Opinion Magazine
Number of visits: 9451242
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દૂર હટો, અય સત્તાદલાલો!

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

વિકાસના વંચિતો અને સમૃદ્ધિના સીમાન્તોને પ્રતીક્ષા પ્રજાસૂય પડકારની

આમ પણ મને તો કૈં અડવાણીની પેઠે વાંકું પાડવા જેવું લાગતું નથી કે પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાન બાબત કશું બોલવું પસંદ કેમ ન કીધું. એમાં રવિવારે વહેલી સવારના હેવાલોમાં હું જોઉ છું કે પાક અખબાર ‘ડોન’ સાથેની વાતચીતમાં અમેરિકી વિદેશ ખાતાના દક્ષિણ એશિયાઈ બાબતોના નવનિયુકત સહાયક મંત્રીએ સાફ કહ્યું છે કે મુંબઈના શંકાસ્પદો સામે પ્રતીતિકર પાક કારવાઈ વગર તેમજ પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદ નથી પ્રયોજાતો એવી પાકી ખાતરી વગર ભારત-પાક મંત્રણા કેવી રીતે પાટે ચડી શકે. મતલબ, બીજા શબ્દોમાં ભારત-પાક શાંતિ વાટાઘાટ વિષયક મનમોહનસિંહના વિવાદાસ્પદ લેખાયેલા નિવેદન છતાં પાકિસ્તાન પર વિશ્વમતનું ચોક્કસ દબાણ જારી છે. મનમોહનસિંહે, એક મત પ્રમાણે વાટાઘાટનાં દ્વાર ખુલ્લાં રાખતે છતે ભારતના સાફ વલણ વિશે પાકિસ્તાનને પૂરતું સતર્ક કરેલ છે.

પણ આ ક્ષણે મારો મુદ્દો રાજનયિક આટાપાટાનો નથી. વડાપ્રધાને લાલ કિલ્લાના કંઈક રસમી ભાષણમાં પાકિસ્તાનની ટીકાનો રાબેતો ન પાળ્યો એમાં એક આશાકિરણ હું એ જોઉ છું કે આપણી વિદેશનીતિ અને એકંદર રાષ્ટ્રચિંતન એક હદથી વધુ પાકિસ્તાનકેન્દ્રી ન રહે તે ઇષ્ટ છે. કોઈ પણ રાષ્ટ્ર-રાજય પોતાની સીમાસુરક્ષા વિશે સાવધ અને સુસજજ રહે જ. ભારતે પણ એમાં અપવાદ હોવાનું કારણ નથી. પાકિસ્તાનમાં આપણી ગુપ્તચર સેવાના સંપર્કો નહીં હોય એમ માનવું નર્યું ભોળપણ અથવા ‘શત્રુ’ને મુકાબલે આપણી પોતાની પોતે કલ્પેલી અરછી છબિનું તત્ત્વ જ લેખાશે.

મુદ્દે વિવાદાસ્પદ લેખાયેલા અને ભાજપ જ નહીં પણ કોંગ્રેસના કેમ્પમાં સુઘ્ધાં મિશ્ર પ્રત્યાઘાતો જગવતા નિવેદન પરની ચર્ચા દરમિયાન ગહમાં મનમોહનસિંહે પાકિસ્તાન સાથે કારગિલ ઘટના છતાં વાજપેયીએ લંબાવેલ મૈત્રી-હાથનો સાદર ઉલ્લેખ કરીને જે વ્યાપક વલણનો અહેસાસ આપ્યો હતો એના વિના ભારત-પાક ઉપખંડ સમેત દક્ષિણ એશિયા સમસ્તનું ઠેકાણું પડવાનું નથી.

હકીકતે, વ્યાપક પરિપ્રેક્ષ્ય અને શુચિર્દક્ષ શાસકીય ભૂમિકા, બેઉના સમન્વયપૂર્વક આપણા વિશ્વદર્શને કેવળ અને કેવળ પાકિસ્તાનમૂલકતાથી હટવાપણું છે, કેમ કે ઘરઆંગણે પાયાના પ્રશ્નો પરત્વે અગ્રતાવિવેક ચૂકવાનું પરવડે તેમ નથી. વસ્તુત: કાચોપાકો પણ જે જનાદેશ મે-૨૦૦૯માં લોકસભાની ચૂંટણી વાટે વ્યકત થયો છે તેમાં આતંકવાદ અને આંતરિક સલામતીને મુખ્ય મુદ્દો બનાવીને ખેલાતી વિભાજક-વિઘાતક રાજનીતિને સ્થાને રાષ્ટ્રનિર્માણની રાજનીતિના એકંદર સંદર્ભમાં આખી વાતને જોવામૂકવાનું વલણ રહેલું છે. ચાલુ અઠવાડિયે ભાજપની ચિંતનબેઠકમાં આ ધોરણે પોતાના વિશ્વદર્શનને સમુંનમું કરવાની જરૂરત પડઘાશે કે કેમ તે આપણે અલબત્ત જાણતા નથી. બને કે એ માટે હજુ એને ઘટતી કળ નયે વળી હોય.

દરમિયાન જયાં સુધી લાલ કિલ્લા સંબોધનનો સવાલ છે, જોવાનું એ રહે છે કે એમાં પાકિસ્તાનનો ઉલ્લેખ નહીં કરતાં મુખ્ય મુદ્દો શો ઉપસાવાયો છે. કદાચ વૈશ્વિક મંદી વચ્ચે ટકી જવાના આશાવાદ અને પગલાં ઉપરાંત કોઈ એક કેન્દ્રસ્થ વાત હોય તો તે સહભાગી અગર સર્વસમાવેશી વિકાસ (ઇન્કલુઝિવ ગ્રોથ)ની છે. હકીકતમાં સંયુકત પ્રગતિશીલ ગઠબંધનની પહેલી મુદતની જે બે મહદ્ ઉપલબ્ધિઓ રહી છે, રોજગાર ગેરન્ટી અને માહિતી અધિકાર, એમાં અભિપ્રેત અને અભિમત વાનું પણ સમાવેશી વિકાસનું છે, એમ માનવામાં હરકત નથી.

પરંતુ, આટલું કહ્યા કબૂલ્યા અને નોંઘ્યા પછી જરીક ‘રૂક જાવ’ની રીતે સમગ્ર વિમર્શને જોવોતપાસવો રહે છે. લાલ કિલ્લા સંબોધનમાં રોજગાર ગેરન્ટી યોજનાના પ્રયોગને સફળતાનું પ્રમાણપત્ર અપાયું છે, અને શકયતા તો એ છે કે આ દિવસોમાં જ રાજીવ ગાંધીના જન્મદિવસનો તાકડો સાધીને એના વ્યાપક અમલની જાહેરાત પણ કરવામાં આવે. થોડાં વરસ પર સોનિયા ગાંધીના વડપણ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સલાહકાર પરિષદના દબાણથી, ખાસ તો અરુણા રોય અને જીન ડ્રેરેઝની ભારપૂર્વકની પહેલથી, રોજગાર ગેરન્ટી યોજના અમલમાં આવી હતી એ જાણીતું છે. હવે તો આ પરિષદ પૂર્વવત્ કાર્યરત નથી, પણ અરુણા રોય અને જીન ડ્રેરેઝનું આકલન છે કે રોજગાર ગેરન્ટી યોજનાનો અમલ સાર્વત્રિક બને તે પૂર્વે કેટલીક સુસ્તી અને દુરસ્તી જરૂરી છે. મનમોહનસિંહ અને સાથીઓ આ બાબતે કેટલા જાગ્રત છે એ આપણે જાણતા નથી. જોકે જે એક વાનું બેલાશક સમજાય છે તે એ કે કયારેક રાષ્ટ્રીય સલાહકાર પરિષદ સાથે સંકળાયેલા કર્મશીલોનું કંઈક ઊપજયું હોય તો એ સારી વાત છે, પરંતુ નાગરિક ઉધુકિતનું જેવું ને જેટલું સમર્થન- બલકે, સેન્ક્શન જોઈએ તે અરુણા રોય અને સાથીઓ કને નથી. સરકારની ખબર લેતા અને રાખતા નાગરિક સમાજનું હાલ ટાંચું પડેલ છે, કેમ કે જાગ્રતપ્રાણ અને સક્રિય લોકશકિત નથી. કોંગ્રેસના શતાબ્દી અધિવેશનમાં રાજીવ ગાંધીના યાદગાર એકરાર મુજબ સત્તાદલાલોની રાજનીતિ જેમની તેમ જારી છે.

આ લખું છું ત્યારે સાંભરે છે કે મહારાષ્ટ્રમાં ઓગસ્ટના આ દિવસોમાં અણ્ણા હજારે એમની લોકહિતૈષી માગણીઓના સ્વીકાર માટે ઉપવાસ પર જવાના હતા તે રાજયના મુખ્યમંત્રીએ આપેલ આશ્વાસન પછી તાત્પૂરતું મુલતવી રહ્યું છે. રાલેગણ સિદ્ધિ ખ્યાત અણ્ણા હજારેની પ્રતિભા જોતાં સરકાર કોઈક રીતે મુદત ખરીદે તે સમજાય એવું પણ છે. પણ પ્રજાપરક પ્રગતિશીલ અભિગમની ધીંગી પરંપરા ધરાવતા સાને ગુરુજી સ્થાપિત મરાઠી સાપ્તાહિક ‘સાધના’એ હજારેનું સમર્થન કરતે છતે કરેલી ટિપ્પણી ઘ્યાનાર્હ છે. ‘સાધના’ એ તંત્રીસ્થાનેથી કહ્યું છે કે શાસકીય દશા અને દિશા લક્ષમાં લઈએ તેમજ રાજકીય સંકલ્પશકિતના લગભગ અભાવની વાસ્તવિકતા જોઈએ તો સમજાશે કે અણ્ણા હજારે સરખાની હાજરી આશ્વસ્તકારી છતાં કેટલી અપૂરતી છે. બલકે, ‘સાધના’ કારના શબ્દોમાં, બાબા આઢવ, મેધા પાટકર અને અણ્ણા હજારેસ એકત્ર આવે તોપણ પૂરતાં પડે તેમ નથી. વાસ્તવમાં, સંપ્રદાયવાદ અને બજારવાદથી ઉફરા વલણના પ્રગતિશીલ રાજકારણીઓ, અણ્ણા હજારે વગેરે સંઘર્ષ-અને-કતિ-શીલ પ્રજાપુરુષો તેમજ છાત્ર યુવા શકિત ગઠિત અને ઉદ્યુકત થાય તો કંઈક વાત ખચિત બને.

અધિકાર- પછી તે રોજગારનો હોય કે માહિતી અગર શિક્ષણનો- જયાં સુધી જનસંઘર્ષ રૂપી રામનું પદાર્પણ ન થાય એ શલ્યાની પેઠે સૂતો રહે છે. સંઘર્ષ અને રચનાની રાજનીતિમાં સ્તો એ કૌવત અને સંજીવની સ્પર્શ છે કે સૂતી શલ્યા અહલ્યા બની આળસ મરડતી ઊઠી છે. જયારે પણ પાકિસ્તાનકેન્દ્રી કે લઘુમતીવિરોધી વિશ્વદર્શન અને રાજનીતિથી ઊંચે ઊઠવાની જિકર કરવાનું બને છે, નજર સામે ઊઠતું ને ઊભરતું ચિત્ર કોઈ એક હોય તો ઓગસ્ટ- ૨૦૦૯માં બારણે ટકોરા દઈ રહેલ, વિકાસના વંચિતો અને સમૃદ્ધિના સીમાન્તોની બાલાશ જાણતા પ્રજાસૂય પડકારનું છે…બાકી ઇતિહાસને રાજસૂય યજ્ઞોની કયાં નવાઈ છે?

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved