Opinion Magazine
Number of visits: 9612405
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયતંત્ર જ મહિલાઓના બંધારણીય હકનું રક્ષણ કરવામાં પાછી પડે છે ….

નેહા શાહ|Opinion - Opinion|2 January 2026

નેહા શાહ

મહિલાઓ સામેની જાતીય હિંસાના કિસ્સામાં ઘણી વાર લાગે છે કે ભારતીય બંધારણનાં મૂલ્યોને સાચવવાનું કામ સુપ્રીમ કોર્ટ વિના કેમનું સચવાયું હોત? બંધારણના અમલના પંચોતેર વર્ષ થયાં, પણ બંધારણનું અમલ કરનાર ન્યાયતંત્ર તેમ જ કાયદા ઘડનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અવારનવાર નાસીપાસ કરતા રહે છે. ૨૦૨૫ના વર્ષનું સરવૈયું કરીએ તો દેશની હાઈકોર્ટોના એક કરતાં વધારે ચુકાદા ધરાર સ્ત્રી વિરુદ્ધના લાગે. જાણે કાયદાના અર્થઘટનની આંટીઘૂંટીમાં એનો આત્મા જ કાઢી નાખ્યો હોય એવું લાગે. દેશ આખાનું ધ્યાન ફરી એક વાર ઉન્નાવ બળાત્કાર કેસ પર છે. સગીર વયના બાળકને જાતીય હિંસા સામે ન્યાય આપવા ઘડાયેલા પોક્સો કાયદા હેઠળના આ બહુચર્ચિત કેસમાં દિલ્હી હાઈકોર્ટે ગુનેગાર કુલદીપ સિંહ સેંગરની જન્મટીપની સજા મોકૂફ રાખી એને જમાનત આપી. સજાનાં સાત વર્ષ પછી કોર્ટને ‘જાહેર સેવક’ની વ્યાખ્યા ‘સરકારી નોકર’ પૂરતી મર્યાદિત કરવું યોગ્ય લાગ્યું, અને એ સમજ પ્રમાણે વિધાયક તો ચૂંટાયેલો પ્રતિનિધિ કહેવાય – સરકારી નોકર નહિ. કાયદામાં ‘જાહેર સેવક’ની વ્યાખ્યા અલગ કરવા પાછળનો આશય તો ગુનેગાર અને પીડિતા વચ્ચેના સત્તાના દરજ્જાના દુરુપયોગને ધ્યાનમાં લેવાનો હતો., જે વિભાવના ને ગણતરીમાં લેવું કોર્ટને જરૂરી ના લાગ્યું! એ કુલદીપ સેંગરની સત્તાનો જ પ્રતાપ હતો કે એણે સત્તર વર્ષની સગીર બાળાનો બળાત્કાર કર્યો, સ્થાનિક પોલીસ ચોકી પર પીડિતાની ફરિયાદ નોધાવાઈ નહિ, એના પિતાને બનાવટી કેસ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા અને પોલીસ કસ્ટડીમાં એમનું મૃત્યુ થયું, અને પાછળથી કાર એક્સિડન્ટમાં પીડિતા ગંભીર રીતે ઘવાઈ અને એની બે માસીઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું! કોઈ એક જ પીડિતા સાથે આટલી બધી ઘટના ઘટવી એ યોગાનુયોગ તો ના જ હોઈ શકે. દેખીતી રીતે સત્તાનું વરવું પ્રદર્શન હતું. પણ, ખેર દિલ્હી હાઈકોર્ટનો મુડ જુદો હતો! 

આ સમગ્ર ઘટના ક્રમમાં ઉન્નાવની દીકરીને સલામ કરવી ઘટે. આટ આટલા વિઘ્નો પછી પણ એણે ન્યાય માટે લડાઈ ચાલુ રાખી. ૨૦૧૭માં પોલીસે ફરિયાદ ના નોંધી તો મુખ્ય મંત્રીના આવાસ પાસે જઈ આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો કે જેથી નિષ્ઠુર સત્તાધીશોનું ધ્યાન જાય અને સાથે મીડિયાનું કવરેજ મળે તો આખા દેશનું ધ્યાન જાય. પિતાનું જ્યુડીશિયલ કસ્ટડીમાં મૃત્યુ અને ત્યારબાદ જીવલેણ અકસ્માતમાં બે માસીઓનાં મૃત્ય જેવા ઘાતક હુમલા પછી કોઈનો નિશ્ચય ડગી શકે છે – પણ આ પીડિતા એ ન્યાય માટેની લડાઈ ચાલુ રાખી. દેશભરથી નાગરિક સમાજનો ટેકો એને મળ્યો. ૨૦૧૯માં જ્યારે કુલદીપ સેન્ગર સામેના ગુના સાબિત થયા અને એને આજીવન કેદની સજા થઇ લાગ્યું હતું કે સંઘર્ષે રંગ રાખ્યો અને બાળાને ન્યાય મળ્યો હોય એવું આશ્વાસન મળ્યું હતું. પણ, આજે સાત વર્ષે દિલ્હી હાઈકોર્ટને સજા મોકૂફ રાખવું યોગ્ય લાગ્યું! પીડિતા, એની માતા એના પતિ અને અન્ય કુટુંબી જનોએ ઇન્ડિયા ગેટ જઈ કોર્ટના ચુકાદા સામે વિરોધ પ્રદર્શન કર્યા, કારણ કે ઉનાવનો બાહુબલી જો પોતાના વિસ્તારમાં મોજૂદ હોય તો એ કાંઈ પણ કરી શકે. ભૂતકાળમાં આટલા કુટુંબીજનોને ગુમાવ્યા પછી આ ડર અસ્થાને પણ નથી. પણ પોલીસે તેમને ત્યાંથી એવું કહી બળજબરીથી ખસેડ્યા કે કોર્ટે સેન્ગરને પીડીતાથી કમ સે કમ પાંચ કિલોમીટરનુ અંતર રાખવા કહ્યું છે તો પછી ચિંતા શાની? પોલીસની આ બાલીશ દલીલને એમનું ભોળપણ કહીશું કે પછી ગુનામાં સાજેદારી? 

સત્તાધારીઓને મન બળાત્કાર જાણે સામાન્ય ઘટના છે. ઇન્ડિયા ગેટ પરથી પીડિતા અને એના કુટુંબીજનને હટાવાયા એ સંદર્ભે ઉત્તર પ્રદેશના મંત્રી ઓ.પી. રાજભરનું નફ્ફટાઈ ભર્યું હસવું એની સાબિતી છે. હજુ પણ, જંતરમંતર પર યૌન શોષણનો વિરોધ કરી રહેલી આપણી મહિલા કુસ્તીવીરનો અવાજ સંભળાય છે. એમને પણ તો ટીંગાટોળી કરી હટાવાયાં હતાં. દેશ માટે જીતેલા એમના કોઈ મેડલ એમને કામ નહોતા આવ્યા. અને અંતે શું થયું? બ્રીજ ભૂષણ શરણ સિંઘ સામે ક્યાં કોઈ પગલાં લેવાયાં ! 

૨૦૨૫ની જ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટની જાતીય હિંસાના કેસમાં સંવેદનશીલતા જાળવવાની તાકીદ કરવી પડી હતી. ત્યારે પણ હાઈકોર્ટે બળાત્કારના અપરાધીના જામીન મંજૂર કર્યા હતા, અને જાણે પીડિતાએ સામેથી આફત વહોરી હોય એવી પીડિતાના માથે જ દોષારોપણ કરતી ટિપ્પણી કરી હતી. પોક્સોના એક બીજા કેસમાં આરોપી પર લાગેલી કલમોને હળવી કરતાં અલાહાબાદ હાઈકોર્ટના જજે કહ્યું હતું કે સ્તનને સ્પર્શવું કે સલવારને ખેંચીને ઉતારવાને બળાત્કાર ન ગણાય! કાયદાનું આવું અર્થઘટન એટલું તો ભયાનક હતું કે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સુનવણી કરી હાઈકોર્ટના આદેશની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. 

મહિલાઓ સામેની હિંસામાં ન્યાય ઘણી વાર છેતરામણો હોય છે. કાયદા તો આપણે કડક બનાવ્યા છે. પણ એનો અમલ કરનારની સમજણ અને પૂર્વગ્રહ કાગળ પર લખાયેલા કાયદાથી બદલાતી નથી. કાયદાનું અર્થઘટન કરતી વખતે વર્ષો જૂનાં પિતૃસત્તાક સામાજિક મૂલ્યો માથું ઊંચું કરી લે છે અને સમાજમાં પ્રવર્તતો સામાજિક ભેદભાવ સપાટી પર આવી જાય છે, જે આપણા બંધારણનાં મૂલ્યોનું રક્ષણ કરવામાં નાસીપાસ થાય છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2 January 2026 Vipool Kalyani
← પન્નાને–જન્મદિને, ડિસેમ્બર 28, 2025
માનવી … →

Search by

Opinion

  • તણખામાંથી ભડકો થઇ શકે તેવા વૈશ્વિક સંજોગો એટલે 2026નું જિઓપોલિટિકલ પ્રેશરકુકર 
  • ચલ મન મુંબઈ નગરી—323 
  • હું એકની એક
  • આ જ વૃક્ષો હતાં
  • નવું વર્ષ ‘હોપ ઈઝ અ ડિસીઝન’ની પ્રેરણા સાથે શરૂ કરીએ … 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • આ જ વૃક્ષો હતાં
  • તારી યાદ નડે છે
  • માનવી …
  • પન્નાને–જન્મદિને, ડિસેમ્બર 28, 2025

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved