Opinion Magazine
Number of visits: 9448063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અકાદમીની સ્વાયત્તતાનો પ્રશ્ન

રમેશ બી. શાહ|Opinion - Literature|3 June 2015

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો પ્રશ્ન ફરીથી એક વખત વિવાદનો મુદ્દો બન્યો છે, ત્યારે સ્વાયત્તતાની થોડી તાત્ત્વિક ચર્ચા પ્રસ્તુત છે.

લોકશાહીનું હાર્દ લોકોના વાણીસ્વાતંત્ર્ય, પોતાના શાસકોની પસંદગી કરવાના લોકોના અધિકાર અને કામદારના શાસનમાં રહેલું છે. તેની સાથે લોકોમાં સત્તાની વહેંચણીમાં પણ રહેલું છે. સત્તાની આ વહેંચણીનું માધ્યમિક વિવિધ સ્વરૂપની કામગીરી બજાવતી સંસ્થાઓની સ્વાયત્તતા છે. લોકશાહી ધરાવતા દેશોમાં આવી વિવિધ સંસ્થાઓ પોતાની રીતે કામ કરતી હોય છે. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, અમેરિકા વગેરે દેશોમાં યુનિવર્સિટીઓ તેનું એક ઉદાહરણ છે. ઇંગ્લૅન્ડ આદિ અનેક દેશોમાં રાજ્ય યુનિવર્સિટીઓને ગ્રાન્ટ આપે છે, પણ યુનિવર્સિટીઓની કામગીરીમાં હસ્તક્ષેપ કરતી નથી. બીજા શબ્દોમાં કહીએ, તો યુનિવર્સિટીઓને સ્વાયત્ત રાખવામાં આવી છે.

લોકશાહી દેશોમાં જેમને હવે બિનસરકારી સંસ્થાઓ (NGO) તરીકે ઓળખવામાં આવે છે, તેઓ અનેક સામાજિક કાર્યો કરે છે. આ બધી સંસ્થાઓને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાનું હોય છે, એ ખરું, પણ તેમને પોતાની રીતે સંસ્થાના ઉદ્દેશો પાર પાડવા માટેની મોકળાશ આપવામાં આવે છે. મુદ્દો એ છે કે લોકોમાં નવપ્રવર્તનો (ઇનોવેશન) કરવાની જે ક્ષમતા રહેલી છે, તેમનામાં જે સર્જકતા રહેલી છે, તેને આવી સ્વાયત્ત સંસ્થાઓમાં જરૂરી મોકળાશ મળતાં તે ખીલી ઊઠે છે.

આ મુદ્દાનું બીજું પાસું પાસું પણ નોંધવું જોઈએ. ઉપર નોંધ્યું છે તેમ સત્તા લોકોમાં વહેંચવાની છે, એનો મતલબ રાજ્યની સત્તાને સીમિત કરવાની છે એવો થાય છે. દેશમાં રાજ્યવહીવટના ક્ષેત્રે સભાનું વિકેન્દ્રિકરણ કરીને ગ્રામ પંચાયતો દ્વારા લોકોને કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. એ જ રીતે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે કાર્યો અને સત્તાની વહેંચણી થયેલી છે. પંચાયતો અને રાજ્ય સ્તરે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે, કેન્દ્ર સરકાર વહીવટદારો નીમીને એ સ્તરોની સરકારોનો વહીવટ ચલાવતી નથી. આ જ મુદ્દો રાજ્ય દ્વારા રચવામાં આવતી સંસ્થાઓને (જેમ કે યુનિવર્સિટીઓને) લાગુ પડે છે. આવી પ્રજાકીય સંસ્થાઓનો વહીવટ રાજ્યે વહીવટદારો નીમીને પોતાના હાથમાં રાખવાનો નથી, પણ સંસ્થાઓને આવશ્યક સ્વાયત્તતા આપીને ચૂંટાઈ આવતા પ્રતિનિધિઓના હાથમાં મૂકવાનો છે. લોકોમાં સત્તા વહેંચવા માટેનો આ એક માર્ગ છે.

અહીં સુધીની ચર્ચાના સૂચિતાર્થો સાહિત્ય અકાદમીના સંદર્ભમાં સ્પષ્ટ કરીએ. પાયાનો પ્રશ્ન તો આ છે : સરકારે સાહિત્ય અકાદમી રચવી જરૂરી હતી? ગુજરાતી સાહિત્ય અકાદમીની રચના કરવામાં આવી, ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજી અનેક સાહિત્યિક સંસ્થાઓ પોતપોતાની રીતે સાહિત્યનાં કાર્યો કરી રહી હતી. તેથી અકાદમીના રૂપમાં સંસ્થા રચીને સરકારે પોતાની સત્તા અને પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવાનું પ્રયોજન શું હતું? અસ્તિત્વ ધરાવતી સાહિત્યિક સંસ્થાઓ ન કરતી હોય એવાં કયાં કાર્યો હતાં, જે કરવા માટે સાહિત્યિક અકાદમી રચવાનું અનિવાર્ય હતું? પ્રતિભાશાળી સાહિત્યકારોને ચંદ્રકો, ઍવૉર્ડો આપીને તેમનું ગૌરવ કરવામાં આવતું જ હતું; સારાં પુસ્તકોને પુરસ્કૃત કરવામાં આવતાં હતાં, સાહિત્યિક સામયિકો પ્રગટ થતાં હતાં; સાહિત્યિક પુસ્તકોનું પ્રકાશન ખાનગી પ્રકાશકો ઉપરાંત કેટલીક સંસ્થાઓ કરતી જ હતી. હા, લેખકના પ્રથમ પુસ્તકના પ્રકાશન માટે કોઈ નાણાકીય સહાય(ગ્રાન્ટ)ની વ્યવસ્થા કદાચ નહોતી. મુદ્દો એ છે કે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે સરકારે સાહિત્યિક સંસ્થા રચવી જરૂરી નહોતી. અસ્તિત્વ ધરાવતી સાહિત્યિક સંસ્થાઓનો ઉપયોગ કરીને સરકાર ગુજરાતી ભાષાસાહિત્યના ઉત્કર્ષનું  કામ કરી શકી હોત. એનું એક નમૂનારૂપ ઉદાહરણ ગુજરાત વિશ્વકોશનું છે. આરંભમાં સરકારે તેને ગ્રાન્ટ આપી ન હતી, પણ કેટલાક ગ્રંથોના પ્રકાશન પછી સરકારે ગ્રંથ દીઠ સહાય આપીને એ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. ગુજરાતીમાં વિશ્વકોશનું પ્રકાશન એક સાહિત્યિક પ્રવૃત્તિ જ છે. ગુજરાતમાં કાર્યરત અન્ય સાહિત્યિક સંસ્થાઓને પણ આ રીતે પ્રોજેક્ટ આધારિત સહાય આપીને સરકાર ગુજરાતી ભાષાસાહિત્યને પ્રોત્સાહન આપી શકી હોત. પણ તત્કાલીન સરકારે વિવિધ ભાષાઓ માટે અકાદમીઓ રચવાનું પસંદ કર્યું. આરંભમાં તેણે અકાદમીઓને સરકારના એક ખાતાની જેમ ચલાવી, પણ ઉમાશંકર જોષી, દર્શક, યશવંત શુક્લ જેવા સાહિત્યકારોની માગણી સ્વીકારીને અકાદમીને એક સ્વાયત્ત સંસ્થા બનાવી. પણ એક સ્વાયત્ત સંસ્થા તરીકે તે પૂરો દસકો પણ કાર્ય કરી શકી નથી. ફરીથી તેને એક સરકારી વિભાગ બનાવી દેવામાં આવી છે.

આના સંદર્ભમાં પ્રથમ દૃષ્ટિએ પ્રબળ જણાતી એક દલીલ કરવામાં આવે છે : અકાદમી સરકારી છે એ સાચું, પણ એ પોતાનાં બધાં કાર્યો સાહિત્યકારો દ્વારા જ કરે છે; દા.ત., ઇનામો આપવા માટે ઉત્તમ પુસ્તકોની પસંદગી સાહિત્યકારો દ્વારા કરવામાં આવે છે; ગૌરવ-પુરસ્કાર આપવા માટે સાહિત્યકારની પસંદગી સાહિત્યકારો દ્વારા કરવામાં આવે છે. અકાદમી દ્વારા પ્રગટ કરવામાં આવતા માસિકનું સંપાદન સાહિત્યકારો દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં, સાહિત્ય અકાદમી સરકારી હોવા છતાં એનાં કાર્યો તો સાહિત્યકારો દ્વારા જ કરવામાં આવે છે, સ્વાયત્ત અકાદમી પણ આ પૈકીના કોઈ ને કોઈ સાહિત્યકારો દ્વારા જ પોતાનાં કાર્યો કરશે.

દેખીતી રીતે આ દલીલમાં તથ્ય જણાય છે, પણ સહેજ ઊંડા ઊતરીને આ દલીલ તપાસતાં તેમાં રહેલો વિચારદોષ જણાઈ આવે છે. પૂર્વના સામ્યવાદી દેશોમાં યુનિવર્સિટીઓ અને સાહિત્યિક સંસ્થાઓ સ્વાયત્ત નહોતી, પણ તેમનાં કાર્યો તો સરકાર દ્વારા પસંદ કરવામાં આવતા અધ્યાપકો અને સાહિત્યકારો દ્વારા જ કરવામાં આવતાં હતાં. પ્રશ્ન – પસંદગીના અધિકારના છે. પોતાના શાસકોની પસંદગી કરવાનો અધિકાર લોકોનો છે, એ સિદ્ધાંત પર લોકશાહી વ્યવસ્થાને પસંદગી આપવામાં આવી છે. લોકશાહીનો આ સિદ્ધાંત સરકાર રચિત સંસ્થાઓને પણ લાગુ પડે છે. એમાં શિક્ષણસંસ્થાઓ અને સાહિત્યક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ બધી સંસ્થાઓમાં વિવિધ કામગીરીઓ માટે માણસોની પસંદગી સંસ્થાના બંધારણ પ્રમાણે ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થવી જોઈએ. સંસ્થાની સ્વાયત્તતા અને સરકારીકરણ વચ્ચે આ તફાવત છે. સરકારી સંસ્થામાં વિવિધ કાર્યો માટે વ્યક્તિઓની પસંદગી સરકારનિયુક્ત હોદ્દેદારો દ્વારા કરવામાં આવે છે, જ્યારે સ્વાયત્ત સંસ્થાઓમાં એ પસંદગી બંધારણીય રીતે ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા કરવામાં આવે છે.

સ્વાયત્તતાની ચર્ચામાં એક પ્રશ્ન ઊભો કરવામાં આવે છે : સ્વાયત્ત કે સ્વૈચ્છિક સંગઠન સ્વરૂપની સાહિત્યિક સંસ્થાઓમાં જે પસંદગીઓ થાય છે; દા.ત., પુરસ્કાર આપવા માટે પુસ્તકોની પસંદગી થાય છે, તે વિવાદાસ્પદ હોય છે. લોકશાહી ઢબે ચાલતી સંસ્થાઓમાં જૂથબંધી ચાલે છે અને કોઈ એક જૂથ વાસ્તવમાં સંસ્થાઓનો કબજો લઈ લેતું હોય છે. આ અને એ પ્રકારની દલીલોમાં તથ્ય છે, પણ એના આધાર પર સ્વાયત્તતાનો વિરોધ ન કરી શકાય. ઉપર નોંધવામાં આવી છે, એ બધી જ ટીકાઓ લોકશાહી શાસનપ્રથાને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. લોકશાહી શાસનમાં આપણને મોટી સંખ્યામાં ભ્રષ્ટાચારી શાસકો મળ્યા છે. આમ છતાં આપણે લોકશાહી પ્રથાના વિકલ્પે સરમુખત્યારશાહી જેવી કોઈ શાસનપ્રથા સ્વીકારતા નથી, પણ મતદારોની જાગૃતિ અને ‘નાગરિકસમાજ’ દ્વારા લોકશાહી શાસનને સુધારવાના પ્રયાસો કરીએ છીએ. એ જ અભિગમ સ્વાયત્ત અને અન્ય પ્રજાકીય સંસ્થાઓમાં ચૂંટાઈ આવતા સભ્યો પૂરી લાયકાત કેળવે એ પછી જ સંસ્થાઓને સ્વાયત્ત બનાવવી જોઈએ, એવી દલીલ ન થઈ શકે.

૨૦૨, ઘનશ્યામ એવન્યૂ, જૂના શારદા મંદિર પાસે, પાલડી, અમદાવાદ-૪૦૦ ૦૦૭

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 01 & 09

Loading

3 June 2015 admin
← ટાવરની ઘડિયાળના હવે ‘ડંકા વાગતા’ નથી !
Manufacturing and Undermining National Icons : RSS Style →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved