Opinion Magazine
Number of visits: 9484925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુસ્વારનું ચિહ્ન : વિચરતા વિચારો

સુમન શાહ|Opinion - Literature|5 June 2013

અંગ્રેજી ભાષાના લેખનમાં અનુસ્વારનું ચિહ્ન નથી. આપણી ભાષામાં એનું ચોક્કસ સ્થાન છે. આ અને આ પહેલાંનાં બન્ને મળીને ત્રણ વાક્યોમાં મેં ૯ વખત અનુસ્વારનું ચિહ્ન વાપર્યું છે.

ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ– “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.

વાત એમ છે કે આપણને ગુજરાતીઓને “ઝીણું” જીરું, “ટુકડી” ઘઉં, કે “પૉણિયા” ચોખા — જેવા ભેદ પાડવામાં મહેનત નથી પડતી, પણ હ્રસ્વ અને દીર્ઘ “ઇ” કે “ઉ” લખવામાં જોર પડે છે ! તે તે ભેદ મુજબના તે તેના ભાવતાલને વળગી રહેવામાં લહેર પડે છે, પણ હ્રસ્વ-દીર્ઘ સાચવવામાં આપણી પ્રજાને કંટાળો આવે છે ! આવી સુસ્ત અને મતલબી મનોદશાને કારણે નિયત જોડણી કરવા તેમ જ લખવા-બોલવા બાબતે આપણે સૌ સ્વૈરવિહારી છીએ. એને અંગેની એકવાક્યતાના અભાવમાં આપણું ભાષા-ગાડું જેમનું તેમનું ગબડે છે. એમાં, આ અનુસ્વારની તો ભારે દુર્દશા છે. એ બાપડાની જાણે કશી વિસાત જ નથી ! સર્વસાધારણ મનોવલણ એવું જોવા મળે છે કે અનુસ્વાર હોય તો ય શું ને ન હોય તો ય શું ! આમે ય દેખાવમાં એ બચારું નાનું છે !

જુઓ, જ્યાં જરૂર ન હોય ત્યાં અનુસ્વાર હોય : “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજું જતાં હતાં.” આ વાક્યમાં “બાજુ” પર અનુસ્વારનું હોવું બિનજરૂરી છે. તો વળી, જ્યાં જરૂર હોય ત્યાં એ ન હોય : “ટાવર બાજુ જતા હતા” — એમ જોવા મળે ! એમાં, “જતા” અને “હતા” બન્ને પર અનુસ્વારનું હોવું જરૂરી છે. આ અનાચાર, લેખનમાં જોવા મળે છે તેમ બોલવામાં પણ જોવા મળે છે. કેટલાક શિક્ષકો તેમ જ સારા સારા સાહિત્યકારો પણ આમાંથી બાકાત નથી ! સારસ્વતો જ બેફામ હોય, પછી પ્રજાને શું કહેવાનું !

ટૂંકમાં, “મમ મમ”થી કામ છે ! એ કાજે વ્યાકરણી વ્યવસ્થાનો અનાદર કરવામાં આપણને કશી નાનમ નથી !

આપણા વ્યાકરણમાં, સામાન્યપણે, નર અને નારી જાતિની ભેગી વાત કરવાની હોય તો યથાસ્થાને અનુસ્વારો આવે છે. નર, નારી અને નાન્યતરની ભેગી વાત કરવાની હોય તો પણ તેમ કરાય છે. “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજુ જતાં હતાં” — એ આખું વાક્ય આ બન્ને વાતનું સમર્થક છે. શિષ્ટમાન્ય વ્યવહારો વખતે દરેકે આ વ્યવસ્થાને વળગી રહેવું જોઇએ. સીધી વાત છે ! પરન્તુ, થોડું જુદું કહું : આપણી ભાષામાં, કુંભાર-કુંભારણ, બામણ-બામણી, મોચી-મોચણ, દરજી-દરજણ, વાણિયા-વાણિયણ, જેવી જાતિ-સૂચક વ્યાકરણી વ્યવસ્થા સ્થિર થયેલી છે. પણ એનો અર્થ એ નથી કે તમે કુંભારણબાઈને “કુંભાર” કે વાણિયણબાઈને “વાણિયા” કહીને સમ્બોધો તો ન ચાલે, ને તેને ખોટું લાગે ! ખોટું તો ત્યારે લાગશે, જ્યારે તમે એમાં કશો દુર્ભાવ દબાવીને બોલતાં હશો. કેમ કે, દુર્ભાવનો સ્વભાવ છે કે પોતાના હોવાપણાની તરત ચાડી ખાય !

ત્યારે, ગયા અઠવાડિયાની એ સાહિત્યસભામાં, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” શીર્ષકમાં અનુસ્વારના મુદ્દા અંગે મારા મનમાં થોડા જુદા વિચારો વિચરતા થયેલા. પણ અન્ય ચર્ચાઓમાં સભાની નિયત સમય-મર્યાદા સાવ નજીક આવી ગયેલી, એટલે મેં મૌનને ગમતું કરેલું. પણ અહીં એને વાચા આપું છું :

એમ કે, એક અર્થમાં “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” પ્રયોગ ખોટો નહીં લાગે. એમ કે,  “કેટલાક” પર અનુસ્વાર નથી તે બરાબર છે. એટલા માટે કે, સાહિત્યસર્જન કે કશું પણ સર્જન જે વ્યક્તિ કરે એને સર્જક કહેવાય, ભલેને એ સ્ત્રીએ કર્યું હોય કે પુરુષે કર્યું હોય કે પછી બાળકે. એ સૌ સર્જકો છે. એ ન્યાયે એ ગ્રન્થમાં બધા સર્જકો છે. (ખરેખર તો, સમીક્ષા અને ચર્ચાથી સભા એવા સૂર અને સારની દિશામાં વધારે સફાઈથી વિકસી શકી હોત — કે એ અમેરિકાવાસીઓમાં કાચા-પાકા આછા-ઓછા અને ખરા કે ખરેખરા સર્જકો કોને ગણી શકાય એમ છે અને કોના કોનાથી ગુજરાતી સાહિત્ય આછુંપાતળું પણ રળિયાત થઈ શકે એમ છે. ગ્રન્થકાર એ સારને સ્વ સૂરે સુદૃઢ પણ કરી શકયા હોત.) આપણા જમાનામાં “ઍક્ટ્રેસ”ને પણ હવે “ઍક્ટર” કહેવાય છે. જુલિયા રૉબર્ટને લોકો “ઍક્ટર” કહેવાનું પસંદ કરે કે અનુષ્કા શર્મા પોતાને “ઍક્ટર’ કહે એમાં કશું ખોટું નથી. હવે કોઈ “પોએટેસ” નથી બોલતું.  તમે “કવયિત્રી”, “લેખિકા” કે “સ્ત્રી-લેખિકા” કહો તે ન ગમે, કેમ કે ન ચાલે. નારીવાદીઓ તો ન જ ચલાવી લે ! આ બહેન “પોએટ” છે —  “રાઇટર” છે —  “કવિ” છે —  “વાર્તાકાર” છે —  એમ કહીએ તો મને તો વધારે સારું લાગે છે. જો કે આમ તો એમને “બહેન” પણ નહીં કહેવાય !

તે છતાં, ટૂંકમાં, સ્ત્રી-પુરુષ કે નર-નારી ભેદને ઉલ્લંઘીને વિકસેલી આ નવતાનું આપણે સ્વાગત કરવું જોઇએ. એની સામે આંખમીંચામણાં કરવાથી સંભવ છે કે આપણે જીવનની ગતિશીલતાનો અનાદર કરી બેસીએ.

જોવા જઇએ તો આપણે એવા અનુ-આધુનિક કાળમાંથી ગુજરી રહ્યાં છીએ, જેમાં બધાં મૂલ્યો, બધી શાસ્ત્રસમ્મત વાતો, આગ્રહો, નિયમો કે આચાર-વિચાર પ્રશ્નાર્થ હેઠળ આવી ગયાં છે. એ પ્રશ્નાર્થોને ઉકેલવામાં મોડા પડીશું તો વિમાસણો વધશે … કશાં સુખદ સમાધાનો જડશે નહીં …

(૨૭ મે ૨૦૧૩)

e.mail : suman.g.shah@gmail.com

Loading

5 June 2013 admin
← લૅટ્સ ઝૂઉઉઉઉઉઉઉમ
Srinivasan’s Resignation: What’s Wrong With We Indians? →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved