Opinion Magazine
Number of visits: 9484479
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Fair & Ugly : રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 April 2015

ફેર અને લવલી ક્રીમનો પહેલો ખરીદદાર કદાચ કૃષ્ણ હોત !

ઓ…કે, ગેટ ધીસ સ્ટ્રેઇટ, રાજીવ ગાંધીએ કોઈ નાઇજિરિયન મહિલા સાથે શાદી રચાવી હોત, અને એનો રંગ ગોરો ન હોત, તો કોંગ્રેસે એનું નેતૃત્વ ન સ્વીકાર્યું હોત, એવું મોદી સરકારના મંત્રી ગિરિરાજસિંહ જ નહીં, આ દેશની બહુમતી આમ જનતા પણ માને છે. ફર્ક એટલો છે કે ગિરિરાજ અને શરદ યાદવ જેવા નેતાઓ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરીને બેવકૂફીની સાબિતી આપે છે, જ્યારે આપણા જેવા મેંગો પીપલ, ડિપ્લોમેટિક સાયલન્સ પાળીને, ‘ગોરી, સુંદર, ઊંચી અને નાક-નકશાવાળી’ કન્યાવાળી ટચૂકડી જાXખની ખાક — છાનીએ છીએ.

બૂમાબૂમ થઈ એટલે ગિરિરાજસિંહે ‘અગર સોનિયાજી યા રાહુલજી કો બુરા લગા હો તો’ કહીને માફી માગી લીધી. સોનિયાજી તો કંઈ બોલ્યાં નહીં (અને રાહુલજી તો અજ્ઞાતવાસમાં મૌન ધારણ કરીને ચિંતન કરી રહ્યા છે, પણ જેમને ‘બૂરુ’ લાગવા જેવું હતું, એ નાઇજિરિયન હાઇ કમિશનર બોલ્યા, ‘નાઇજિરિયન પ્રજાનું અપમાન થયું છે અને અમે સરકારને લાગણી પહોંચાડીશું.’

બીજા નંબરે જો કોઈએ ‘બૂરુ’ માનવા જેવું હોય, તો અમે અને તમે મેંગો પીપલ છીએ, જેમણે સોનિયા ગાંધીને સતત વોટ આપીને સત્તાના સિંહાસન પર બેસાડ્યાં છે. ગિરિરાજના અનાડી વિધાનમાં સચ્ચાઈ છે. આપણે બધા જ ઘાતકી રીતે રંગભેદી છીએ. ભારતમાં બેડરૂમથી લઇને બોર્ડરૂમ સુધી, કાળી ચામડી પ્રત્યે ભેદભાવ એકદમ સ્પષ્ટ છે. 2009માં અમુક મહિલાઓએ ‘ડાર્ક ઇઝ બ્યૂિટફુલ’ નામના સંગઠનની સ્થાપના કરી હતી. ચાર વર્ષ પછી, એમાં જોડાયેલી અભિનેત્રી નંદિતા દાસ કહે છે, ‘આપણે ત્યાં કાળા રંગને લઈને હીણ ભાવના છે. હું પોતે શ્યામ છું અને બચપણથી જ મને એ અહેસાસ કરાવવામાં આવતો હતો કે મારા રંગમાં કંઈક કમી છે.'

આપણે ત્યાં ગોરો રંગ સુંદરતાનો પર્યાય છે. તમે સવારે છાપાં ખોલો, બ્યૂટી મેગેઝિન ઉથલાવો, ટીવી સીરિયલ જુઓ કે સિનેમા જોવા જાવ, એ લોકો કોઈ ને કોઈ રીતે સતત એનો અહેસાસ કરાવતા રહે છે કે તમારી સુંદરતા પર્યાપ્ત નથી. બોલિવૂડની સચ્ચાઈ એ છે કે મિથુન ચક્રવર્તી હોય કે રેખા, કલાકારોને ગોરા બનાવીને પરદા પર પેશ કરવામાં આવે છે. માઇકલ જેક્શનની શોહરત જ બ્લેક મ્યુિઝકની દુનિયામાંથી આવી હતી, પણ એની પાસે સાંબેલાધાર પૈસા આવી ગયા, એટલે એ દવાઓના સહારે ગોરો થઈ ગયો.

ભારતમાં કાળી ચામડીને ગોરી બનાવતી ફેરનેસ ક્રીમનો કારોબાર 2,200 કરોડનો છે. એક્ટર શાહરરુખ ખાને પુરુષો માટેની ફેરનેસ ક્રીમ પણ લોન્ચ કરી છે. એની પાછળ એ હકીકત છે કે સ્ત્રીઓ માટેની પ્રખ્યાત ક્રીમ ફેર એન્ડ લવલીના કુલ વેચાણમાંથી 30 પ્રતિશત પુરુષ ખરીદદાર છે. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું પૂરું જોર સંસારની હરેક છોકરીને ગોરી અને સેક્સી બનાવવા ઉપર છે. તમે કોઇ એવી ક્રીમ જોઈ છે, જે ગોરી ચામડીને કાળી બનાવે અને એની જબ્બર ડિમાન્ડ હોય? એ એન્ડ એમ નામની પત્રિકાએ વર્ષો પહેલાં એક સર્વેમાં કહેલું કે ગોરી ક્રીમોની સૌથી વધુ ડિમાન્ડ દક્ષિણ ભારતમાં છે. બે-ત્રણ વર્ષ પહેલાં બજારમાં સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટને ગોરા બનાવવા માટેની ક્રીમ પણ આવી હતી.

દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રી જાનકી અબ્રાહમ કહે છે કે, ‘પારંપરિક જાતિવાદમાં ગોરી ત્વચાને ઊંચો દરજ્જો મળ્યો છે, કારણ કે બ્રાહ્મણો ગોરા રંગના હતા. બ્રિટિશરો ભારતમાં આવ્યા એટલે ગોરો રંગ સત્તા અને તાકાત સાથે જોડાઈ ગયો.’ સમાજવાદી રામમનોહર લોહિયા કહેતા હતા કે સૌંદર્યની વ્યાખ્યા વિકૃત રાજનીતિમાંથી આવી છે. ગોરી ચામડીવાળા યુરોપિયનો પાસે દુનિયાની જેટલી સત્તા અને સમૃદ્ધિ હતી એટલી શ્યામ રંગી પ્રજા પાસે રહી નથી. લોહિયા લખે છે, ‘અગર આફ્રિકાની નિગ્રો જાતિએ ગોરાઓની જેમ દુનિયા પર રાજ કર્યું હોત, તો સ્ત્રીઓની સુંદરતાની પરખ જુદી રીતે થઈ હોત.’

રંગોની રાજનીતિ, આપણી જાણ બહાર બચપણથી જ શરૂ થઈ જાય છે. તમે અને હું એવાં કોમિક્સ વાંચી-જોઈને વયસ્ક થયા છીએ, જેમાં બધા જ દેવ ગોરા યા ગુલાબી હતા અને બધા જ દાનવો શ્યામ હતા. જે સારું છે, સુંદર છે, શ્રેષ્ઠ છે તે ગુલાબી છે અને જે બદત્તર છે, બદસૂરત છે, કનિષ્ઠ છે તે શ્યામ છે. ઇન્દ્ર, બ્રહ્મા અને દુર્ગા ફૂલગુલાબી છે. વિષ્ણુ, રામ અને કૃષ્ણ (શ્યામ નહીં) ભૂરા છે.

આપણે કૃષ્ણના શ્યામ રંગમાં ય બ્લૂ રંગ જોઈએ છીએ (કારણ કે ભૂરો રંગ દિવ્યતાનો, આકાશનો રંગ છે) તે શ્યામ રંગ પ્રત્યેનો આપણો ભેદભાવ છે. ઓરિસ્સાની પટ્ટાચિત્ર પેઇન્ટિંગ કળામાં કૃષ્ણ અને વિષ્ણુનો રંગ કાળો છે, પરંતુ બળરામ અને શિવને દોરતી વખતે સફેદ રંગ વપરાય છે. કૃષ્ણને શ્યામ રંગના કારણે હીણતાની ભાવના છે. રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં હિન્દી ભાષાના પ્રખર કવિ પંડિત નરેન્દ્ર શર્મા લખે છે, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી, મૈં ક્યો કાલા?’ એ ગીતમાં મા યશોમતી કંઈ કેટલા ય ખુલાસા કરે છે પણ પેલાને ગળે નથી ઊતરતા. ફેર અને લવલી ક્રીમનો પહેલો ખરીદદાર કદાચ કૃષ્ણ હોત!

ડિસ્કો ડાન્સર નામની ફાલતુ ફિલ્મમાં રાજેશ ખન્ના ભલે ‘ગોરો કી ના કાલો કી, દુનિયા હૈ દિલવાલો કી’ના આસમાની ખ્વાબ જોતો હોય, જમીની હકીકત એ છે કે ઉત્તરીય અફઘાનિસ્તાનમાંથી ઉત્તર ભારતમાં ઘૂસેલી આર્ય આદિવાસી પ્રજાએ કાળા ભારતીયોને ભાન કરાવ્યું કે દુનિયા તો ગોરા લોકોની છે. આર્યો ઉત્તરીય યુરોપની નોર્ડીક જાતિના હતા જેમની આંખનો અને વાળનો રંગ હળવો અને ત્વચાનો ગોરો હતો અને જેમની ખોપરી લાંબી અને પાતળી હતી.

