Opinion Magazine
Number of visits: 9449101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડાપ્રધાનની વરમાળા કોને પહેરાવાશે ?

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|27 April 2013

૨૦૧૪માં ભારતમાં થનારી સામાન્ય ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. સક્ષમ રાજ્ય કર્તા પક્ષ પોતાની નીતિની લોકોને નિષ્પક્ષ જાણ કરે, જેથી મત આપનાર પ્રજા, સમય આવ્યેથી, યોગ્ય પસંદગીના ઉમેદવારોને ચૂંટી શકે, એ માટે આ સમય બધા ઉમેદવાર પક્ષો પાસે છે. તેને બદલે કોંગ્રેસને હરાવીને વિકલ્પે બી.જે.પી. રાજ્યધૂરા સંભાળવા તૈયારીઓ કરે છે. સ્વાભાવિક છે. એમને ય મહત્ત્વાકાંક્ષા હોય જ ને ? રાજ્ય અને કેન્દ્ર સરકારના ધારસભ્યો તેમ જ લોક સભાના ઉમેદવારો બાંય ચડાવીને યુદ્ધ ખેલવા તૈયારી કરે છે, ત્યાં ‘ભારતના ભાવિ વડાપ્રધાન કોણ ?’ એ ઘોડો પણ મેદાનમાં આવ્યો છે.

બી.જે.પી.ના સભ્યો સ્વયંવરમાં હાજરી આપવા આવે, તે પહેલાં પાર્ટીના નેતા અને ચૂંટાઈ આવે, તો ભવિષ્યના વડાપ્રધાન તરીકે કોને કોને મુરતિયા તરીકે ઊભા રાખવા તેની વિધિ ચાલી રહી છે. કોઈ અંગત મનોકામનાઓ પૂરી કરવા પોતાની જાતને ‘હું ઉત્તમ ઉમેદવાર છું’ કહીને આગળ આવે છે, તો કોઈને બાપ-દાદાની વંશ પરંપરાગત સત્તા ટકાવી રાખવાના સોગંદ આપીને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે, કોઈની લાયકાતને પારખીને તટસ્થ રીતે ધીરેથી મધ્યમાં મૂકવામાં આવ્યા છે તો કોઈને જ્ઞાતિ કે જાતિના આધારે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આમ શ્રીમાન રાહુલ ગાંધી, ચિદમ્બરમજી, મુલાયમસિંહજી, નીતીશ કુમાર, માયાવતી, મમતા બેનર્જી અને સહુથી વધુ ચકચાર જગાવનાર મહામના નરેન્દ્ર મોદીનાં નામ શક્ય ઉમેદવારોની યાદીમાં આવન-જાવન કરી રહ્યાં છે. છે હજુ બીજું કોઈ આ કાંટાળો તાજ પહેરવા તૈયાર ?

ભારતની કુલ ૧૨૦ કરોડ જનતામાંથી, ૨૦ કરોડ લોકોની પ્રાથમિક ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો ઉપર ઉલ્લેખ કર્યો છે, તે બધાં ઉમેદવારો સંતોષી શકવાને શક્તિમાન છે. એટલે એમનામાંથી કોઈ પણ વડાપ્રધાન બને તો ચાલે, આપણને શો ફેર પડે ? વાત રહી બાકીના ૧૦૦ કરોડ લોકોની ભલાઈ કરવા કોણ કટિબદ્ધ બનશે એ વિચારવાની છે. જો કે દેશના વડા બનવા માટે બધા નાગરિકોનું હિત જાળવવું જરૂરી છે ? પોતાનું અને પોતાના લગતા વળગતાનું ભલું થાય એટલે ભયો ભયો !

કર્ણાટકના સંગીતજ્ઞ ટી.એમ.કૃષ્ણ ભારતના વડાપ્રધાન પદે બેસવા ઇચ્છનાર ઉમેદવાર પાસે કેવી લાયકાતની અપેક્ષા રાખે છે, તે તેમના એક લેખમાં સ્પષ્ટ થાય છે. આપણે આમ જનતાને પૂછીએ તો કહેશે, એક અચ્છો માણસ હોય, જે વ્યવહારુ હોય, જેને પ્રગતિ અને પરિવર્તનની વ્યાખ્યાની જાણ હોય અને જે પ્રજાને સાચી દિશામાં દોરે એવા નેતાને પસંદ કરવા જોઇએ. નેતાગીરી ઉપરાંત વિચારશીલ હોવું, દરેક ધર્મ, જ્ઞાતિના લોકો, સરહદના લોકો અને સ્ત્રીઓ વગેરે તમામ લઘુમતી કોમ માટે અનુકંપા ધરાવવી અને નિ:સ્વાર્થી હોવું આવા અતિ મહત્ત્વના પદને શોભાવવા માટે અત્યંત જરૂરી છે. સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનાર વડો પોતે ભ્રષ્ટાચારમાં ન રગદોળાય પણ ભ્રષ્ટાચાર થતો રોકે, સત્યને પડખે ઊભો રહે, માત્ર ઉદ્દઘાટનો કે ભાષાણો  કરવાને બદલે પ્રમાણિકપણે લીધેલા નિર્ણયોને વળગી રહી, તેનાં પરિણામોની જવાબદારી સ્વીકારે તેને વરમાળા પહેરાવી શકાય.

છેલ્લા એક બે વડાપ્રધાનોએ જગતની ‘ત્રીજી આર્થિક મહાસત્તા’ થવાના અભરખામાં સ્વતંત્રતા પછી હરિયાળી ક્રાંતિ સમયની ખેત પેદાશને ચોથા ભાગની કરી નાખી, જેથી કરીને ખળામાં ઠલવાતા પાકને સૂપડામાં સમાવી દીધો. તો બી.જે.પી.ના સભ્યો જે સંભવિત ઉમેદવાર ખેતરોને કારખાનાઓમાં ફેરવી નાખે, સ્થાપિત કરતાં વિસ્થાપિત જાતિઓની સંખ્યામાં વધારો કરે તેને પોતાની પાર્ટીનો વડો એટલે કે ભાવિ વડાપ્રધાન તરીકે પસંદ કરશે ?

પાર્ટીના વડા બનવા માટે લાંચ-રુશ્વત વિરોધી વલણ ધરાવવાની જરૂરિયાત વિષે તો વાત કરશો જ માં. આ પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કે કાર્યાનુભવમાં એ મુદ્દાનો લગીરે ઉલ્લેખ નથી. દેશ ભરમાં નિષ્ઠાવાન નાગરિકો પેદા કરે, ન્યાયી કાયદાઓ અને નિયમો ઘડે તેવી પાર્લામેન્ટની આગેવાની કરે એટલું જ નહીં પણ તેનું ચુસ્તપણે પાલન કરે, એવું વહીવટી તંત્ર ચલાવી શકે તેવો જ ઉમેદવાર વડોપ્રધાન બની શકે એવી શરત બંધારણમાં નથી, તો પછી ભઈલા શું કામ માથું કૂટો છો ?

મારા ગુજરાતી બંધુઓ અને ભગિનીઓ, જરા આ બાજુ આવો, એક વાત કહું. બ્રિટનનાં રાણીને આજીવિકા માટે પાંચ મીલિયન પાઉન્ડ એટલેકે ૪૫.૩૦ કરોડ રૂપિયાનો વધારો અપાશે. એ જ દેશના એક માત્ર મહિલા વડાપ્રધાન માર્ગરેટ થાચેરની અંતિમક્રિયા પાછળ સરકારે (કર ભરનાર પ્રજાના હિસાબે અને જોખમેસ્તો) દસેક મીલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો, તો પછી બિચારા નરેન્દ્ર મોદીનો શો વાંક ? એ પણ કાંઈ કમ નથી. એ ગુજરાતના નાથ છે; એટલે પ્રજાની ઇચ્છાની અગાઉથી અટકળ કરીને ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે પંચ તારક હોટેલને શરમાવે તેવું અદ્યતન ‘સ્વર્ણિમ સંકુલ ૧’ બનાવે તેમાં શું ખોટું છે ? એક મુખ્ય મંત્રી અને સાત મંત્રીઓ માટે દરેકને આધુનિક  સાધનોથી સજ્જ રસોડું, પેન્ટ્રી અને ૬૫૦ ટનનો ભારે એરકન્ડીશન પ્લાન્ટ નંખાવ્યો છે. હા….શ હવે તેઓ ખેડૂતો, નાના ઉદ્યોગો ચલાવનારાઓ અને સામાન્ય પ્રજાજનોને વીજળી ઓછી કેમ મળે છે એ પ્રશ્ન પર ધ્યાન આપી શકશે. જો કે તેમનું કહેવું એમ પણ હોઈ શકે કે વીજળી તો પુષ્કળ પેદા થાય છે, જેનામાં તાકાત હોય તે તેને નાથી શકે, અમારો જ દાખલો લો ને. પુરુષાર્થ કરવો પડે. સરકાર પાસે કચ્છ અને સૌરાષ્ટ્રની પાણીની જરૂરિયાતો પૂરી પાડવાના પૈસા નથી, પણ તેને માટે મોદી સરકારને કેમ જવાબદાર ઠરાવાય ?

તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરું. બોસ્ટનમાં બોમ્બ ફૂટ્યો તે વેળા જો બરાક ઓબામા અને તેના સાવધ તંત્ર ચલાવનારાઓએ ગુનેગારોને પકડીને સજા કરવાને બદલે પોલિસ અને વહીવટી તંત્રે આંખ આડા કાન કર્યા હોત, અને પરિસ્થિતિને વકરવા દીધી હોત, તો ભારત અને ગુજરાતના લોકોએ તેની ટીકા કરી હોત ખરું ને ? તો ૨૦૦૨નાં રમખાણો પછી નરેન્દ્ર મોદીની ટીકા કેમ ન થઈ ? નરેન્દ્ર મોદી જેવા રાજકારણમાં પડેલાને બીજા દેશના લોકો મુખ્ય મંત્રી કે વડાપ્રધાન તરીકે ચૂંટે ખરા ? તો ગુજરાત અને ભારત શા માટે તેને તાજ પહેરાવે ? અમેરિકા સહિત પશ્ચિમના દેશો, નરેન્દ્ર મોદીની નીતિની ખુલ્લે આમ ટીકા કરે છે, પણ ગુજરાત ઘણું સહિષ્ણુ છે. આપણે ત્યાં નીતિવાન, નિષ્ઠાવાન નેતાઓનો દુકાળ છે ?

કોણ કહે છે કે રાજાશાહી ખત્મ થઈ ગઈ છે ? મોગલો સામે બાથ ભીડે એવું કોઈક તો જોઇએ ને ? ‘तेन त्यक्तेन भुंजीथा’  શ્લોકનો મોદી સરકારે એવો અર્થ ઘટાવ્યો : ‘પ્રજાજનની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવાની ફરજને ત્યાગીને, પોતાના એશ આરામનો ભોગ વધારવો.’ ધન્ય છે આ માનવ(?)ને. વિકાસ અને માનવ અધિકારને સામસામે પલ્લે મૂકનાર કદી દેશની ધૂરા સાંભળી ન શકે. જેના રાજ્યમાં ન્યાયતંત્ર પણ ધર્મ, નાત-જાતના પાયા પર ભેદભાવ વર્તાનાર સત્તાધીશના પલડામાં બેસે, તેવા મુખ્ય પ્રધાન સમગ્ર દેશની સુરક્ષાની ખાતરી કેમ કરીને આપે? 

જો કોઈ પણ સંજોગમાં બી.જે.પી.ના સભ્યોને કમત સુજે અને નરેન્દ્ર મોદીને પાર્ટીના નેતા તરીકે ચૂંટવાનું અવિચારી પગલું ભરે, તો ગુજરાતની વિચારશીલ પ્રજાએ તેનો સક્રિય વિરોધ કરી, સમસ્ત ભારતના નાગરિકોનો સાથ લઈ, એ નિર્ણય પાછો ન લેવામાં આવે ત્યાં સુધી જંપ વાળી બેસવાનું નથી.

મારી સહુને શુભેચ્છાઓ.

e.mail : 71abuch@gmail.com

Loading

27 April 2013 admin
← ઉપેન્દ્ર ગોરનો વૃત્તવૈવિધ્ય વિચારકોણ
પૂર્વ આફ્રિકાના રંગભેદની નાબૂદીના ઇતિહાસનું એક પ્રકરણ … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved