Opinion Magazine
Number of visits: 9484303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉપેન્દ્ર ગોરનો વૃત્તવૈવિધ્ય વિચારકોણ

પ્રવીણ પટેલ ‘શશી’|Diaspora - Reviews|26 April 2013

“Without inspiration, we’re all like a box of matches that will never be lit.” 


                                                                                                ― David Archuleta

દરેક પોતાના વિચારોનો વ્યસની છે. સમયાનુકૂળ અગર તે પોતાની વિચારસરણી ફેરવે તો ઘણું બધું પરિવર્તન લાવી શકે. ઉપેન્દ્રભાઈ ગોર એક એવી વ્યક્તિ, જેમની જીવનયાત્રા ભારતમાં આરંભ થઈ, પૂર્વ આફ્રિકા પહોંચી અને વિલાયતમાં આવી અટકી. પણ, તે અટકે એવો માણસ નથી, કારણ કે વિચાર આડે એણે વયને આવવા દીધી નથી. શેરડીના સાંઠાની જેમ તેમના વિચારો રસવંતા અને કસસભર રહ્યા છે. એમની લેખિની, તે મારો તેમની સાથેનો પ્રથમ ઔપચારિક પરિચય. પત્રવ્યવહાર થકી અમારો વિચારવિનિમય થતો રહ્યો, સાથે એકબીજાનાં પુસ્તકોનું આદાનપ્રદાન પણ થતું રહ્યું.  પ્રત્યક્ષ તો અમે એક જ વખત મળ્યા, પરંતુ પરોક્ષપણે મેં એકદૂજાનો સાથસહકાર સદા મહેસૂસ કર્યો છે.

‘જળભર્યા કિનારે’, ‘લલાટના લેખ’, ‘નૈવેદ્ય’, અને ‘આનંદછોળ’, એમ તેમનાં ચાર પુસ્તકો મેં અગાઉ વાંચેલાં છે. ભાષા પ્રાસાદિકતા, અનુભવ આકલન, વિષય વિવિધા અને ચિત્તાકર્ષક રજૂઆત તો ખરી જ, પરંતુ કલમ કસબ એવો કે જાણે કિશન મુગટનું ફરફરતું મોરપિચ્છ. તાજેતરમાં તેમના તરફથી મને ‘ભાવ વંદના’ પુસ્તિકા, ‘માતૃત્વની જ્યોત’ નવલિકાસંગ્રહ અને ‘વાલમ સમાજ’ સંશોધન ગ્રંથ મળ્યા. જ્યાં પ્રારંભ ત્યાં જઈ ખુદને મળવું, આ તે ઉપેન્દ્રભાઈનાં નવાં ત્રણ પુસ્તકોની ફલકવસ્તુ. વડીલ મિત્ર તરફથી મને પ્રેમનું નજરાણું મળ્યું, મારા માટે તો આ ગમતાનો ગુલાલ. 

‘ભાવ વંદના’ : કૃષ્ણનાથ છોટાલાલ ગોર જમાનાથી આગળ હતા. સંતાનોના ઉત્કર્ષ માટે તેઓ સદા જાગરૂક પણ રહ્યા. પિતા અને દીકરાના સાનિધ્યનો સુસમાસ મને ‘ભાવ વંદના’માં કળાયો. વડ તેવા ટેટા, જેવા પિતા તેવા બેટા. પિતાજીની સ્વરચિત કૃતિઓની ઉપેન્દ્રભાઈએ પુસ્તિકા બનાવી, તેને હું એમનું સ્મરણ અર્ઘ્ય માનું. ઊર્મિભાવ અને મેળમાત્રાની રીતે સઘળી રચનાઓ, કેટલીક તો વળી છંદોબદ્ધ, મને નોંધપાત્ર વર્તાઈ. પુસ્તિકા  બેશક સરસ અને સુરેખ બની છે.

‘વાલમ સમાજ’ : ફળફૂલનું મૂળ ગોતવું હોય તો ધરતીના પડળો તળે ગોતખોજ કરવી પડે. સંશોધન પણ આવું જ એક ગળણીકાર્ય; જે ખંત, શોધ, તપાસ, સમય, અને અભ્યાસ માંગી લે. કોમ, જાતિ કે સમાજનો ક્યાસ કાઢવો હોય તો ભૂગોળ, ઇતિહાસ, સ્થળાંતર, રીતરસમ, જીવનવ્યવહાર અને આવાં બીજાં અનેકાવિધ પરિબળોને ઉથામવા પડે. ડુંગર ખોદી ઉંદર કાઢવા જેવું આ કામ. ખાંખાખોળા કરી, બલકે વાલમ સમાજનું સુપેરે DNA કરી, ઉપેન્દ્રભાઈએ ક્રમિક દસ્તાવેજીકરણ તુલ્ય ‘વીસમી સદી : વાલમ સમાજ’ ગ્રંથ આપણને આપ્યો. અનુસ્નાતક સંશોધકો માટે આ એક ઉત્તમ સંદર્ભ પુસ્તક બની શકે.

‘માતૃત્વની જ્યોત’ : સંગ્રહમાં કુલ પંદર વાર્તાઓ છે. વાર્તાની ફ્લૅશબૅક ટેકનિક ખાસ ધ્યાન ખેંચે. વાર્તાવસ્તુમાં વિદેશમાં દેશ અને દેશમાં પરદેશનું વાગોળણ સાંપડે. જૂના પ્રસંગોની યાદો અને સ્મરણો થકી જો કે વર્તમાન નિખારને પુષ્ટિ અને વેગ મળ્યો છે. વાર્તાઓમાં પ્રાધાન્યે વરિષ્ઠોનાં પાત્રો ને પ્રસંગો છે. પ્રત્યેક વાર્તા માટે મેં જે નોંધ બનાવી તે અત્રે રજ્ કરી છે.

જીવણજી અને આનંદજીના જીવનઅંતરંગના બે તુલનાત્મક પાસાં, ફલશ્રુતિ શી ? પોતાનું ઘર અને ઘરનાં ખાટલામાં ચેન, આ જ તો ‘ધરતીનો છેડો’.

લોહી, લાગણી, વેદના, સંવેદના અને કશ્મકશ; મહાભારતની કુંતીની ભાવિ બાબતે એક ચિંતા, અને તે જ તો આવતી કાલનો સૂરજ’. અંતના ઝળાંઝળાંના આશાવાદને કારણે વાર્તા અધૂરી વર્તાય છે.

કમભાગ્યે પદ્માના સાસુસસરા જાત્રામાં અકસ્માતમાં મરી ગયા, કમભાગ્યે દીકરા રશ્મિએ ઘર તજી દીધું, કમભાગ્યે રશ્મિ ડ્રગના ધંધામાં પડ્યો અને કોઈએ તેનું કાસળ કાઢી નાખ્યું, કમભાગ્યે પતિ હૃદયકંપનો ભોગ બન્યા, કમભાગ્યે પદ્માને ઘરડાઘરમાં રહેવાનો વખત આવ્યો, કમભાગ્યનો ઘટનાક્રમ વાર્તાના શિર્ષક ‘હું જ છું એવી’ને સાર્થક કરવા જ કદાચ ગોઠવાયો હોય !

ચંદન ચર્ચવું, તે એ ઘસ્યા પછી જ શક્ય. મનોમંથન પશ્ચાત્ રાગ-વિરાગ પાર તારાબહેનનાં મનને જે શાંતિશકૂન મળ્યું, તે એમનું ‘ચંદનપાત્ર’.

શાંત સરોવરમાં કાંકરો પડે તો વમળ થાય ને પાણી સપાટી પાછી પછી સ્થિર થઈ જાય. આવું કંઇક ગ્રેહામ-લીન્ડાના સુખી દાંપત્યમાં થયું, ઘાત ગઈ, અને બધું પાછું યથાવત્ થઈ ગયું; યથાવતતા પાછળનું કારણ તે એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ, અને આજ તો એમનો ‘હૃદયવૈભવ’.  પ્રેમભાવનાં બે  સ્વરૂપો, સ્વસેવા અને જનસેવા, આ વણાટે વાર્તામાં બુટ્ટા શુ કામ કર્યું.

પારુલ અને વત્સલનાં મધુમાસી પ્રથમ પડાવે સંવનન, અંકૂરરોપણ ને પતિનું અકસ્માતી નિધન; ઘટનાસંયોજનમાં સિંધૂર વગરની માતાની વિટંબણા પછી એક વિમાસણ બને છે. પતિ, એક ‘આધાર’ હતો, તે રહ્યો નહીં. બાળક પૂરવ, તે હવે પછીનો પારુલનો જીવનઆધાર હતો. ‘આધાર’માં ધાર શો વિચ્છેદ છે; તો, અર્ધ, આધા જીવન, જેવો સમાસ છે; ધારણા જેવું પણ ક્યાંક ખરું !

કાગળ અને પેન્સિલની ચોરી કરી, કોઈએ ના જોઈ, પણ ઉપરવાળો તો જોતો જ હોય ને ? ભૂલ અને તેનો પશ્ચાતાપ, વ્યથાને આત્મનિવેદન રૂપે અહીં વાચા અપાઈ છે. ખોટું કર્યાનો અહેસાસ, ભૂલની હૃદયપૂર્વક માફી, ‘પસ્તાવો .. પાવન ઝરણું’ જ ને ?  

બોસ પ્રત્યેની કસમયની અને પપ્પા પ્રત્યેની સમયસરની ફરજ, વાર્તાનુ છેલ્લું વાક્ય વાંચતા એમ કહેવાનું મન થાય કે સમય બડો બળવાન. ‘ફરજ’, ટૂંકીટચ, પણ TOUCH કરે તેવી સ્પર્શક્ષમ વાર્તા.

પોતે સાચા અને બીજા ખોટા, મમત અને ચસક, પરિણામ શું આવે ? ઊંચાં મન, તે ‘અહમ્’નું કારણ, આ ઓગળે પછી હળવાશ. અહીં તડજોડનો વિચાર છે, પણ વાર્તા નથી. ‘ભૂખ’ ક્યાં છોડે છે કોઈને ? સમર્થન માટે અહીં પ્રસંગ છે, વાર્તાવાઘો પરાણે પહેરાવ્યો તેવું સહેજે ય કળાય.

વાર્તાવસ્તુની રીતે ‘ફરજ’ અને ‘પંગુ લંઘયતે’માં ઝાઝો ફેર નથી. યોગાનુયોગ, બે વાહન અડફટ, ‘પંગુ લંઘયતે’, ને પછી અવળું સીધું, ઈશ્વર સદૈવ સારું જ કરે, એવું થોડું બને ?

સીમા અને સાગર, પ્રેમ અને લગ્ન, મમત અને અહમ, વિચ્છેદ અને વિયોગ, બાળ સૌમ્યનું મા પાસેથી ગૂમ થવું, અને તાકડે પિતાનું તેને મળવું, સીધી ગતિની ‘પુનર્મિલન’ એક સાદી વાર્તા છે.

બે દીકરા, વિશાલ ને વૈભવ, અને બન્ને વિલાયતમાં. તેમને અને તેમના પરિવારને મળવા મગન માસ્તર અને સંતોકબા દેશમાંથી છેક વિલાયત લાંબાં થયાં, અને બાય બાય ચારણી જેવો ડોળડામી અનુભવ પામી દેશ પાછાં ફર્યાં. જાતને તારી લેતાં શીખવા મળ્યું, તે પદાર્થપાઠ એમની ‘જાત્રા’. વાર્તામાં વિલાયતના અલિપ્ય જીવનદોરનું એક સુરેખ વાસ્તવિક ચિત્ર ઉપસ્યું છે. ક્વિનાઇન ગોળી જેવી ઉપાલંભી વાર્તા, તે ‘દાક્તરી વ્યવસાય અને વિડંબણા’.

દ્યુતિ એટલે ચમક, આટલો ખૂલાસો આવશ્યક; બાકી માતૃત્વ તો સ્વયંભૂ જ છે. વેદના અને સંવેદનાની મૂર્ત મૂર્તિ તે માતા. ‘માતૃત્વની દ્યુતિ’માં હર પલ આ અહેસાસ થતો રહે છે. કેન્સરના દર્દીને તો કષ્ટ છે જ, સાથે આપ્તજનો પણ એટલું જ દર્દ અનુભવે છે. ના કહેવાય, ના સહેવાય, જાણ્યાં છતાં અજાણ્યાં, આ પરિસ્થિતિ પાર નીકળવા માટે પણ જિગર જોઈએ. તરૂ અને અંજનાબહેન, દીકરી અને માતા, સબંધ નજાકતતાનું અહીં સ-રસ નિરૂપણ થયું છે.

વાર્તા થવી અને વાર્તા બનાવવીમાં થોડો ફેર છે; એક સ્વયંસ્ફૂિર્ત કળાય તો બીજીમાં મારી મચડીને તે બનાવવાનો પ્રયત્ન થાય. ઉપેન્દ્રભાઈની વાર્તાનું સ્વરૂપ અનુભવ આકલનનું છે. જેવું દર્પણમાં જોયું, તેવું એમણે બતાવ્યું. સમાજની અનેકાવિધ છબિઓ મને તેમની વાર્તાઓમાં સાંપડી. ત્રણ પેઢી, ત્રણ દિશા, તડફડ અને મેળઝોલ, સંધાણ અને અનુસંધાણ; આ મધ્યે વર્તમાનનું નિરૂપણ કરવાનો ઉપેન્દ્રભાઈનો પ્રયત્ન હું સ્તુત્ય ગણું. ઝાકમઝાળનું લપસણું નહીં પણ સમજદારીનું દર્શન, તે વાર્તાઓનું જમા પાસું. લેખિનીમાં વિવેક ને શિસ્ત, અને શબ્દોમાં વયની પરિપક્વતા, નોંધપાત્ર બને. વાર્તાનાં અંત ચમત્કારિક નથી, પરંતુ સુખસમાધિ જેવું અચૂક વર્તાય.

‘લવારી’, ‘ટાંટિયા’, ‘લોહીઉકાળા’ અને એવા બીજા લુપ્ત થતા શબ્દો; કે સરકતો સમય, વયનાં વળાંકો, વિકરાળ વાસ્તવિકતા, અંતરની અકળામણ, જેવા શબ્દયુગ્મો ભાષાવૈભવને ચાર ચાંદ લગાવે છે. મને કેટલાંક વાક્યો પણ ઘણાં ગમ્યાં;  આ તે (૧) અંગ અને આંગણું સાચવવું, સ્ત્રીની આસપાસ તો સંસાર રચાતો હોય છે, (૨) એ  માટી જ મારી મા છે, (૩) સમયનાં પોલાણો મધ્યે સંજોગવશાત થયેલી પીડાઓ, (૪) આંખના અણસારે, અંતરની ઓળખ પામ્યાં, (૫) ઘર હોય ત્યાં ઘોંઘાટ જ હોય, (૬) સંસારમાં સરકીને ક્યાં સંતાવાનું ? (૭) મરતો ગયો, અને જીવેતે મારતો ગયો, વગેરે વગેરે.

પુસ્તક પ્રકાશનો માટે ઉપેન્દ્રભાઈને મારા દિલી અભિનંદન. એમની કલમે નવુંનવું મળતું રહે, તેવું જો કે હું અવશ્ય ઇચ્છું.

એપ્રિલ ર૫, ૨૦૧૩.

e.mail : pcpatelxshashi@aol.com

Loading

26 April 2013 admin
← ઈંટની દીવાલ રક્ષક કે ભક્ષક ?
સમતા સંઘર્ષમાં ઈંચ-બ-ઈંચ આગે ! →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved