હું આંગણમાં રમતી થઈ અને માતા-પિતા તથા આસપાસના મુરબ્બીજનોની વાતો સમજતી થઈ ત્યારથી વિનોબાજી અને જયપ્રકાશ નારાયણના નામ અને કાર્ય સાથે નારાયણભાઈ દેસાઈનું નામ સહેજે પરિચિત થતું જતું હતું. તેમની ઓળખ અજાણ્યાને આપવાની હોય ત્યારે તેમના માતા-પિતા કોણ અને એમનું મુખ્ય કાર્ય શું તે કહેવાનું બનતું, બાકી અમારે માટે તો તેઓ આદરણીય નારાયણભાઈ હતા કે જેમની બહુમુખી પ્રતિભા હતી અને તેઓ અનેકવિધ રચનાત્મક કાર્યોના પથ દર્શક હતા એવી સમજણ સ્વાભાવિક પણે વિકસી હતી.
24 ડિસેમ્બર 1924માં વલસાડમાં શરૂ થયેલી નારાયણભાઈની જીવનયાત્રા 15 માર્ચ 2015માં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય – વેડછીમાં પૂરી થઈ. કેટલાક ધનાઢ્ય નબીરાઓ માટે ‘born with silver spoon’ મુહાવારાનો ઉપયોગ થાય છે, તેમ નારાયણભાઈ વિષે કહી શકાય કે તેઓ અન્ય મહાનુભાવોથી એક અનોખું નસીબ લઈને જન્મેલા અને તે એ કે તેમને મહાદેવભાઈ દેસાઈ જેવા મેધાવી, ગાંધીજીના અંતરંગ સાથી અને દુર્ગાબહેન જેવાં શીલવતી માતા-પિતાને ઘેર જન્મ લેવાનું સદ્દભાગ્ય મળ્યું એટલું જ નહીં, એમનો ઉછેર પણ સાબરમતી આશ્રમ અને વર્ધામાં થયો. ચીલાચાલુ શાળાકીય શિક્ષણને બદલે તેમનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર પિતા મહાદેવભાઈ, ગાંધીજી અને એમના અન્ય સાથીદારો પાસે થયું એ બંને લાભદાયક સંયોગોમાંથી મેળવેલ શિક્ષણ, કેળવેલ આંતર દ્રષ્ટિ અને બંધાયેલ સુદ્રઢ ચારિત્ર્યને દસ ગણું વધુ બળવાન બનાવીને નારાયણભાઈ માનવ જાતને આજીવન ખોબે ખોબે માર્ગ દર્શન આપતા રહ્યા.
વેડછીમાં કરેલ શિક્ષણ કાર્ય, ભૂદાન આંદોલનમાં અથાક પરિશ્રમ થકી આપેલ ફાળો, “ભૂમિપુત્ર” પખવાડિકની શરૂઆત અને 1959 સુધી સંભાળેલ તંત્રીપદ અને જયપ્રકાશ નારાયણ જેટલી જ ઊંચી ભૂમિકાએ રહીને કરેલ શાંતિ સેનાનાં કાર્યોની તવારીખ સતત નજર સામે હતી જ અને હવે નારાયણભાઈ પાસેથી કઈ અદકેરી સેવા મળશે તે વિષે ઈન્તેજારી રહ્યા કરતી. આ તમામ જવાબદારીઓ વચ્ચે ગાંધીજીની જીવન કથા ‘મારું જીવન મારી વાણી’ (ચાર ભાગ), મહાદેવ દેસાઈની જીવન કથા ‘અગ્નિકુંડમાં ઊગેલ ગુલાબ’ અને ભારતના ભાગલા સમયના ગાંધીજીના અંગત તેમ જ રાજકીય પ્રવાહોનું ચિત્રણ કરતું પુસ્તક ‘જીગરના ચીરા’ ઉપરાંત બીજી અનેક બળકટ સાહિત્ય કૃતિઓ આપવા માટે ઊંડા સંશોધન, વાચન અને લેખન માટેનો સમય કેવી રીતે ફાળવી શક્યા હશે એ કલ્પનામાં નથી આવતું.
તેમાં વળી ભારતમાં રહેતા મારા કુટુંબીઓ પાસેથી જાણવા મળ્યું કે નારાયણભાઈએ ગાંધી જીવનને કથાના રૂપમાં જનતા સુધી પહોંચતી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. જ્યારે એવી કથા થવાના સમાચાર મળે કે તરત ભારત જઈને એ સાંભળવાનો સંકલ્પ કરેલો જે પૂરો નહોતો થતો. તેવામાં 2008માં ગાંધીકથા લંડન અને લેસ્ટરમાં યોજાયાના ખબર મળ્યા. પછી તો શું જોઈએ? પૂરા પાંચ દિવસ લંડનમાં રોકાઈને એ કથાનું આકંઠ પાન કર્યું. તેમાં મારા બંને પુત્રો પણ બે દિવસ માટે જોડાયા. તેઓ બંનેએ બે દિવસ કથા સાંભળ્યા બાદ એવું તારણ કાઢ્યું કે ગાંધીજીની સીધી છત્રછાયામાં ઉછેર અને સંસ્કાર ઘડતર થયું હોવા છતાં એનો ઘમંડ કે એ હકીકતને વટાવીને પોતાને ‘મહાન’ ગણાવવાની વૃત્તિ નારાયણભાઈમાં લેશ માત્ર નહોતી. વળી અતિ નિકટનો પરિચય હોય અને વિશ્વવિખ્યાત વિભૂતિ હોય તેમનાં અતિશય ગુણગાન કરવાનું તદ્દન સ્વાભાવિક અને ન્યાયી ગણાય, પરંતુ નારાયણભાઈ તેનાથી દૂર રહીને બને તેટલું સમ્યક દર્શન પૂરું પાડી શક્યા એ તેમની સમત્વ યુક્ત દ્રષ્ટિનો પ્રભાવ છે. જયારે જાણવા મળ્યું કે કથા દરમ્યાન ગવાતાં ગીતોની રચના પણ નારાયણભાઈએ કરેલી એટલું જ નહીં, તેના સંગીત નિયોજનમાં પણ તેમનું માર્ગદર્શન મુખ્યત્વે હતું ત્યારે તેમના વ્યક્તિત્વના એક વધુ પાસાનો ઉઘાડ થયો. મારું અંગત મંતવ્ય કહું તો સામાન્ય રીતે કોઈ રાજકીય કે સામાજિક અગ્રગણ્ય વ્યક્તિના જીવન-કાર્ય વિષે વાત કહેવામાં આવે ત્યારે એક પ્રકારની ગંભીરતા અને એ વ્યક્તિની આસપાસ એક આભા વર્તુળ ઊભું થયેલું અનુભવાય. પણ નારાયણભાઈની ગાંધી કથા અત્યંત રસાળ, પ્રાસંગિક રમૂજ અને તદ્દન સુપાચ્ય એવી ભાષા દ્વારા મોહનમાંથી મહાત્મા કેમ બન્યા તેની ગાથા હતી તેવી હળવાશ અનુભવી. ખરેખર તેમના પર પરમાત્મા, મહાત્મા અને લોકાત્માના ચારે ય હાથ હતા જેની પ્રેરણાથી 118 કથાઓ દુનિયાના ઘણા દેશોમાં એકથી વધુ ભાષામાં સંપૂર્ણ કરવાનું તેમનું પ્રણ પૂરું થયું.
માન્ચેસ્ટરના રહેવાસીઓને ગાંધી કથાનો લાભ ન મળી શક્યો પણ નારાયણભાઈ અને તેમના વૃન્દના સભ્યો કે જે અમારા નિકટના સ્નેહીજનો છે તેમને માન્ચેસ્ટર કેમ ખેંચી લાવવા એ વિષે પેંતરો વિચારતી હતી. જો નારાયણભાઈ અને તેમના સાથીદારો એક રાતનો મુકામ અમારે ઘેર કરે તો લેઈક ડિસ્ટ્રીક્ટ જવાનો અને જોહન રસ્કિનના નિવાસ સ્થાનની મુલાકાત લેવાનો વાયદો કર્યો અને મારા પાસા પોબાર પડ્યા. તેમની આ અત્યંત ટૂંકી મુલાકાત દરમ્યાન અનુભવ્યું કે નારાયણભાઈના આશાવાદી વલણનો જોટો જાડવો મુશ્કેલ છે. તેમને અત્યારની નિરાશાજનક પરિસ્થિતિમાં પણ કોઈ માર્ગ નીકળશે અને ગાંધી હંમેશ પ્રસ્તુત રહેશે એવી દ્રઢ શ્રદ્ધા હતી. એ પણ નોંધી શકાયું કે કોઈ પણ પ્રકારની સગવડ કે અગવડ હોય પણ ‘મારે આ જોઈએ અથવા આ નહીં ફાવે’ તેવો આગ્રહ નહીં જેને કારણે તેમની સરભરા કરવાનું સરળ બન્યું. ખૂબ સાદું અને સંયત જીવન જીવતા હોવા છતાં ભોજનનો રસાસ્વાદ પણ માણી શકતા હતા. લેઈક ડિસ્ટ્રીક્ટમાં કવિરાજ વર્ડ્ઝવર્થના નિવાસની મુલાકાત વખતે એમણે અચાનક ખૂબ રમૂજ સાથે સવાલ કર્યો, ‘લોકો વિલિયમને બીલ કહીને કેમ નહીં બોલાવતા હોય?’ આવી હતી તેમની બાલ સહજ સરળતા. એમના ગાયક વૃંદના ગાયન સાથે તાલ મેળવતા અને સાથે સાથે ગાન ગુનગુનાવતા જોવા એ એક અલભ્ય લ્હાવો હતો. રસ્કિન મ્યુિઝયમની ક્યુરેટર બહેન સાથે રસ્કિન, ગાંધી અને નેલ્સન માંડેલા વિષે વિગતે વાત કરવાની હોય કે મારા નાના પુત્ર સાથે વાત કરવાની હોય, નારાયણભાઈ બંનેને એક સરખું મહત્ત્વ આપે એ એમની મોટાઈ હતી.
જેમણે ગાંધીના જીવનને અને વાણીને કર્તવ્યમાં મૂર્તિમંત કેવી રીતે કરી શકાય તે બતાવી આપ્યું એવા નારાયણભાઈ અનેક ઉચ્ચ પદાધિકારીઓ અને દુનિયાના અગ્રગણ્ય મહાનુભાવોને મળ્યા જેનાથી એમની ઊંચાઈ વધી એમ કહી શકાય. એવા ચિંતક, લેખક અને કર્મયોગી નારાયણભાઈને નિકટથી જોવા-જાણવાનો લ્હાવો મળ્યો તે અમારાં ધન ભાગ્ય લેખીએ. એમના જીવન અને કાર્યમાંથી પ્રેરણા લઈને સત્કાર્ય કરતાં રહીએ એવી પ્રાર્થના સાથે.
e.mail : 71abuch@gmail.com