સાચા ખોટાની તો ખબર નથી પણ ઘણા લોકો માને છે કે ઇન્દ્ર જેવા આર્ય દેવતા ગોરા ચીટ્ટા હતા. કેટલાક લોકો શિવને દ્રાવિડિયન દેવતા ગણે છે. તમામ દેવીઓમાંથી એક માત્ર ભદ્રાકાળી જ શ્યામ છે અને એનું સ્થાન ઘર બહાર, જંગલમાં છે. સ્મશાનમાં તાંત્રિકો એને પૂજે છે. અભ્યાસુઓ કહે છે દેવી-દેવતાઓના રંગભેદની આ ‘સ્વર્ગીય’ વ્યવસ્થા આપણી વર્ણવ્યવસ્થામાં પણ એટલી જ સ્પષ્ટ રીતે આવી છે. જે ઉપર છે, સત્તામાં છે તે બ્રાહ્મણ અને ક્ષત્રિય ગોરા છે અને જે નીચે છે, સેવામાં છે તે શુદ્ર શ્યામ છે. ‘વર્ણ’ શબ્દનો અર્થ જ રંગ થાય છે.

કૃષ્ણ અને શ્યામનો સંજ્ઞા અને વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે એક જ અર્થ થાય છે : ‘કાળો. પરંતુ આપણે શ્યામને અપનાવવા એમાં બ્લૂ કલર ઉમેરી દીધો અને કાળાને તિલાંજલિ આપી. આ કારણથી જ હિન્દુઓમાં વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે શ્યામભાઈ (દાખલા તરીકે શ્યામ બેનેગલ) સ્વીકાર્ય છે પણ કાળુભાઈ નહીં. ‘શોલે’ ફિલ્મમાં ‘તેરા ક્યા હોગા, કાલિયા?’વાળો ડાકુ માત્ર નાકામ અને નાલાયક જ નહીં, ચામડીથી પણ કાળો છે. કોઈને વિચાર આવે ખરો કે ગબ્બર, જે સરદાર છે, સત્તામાં છે તે ઊજળો, ક્ષત્રિય છે?’

ગિરિરાજ સિંહની જેમ આપણા ઘણા ખરા વ્યવહાર-વિચાર આપણી સામાજિક-પારિવારિક સોચમાંથી આવે છે. અને જે ‘આગેથી ચલી આઈ’ તેની સામે આપણે સવાલ નથી ઉઠાવતા. આપણે એને સત્ય અને એક માત્ર સત્ય ગણીને અનુસરતા રહીએ છીએ. શ્યામવર્ણી શાબાના આઝમી નાની હતી ત્યારે એનામાંથી શ્યામ રંગની હીણતા દૂર કરવા પિતા કૈફી આઝમીએ સોનેરી વાળ અને બ્લૂ આંખોવાળી ગુડિયાને બદલે કાળી ત્વચા અને આંખોવાળી ઢીંગલી સાથે રમતાં શીખવ્યું હતું. કૈફીએ ત્યારે શબાનાને કહેલું, ‘શ્યામ હોવું એ સારી વાત છે, અને કાળા હોવું એ તો સુંદરતાની નિશાની છે.’ આવાં મા-બાપ ક્યાં મળે?

આજે તો પ્રકૃતિદત્ત કાળી ચામડી ઘસાઈ રહી છે. બજારને ગોરો રંગ જોઈએ છીએ. પરિવારને ગોરી વહુ જોઈએ છીએ. જે સમાજમાં ગુણવત્તાને બદલે રંગ પર વધારે જોર હોય અને જે સમાજમાં પુરુષ ‘ચાંદવી કા ચાંદ હો યા આફતાબ હો’ની મુગ્ધતામાં ભરાયેલો હોય, ત્યાં કંઈ કેટલી ય શબનાઓનાં ગુણ શ્યામ રંગની પ્રેતછાયામાં ઢંકાયેલા રહી જાય છે.

તમારા-મારા કરતાં જેને ભારતીય માનસિકતાનો સારો એવો અનુભવ થઈ ચૂક્યો છે તે સોનિયાજી શું કામ ‘બૂરું’ માને? ગિરિરાજની પહેલાં દક્ષિણ એશિયાઈ સમાજના અભ્યાસુ બ્રિટિશ લેખક પેટ્રીક ફ્રેન્ચે ‘ઇન્ડિયા : અ પોટ્રેટ’ કિતાબમાં લખ્યું હતું :

‘બાળ ઠાકરેએ ભલે સોનિયાની મશ્કરી કરી હોય, મોટા ભાગના મતદારો એને ‘ગોરી ચામડી’ની ગણતા નથી. એના હળવા બદામી વર્ણથી એ ઉત્તર ભારતમાંથી આવતા ઉચ્ચ વર્ણીય નહેરુ ખાનદાનની જ લાગે છે. એ જો ઉત્તરીય યુરોપની બ્લોન્ડ કે આફ્રિકન હોત તો કદાચ ભારતની નેતા બની ન હોત.’

https://www.facebook.com/raj.goswami.31/posts/944381735612170:1

Loading

15 April 2015 admin
← પ્રથમ સવંત્સરી ટાણે જયાબહેનને સાદર સ્મૃિત વંદના
ગુજરાત 2015 : સ્વાયત્તતા, સ્વાયત્તતા, તું ક્યાં છો ? →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved