ગાંધી-સર્વોદય મૂલ્યો તથા વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ સાંસદ તથા આજીવન સમાજ-સેવિકા જયાબહેન વજુભાઈ શાહે 14 એપ્રિલ 2014નાં રોજ, 91 વર્ષની વયે, આપણી વચ્ચેથી વિદાય લીધી. જીવનનાં અંતિમ દિવસે જયાબહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત સ્વાતંત્ર્ય-સંગ્રામ તેમ જ ગાંઘી ગીતોનું ગુંજન કરતાં હતાં, જે ખાસ ઉલ્લેખનીય છે.
મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવભર્યાં બિરૂદથી નવાજેલાં, તેવા ઝવેરચંદ મેઘાણી પ્રત્યે જયાબહેન અને વજુભાઈને સવિશેષ આદરભાવ હતો. ઝવેરચંદ મેઘાણી સાથે એમનાં અનેક લાગણીસભર સંભારણાંઓ. વજુભાઈનાં કંઠે, મૂળ ઢાળમાં, મેઘાણી-ગીતોને સાંભળવાનો એક લ્હાવો હતો. ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત અનેક ગીતો-લોકગીતો-ભજનો, મૂળ ઢાળમાં, જયાબહેનને પણ કંઠસ્થ હતાં. ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય `તારા નામમાં, ઓ સ્વતંત્રતા’ જયાબહેન અને વજુભાઈને અતિ પ્રિય હતું.
સ્વ. જયાબહેન વજુભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમનાં નાના બહેન, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા કુસુમબહેન નાનકભાઈ મેઘાણીનાં લાગણીસભર સંભારણાં અહીં પ્રસ્તુત છે.
•••
`મા એ મા, બીજા વગડાનાં વા’. લોકજીવનની આ ઉક્તિમાં મારાં મા સમાન મોટા બહેન જયાબહેનનો સવિશેષ ઉલ્લેખ કરવો પડે ! રણ-વગડામાં મીઠાં પાણીની વીરડી જેવાં મારાં સૌથી મોટા બહેન — જયાબહેન.
પાંચ ભાઈ-બહેનોમાં હું સહુથી નાની. જયાબહેન મારાથી 17 વર્ષ મોટાં. જયાબહેનને મારા પર વિશેષ પ્રીતિ. મારાં પોણા સો વર્ષનાં જીવનમાંથી, શરૂઆતનાં પાંચેક વર્ષ બાદ કરીને, જયાબહેન સાથે સાતેક દાયકાનાં મધુર સંભારણાં અને સ્મૃિતઓ, આજે પણ, મારા હૃદયમાં અકબંધ છે. મારા સર્વાંગી વિકાસમાં જયાબહેનનો સિંહ-ફાળો રહ્યો છે. સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની ખૂબ જાણીતી નવલકથા `સરસ્વતીચંદ્ર’ જયાબહેનનાં અભ્યાસક્રમમાં આવતી. તેનાથી પ્રેરિત થઈને જયાબહેને મારાથી ચારેક વર્ષ મોટી બહેનનું નામ કુમુદ અને મારું નામ કુસુમ પાડ્યું હતું.
તે જમાનામાં કન્યા-કેળવણીનું ચલણ ખૂબ ઓછું, પણ અમારાં બા લક્ષ્મીબહેન અને બાપુજી ત્રિભુવનદાસભાઈએ, ખાસ રસ લઈને, અમને ચારે ય બહેનોને પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી, ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપી હતી. રેલવેનાં ભાવનગર ડીવિઝનમાં કેશિયર તરીકે ફરજ બજાવતા મારા `બાપા’, બાળકો માટે જૈન ધર્મની પાઠશાળા, શિક્ષણ-વર્ગ, સિવણ-વર્ગ સેવાકીય રીતે ચલાવતા. કન્યા કેળવણી માટે પ્રયત્નશીલ હતા. નાનપણથી અભ્યાસમાં જયાબહેન ખૂબ તેજસ્વી. ઘરકામમાં મારાં બાને બનતી મદદ કરીને નિશાળે જાય. સાથે હું ય તેમની આંગળી પકડીને જતી. વિદ્યાલયનાં મૂલ્યનિષ્ઠ શિક્ષકો ચુનીભાઈ શાહ, જયાબહેન દાણીને તેમની પર સવિશેષ ભાવ. એમ.એ.નાં ઉચ્ચ અભ્યાસ માટે જયાબહેન મુંબઈ ગયાં. મને પણ સાથે લેતાં ગયાં. પારલામાં રૂમ રાખીને રહેતાં. અભ્યાસની સાથોસાથ ટ્યૂશન કરે, એકલે હાથે બહાર અને ઘરનું બધું કામ કરે. મને પણ સાચવે.
આઝાદીની લડત વખતે ભાવનગરનાં નવાપરાનાં અમારાં ઘર પાસેથી એક વાર સ્વાંતત્ર-સેનાનીઓનું સરઘસ નીકળ્યું. જયાબહેન દોડીને તેમાં જોડાઈ ગયાં !
1939માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિનાં જયાબહેન સ્થાપક સભ્ય હતાં. સાથે કાનજીભાઈ ચૌહાણ, શહીદ રજબ અલી લાખાણી, કાંતિભાઈ શાહ પણ. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જયાબહેન હિન્દી ભાષાનાં વર્ગ ચલાવતાં, ત્યારે હું પણ તેમની સાથે જતી. જયાબહેનની પ્રેરણાથી હિન્દી તીસરીની પરીક્ષા પણ મેં ત્યારે પાસ કરેલી.
1945માં, હું છ વર્ષની હતી, ત્યારે તેમનાં લગ્ન વજુભાઈ સાથે થયા. મુંબઈની કોર્ટમાં થયેલાં તેમના લગ્નમાં હું પણ ગઈ હતી તેનું મને આજે ય સ્મરણ છે. લગ્ન પછી બન્ને મહાત્મા ગાંધીના આશીર્વાદ લેવા ગયાં, અને મને સાથે ન લઈ ગયાં, તેથી હું ખૂબ રડી હતી. વજુભાઈના પરિવારનો પણ મને ખૂબ પ્રેમ મળ્યો. વજુભાઈના ભાઈઓ કાંતિભાઈ, બાબુભાઈ, અનુભાઈ તથા બહેનો નાનીબહેન, શાંતાબહેન મને લાડથી `બેબી’ કહેતાં. જયાબહેન-વજુભાઈ ભાવનગરનાં આંબાવાડી વિસ્તારમાં `બ્રહ્મ નિવાસ’ મકાનમાં રહેતાં, ત્યારે શહીદ રજબ અલી લાખાણી પણ તેમની સાથે રહેતા. ઊંચા-પાતળા અને સફેદ ખાદીનાં વસ્ત્રો પહેરે. મને રમાડતાં. 1946માં અમદાવાદનાં કોમી હુલ્લડ વખતે વસંતરાવ હેગીસ્ટે અને રજબ અલી લાખાણીએ શહાદત વહોરી ત્યારે હું ખૂબ રોઈ હતી. પછીથી જયાબહેન-વજુભાઈ રાજકોટ ગયાં. શરૂઆતમાં સદર વિસ્તારમાં અને પછીથી સેનેટોરિયમમાં રહેતાં. મારા બાપુજીને મળતા રેલવે-મુસાફરીનાં ફ્રી-પાસ અમે રાજકોટ આવવા-જવામાં જ વાપરી નાખતા. વજુભાઈ-જયાબહેનનાં જીવન-કાર્યની સાથે એમનાં નિકટનાં મોરારજીભાઈ દેસાઈ, દરબારસાહેબ ગોપાળદાસ-ભકિતબા, દાદા ધર્માધિકારી, ઢેબરભાઈ, રતુભાઈ અદાણી, મોહનભાઈ મહેતા `સોપાન’, મનુભાઈ પંચોળી `દર્શક’, વિમલાતાઈ જેવાં મહાનુભવોને પણ નજીકથી જાણવાનો મોકો મળ્યો.
ધારાસભાના મતવિસ્તારની મુલાકાતે જયાબહેન સાથે ઘણી વાર હું પણ જતી. સવારથી મોડી રાત સુધી ગામડાંઓમાં ફરે. લોકોનાં દુ:ખ, દર્દ અને તકલીફો સાંભળીને તેનું નિરાકરણ કરવાનાં તેમનાં સંનિષ્ઠ પ્રયાસો, નાના અદનાં છેવાડાનાં માનવી સાથે પણ તેમનો લાગણીભર્યો અને સાલસ વ્યવહાર, ત્યારે મને ખૂબ સ્પર્શી ગયા હતા.
સંસદસભ્ય હતાં, ત્યારે, 1957માં, પહેલીવાર, મને અને તેમના પુત્ર અક્ષયને દિલ્હી સાથે લઈ ગયા હતાં. ત્યારે હું અઢારેક વર્ષ અને અક્ષય સાત વર્ષનો. પરોઢિયે ચાર વાગે ઊઠે. સંસદની તે દિવસની કાર્યવાહીની પૂર્વ-તૈયારી કરે. અમારા માટે બધી વ્યવસ્થા કરતાં જાય. સાંજે પાછાં આવે ત્યારે પણ હળવાંફૂલ હોય. સહેજ પણ ભાર નહિ.
1957-58માં વજુભાઈની રાહદારી હેઠળ, સૌરાષ્ટ્રમાં ભૂદાન પદયાત્રા શરૂ થઈ ત્યારે વિનોબા ભાવે ખાસ આવેલા. સણોસરા સુધી તેમની સાથે પદયાત્રા કરવાનો મને પણ લાભ મળ્યો હતો. `કામ કરે એ જીતે રે વાલમ, કામ કરે એ જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી શી રીતે.’ જેવાં પ્રેરક ગીતોનું સહુ સમૂહ-ગાન કરતાં તેનું આજે પણ મને સ્મરણ છે.
જયાબહેને આજીવન ખાદી જ પહેરી. ઘરમાં ચાદર, ટુવાલ-નેપકિન, પડદા અને મસોતાં સુધ્ધાં ખાદીનાં જ. જયાબહેનનાં પ્રભાવ હેઠળ અમે ત્રણે ય બહેનો પણ ખાદી પહેરતી. મારાં મોટાં બહેન લીનાબહેને પણ આજીવન ખાદી જ પહેરી. મેં સાડી પહેરવાનું શરૂ કર્યુ, ત્યારે ખાદીની સાડી સહેજ જાડી લાગી. ને હું સુતરાઉં સાડી પહેરવા લાગી. એક વાર પાતળી ખાદીની સાડી જયાબહેનને નજરે આવતાં, તેમણે મને ભેટ આપી. જયાબહેનની સ્મૃિત સમાન આ ખાદીની સાડી મેં આજ સુધી જતનપૂર્વક જાળવી રાખી છે.
1961માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર નાનકભાઈ સાથે મારા `સિવિલ-મેરેજ’ થયાં. ત્યારે જયાબહેને સાક્ષીરૂપે રજિસ્ટરમાં સહી કરી હતી. 1966માં હું એમ.એ. થઈ અને એક કોલેજમાં લેકચરરની પોસ્ટ માટેનાં ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ. એપોઈન્ટમેન્ટ લેટર ન મળતાં, તપાસ કરી તો ખબર પડી કે વજુભાઈ-જયાબહેનનાં ભલામણ-પત્રથી તરત મેળ પડી જાય તેમ છે. ત્યારે જયાબહેને મને સમજાવ્યું કે કોઈ પણ લાગવગ વગર, સ્વબળે જ જીવનમાં આગળ વધવું જોઈએ. તેમના આ વિચારે મને જીવનભર પ્રેરણા આપી.
જયાબહેન ખૂબ સેવાભાવી. વજુભાઈની માંદગી વખતે સતત ખડે પગે રહ્યાં. અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં સ્પેિશયલ રૂમને ઘર બનાવી દે. 1979-80માં અમે ગાંધીનગર રહેતાં ત્યારે મને સ્લીપ-ડીસ્ક થયેલું. લગભગ પથારીવશ થઈ ગયેલી. બાળકો પણ નાના. જયાબહેન મને અને મારા પરિવારને અમદાવાદ પોતાને ઘેર લઈ આવ્યાં અને એક દીકરીને જેમ મારી સાર-સંભાળ રાખીને મને માંદગીમાંથી બહાર લાવીને જ જંપ્યાં. જાન્યુઆરી 2014 મારું હર્નિયાનું ઓપરેશન થયું, ત્યારે પણ પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં, હોસ્પિટલનાં પગથિયાં ચડીને મારી ખબર પૂછવા આવ્યાં. હેતથી માથે હાથ રાખીને કહે : `ચાલ મારે ઘેર. તારી સેવા કરીશ અને તને ઝટ સાજી કરી દઈશ’.
જયાબહેનનું જીવન ખૂબ જ સાત્વિક, સરળ અને સાદગીભર્યુ. જીવન-જરૂરિયાત ખપ પૂરતી જ. છેલ્લા સમય સુધી રસોઈ કરતાં, પોતાનાં કપડાં જાતે પણ ધોતાં. ઘરકામ કરનારી બહેન ન આવી હોય, તો પોતે જાતે ઘરની સફાઈ કરે અને વાસણ પણ માંજી નાખે. કોઈ પણ કામનો સંકોચ અને નાનપ જ નહિ. ઝડપી પણ ખૂબ. જાણે `ફ્રન્ટીઅર મેલ’! ભારે શરીર, પણ ખૂબ સ્ફૂિર્ત. સહેજ પણ આળસ નહિ.
સ્વાદિષ્ટ રસોઈ બનાવીને સહુને પ્રેમથી જમાડતાં. રાજકોટનાં સેનેટોરિયમમાં રહેતાં, ત્યારે મહેમાનો અચાનક આવે. વજુભાઈ-જયાબહેન કોઈને પણ જમાડ્યાં વગર જવાં જ ન દે. ભાખરી, ઘી-ગોળ, અથાણું, દૂધ-છાશ તો હોય જ. આંબળાનું પૌષ્ટિક જીવણ જાતે બનાવીને તેની નાની-મોટી શીશીઓ ભરી રાખે. શુધ્ધ-પ્રાકૃતિક મધ, ખજૂર, ગોળ પણ રાખે. બાળકોને ખાસ આપે. દિવાળી વખતે ઘૂઘરા, મગજ, મઠિયાં અને નાસ્તો મોટા પ્રમાણમાં જાતે બનાવે. મળવા આવનાર દરેકને હોંશથી ખવડાવે. જ્યારે પણ તેમને મળવા જાઉં, તો 90 વર્ષની ઉંમરે પણ, ગરમ-ગરમ નાસ્તો કરીને પ્રેમથી ખવડાવે. મારા દીકરા પિનાકીને ગળપણ ખૂબ ભાવે એટલે તેના માટે પણ દર વખતે ખાસ વ્યવસ્થા કરીને રાખે. તેમના હાથે બનાવેલી પૂરણપોળી, લાપસી, ખાંડવી, ભાખરી, ઢોકળા, ઉપમા, ખીચું, અથાણાં મને ખૂબ યાદ આવે છે. જૈન ધર્મનાં સંસ્કારોને લીધે અમારાં બા-બાપુજીને ત્યાં ડૂંગળી-લસણનો ઉપયોગ ન થતો. જયાબહેને પણ આજીવન ડૂંગળી-લસણ ન ખાધાં.
આર્થિક વ્યવહારમાં જયાબહેન નખશિખ અણિશુધ્ધ પ્રામાણિક અને અતિ ચોકસાઈ-ચિવટવાળાં. હિસાબમાં સહેજ પણ ભૂલચૂક સાંખી ન લે. હિસાબ ન મળે ત્યાં સુધી ચેન ન પડે. જમે પણ નહિ. મારા પિતાજી પાસેથી તેમને આ ગુણ વારસામાં મળ્યો હતો. જયાબહેન પત્ર-વ્યવહારમાં ખૂબ નિયમિત અને ચોક્કસ. નાના-મોટા દરેકને યાદ રાખીને પત્રનો જવાબ આપે જ. દિવાળીમાં તો 500 જેટલાં શુભેચ્છાનાં પોસ્ટકાર્ડ જાતે લખે.
મારા સસરા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃિતને જીવંત રાખવા તથા એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ માટે મારા પુત્ર પિનાકીના પ્રયાસોથી જયાબહેન ખૂબ આનંદ પામતાં.
જયાબહેનને ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા. સર્વધર્મમાં આસ્થા. નવકારમંત્રમાં અતૂટ શ્રદ્ધા. છેલ્લી માંદગીમાં અસહ્ય પીડા વચ્ચે પણ તેમની અખંદ શ્રદ્ધા અને પહાડને પણ આંબી જાય તેવું દ્રઢ મનોબળ અડીખમ રહ્યું. મારા બાએ 1985માં વિદાય લીધી. 14 એપ્રિલ 2014નાં રોજ મારાં મા સમાન મોટાં બહેન જયાબહેનની વિદાય ખૂબ વસમી લાગી. જયાબહેન સદેહે આજે આપણી વચ્ચે નથી, પણ, એમનાં જીવન અને કાર્યમાંથી સતત પ્રેરણા મળતી રહેશે. તેમનાં આશિષ સતત પ્રાપ્ત થતાં રહેશે. પરમાત્મા એમને પરમ શાંતિ અર્પે એવી અભ્યર્થના.
જયાબહેનને અતિ પ્રિય એવું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત અમર કાવ્ય `સ્વતંત્રતાની મીઠાશ’ની કેટલીક પ્રેરક પંકિતઓ અંજલિ-રૂપે પ્રસ્તુત છે :
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !
પૂછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને ;
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.