Opinion Magazine
Number of visits: 9447906
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Garibi Aadhaarit Anaamat : Vaartaa re Vaartaa

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|8 September 2015

ગરીબી આધારિત અનામત : વાર્તા રે વાર્તા

દલીલ ખાતર વિચારી જોઈએ કે જ્ઞાતિઆધારિત અનામતને બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?

અનામત વિશેની ચર્ચામાં છેલ્લા ત્રણેક દાયકાથી ઊભરતો એક મુદ્દો આર્થિક સ્થિતિ આધારિત – ગરીબી આધારિત અનામતનો છે. જ્ઞાતિવાદના વ્યાપથી અજાણ અથવા આંખ આડા કાન કરનારા લોકોને જ્ઞાતિ તથા જ્ઞાતિઆધારિત અનામત અપ્રસ્તુત લાગે છે. આ પ્રકારની અનામત સામે મુખ્ય બે પ્રકારના વાંધા પાડવામાં આવે છે : ૧) દલિતો-પછાતોમાં રહેલો સમૃદ્ધ વર્ગ અનામતનો લાભ લઈ જાય છે. એટલે ખરેખર જરૂરતમંદોને અનામતનો લાભ મળતો નથી. આર્થિક સ્થિતિ આધારિત અનામત કરી નાખવામાં આવે, તો જેમને સૌથી વધુ જરૂર છે એવા ગરીબોને તેનો લાભ મળી શકે. ૨) ગરીબી તો બિનદલિતો – બિનપછાતોમાં પણ છે. તો એમને અનામતનો લાભ શા માટે નહીં? જ્ઞાતિઆધારિત અનામતને કારણે ઉલટા જ્ઞાતિના ભેદભાવ કાયમી બને છે – વેરઝેર વધે છે.

વિશ્વમાં બીજે ક્યાં ય ન હોય એવી વિશિષ્ટ અને પેચીદી જ્ઞાતિપ્રથા ભારતમાં છે. ઊંચ-નીચની અસમાનતા વિશ્વભરમાં છે, પરંતુ ભેદભાવ – અસમાનતાની આટલી ઝીણવટભરી વ્યવસ્થા, તેનો ધર્મમાંથી મેળવી શકાતો આધાર અને થોડા લોકો તળે દબાયેલી બહુમતી — એવી ગોઠવણનો જોટો જડવો મુશ્કેલ છે. થોડા હજાર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી શક્યા, એ ‘સિદ્ધિ’નો અંગ્રેજોને આપણે વધુ પડતો જશ આપી દઈએ છીએ. તેમના આગમનનાં સેંકડો વર્ષ પહેલાં ભારતની ઉજળિયાત કહેવાતી મુઠ્ઠીભર જ્ઞાતિઓ લાખો ‘શુદ્રો’ પર રાજ ભોગવતી આવી હતી.

તોપ-બંદૂકની તાકાત છતાં અંગ્રેજોનું રાજ માંડ બે સદી પણ ન ચાલ્યું, જ્યારે ઉજળિયાત કહેવાતા સમુદાયોએ માત્ર જન્મની જ્ઞાતિના આધારે ઓછામાં ઓછા એકાદ હજાર વર્ષ સુધી રાજ ચલાવ્યું. હોદ્દા-વિશેષાધિકાર-સ્થાપિત હિતોની અનામત ભોગવી. ગાંધીજી અને તેમના ઘણા સાથીદારોના સુખદ અપવાદને બાદ કરતાં, ઊજળિયાત કહેવાતા વર્ગમાંથી આવતા ભારતના ઘણા મહાન નેતાઓ – સમાજસુધારકો જ્ઞાતિવાદ – જ્ઞાતિદ્વેષના મામલે એકદમ રૂઢિચુસ્ત હતા. (એક ઉદાહરણ : લોકમાન્ય ટિળક અને તેમનું સાથીમંડળ)

આઝાદી પછી બંધારણમાં પહેલી વાર અસ્પૃશ્યતા નાબૂદ થઈ. દલિત-આદિવાસી સમુદાયોને મુખ્ય ધારામાં સામેલ કરવા – તેમને સમાન તક આપવા માટે તેમની વસ્તીના પ્રમાણ જેટલી અનામતની જોગવાઈ કરવામાં આવી. (ત્યાં સુધી શિક્ષણ-નોકરી-રાજકારણમાં ઉપલી ગણાતી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ તેમની વસ્તીના પ્રમાણ કરતાં ઘણું વધારે હતું.) રાજકીય પ્રતિનિધિત્વમાં અનામતની સમીક્ષા દસ વર્ષ પછી કરવાની હતી.

દસ વર્ષમાં સ્થિતિ સંતોષકારક લાગે તો, રાજકીય ક્ષેત્રે અનામત નાબૂદ કરી શકાય એમ હતી. પરંતુ એ વાત શિક્ષણ અને નોકરીની અનામતને લાગુ પડતી ન હતી. કેમ કે, તેની  પાછળનો મુખ્ય આશય આર્થિક ઉદ્ધારનો નહીં, આર્થિક સરખાઈ થકી સામાજિક સમાનતાની દિશામાં સમાજને દોરવાનો હતો. અનામતની જોગવાઈ કરનારાને એવી આશા હતી કે દલિતો-આદિવાસીઓને શિક્ષણ-નોકરીમાં તકો મળતી જશે, તેમ ઊજળિયાત કહેવાતો સમાજ તેમના પ્રત્યેની ખરાબ વર્તણૂંક સુધારશે, તેમને ‘પોતાના જેવા’ ગણતો થશે અને સમાજમાં ધીમે ધીમે એકરૂપતા આવશે.

પરંતુ સદીઓથી હાડમાં ઉતરી ગયેલો જ્ઞાતિવાદ એમ સાઠ-સિત્તેર વર્ષમાં જાય? અનામતનો ફાયદો મેળવીને આર્થિક રીતે બે પાંદડે થયેલા લોકો પ્રત્યે ઊજળિયાત ગણાતા સમુદાયનો દ્વેષ ઓછો થવાને બદલે વધવા લાગ્યો (‘તમારી આટલી ધૃષ્ટતા કે અનામતના જોરે અમારી હરોળમાં આવવાનું વિચારી શકો?’) એ દ્વેષને વાજબી ઠરાવવા માટે મેરિટનું બહાનું શોધી કાઢવામાં આવ્યું. આ જાળમાં ભલભલા અભ્યાસીઓ પણ ફસાયા અને કહેવા લાગ્યા, ‘અનામતથી જ્ઞાતિના ભેદભાવ વધે છે.’ આ તો એવી વાત થઈ કે ઘાયલની દવા કરવાથી તેમને ઇજા પહોંચાડનાર વર્ગ ‘દવા બહુ ગંધાય છે’ એવું બૂમરાણ મચાવે અને ‘દવા લગાડવાથી ઘાયલો પ્રત્યે લોકોની સૂગ વધે છે’ એવું નિદાન કરનારા ‘અભ્યાસીઓ’ પણ મળી આવે.

જ્ઞાતિઆધારિત અનામતમાંથી ‘છૂટકારો’ મેળવવા માટે જોરશોરથી આર્થિક સ્થિતિ આધારિત અનામતની હિમાયત કરવામાં આવે છે. અગાઉ સ્પષ્ટ કર્યું તેમ, અનામતનો આશય ગરીબી નહીં, સામાજિક અસમાનતા ઘટાડવાનો છે. છતાં, દલીલ ખાતર વિચારી જોઈએ કે જ્ઞાતિઆધારિત અનામતને બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?

‘આર્થિક અનામત’ની વાત કરનારા માને છે કે તેનાથી ગરીબોને ફાયદો થશે. પરંતુ ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું છે, એનો તેમને કોઈ ખ્યાલ છે ખરો? ઊજળિયાત ગણાતા લોકો ‘ગરીબ’ની વાત કરે ત્યારે તેમના મનમાં દેશના નહીં, પોતાના સમુદાયના ગરીબોનો ખ્યાલ હોય છે. તેમને લાગે છે કે આર્થિક અનામત આવી જાય તો ‘ઊજળિયાત ગરીબો’ (‘પીપલ લાઇક અસ’) તેનો લાભ મેળવી શકે. તેમને બિચારાને ઊજળિયાત હોવા છતાં ગરીબીની નામોશી ભોગવવી પડે છે, તેમાંથી એ મુક્ત થાય.

બાકી, વાત ‘ઊજળિયાત ગરીબો’ને બદલે તમામ ગરીબોની હોય તો તેમનું પ્રમાણ કેટલું મોટું થાય? સાવ કાચો અડસટ્ટો માંડીએ તો પણ, અનામતની જોગવાઈને  લાયક હોય એવી (નબળી) આર્થિક સ્થિતિ ધરાવતા લોકોનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં ૭૫ થી ૮૦ ટકા જેટલું હોય. કેટલાક અભ્યાસીઓએ ગરીબી સાથે જ્ઞાતિનો ઠીક ઠીક પ્રમાણમાં સીધો સંબંધ હોવાનાં તારણ કાઢ્‌યાં છે. (બધી નીચલી જ્ઞાતિવાળા ગરીબ નથી હોતા અને બધા ઉપલી જ્ઞાતિના અમીર નથી હોતા, પણ કુલ ગરીબોમાં બહુમતી લોકો નીચલી ગણાતી જ્ઞાતિઓના હોય છે.) એ ચર્ચા અત્યારે બાજુ પર રાખીએ તો પણ, આર્થિક અનામતના હિમાયતીઓ કેટલા ટકા બેઠકો અનામત રાખશે?

ધારો કે વર્તમાન ધોરણ પ્રમાણે ૪૯ ટકા બેઠકો ગરીબો માટે અનામત રાખવામાં આવે. પરંતુ ગરીબીમાં અનેક સ્તર – પેટાપ્રકાર હોવાના. મજબૂત સંગઠનોનો – વગદાર સમાજનો ટેકો ધરાવનારા ગરીબો હોવાના અને બધી બાજુથી વંચિત એવા ગરીબો પણ હોવાના. અમુક સમાજના ૮૦ ટકા લોકો ગરીબ હોવાના અને અમુક સમાજના ૩૦ ટકા લોકો ગરીબ હોવાના. તેમાંથી કયા સમુદાયના ગરીબોને અનામતનો મહત્તમ ફાયદો મળશે?

દેખીતી વાત છે : જે સમુદાયો પહોંચતા-પામતા હોય તેમના ગરીબોને આ પ્રકારની અનામતનો સૌથી વઘુ લાભ મળવાનો અને તેમની સાથેની હરીફાઈમાં પછાત કે નીચા ગણાતા સમુદાયોના ગરીબો ટકી શકવાના નહીં. એક વર્ગના ગરીબોના માથે ફક્ત ગરીબીનો બોજ હોય, જ્યારે બીજા વર્ગના ગરીબોના માથે ગરીબી ઉપરાંત સામાજિક પછાતપણાનો અને દલિતો માટે સામાજિક તિરસ્કારનો પ્રચંડ બોજ પણ હોવાનો. આર્થિક અનામત માટે એ બધાને સાથે દોડાવીને ‘સમાન તક’ આપી, એવું કહી શકાય?

તાત્પર્ય એટલું કે જાદુઈ લાકડી સમી ભાસતી ‘આર્થિક અનામત’ મુખ્યત્વે થોડા વગદાર – વર્ચસ્વ ધરાવતા વર્ગોના હિત સિવાય બીજા કોઈનું ભલું કરે નહીં. જ્ઞાતિઆધારિત અનામતની ઘણી મર્યાદાઓ છે અને તેમાં સુધારણાને ઘણો અવકાશ છે. પરંતુ આર્થિક અનામત તેનો ન્યાયી વિકલ્પ નથી.

સૌજન્ય : ‘ખયાલી પુલાવ’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2015

Loading

8 September 2015 admin
← Anaamat ane Gnaatigat Ganit : Tyaare wne Atyaare
Dharma Saame Savaalo Kare Tene Dhamkaavavaanaa ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved