Opinion Magazine
Number of visits: 9448568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દર્શકનું સમાજ દર્શન કેવો સમાજ બનાવશું ?

વિદ્યુત જોષી|Gandhiana|2 July 2014

સાહિ‌ત્યકાર મનુભાઈ પંચોલી દર્શકનું સામાજિક દર્શનમાં જો સૌથી મોટું પ્રદાન હોય તો તે ઇશ્વર વિદ્યા અને સામાજિક દર્શનને છૂટા પાડવાનું. પ‌શ્ચિ‌મમાં આ કામ ૧૬મી સદી સુધીમાં થઇ ચૂક્યું હતું.

આ વર્ષ દર્શક તરીકે ઓળખાતા મનુભાઈ પંચોલીનું જન્મશતાબ્દી વર્ષ છે. મનુભાઈ પંચોલીને કઈ રીતે ઓળખશું? સાહિ‌ત્યકાર, શિક્ષણકાર, ઇતિહાસકાર, રાજકીય નેતા, (તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા), ગ્રામ વિકાસના ભેખધારી કે પછી તત્ત્વજ્ઞ અથવા તો દર્શક. તેમની વિવિધલક્ષી ભૂમિકાઓમાં તેમણે પોતાનું તખલ્લુસ રાખ્યું હતું 'દર્શક’ અથવા તો ફિલોસોફર. આનો અર્થ એ થયો કે વિવિધલક્ષી ભૂમિકાઓમાંથી તેમને પોતાની દર્શક તરીકેની ભૂમિકા વધુ પસંદ હતી.

સામાજિક દર્શનમાં દર્શકનું જો સૌથી મોટું પ્રદાન હોય તો તે ઇશ્વર વિદ્યા અને સામાજિક દર્શનને છૂટા પાડવાનું. પ‌શ્ચિ‌મમાં આ કામ ૧૬મી સદી સુધીમાં થઈ ચૂક્યું હતું. ત્યાં પહેલાં તત્ત્વજ્ઞાન ઇશ્વર વિદ્યાનો ભાગ હતું. નવ જાગૃતિ (રેનેસા) પછી તત્ત્વજ્ઞાન ઇશ્વર વિદ્યાથી જુદું પડયું. પહેલાં માનવ અસ્તિત્વના પાયાના સવાલોની ચર્ચા ઇશ્વર-શેતાન, સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય, મૃત્યુ પછીનું જીવન વગેરે સંદર્ભો સિવાય નહોતી થઈ શકતી. હવે પ‌શ્ચિ‌મમાં દર્શન અથવા તો ફિલોસોફીમાં તમામ સવાલોના જવાબો માનવ (મી – me) અને અન્ય માનવો (અધર્સ – others) સાથેના તેના સંબંધોના સંદર્ભમાં જોવા મળે છે. આમ હવે સ્વર્ગ, ઇશ્વર વગેરે બાબતો ખાસ ચર્ચાનો વિષય નથી રહી. પરંતુ ભારતમાં આ સ્થિતિ હજી નથી જન્મી.

હજી આપણું તત્ત્વજ્ઞાન અતિ માનવીય તત્ત્વ સાથે જોડાયેલું છે માટે તો આપણે ત્યાં બાપુઓ, કથાકારો, સંતો વગેરેનું મહત્ત્વ ચિંતકો કરતાં વધી જાય છે. દર્શકે સામાજિક-રાજકીય દર્શનને અતિ માનવીય તત્ત્વથી અલગ કરી દીધું છે. તેમનો સામાજિક દર્શન કે લોકશાહીની ચર્ચાઓમાં ક્યાં ય અતિ માનવીય તત્ત્વનો ઉલ્લેખ નથી કર્યો. આજે પણ ગુજરાતમાં જે લોકો સામાજિક ચિંતકો ગણાય છે તે કૃષ્ણ ભક્તિથી કે રામભક્તિથી પ્રેરાઈને લખે છે ત્યારે આજથી ૬પ-૭૦ વર્ષો પહેલાં માત્ર માનવ અને સમાજ વિશે, અતિ માનવીય ઉલ્લેખ વિના લખાવું તે એક સાહસ ગણાય. અહીં મને યાદ આવે છે શાહબુદ્દીન રાઠોડ, તેમનો ભત્રીજો પ્રેમમાં નિષ્ફળ જતા કાકાને પૂછે છે કે આ ધરા ધ્રૂજી કેમ નથી ઊઠતી? કાકા જવાબ આપે છે કે પૃથ્વી તો ભૂગોળમાં લખેલાં કારણો મુજબ ધ્રૂજે, તું પ્રેમમાં નિષ્ફળ જા તો ન ધ્રૂજે. બરાબર આવી જ રીતે સામાજિક જીવન લોકો થકી સંચાલિત થયા છે, અતિ માનવીય તત્ત્વથી નહીં. આથી સામાજિક દર્શનમાં માનવીના અન્ય માનવીઓ સાથેના સંબંધોની ચર્ચા જ આવે.

માનવના અસ્તિત્વના પ્રશ્નોની ચર્ચા દર્શક કેવો માનવી બનાવવો છે તેનાથી કરે છે. અહીં એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે દર્શકનો સમય એટલી ગાંધીયુગ. આ સમયે ગાંધીની અસરમાંથી કોઈ નહોતું બચી શક્યું. દર્શક પણ જે લખે છે તે ગાંધીની અસર નીચે આવીને કેવો માનવ અને કેવો સમાજ બનાવવો છે તે લખે છે. 'સત્યનારાયણની સાક્ષીએ’માં દર્શક જણાવે છે (પા. ૧૨૦) કે સમાજ દર્શનના પાયાનો પાયો સત્ય છે. અલબત્ત, આ સત્ય એટલે વૈજ્ઞાનિક પ્રયોગ પછી સાંપડેલ સત્ય નહીં, પરંતુ આત્માનું સત્ય. દર્શક આગળ જણાવે છે કે જો દરેક વ્યક્તિ સત્ય આચરે તો સમાજ જીવનમાંથી શોષણ ચાલ્યું જાય. વળી, જો સત્ય કેળવો તો અહિંસા આપોઆપ આવે. સત્ય અને અહિંસા એક જ સિક્કાની બે બાજુઓ છે. માનવીએ સત્યનો આગ્રહ રાખવાનો, પરંતુ અહિંસાની મર્યાદામાં રહીને, એટલે સાધ્ય તો શુદ્ધ હોય, પરંતુ સાધન પણ શુદ્ધ જ હોવું જોઈએ. આથી તો સત્યાગ્રહ અહિંસક જ હોય, એટલે સમાજ દર્શનની પહેલી વાત એ છે કે એવો માણસ બનાવવો છે જેને સત્ય અને અહિંસામાં શ્રદ્ધા હોય.

અહીં ધર્મની વાત આવે છે. દર્શક કહે છે કે જે ધર્મ મને આ જીવનમાં ખપ ન લાગે તે ધર્મ મારે જોઇતો નથી. (સ.સા.પા. ૧૦) આમ હોવાથી માનવ વાદ એ જ ખરો ધર્મ. દર્શકના માટે માનવી ધર્મમાં શ્રદ્ધાવાળો નહીં, પરંતુ સત્ય અને અહિંસામાં શ્રદ્ધાવાળો હોવો જોઈએ. જો આવો માણસ હશે તો તે અન્ય સાથે વધુ સારો સમાજ બનાવી શકાશે. આવા માનવીને ગાંધીનાં અગિયાર મહાવ્રતોમાં શ્રદ્ધા હશે. દર્શક કહે છે કે જો તમારે સત્ય અને અહિંસાનું પાલન કરવું હોય તો તમે સામાન્ય માનવ જેવા થાઓ. તમારે કોઇ ચાર ફેફસાં નથી. (જુઓ હિ‌ન્દ સ્વરાજના ડોક્ટર અને વકીલ પરનાં પ્રકરણો) અહીં વાત આવે છે માનવીના અન્ય માનવી સાથેના સંબંધોની. જો દરેક વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ વર્તે, અને વી.આઇ.પી. તરીકે નહીં, તો સમાજમાં સમરસતા સ્થપાય. માણસે અન્ય માણસો સાથે હરીફાઈ કે સંઘર્ષ કરીને નહીં પરંતુ બંધુભાવથી રહેવાનું છે. આ વાત ગાંધી ચિંતનને (તથા દર્શક ચિંતનને) મૂડીવાદ કે સામ્યવાદથી અલગ પડે છે.

મૂડીવાદ હરીફાઈમાં માને છે, જ્યારે સામ્યવાદ સંઘર્ષમાં માને છે. જો આવો બંધુભાવ કેળવાય તો વર્ગ-વર્ગ, શહેર-ગામ, આદિવાસી-ઉજળિયાત, સવર્ણ પછાત, સ્ત્રી-પુરુષ વગેરે અનેક ભેદભાવો નાબૂદ થાય. આવો સમાજ રચવા માટે વિદ્યાર્થી જીવનથી જ સત્યાગ્રહની તાલીમ આપવી પડે આવી કેળવણી લીધેલ વ્યક્તિ સાદું જીવન જીવશે અને વિકેન્દ્રિ‌ત ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં શ્રદ્ધા ધરાવતી હશે. આવી રીતે તાલીમ પામેલ વ્યક્તિ પોતાનું જીવન રચનાત્મક કામોમાં વિતાવશે, તેને ધનસત્તા અને રાજસત્તામાં અવિશ્વાસ હશે. આ સિદ્ધાંતો થકી જે સમાજ વ્યવસ્થા રચાશે તે વિશ્વ શાંતિ (ના યુદ્ધ), એકાદશ વ્રત, ગ્રામ સમાજ, નઈ તાલીમ, દારૂબંધી અને સદ્દગુણોના સામાજીકરણવાળી હશે.

દર્શક માત્ર અસ્તિત્વના સવાલોની ચર્ચા જ નથી કરતા, તેમને માનવીય મૂલ્યો ઉપર આધારિત સમાજ પણ રચવો છે. મૂડીવાદ અને સામ્યવાદ એમ બંને પ્રયોગોથી નાસીપાસ થયેલા માટે એક ત્રીજો વિકલ્પ અહીં ઉપલબ્ધ છે.  અલબત્ત, આ વિકલ્પ ઉપર વધુ વૈજ્ઞાનિક કામ કરવું બાકી છે. જેને દર્શકનાં સામાજિક દર્શનમાં રસ પડે તેમણે સત્યનારાયણની સાક્ષીએ, બે વિચારધારા, સોક્રેટિસ, શાંતિના પાયા, અમૃત્વલ્લી, રાજરંગ તથા શીલ અને સમાજ પુસ્તકો વાંચવાં.'

– 2 –

દર્શક માનવવાદના પાયા સાથે, બંધુભાવ કેળવી, સત્ય અને અહિંસામાં શ્રદ્ધા હોય તેવો માનવી હોય અને તેને માનવતાના ધર્મમાં શ્રદ્ધા હોય તેવી વાત કરે છે. જો માનવી આવો હોય તો દર્શકને કેવા સમાજની રચના કરવી છે તે સવાલ અગત્યનો બની રહે છે.

ગયા રવિવારે (15 જૂન 2014) દર્શકનાં દર્શનના પાયાઓ જોયા હતા. દર્શક માનવવાદના પાયા સાથે, બંધુભાવ કેળવી, સત્ય અને અહિંસામાં શ્રદ્ધા હોય તેવો માનવી હોય અને આવા માનવીને પરલોકના ધર્મમાં નહીં, પરંતુ માનવતાના ધર્મમાં શ્રદ્ધા હોય તેવી વાત કરે છે. જો માનવી આવો હોય તો દર્શકને કેવા સમાજની રચના કરવી છે તે સવાલ અગત્યનો બની રહે છે. અત્યારે આપણો સમાજ હરીફાઈ (સ્પર્ધા) પર આધારિત છે. દર્શક માનતા હતા કે સ્પર્ધા કે સંઘર્ષ પર નહીં પરંતુ બંધુભાવ એટલે કે સહકારના પાયા પર સમાજનું ઘડતર થવું જોઈએ, એટલે કે માનવ-માનવ વચ્ચેનો સંબંધ સહકાર પર આધારિત હોવો જોઈએ. જો માનવ સંબંધો સહકાર પર આધારિત હોય, તો તે એવો સહકારી અર્થકારણ પર આધારિત સમાજ હોઈ શકે જ્યાં કોઈ કોઈનું શોષણ ન કરે.

આવો સમાજ રચવા માટે લોકોને તાલીમ આપવી પડે અને આવા મૂલ્યોવાળો માનવી બનાવવો પડે. આ માટે (૧) સત્યાગ્રહ અને (૨) વિકેન્દ્રીકરણ અને સાદું જીવન એમ બે બાબતો માટેની તાલીમ આપવી પડે. સત્યાગ્રહની તાલીમ એટલે દર્શક જે સમાજને યોગ્ય માને છે તે સમાજનું સત્ય ધરતી પર ઉતારવાની તાલીમ. માનવી સત્ય બોલે, આચરે તથા અન્ય તંત્રો સત્ય પર આધારિત હોય તેવો આગ્રહ રાખે (અહીં સત્યને સામાજિક ન્યાય સાથે જોડવું પડે). જો અન્ય તંત્રો આવા સત્ય પર આધારિત ન હોય તો તેવાં તંત્રો સામે સત્યાગ્રહની લડત ઉપાડે અને આવી લડત અહિંસક હોય તથા તેમાં દ્વેષભાવને સ્થાન ન હોય. આવો આગ્રહ રાખનારો માનવ પોતે પણ આર્થિ‌ક વિકેન્દ્રીકરણમાં માનતો હોય અને સાદું જીવન જીવતો હોય. સાદું જીવન એટલે પોતાની જરૂરિયાત પોતે પૂરી કરી શકે તેવું જીવન જો આમ થાય તો કોઈ કોઈનો નોકર ન થાય. જો દરેક વ્યક્તિ પોતે પોતાનું કામ કરી શકે એટલું સાદું જીવન જીવતો હોય તો શોષણવિહીન સમાજરચના થાય.

આ ઉપરાંત અર્થકારણ વિકેન્દ્રિ‌ત હોવું જોઈએ, સામાન્ય રીતે એક સમુદાય પોતાની જરૂરિયાત પોતાની રીતે ઉત્પન્ન કરી લે તેવું હોય તો પણ મોટા ઉદ્યોગો ન થાય અને શોષણવિહીન સમાજ રચના થાય. આ બંને બાબતો રાજ્યસત્તા અને ધનસત્તા તરફ અવિશ્વાસ અને નાગરિક સમાજમાં શ્રદ્ધા દર્શાવે છે. (સ.સા. ૩૦) ધનસત્તા અને રાજ્યસત્તા બંને શોષણના ચરખા છે અને અન્ય તરફ આધિપત્ય જમાવવાની વાત કરે છે. આમ જોવા જોઈએ તો દર્શકનો ભાવિ સમાજ એટલે સર્વોદયી સમાજ. આવા સમાજમાં દરેક વ્યક્તિ પોતાનું કામ પોતે કરતો હશે અને વિકેન્દ્રિ‌ત અર્થકારણ હશે એટલે ભેદભાવ નહીં હોય. રંગભેદ, ઊંચ-નીચના ભેદ, કોમી ભેદભાવ, જ્ઞાતિ ભેદભાવો, વર્ગભેદ વગેરે નહીં હોય. વર્ગો હશે, તે તો કામ અલગ હોય એટલે હોય, પરંતુ વર્ગ ભેદભાવ નહીં હોય. દર્શક કહે છે કે આવા પરિવર્તન માટેનો શંખનાદ આપણે ફૂંકવાનો છે. (સ.સા. ૮૯).

આવી નવી સમાજરચનાની વિગતો શું હશે? કેટલીક વિગતો જોઈએ.

(૧) આવો સમાજ અહિંસક સમાજ હશે. તેમાં શસ્ત્ર અને ધિક્કારનો ત્યાગ કરવામાં આવશે. આથી વિશ્વશાંતિ શક્ય બનશે.

(૨) આ સમાજની વ્યક્તિ એકાદશ વ્રતમાં શ્રદ્ધા ધરાવતી હશે. એટલે કે સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સંગ્રહ ન કરવો), શરીર શ્રમ, આસ્વાદ (સાદું ભોજન), ભેદભાવ નાબૂદી, અભય, સ્વદેશી તથા સર્વધર્મ સમાનતા.

(૩) આવો સમાજ ગ્રામ સ્વરાજ હશે, એટલે કે ગામડું પોતાની જરૂરિયાતો જાતે ઉત્પન્ન કરી લેતું હશે તથા નિર્ણયો પણ ગામ લોકો લેતા હશે.

(૪) આવો સમાજ બનાવવા માટે આશ્રમી, સત્યાગ્રહી અને ઉદ્યોગ તાલીમ વાલી શિક્ષણ અપાશે.

(પ) આવા સમાજમાં દારૂબંધી હશે (સ.સા. ૩-૪૧) તથા

(૬) આવા સમાજમાં સદ્દગુણોનું સામાજિકકરણ થયું હશે. (સ.સા. પપ)

આ સદ્દગુણોનું સામાજિકકરણ એટલે શું તે વિગતે જોવા માટે ગાંધીજીનાં સાત સામાજિક પાપોની વાત કરવી પડે. ગાંધીજીએ આવાં પાપોની વાત કરી છે. શ્રમ વિનાની મૂડી એ પાપ છે. ચેતના વિનાનો આનંદ પાપ છે. ચારિત્ર્ય વિનાનું જ્ઞાન પણ સામાજિક પાપ છે. નીતિ વિનાનો ધંધો પાપ છે. માનવતા વિનાનું વિજ્ઞાન પણ સામાજિક પાપ છે. ત્યાગ વિનાનો ધર્મ એક સામાજિક પાપ છે તથા સિદ્ધાંત વિનાનું રાજકારણ પણ એક સામાજિક પાપ છે. દર્શક જેને સદ્દગુણોનું સામાજિકકરણ કહે છે તે માનવીય ગુણોને ધર્મ-પાપપુણ્યના વ્યક્તિગત દાયરામાંથી બહાર કાઢીને તેને નવો સામાજિક અર્થ આપે છે. સામાન્ય રીતે દાન-પુણ્ય કરીને લોકોનું શોષણ કરનાર, અન્યને ત્રાસ આપીને કથા બેસાડનાર પોતાને સારા માણસો માને છે, પરંતુ જે ગુણો સમાજ માટે નકામાં છે તે સદ્દગુણો નથી તેમ દર્શક સ્પષ્ટ કહે છે.

પ‌શ્ચિ‌મમાં મૂડીવાદ, સામ્યવાદ અને માનવવાદ એમ ત્રણ વિચારધારાઓ ઉત્પન્ન થઈ હતી. સામ્યવાદ લગભગ જવા આવ્યો. મૂડીવાદ અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે. ત્યારે માનવના માનવીય ગુણો પર આધારિત આ વિચારધારાનું ભારતમાં સર્વોદયના સ્વરૂપે અવતરણ થયું. દર્શક આ વિચારધારાના એક અગ્રણી વિચારક હતા. તેઓએ પોતાના વિચારોને વ્યવસ્થિત સ્વરૂપે રજૂ કરવાને બદલે વિવિધ પ્રવચનો રૂપે રજૂ કર્યા છે. કોઈ તે વિચારોનું સંકલન કરી તેને વ્યવસ્થિત સ્વરૂપ આપી શકે. એ ઉપરાંત આવો સમાજ લાવવા માટે નવી સંસ્થાઓ અને નવા કાયદાનું માળખું બનાવવું પડે. અત્યારે જે કાયદાઓ અને સંસ્થાઓ છે તે સ્પર્ધાત્મક સમાજ માટે અનુકૂળ છે. બંધુભાવ એટલે કે સહકાર પર આધારિત સમાજમાં ટ્રસ્ટીશિપ, સામૂહિ‌ક માલિકી, મધ્યસ્થી વગેરે. નોકર નાબૂદીવાળો વહીવટ વગેરે બનાવવા માટે ખૂબ કામ કરવાનું બાકી છે.'

e.mail : vidyutj@gmail.com

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 15 જૂન 2014 તથા 23 જૂન 2014

Loading

2 July 2014 admin
← ધારાવાહિક નવલકથાને ઊની આંચ નહિ આવે
એક છોકરી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved