Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ભારત’ એટલે શું એ તો કોઈ કહો !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|12 January 2013

સામી સંક્રાન્તિએ : મનમોહન-અડવાણીને બદલે રાહુલ, નીતિશ, નમોની ચર્ચા માત્ર રાજકીય વયસંક્રાન્તિ બદ્ધ નથી.

ગુજરાતના બૌદ્ધિકો અને કર્મશીલો સમક્ષ આ દિવસોમાં બીજી અનેક વાતો વચ્ચે બે વિચાર મુદ્દા અનાયાસ એક સાથે આવ્યાં : ઇતિહાસકાર રોમિલા થાપરે સોમનાથ સંદર્ભે (ગઝનીના આક્રમણ સબબ) વ્યકત કરેલા ઠીક ઠીક અકાટ્ય વિગતસ્ત્રોતો અને વિચારો, એમની અરૂઢ સ્થાપનાઓની આરૂઢ રજૂઆતને કારણે ઊહાપોહભેર હવામાં હતા અને છે. અહીં એ વ્યાખ્યાનની વિગતોમાં જવાનો ખયાલ નથી. 

જે બીજો મુદ્દો હજુ શુક્રવારે જ અસમિયા અભ્યાસીઓ તેમ જ ગુજરાતમાંથી આસામની મુલાકાતે જઈ આવેલા મિત્રો સાથેની દિવસભરની ગોષ્ઠિ‌માંથી ઉભરી રહ્યો એ પણ એક અર્થમાં રોમિલા થાપરની સ્થાપનાની સાથે જનારો છે. એક ઇતિહાસકાર તરીકે રોમિલા થાપરનું માર્મિ‌ક અવલોકન એ છે કે સોમનાથ પરના ગઝનીના આક્રમણને કોઈ મુસ્લિમ મુલતાનની મસ્જિદ વિ. હિંદુ એવી સ્થાયી ભાવનાના સીમિત સંદર્ભમાં ખતવી શકાય એમ નથી. સોમનાથ પહોંચતા પૂર્વે ગઝનીએ મુલાતનની મસ્જિદ પણ તોડી હતી. તે જમાનાના બાદશાહો અને રાજાઓ લગભગ સહજ વ્યાયામની પેઠે આવું કરતા રહેતા.

ગઝનીના લશ્કરમાં હિંદુઓનું મોટી સંખ્યામાં હોવું પણ સૂચવે છે કે આ આક્રમણનું સ્વરૂપ કોઈ સામસામી રાષ્ટ્રીય સંરચનાઓનું નહોતું. રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદના જે ખયાલો ૧૯મી સદી ઊતરતે હતા તે આઠસો વરસ પાછળ પરબારાં લાગુ કરવા તે કંઈ નહીં તો પણ કાલવ્યુત્ક્રમ (એનેક્રોનિઝમ) તો છે જે. બૌદ્ધિક શિસ્ત અને આબાદ અભિવ્યકિતના વિરલ દૃષ્ટાંતરૂપ આ વ્યાખ્યાનને ખાસી સરલીકૃત ઢબે અહીં રજૂ કરવાનો આશય માત્ર એટલી એક પાયાની સમજ ઘૂંટવાનો છે કે હિંદુ-મુસ્લિમ એવી શ્વેતશ્યામ સમજ વીસમી સદીમાં કોઈક તબક્કે એકમાત્ર વાસ્તવની જેમ સામે આવી હોય તો પણ ઇિતહાસની વિગતો આવી સાંકડી સમજની મોહતાજ નથી. અડવાણી 'જય સોમનાથ’નો ઉલ્લેખ હુલાવીફૂલાવીને કરતા રહ્યાં છે, પણ નવલકથાકાર મુનશીએ સુદ્ધાં પોતે કોઈ ઇતિહાસ નથી લખી રહ્યાં અને વિગતો આમ જ નથી, એ સ્પષ્ટ કરેલું છે.

દેશના ઇતિહાસને હિંદુ અને મુસ્લિમ એવા અપૂરતા ને અધકચરા ખાનામાં મૂકીને જોવાનું સાંસ્થાનિક વલણ આપણા ભૂતકાળને સમ્યક્ પરિપ્રેક્ષ્યમાં જોવામાં ગોથું ખવડાવતું રહ્યું છે અને રાષ્ટ્રવાદ તેમ જ રાષ્ટ્ર-રાજ્યની યુરોપીય અવધારણાથી ગ્રસ્ત રાજકારણ (જેને અડવાણીએ 'સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’નું નામ આપ્યું છે) આપણા વર્તમાનને સારુ પણ વિષાક્તપણે વિભાજક-વિઘાતક અનુભવાતું રહ્યું છે. જોવાનું એ છે કે સંસ્થાનવાદ અને યુરોપની ભેટ સમાન આ સંકુચિત અભિગમને ભારતની ભવ્ય ઇતિહાસધારા તરીકે વર્ણવવામાં આવે છે.

આસામ સંબંધે જે વિગતો સ્થાનિક અભ્યાસ અને સ્થળ મુલાકાતના ઉજાસમાં બહાર આવે છે એ એક સ્વતંત્ર લેખનો (ખરું જોતાં લેખમાળાનો) વિષય છે. પણ આપણી હાલની ચર્ચા પૂરતું એટલું જ નોંધવું બસ થશે કે બોડોલેન્ડ ચળવળે આખા ઘટનાક્રમને આપેલું પરિમાણ લક્ષમાં આવે ત્યારે સમજાય છે કે 'બાંગલાદેશી’ને નામે ઉછાળાતો કોઈ હિંદુ-મુસ્લિમ એવો શ્વેતશ્યામ સવાલ આ નથી.

બોડો સમર્થનથી ચાલતી કૉંગ્રેસ સરકાર અને મુસ્લિમદ્વેષની રાજનીતિમાંથી બળ મેળવતો ભાજપ, બેઉનાં ખંડદર્શન વાસ્તવમાં 'ભારત’ના પ્રજાજીવનના પોતાના તાણાવાણાને તિતરબિતર કરે છે.વસ્તુત : મોદી ઘટના અને એવી બીજી ઘટનાઓ વિશે આ પાયાની સમજને ધોરણે વિચારીએ ત્યારે સામે આવતો બુનિયાદી સવાલ કોઈ એક હોય તો તે એ છે કે 'ભારત’ કહેતાં તમને અને મને શું સમજાય છે. એ ભાષાભૂષાસંસ્કૃિત વગેરેની રીતે કોઈ ભારતીય મુલક છે કે પછી રાષ્ટ્રવાદના બુલડોઝર થકી એને કોઈ બીબાઢાળ ઘટનામાં ફેરવી નાખવાનો છે?

આ જે 'આઈડિયા ઓફ ઈન્ડિયા’ અગર તો ભારત નામે હ્દ્ય અપીલકારી ખયાલ, એની વિશેષતા માત્ર 'સૌના ભારત’ તરીકે બહુવિધ (પ્લુરલ) ઓળખમાં જ નથી. વસ્તુત: મનમોહન-નીતિશ-નમો એ સૌના, રિપીટ, સૌના એલપીજી કહેતાં લિબરલાઈઝેશન-પ્રાઇવેટાઝેશન-ગ્લોબલાઈઝેશન માળખામાં શ્વસી રહેલા ભારત વર્ષે જણ જણના સ્વરાજ લેખે પોતાની ઓળખ વિકસાવવાની દૃષ્ટિએ હજુ ઘણું બધું કરવાનું રહે છે.

મનમોહન, નીતિશ અને નમો વચ્ચે કેટલીક બાબતોમાં ગુણાત્મક અંતર અવશ્ય છે, અને કોઈ પ્રકારના અતિસરલીકરણના માર્યા એ ત્રણે સહિ‌ત સૌ સત્તારૂઢ સીઈઓને બધો વખત એક લાકડીએ હાંકવાપણું અલબત્ત ન જ હોય. પણ જો ભારત એ કોઇ વર્ગવિશેષ, સંપ્રદાયવિશેષમાં બદ્ધ ઘટના ન હોય તો હાલની એલપીજી તરાહ અને તાસીરમાં જે એક નવો મધ્યમવર્ગ દ્રુતગતિએ ઉભરી રહ્યો છે. (નમોએ વિજયસભામાં જેનો ખાસ મહિ‌મા કર્યો હતો) એને વશ વર્તતી, માથે ચડાવતી, અછો અછો વાનાં કરતી એટલે કે બાકી બહુજન પરત્વે ઠંડી ઉપેક્ષા સેવતી ઘટના પણ ન હોઈ શકે.

કદાચ, જરી ઉતાવળે પણ અચૂક એટલે કે અચૂક કરવા જેવો મુદ્દો સામી (અને ચાલુ) સંક્રાન્તિએ એ છે કે આ નવ્ય મધ્યમવર્ગી સમુદાયનું ભારતીય અને માનવીય હોવાપણું વિશાળ-વિરાટ મૂક ભારતની તે કેવીક બાલાશ જાણે છે એના પરથી નક્કી થશે. મનમોહન-અડવાણી આદિને સ્થાને રાહુલ-નમો-નીતિશ જેવા નામો લેવાય છે તે માત્ર 'જનરેશન નેકસ્ટ’ એટલી વયસંક્રાન્તિની જ વાત નથી. જણે જણના સ્વરાજના અર્થમાં 'આઈડિયા ઓફ ઈન્ડિયા’ને ચરિતાર્થ કરવાની સમજ અને શહૂર એમનામાં છે કે નહીં એ પાયાનો પ્રશ્ર છે. આ હશે તો ઓવેસીથી માંડી તોગડિયા અને બીજાઓ સાથે કામ પાડવાની રીતે એમનામાં કૌવત અને કૌશલ બંને પ્રગટી રહેશે.

વિશ્વ હિંદુ પરિષદના સત્તાવાર આકલન પ્રમાણે મોદીની ફતેહ જો હિંદુ ફતેહ હોય તો આ કસોટીએ તેઓ ક્યાં ઊભા છે એ સાફ છે. પણ, જ્યાં સુધી વિકાસના વેશનો સવાલ છે, એ બિલકુલ બેમતલબ છે, સિવાય કે નવ્ય મધ્યમવર્ગને એ બહુજનની ચિંતામાં વાળી જાણે. આ માટે અલબત્ત સંકુચિત ઇતિહાસદૃષ્ટિથી ઊંચે ઊઠવું પડે, સોમનાથની સાખે.

(સદ્દભાવ : "દિવ્ય ભાસ્કર", 12.01.2013)

Loading

12 January 2013 admin
← નિરખને ગગનમાં
‘Sisters and Brothers of America’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved