ રહી છે કે તાલિબાનો જરા પણ સુધર્યા નથી, બલકે, વધારે ઝનૂનથી અનાચારનો પુરસ્કાર કરી રહ્યા છે. અફઘાન સ્ત્રીઓ મોતની પરવા કર્યા વગર શિક્ષણ અને મુક્તિની માંગ કરી રહી છે તેના પરથી સમજી શકાશે કે તાલિબાન કેવી રીતે પ્રજા સાથે વર્તે છે !

કોઈ વડા પ્રધાન આટલો જુઠ્ઠો જાહેરમાં જણાયો નથી. 9/11ના અમેરિકા પર થયેલ આતંકી હુમલા પછી પાકિસ્તાન આતંકવાદને પુરસ્કારતા રાષ્ટ્ર તરીકે ઉઘાડું પડી ગયું, પણ તેની આતંકવાદના ઉછેરની પ્રવૃત્તિમાં જરા પણ ઓટ આવી નથી. લાદેનને તે શહીદ ગણાવે છે ને તેને અમેરિકાએ તેના જ ઘરમાં ઘૂસીને ખતમ કર્યો તેનો સંકોચ નથી. તેને આશરો પાકિસ્તાને આપ્યો હતો તે જગજાહેર છે. માણસને પાકના હિન્દુઓની તો ચિંતા નથી જ, પણ મુસ્લિમોની હાલત, ભારતના મુસ્લિમો કરતાં બદતર છે તો ય તેમને ચિંતા ભારતના મુસ્લિમોની છે. આર.એસ.એસ. અને ભા.જ.પ. મુસ્લિમો પર જુલમ ગુજારે છે એવી વાહિયાત વાત કરીને મુસ્લિમોની સહાનુભૂતિ ઉઘરાવવાનો તેઓ સસ્તો પ્રયત્ન કરે છે, પણ મુસ્લિમો બરાબર જાણે છે કે પાકિસ્તાનમાં હિન્દુઓની છે તેવી બદતર હાલત ભારતમાં મુસ્લિમોની તો નથી જ નથી.

પાકિસ્તાન એ પણ જાણે છે કે સીધું યુદ્ધ તે કોઈ પણ દેશની સામે લડી શકે એમ નથી. એટલે તે આતંકવાદને ઉછેરે છે ને ચીનની ચમચાગીરી કરી ભારત સાથે છમકલું કર્યાં કરે છે. અમેરિકા પાક સાથે વાત કરવા પણ તૈયાર નથી. અમેરિકી પ્રમુખ નાના દેશોના વડાઓને મળે છે ને વાતો કરે છે, પણ પાક વડા પ્રધાન સાથે વાત કરવાનું તેમણે સ્વીકાર્યું નથી એ પરથી પણ પાકિસ્તાનની વિશ્વમાં કેવી શાખ છે તે સમજી શકાય તેવું છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનોએ ભારત પર અનેક હુમલાઓ કર્યા છે અને કોઈ વાત નથી હોતી ત્યારે પાકિસ્તાન, કાશ્મીરનો રાગ આલાપે છે. યુ.એન.માં પણ છેલ્લાં પ્રવચનમાં ઇમરાનખાને ભારત સાથે વાત કરવા પોતે તૈયાર છે એવું કહ્યું છે, પણ ભા..જપ. મુસ્લિમો પર જુલમ ગુજારે છે એવી વાહિયાત વાત પણ તેમણે સાથે જ દોહરાવી છે. એમને પૂછી શકાય કે ભારતના કેટલા મુસ્લિમોએ ફરિયાદ કરી કે તમારે દખલ કરવાની ફરજ પડે છે? ભારતે કેમ દેશ ચલાવવો તે પાકિસ્તાન શીખવશે જ્યાં પોતાનાં શીખવાનાં કોઈ ઠેકાણાં નથી? તેઓ ફરમાન છોડે છે કે કાશ્મીરમાં જે પગલાં લેવાયાં છે તે ભારતે પાછાં લેવાં પડશે. કેમ ભાઈ, ભારતનું પૂરું પાકિસ્તાન કરે છે? મોદી સરકારે બીજું કૈં ન કર્યું હોત ને 370 ને 35 એ નાબૂદ કરી હોત તો ય ઘણું હતું. ઇમરાનખાન સાહેબ, 370 હતી એટલે વર્ષો સુધી કાશ્મીરી પ્રજાનું હિત જોતાં હોય તેમ થોડાક મુઠ્ઠીભર લોકો સાથે રાખીને કાશ્મીરી પંડિતો અને શીખો પર જુલમ ગુજાર્યો ને તેમને ઘરથી બેઘર કરવાનો વેપલો કર્યો, પણ હવે કોઈનો ઇજારો ત્યાં ચાલવાનો નથી ને એટલું સમજી લો, સાહેબ, કે કાશ્મીર ભારતનું છે ને તમારા પૂર્વજો ને તમે પણ જાણો છો કે તે ભારતનું છે ને આતંકી છમકલાંઓથી તે તમારું થવાનું નથી. આમ પણ પી.ઓ.કે.ને નામે તમે હરામનું પચાવીને બેઠા છો, પણ તે પચવાનું નથી તે નક્કી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ભરી સભામાં તમને જુઠ્ઠા કહીને કાશ્મીર અને લદાખ પરનો ભારતનો એકાધિકાર સ્થાપિત કરતો જવાબ આપ્યો, ત્યારે વસ્ત્રો તો ઠીક, શરીર પર ચામડી પણ શોધવી પડે તેવી સ્થિતિ તમારી હતી તે કહેવાની જરૂર છે?

કદાચ યુ.એન.માં થયેલી ધોલાઈ પછી, પાકિસ્તાને જાત બતાવવા માંડી હોય તેમ શ્રીનગર અને ખીણમાં આતંકી છમકલાં ફરી શરૂ કર્યાં છે ને છેલ્લાં થોડા દિવસોમાં સાતેક હત્યાઓ કરી છે. 1990માં પણ જે પંડિતો કાશ્મીર છોડવા રાજી ન હતા તેઓ પણ ઉચાળા ભરવા માંડ્યા છે. ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ થોડાક યુવાનોને તૈયાર કરે છે ને આ લોકો હુમલો કરીને પોતાને કામે લાગી જાય છે જેથી કોઈ સંગઠન તરફ શંકા ન જાય. 9મી તારીખે શ્રીનગરના નાટીપોરા વિસ્તારમાં પોલીસો પર હુમલો થયો, એના જવાબમાં એક આતંકી ઠાર મરાયો ને તેનું કનેક્શન પ્રતિબંધિત લશ્કરે તોયબા સાથે નીકળ્યું. એક મહિલા આચાર્ય અને એક શિક્ષકને અન્ય મુસ્લિમ શિક્ષકોથી અલગ તારવીને બહાર લાવવામાં આવ્યા અને તેમને ગોળીએ દેવાયા. આ જ રીતે એક કેમિસ્ટ અને એક વેપારીની પણ હત્યા કરવામાં આવી. આ વખતે ટાર્ગેટ પંડિતો અને બિન મુસ્લિમો છે. આ રીતે ખોફ ફેલાવીને બિન મુસ્લિમોને કાશ્મીરથી ભગાડવાનો પાકનો ઇરાદો નાપાક છે. 370 ને 35 એ નાબૂદ કરવાનો હેતુ તો એ હતો કે કાશ્મીર બહારના લોકો પણ ત્યાં વસવાટ કરે અને રોજી રોટી કમાય, પણ કરુણતા એ છે કે બહારનાનો વસવાટ તો બાજુએ રહ્યો, જે ત્યાંના છે તેમની હકાલપટ્ટીનો કારસો રચાયો હોય એવું લાગે છે. આ વર્ષે કાશ્મીરમાં પચીસેક લોકોએ આતંકી હુમલાઓમાં જીવ ખોયો છે. આ અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ છે.

હાલની સ્થિતિ એવી છે કે પંડિતો અને શીખો દહેશતમાં જીવે છે, કેટલાક તો હિજરત કરી રહ્યા છે ને તેમણે ઓફિસો, સ્કૂલોમાં 10 દિવસની રજા મૂકીને નીકળી જવું પડ્યું છે. આતંકી હુમલાઓને કારણે સ્થાનિકો વચ્ચે શંકાનું વાતાવરણ ઊભું થયું છે. એમ લાગે છે કે આ હુમલાઓ અટકવાના નથી. થોડે થોડે વખતે આવા હુમલાઓ ચાલુ રહેવાના છે. એનો હેતુ કાશ્મીરમાં શાંતિ ન સ્થપાય તે જોવાનો છે. કાશ્મીર જરા કૈં થાળે પડે છે કે શાંતિ તોડવાના પ્રયત્નો શરૂ થઈ જાય છે. આ આજકાલનું નથી. એક તરફ ચીન છે, જે જેનું જે કૈં પણ છીનવી લેવાય, તે પૂરી નાલાયકીથી છીનવે છે. અત્યારે તાઇવાન પર કબજો જમાવવાની ફિકરમાં તે છે. તેને મહાસત્તા બનવાની લ્હાય લાગી છે ને તેણે તો વિશ્વયુદ્ધ થવાની આગાહીઓ પણ કરવા માંડી છે. એ કમનસીબી છે કે બબ્બે વિશ્વયુદ્ધો જોયાં પછી પણ કોઈ કૈં શીખ્યું નથી. મહામારીથી આટલાં લોકો મર્યાં તે ઓછાં લાગે છે કે હવે યુદ્ધથી મારવાં છે? આખું વિશ્વ આટલું બધું બેશરમ કઈ રીતે થઈ શકે તે નથી સમજાતું.

વળી ચીનનું સૈન્ય ઘૂસણખોરીમાં તો ગાંઠતું જ નથી. તાજેતરમાં જ ભારતે 200 ચીની સૈનિકોને મારી ભગાડ્યા છે. બીજી તરફ પાકિસ્તાન છે જે બે રીતે ભારતને હેરાન કરે છે. તે સરહદ પર લશ્કરી તાકાતનો પરચો આપે છે તો બીજી તરફ, કાશ્મીરમાં આતંકવાદીઓને ઘૂસાડીને નિર્દોષ લોકોનું લોહી રેડે છે ને દેખાવ એવો કરે છે કે તેનું લોહી ભારત પીએ છે. ચીન અને પાકિસ્તાને એ સમજી લેવાનું રહે કે તે હવે 1962નું ભારત નથી. તે સામેથી કોઈને છેડવામાં માનતું નથી, પણ કોઈ છેડે તો તેને છોડવામાં પણ માનતું નથી. કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવાં માંડ્યાં છે. કાશ્મીર ખીણમાંથી 500 શકમંદોની ને શ્રીનગરમાંથી 70 યુવકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ … જેવાં 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે ને ત્યાંના રહેવાસીઓ માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પણ દહેશત વધુ હુમલાઓની રહે જ છે.

એક વાત નક્કી છે કે પાકિસ્તાન તેની આતંકી ગતિવિધિથી કદી શરમાવાનું નથી. તે જાતે સમજી જાય અને આતંકી પ્રવૃત્તિઓને અટકાવે એવું તો સપનું પણ પડે એમ નથી. કોઈ યુદ્ધમાં ન મરે એટલા લોકો ભારતમાં આતંકી પ્રવૃત્તિઓનો ભોગ બન્યા છે. એ પણ કમાલ છે કે કાશ્મીર કે અન્યત્ર, આતંકવાદીઓ ભારતમાં ઘૂસી જવામાં ને ત્રાસ વર્તાવવામાં સફળ થાય છે, એવી સફળતા ભારતને મળી નથી. તે એટલે કે ભારત આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું નથી. એવું હોત તો ભારતે પણ પાકિસ્તાનની દશા બગાડી હોત, પણ ભારત એવું નહીં કરે. નહીં જ કરે. બહુ થાય તો તે સર્જિકલ સ્ટ્રાઈક કરશે, પણ નિર્દોષોનાં જીવ નહીં લે. તો, તેણે શું લખી આપ્યું છે કે પાકિસ્તાન ગમે ત્યારે આતંકીઓ દ્વારા જીવ લે તો તે ખૂણે પડીને જોયાં કરશે? ના. તે જોઈ નહીં રહે, પણ આ સંજોગોમાં ભારતે સીધું લડી લેવું જોઈએ એમ કહેવાનું થાય છે. એ ખરું કે એમાં તેણે ય ખુવારી વહોરવાનું થાય ને એ ઇચ્છવા જેવું નથી, પણ તે ચૂપ રહેશે તો પણ વેઠવામાંથી તેની મુક્તિ નથી ને એટલું નક્કી છે કે આનો અંતિમ ઉપાય તો યુદ્ધ જ જણાય છે. આજે નહીં ને વરસે, બે વરસે તેણે પાકિસ્તાનને નકશામાંથી ભૂંસ્યે જ છૂટકો છે. તે જેટલું મોડું કરશે એટલું તેનું નુકસાન વધશે. પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકથી પણ નહીં શરમાય તે ય ખરું, કારણ તે ટાંકણીથી નહીં, તલવારથી જ શરમાય એમ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑક્ટોબર 2021

Loading

11 October 2021 admin
← પેન્ડોરા પેપર્સનાં ધાંધિયાઃ ઑફશોર રોકાણ કરવા પાછળનો એક માત્ર તર્ક ‘કાળું ધન’ નથી
શરદપૂનમઃ રાસ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved