Opinion Magazine
Number of visits: 9456541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાટણની પીડિતાને ન્યાય છતાં લડત હજીયે બહુ લાંબી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સોમાં વરસમાં પ્રવેશવામાં હતી અને પાટણ કૉલેજની બલાત્કૃતા છાત્રાના કેસમાં છ શિક્ષકોને જનમટીપ પડી : એક રીતે, ગુજરાત પૂરતી તો, મહિલા વરસના શતાબ્દી પર્વની આ એક નાંદી ઘટના જ લેખાશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક જ વરસના ટૂંકા ગાળામાં કેસ ચાલવો અને ચુકાદો આવી જવો, એ પણ ઇતિહાસસર્જક બિના છે. જોકે સરકાર અને ન્યાયતંત્ર બેઉએ પોતાની પ્રતિષ્ઠાથી વિપરીત ઝડપે કામ આપ્યું એનું રહસ્ય આ છાત્રાના હિમ્મતભેર બહાર આવવામાં અને ગુજરાતવ્યાપી ઉદ્રેકને વાચા આપવામાં અમદાવાદમાં નાગરિક ફોરમે ('અવાજ' અને 'મહિલા સાંસ્કૃતિક સંઘ'ના મુખ્ય બળ ઉપર) ઉપાડેલ ઝુંબેશઝંડામાં તેમજ કાનૂની મોરચે 'નવસર્જન'ની સક્રિયતામાં રહેલું છે. જો કે પહેલો યશ તો આપણે એ છાત્રાને જ આપીશું જેણે બદનામી અને બદહાલીના ડર વગર કાનૂની લડત આપવાનો નિર્ધાર કરી જાણ્યો. સમાજમાં આસુરી બળોના જંગલમાં એની આ બહાદુરી મેઘાણીની ચારણ કન્યા કરતાં મુદ્દલ ઓછી નહોતી અને નથી. ખેતમજૂરી પર નભતાં માવતરની આ દીકરી, સહેલાઈથી ઊંચે માર્કે પાસ થઈ શિક્ષિકા બનવાના રાજમાર્ગને વળગી રહી શકી હોત; પણ એણે નવી ભોં ભાંગી, અને જેઓ સામાજિક શીલને સારુ લડવા ઇચ્છતાં હશે પણ બહાર નહીં આવી શકતાં હોય એમનો ભો પણ ભાંગ્યો.

હમણાં રાજીપો વ્યક્ત કર્યો, આ ચુકાદાને શતાબ્દી વર્ષની નાંદી ઘટના કહીને; પણ નારાજીપો તેમજ ફરિયાદ અને ફિકરનાં કારણો ઓછાં નથી. જે નફટાઈ-નકટાઈથી પેટભૂખ્યા વકીલોએ સામૂહિક બળાત્કારના છયે આરોપીઓ વાસ્તે છેલવેલ્લી ક્ષણોમાં રહેમ માગી, શું કહીશું એમની એ દલીલો વિશે. એમણે કહ્યું કે અમારા અસીલો કંઈ 'રીઢા ગુનેગારો'  ('હેબિચ્યુઅલ ક્રિમિનલ્સ') નથી બચારા કાચાકુંવારા! સપ્ટેમ્બર ૨૦૦૭થી જાન્યુઆરી ૨૦૦૮ સુધી સળંગ ચાલેલો સિલસિલો જેમને નામે નોંધાયેલો છે (જોકે ચોપડે બરાબર નહીં ચડેલી આ 'પ્રવૃત્તિ' નોંધાયેલા મહિનાઓ જેટલાં જ વરસો જૂની છે) એમને રીઢા નહીં લેખાવવાની આ ચેષ્ટા વિશે શું કહેવું, સિવાય કે કાળા ડગલાં તે કાળા ડગલાં.

વસમું અને વરવું તો, એમ તો, આ છ શૂરા ભાઈલોગના પત્નીલોકની પ્રતિક્રિયાઓથી પણ લાગ્યું. એક આરોપીની પત્નીએ કહ્યું કે અદાલતે 'બે છોકરાના બાપ' કરતાં અઢાર વરસની છોકરડી ઉપર વધુ ભાર મૂક્યો! નરવો સૂર અલબત્ત પબ્લિક પ્રોસીક્યુટર નયના ભટ્ટનો (ચુકાદો આવી ગયો ત્યાં સુધી રાજ્ય સરકારે જેને ફદિયું પણ આપ્યું નથી, એમનો) હતો કે આ શિક્ષકોએ છાત્રાઓ સાથેના સંબંધનું પાવિત્ર્ય જાળવ્યું નથી અને પોતાનાં કુટુંબનોયે દ્રોહ કર્યો છે. પબ્લિક પ્રોસીક્યુટરની આ ટિપ્પણી, ચુકાદા સબબ તત્ક્ષણ પ્રતિક્રિયાઓ વચ્ચે સુવર્ણરેખ શી દીસે-દીપે છે.

સરકારે, છાત્રાની માગણીથી અને લોકમતના દબાણથી નીમેલાં પબ્લિક પ્રોસીક્યુટર નયના ભટ્ટની સેવાઓ બદલ પાઈ પણ નહીં પરખાવ્યાનો જે ઉલ્લેખ કર્યો એ તો સરકારની એકંદર કારકિર્દી અને કામગીરીના સંદર્ભમાં એક દશાંશમું ટોચકુંયે હોય તો હોય. સરકારમાં ગાંધીનગરથી માંડીને પાટણ સુધીના સ્તરે વિરાજેલાઓ પૈકી કોઈક તબક્કે આંખ આડા કાનની તો કોઈક તબક્કે મેળાપીપણાની વિગતો પાર વિનાની છે. અહીં નમૂના દાખલ એક બે નિર્દેશો જ બસ થઈ પડશે. વરસોનાં વરસો પાટણ કાંડ જારી રહી શક્યો એ લક્ષમાં લઈને રાષ્ટ્રીય મહિલા પંચે આનંદીબહેન પટેલને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની (બરતરફ કરવાની) ભલામણ કર્યાને હવે વરસ થવામાં છે. હાલ અન્ય ખાતાનો હવાલો સંભાળી રહેલાં આનંદીબહેન ગઈ સરકારમાં શિક્ષણ મંત્રી હતાં તેમજ શિક્ષણ ખાતાની જવાબદારી એમણે તેઓ પાટણથી ધારાસભામાં બેસતાં થયાં તે અગાઉથી સંભાળેલી હતી. પહેલવહેલી વાર પાટણનો આ બળાત્કારી સિલસિલો એમના ધ્યાન ઉપર જાન્યુઆરી ૨૦૦૦માં લાવવામાં આવ્યો હતો. એમણે તે પછી બધો વખત પોતાના ખાતાને આ મુદ્દે સુષુપ્ત રાખવાની સક્રિયતા દાખવી છે. છેક ૨૦૦૮ના ફેબ્રુઆરીમાં આ બધું બહાર આવ્યું જ્યારે આનંદીબહેન પાસે શિક્ષણ ખાતું નહોતું.

પણ તેથી કૈં મંત્રીમંડળની સંયુક્ત જવાબદારી તો મટી જતી નથી. ૨૦૦૮ના ફેબ્રુઆરીમાં જ્યારે વિગતો બહાર આવવા લાગી ત્યારે મંત્રીમંડળે પોતાની 'સંયુક્ત જવાબદારી' કેવી તો બખૂબી નિભાવી હશે એનો અંદાજે અહેસાસ પાટણ પીટીસી કૉલેજ વાલી મંડળના પ્રમુખ ધેમરભાઈ ચૌધરીએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ ૨૧-૪-૨૦૦૮ નાખેલી ધા ઉપરથી આવે છે. આ કેસ સંબંધે રજૂઆત કરવા માટે સતલાસણાની શાળામાંથી (જ્યાં તેઓ શિક્ષક છે) ગેરહાજર રહેવું પડે ત્યારે આચાર્યની મૌખિક પરવાનગી મેળવ્યા છતાં શાળા સંચાલકોએ એમને 'રાજકીય દબાણ'થી નોટિસ આપ્યાનું એમનું કહેવું હતું અને છે. એમણે પંચને આપેલી વિગત મુજબ "આ બનાવને લઈને અમે ગાંધીનગર ખાતે તા. ૨૬-૨-૨૦૦૮ના રોજ મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા. અહીં પોલીસે અમને ગેરકાયદેસર અટકાવ્યા હતા. રાજ્ય સરકારના મંત્રીઓ રમણભાઈ વોરા તેમજ અમિતભાઈ શાહ, શંકરભાઈ ચૌધરી (ધારાસભ્ય) તેમજ ઋષિકેશ પટેલ અને કે.સી.પટેલ સહિત ભાજપના આગેવાનોએ અમોને આ મુદ્દો બંધ કરી દેવા જણાવેલ છે અને આવેદનપત્ર આપવાની પણ ના પાડેલ છે. શિક્ષણમંત્રી અને અમિતભાઈએ મને એકલાને બોલાવીને એ પણ કહેલ છે કે જો તમો આમાં રસ લો છો તો તમારી નોકરી ઉપર પણ ગંભીર અસર પડશે."

રાષ્ટ્રીય મહિલા આયોગની ભલામણ અને માનવ અધિકાર પંચ સમક્ષની ધા, આ બેના ઉજાસમાં ગુજરાત સરકારની છબિ કેવીક નીખરે છે! આ સરકારમાં કલંકિત મંત્રી માત્ર માયા કોડનાની એક જ નથી, આનંદીબહેન પટેલ પણ છે. કાનૂની ચુકાદાએ તો એનું કામ કર્યું, પણ રાજ્ય સરકારે પોતે રાજકીય નીતિમત્તાનાં બુનિયાદી ધારાધોરણો મુજબ વરતવાનું હજુ બાકી છે.

દરમ્યાન, મહિલા દિવસના શતાબ્દી પર્વે આ નાંદી ઘટના બદલ આનંદ વ્યક્ત કરવા સાથે કેવળ શાસકીય અગ્રવર્ગ સામે જ નહીં પણ નાગરિક સમાજના એક અગત્યના હિસ્સા સામેય ફરિયાદની લાગણી પુન: પુન: દર્જ કરવી રહે છે. આ હિસ્સો તે અલબત્ત અધ્યાપક સમુદાયનો છે. 'અભિદૃષ્ટિ' માસિકની હિલચાલ કે બે પાંચ સંવેદનશીલ અધ્યાપકોની વેદના-પ્રકોપ-લાગણી બાદ કરતાં આખાં ને આખાં અધ્યાપક યુનિયનો મહાભારતના સભા પર્વમાં ભીષ્મ ને દ્રોણની પંગતમાં (દુ:શાસનની તરફેણમાં?) મૌન જેવા માલૂમ પડે ત્યારે શું કહેવું, કોને કહેવું.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved